Opinion Magazine
Number of visits: 9458004
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—196

દીપક મહેતા|Opinion - Opinion|13 May 2023

જ્યારે માથેરાનમાં હાથી–ઘોડા જોવા મળતા! 

ત્યારે માથેરાનમાં હતી ફક્ત દસ દુકાન અને છ હોટેલ  

લીલમલીલી મહેકથી મને 

લાલ માટીનો રસ્તો હવે સાદ કરે છે :

મમ્મી! ચાલ ને માથેરાન!

ડાળે ડાળે કૂદતા પેલા વાંદરાઓ 

મને સાદ કરે છે : 

મમ્મી ચાલ ને માથેરાન!

મને બોલાવે ઘોડાના દાબડાઓ લાડથી,

મને બોલાવે પંખીના સૂર મીઠા ઝાડથી,

પ્હાડનું એકલ ઝાડ 

ને ડૂબ્યા પડઘાઓ ફરિયાદ કરે છે :

મમ્મી ચાલ ને માથેરાન!

આજથી પચાસ-સાઠ વરસ પહેલાં સુરેશભાઈ દલાલે આ બાળકાવ્ય લખ્યું ત્યારે મુંબઈના મધ્યમ વર્ગના બાળક માટે વેકેશનમાં માથેરાન કે મહાબળેશ્વર જવું એ બહુ મોટી વાત. કારણ એ વખતે હજી આજના જેટલું ટૂરિઝમ ફૂલ્યુંફાલ્યું નહોતું. મુંબઈની બહારની મુસાફરી એટલે કાં ‘દેશ’ જવું, કાં સારે-માઠે પ્રસંગે કોઈને ત્યાં જવું, કે પછી દેવદર્શન માટે યાત્રા કરવી. એ વખતે મધ્યમ વર્ગના માણસને પ્લેનની મુસાફરીનો તો સપનામાં ય વિચાર ન આવે. બહાર ગામની ટ્રેનોમાં ત્રણ ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. વચમાં થોડાં વરસ વળી થર્ડ અને સેકન્ડની વચ્ચે ‘ઇન્ટર’ નામનો ક્લાસ ઉમેરેલો રેલવે કંપનીએ. પણ પછી કાઢી નાખ્યો. એટલે મધ્યમ વર્ગને તો પંખા વગરનો, બેસવા માટે લાકડાના બાંકડાવાળો થર્ડ ક્લાસ જ પોસાય. એટલે માથેરાન જવાનું હોય તો સૌથી મોટું આકર્ષણ તો ટોય ટ્રેન.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં માથેરાન

સુજ્ઞ વાચકને વિમાસણ થતી હશે કે આજે મુંબઈના રસ્તા પર રખડવાને બદલે આમ બહારગામ કેમના ઉપડ્યા? કારણ, મુંબઈ, માથેરાન, અને મહાબળેશ્વર વચ્ચે એક લગભગ અજાણ્યો નાતો છે. એક જમાનામાં મુંબઈના પૂર્વ કિનારે ઘણાં બધાં નાનાં નાનાં બંદર. તેમાંનું એક માલેટ બંદર. (આ ‘માલેટ’ ઉચ્ચાર બમ્બૈયા છે, હોં.) એની સાથે જોડાયેલા આર્થર મેલેટનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૮માં. ૧૮૨૬થી ૧૮૬૦ સુધી મુંબઈ સરકારની નોકરી કરી. ૧૮૫૫થી ૧૮૬૦ સુધી મુંબઈની કાઉન્સિલના સભ્ય રહ્યા. પણ બંદર સાથે મેલેટનું નામ જોડવાનું કારણ એ કે મુંબઈની ગોદી કહેતાં ડોકના વિકાસમાં તેમનો મોટો ફાળો. એવો જ મહત્ત્વનો તેમનો ફાળો માથેરાનના વિકાસમાં. કહેવાય છે કે માથેરાનમાં પહેલવહેલું પાકું મકાન આ સાહેબે બંધાવેલું.

આર્થર્સ સીટ, મહાબળેશ્વર

આ આર્થરસાહેબના ભાઈ હ્યુ પોઈન્ઝ મેલેટ. તેમણે મહાબળેશ્વરની ‘શોધ’ કરેલી. એટલે આર્થરસાહેબ ઘણી વાર કુટુંબ સાથે ત્યાં પણ જતા. પણ કહ્યું છે ને કે ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ ખીણમાં વહે સાવિત્રી નદી. આર્થર સાહેબ ઘણીવાર પત્ની અને બાળકો સાથે સાવિત્રી નદીમાં બોટિંગ કરે. પણ એક દિવસ શું સૂઝ્યું કે સાહેબે પત્નીને કહ્યું કે તમે બાળકોને લઈને બોટિંગ કરી આવો. હું અહીં બેઠો છું. એટલે એ બધાં ગયાં. હોડીમાં બેઠાં. નાવિકે હોડી હંકારી. માલેટ સાહેબની નજર હોડી પર, તેમાં બેઠેલાં પત્ની અને બાળકો પર. અને એકાએક શું થયું એ તો રામ જાણે! નદીના પ્રવાહમાં વહી રહેલી હોડી ઊંધી વળી ગઈ, સાહેબની નજર સામે. પણ સાહેબ બેઠા હતા ડુંગરની ધારે. અને નદી તો નીચે ખીણમાં. પોતાના પ્રાણપ્યારાં સ્વજનોને પોતાની આંખ સામે મરતાં જોયાં, છતાં સાહેબ તેમને બચાવવા કાંઈ જ ન કરી શક્યા. એનો એમને લાગ્યો ઊંડો આઘાત. અવારનવાર અહીં આવે. તે દિવસે બેઠા હતા ત્યાં જ જઈને બેસે. કલાકો સુધી સાવિત્રી નદીનાં વહેતાં વારીને તાકી રહે. પછીથી એ જગ્યાને એમની સ્મૃતિમાં ‘આર્થર્સ સીટ’ નામ આપવામાં આવ્યું. અહીનું આ સૌથી વધુ સુંદર પોઈન્ટ મનાય છે. અલબત્ત, કેટલાક આ વાતને કપોલકલ્પના માને છે. તેમનું કહેવું છે કે આર્થર્સ સિટ નામ તો પડ્યું છે મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના નામ પરથી. ૧૮૪૨થી ૧૮૪૬ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. આર્થર રોડ અને આર્થર રોડ જેલ એ નામો પણ તેમના પરથી જ પડ્યાં છે.

પણ આ મેલેટ સાહેબે આ ‘શોધ’ કરી હતી કઈ રીતે? એ હતા મુંબઈ સરકારના નોકર. ૧૮૫૦ના કોઈક દિવસે પૂનાથી ઠાણે જતાં રસ્તામાં ‘ચોક બંગલો’ ખાતે રોકાયા. એક સાંજે હાથમાં બંદૂક લઈને બાજુનો ડુંગર ચડવા લાગ્યા. અડધે સુધી ગયા ત્યાં જ ખાતરી થઈ ગઈ કે આ જગ્યા તો વિકસાવવા જેવી છે. બીજે દિવસે ત્યાંના પાટિલને સાથે લઈને ફરી છેક ડુંગરની ટોચે પહોંચ્યા. પાછા ફરતાં પાણી, માટી, વનસ્પતિ, વગેરેના નમૂના સાથે લીધા.

થોડા મહિના પછી ત્યાંના પાટિલને સાહેબે થોડાં મરઘાં-બતકાં, બકરાં, મોકલ્યાં અને આદેશ આપ્યો કે આ બધું ડુંગરની ટોચ પર લઈ જવું. તો પાટિલના દીકરા માધવરામને કામ સોપ્યું ટોચ પર એક નાનકડું મકાન બાંધવાનું. છ અઠવાડિયાંમાં તો મકાન તૈયાર. ૧૮૫૦ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડન્સીના નામદાર ગવર્નર લોર્ડ ફોકલેન્ડની સવારી માથેરાન આવી પહોંચી. તેમને માથેરાન એટલું તો ગમી ગયું કે પોતાના મકાનની આસપાસ તેમણે તંબુઓ ખોડાવ્યા, પોતાના સ્ટાફને કામ કરવા માટે. પૂરો એક મહિનો ગવર્નર સાહેબ અહીં રહ્યા. પછી તો લગભગ દર વરસે ઉનાળામાં ગવર્નર સાહેબ માથેરાનમાં જ હોય. ફોકલેન્ડ પછીના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન ૧૮૫૫ના ઉનાળામાં માથેરાન આવ્યા અને આવ્યા એવા જ તેના પ્રેમમાં પડી ગયા. તેમણે માથેરાનના વિકાસ માટે ઘણી યોજના ઘડી ને પાર પાડી.

અંગ્રેજોને અનુસરવામાં હંમેશાં પારસીઓ સૌથી આગળ. એટલે ‘દેશીઓ’માં પારસીઓ સૌથી પહેલાં પહોચ્યા માથેરાન. તેમાંના એક હતાં ગુલબાઈ ફરામજી પાઠક. તેમણે માથેરાન વિશેનું પહેલું ગુજરાતી પુસ્તક લખ્યું જે પ્રગટ થયું ૧૮૯૧માં. એનું નામ જરા લાંબુલચક : ‘માથેરાન : તેનો મુખ્તેસર હેવાલ, આબોહવા, તવારીખ, ઈત્યાદી : તેના વિગતવાર નકશા સાથે.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાયેલા ૭૨ પાનાંના આ પુસ્તકની કીમત હતી એક રૂપિયો.

માથેરાનમાં હાથી અને ઊંટ જોવા મળે ખરા? આજે તો હજી માંડ માંડ ઈ-રિક્ષા અખતરા તરીકે શરૂ થઈ છે. પણ ૧૮૯૧માં દસ્તૂરી આગળ ટોલ ટેક્સના દરનું જે પાટિયું માર્યું હતું તેમાં ટેક્સના દર આ પ્રમાણે લખ્યા હતા :

હાથી : દોઢ રૂપિયો

ઊંટ : આઠ આના 

પાલખી : એક રૂપિયો 

ટટટુ : ૯ પાઈ 

ઘોડો : ૧ રૂપિયો છ આના

બળદ : ૧ આનો 

ઘેટાં, બકરાં, ડુકકર : ૧ પાઈ

બીજું કોઈ પણ જાનવર : ૩ પાઈ

એટલે એક જમાનામાં માથેરાન પર હાથી અને ઊંટ જોવા મળતા હશે, ક્યારેક. પણ આ પ્રાણીઓ ડુંગર ચડતાં કઈ રીતે હશે એની તો આજે અટકળ જ કરવી રહી.

આ પુસ્તકમાં જણાવ્યું છે કે અહીં બંગલા બાંધવા માટે અરજીઓ મગાવાઈ ત્યારે કુલ ૬૫ અરજી આવી હતી, જેમાં એક પણ હિંદુ ગુજરાતીનું નામ નહોતું. મરાઠીભાષીઓમાં પણ માત્ર એક અરજી આવી હતી, વિનાયક ગંગાધરની. બાર અરજીઓ પારસીઓની હતી. તેમાં સર જમશેદજી જીજીભાઈ, રૂસ્તમજી મેરવાનજી, હિરજી જહાંગીર, મંચેરજી જમશેદજી, વગેરેનો સમાવેશ થતો હતો. બાકીની અરજી અંગ્રેજોની હતી.

માથેરાનની જૂની બજારનો દરવાજો

આ પુસ્તક લખાયું ત્યારે હજી નેરલ-માથેરાન ટ્રેન શરૂ થઈ નહોતી. પગ રસ્તે જ ચાલીને કે ડોળીમાં જવું પડતું. પુસ્તકનાં લેખિકા પણ એ રીતે જ આવતાં-જતાં. તેમણે માથેરાનની બજારની વિગતો આપી છે. એ પ્રમાણે તે વખતે બજારમાં ફક્ત દસ દુકાન હતી! બે ગાંધીની, બે શાકભાજીની, એક દરજીની, એક કંદોઈની, અને ત્રણ કરિયાણાની. દસમી દુકાન અંગ્રેજો માટેની હતી, ‘હોલ શોપ’. તો એ વખતના માથેરાનમાં ફક્ત છ હોટેલ હતી : ગ્રેન્વિલ, પિન્ટો, રગ્બી, ક્લેરેનડન, વિક્ટોરિયા, અને આલ્બર્ટ વિક્ટર. તેમાંની પહેલી ચાર માત્ર અંગ્રેજો માટે હતી. ‘દેશીઓ’ માટે માત્ર બે જ હોટેલ હતી. તેમાં પાછી વિક્ટોરિયા હોટેલ ફક્ત પારસીઓ માટે હતી. વિદેશીઓ માટેની હોટેલોમાં રોજનું ભાડું પાંચ રૂપિયા હતું, જેમાં આખા દિવસના  ‘ખાણા’નો સમાવેશ થતો, પણ ‘પીણાં’નો નહિ. શાપુરજી નવરોજીએ શરૂ કરેલી વિક્ટોરિયા હોટેલનું ભાડું હતું દિવસના ત્રણ રૂપિયા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સામે આવેલી લાઈબ્રેરી તથા જીમખાનાની વિગતો પણ પુસ્તકમાં આપી છે.

૧૮૯૧માં એક પારસી બાનુએ લખેલું પુસ્તક

અને આજે પણ રસ પડે એવી એક વાત : ૧૮૯૦માં મુંબઈની બાલીવાલા નાટક મંડળી માથેરાન ગઈ હતી. ખાસ બાંધેલા તંબુમાં ત્રણ દિવસ સુધી નાટકના ખેલ થયા હતા. તેની બધી જ આવક બાલીવાલાએ માથેરાનને દાનમાં આપી દીધી હતી. તેમાંથી અહીંના દરેક પોઈન્ટ પર એક-એક બાંકડો મૂકવામાં આવ્યો હતો. ‘માથેરાન’ નામ સમજાવવા લેખિકા બે વિકલ્પ સ્વીકારે છે. પહેલો, જે ટેકરીના માથા પર, એટલે કે ટોચ પર રાન કહેતાં જંગલ આવેલું છે તે માથેરાન. આમ તો આ વાત બંધબેસતી થતી લાગે પણ તેમાં મુશ્કેલી એ છે કે મરાઠીમાં head માટે માથું શબ્દ નહિ પણ ‘ડોકા’ શબ્દ વપરાય છે. લેખિકા નોંધે છે કે અહીંના અસલ વતની એવા ધનગર લોકો કહે છે કે મૂળ નામ ‘માતેરાન’, એટલે કે માતાનું રાન હતું. તેમાંથી માથેરાન થયું. આ વાતને ટેકો આપતી એક મરાઠી કહેવત પણ લેખિકા નોંધે છે : ‘માતપીતે ગુમવલા, માતેરાન નાવ પાવલા.’

સુરેશ દલાલના બાળગીતના શબ્દો આપણને ક્યાંથી ક્યાં લઈ ગયા! માલેટ બંદરેથી ઊપડેલી આપણી હોડી તો પહોંચી ગઈ સીધી માથેરાન! અરે, પણ હોડી તે વળી માથેરાન કઈ રીતે પહોંચે? પણ ઉમાશંકર જોશીએ જ તો ગાયું છે :

છોને છોડે એ ભૂમિના કિનારા,

ને શહેરના મિનારા,

કે હોડીને દૂર શું, નજીક શું?

હવે આવતે અઠવાડિયે? કહેતી છે કે આડી રાત,એની શી વાત? અને અહીં તો એક નહિ, સાત-સાત રાત આડી છે!

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 મે 2023

Loading

આપણી ક્ષમતા નહીં, દૃષ્ટિ સીમિત હોય છે : ખલિલ જિબ્રાન 

સોનલ પરીખ|Opinion - Opinion|13 May 2023

·       મોટા ભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે

·       આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.

·       વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો

·       એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી

— ખલિલ જિબ્રાન   

‘હું પૃથ્વીના કર્ણપટે એક શબ્દ સંભળાવવા આવ્યો છું. પ્રભુના પ્રતિબિંબ સમા પ્રેમ અને સૌંદર્યનો પ્રકાશ ઝીલવા આવ્યો છું. હું સર્વ માનવો સાથે રહેવા આવ્યો છું. મારા એકાંતમાં હું જે કંઈ કહીશ તેનો પડઘો આવતી કાલે બધાનાં હૃદયમાં પડવાનો છે.’

આ સુંદર અને અર્થઘન શબ્દો ખલિલ જિબ્રાન સિવાય કોના હોઈ શકે?

10મી એપ્રિલે આ અમર સર્જકના દેહાવસાનને 92 વર્ષ થયા. તેના જન્મને દોઢસો વર્ષ થયાં. કેટલાં ય પાણી વહી ગયાં, કેટલા ય પ્રવાહો પલટાઈ ગયા, દુનિયા કેટકેટલાં ક્રાંતિકારી પરિવર્તનોમાંથી પસાર થઈ. આમ છતાં ખલીલ જિબ્રાનના વિચારોની અને શબ્દોની તાજગી ઓસરી નથી. ક્યાંથી ઓસરે – જિબ્રાને કહ્યું છે, ‘એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી.’

એમનો જન્મ 1883માં સિરિયાના લેબનન પ્રાંતના એક ગામમાં. બાર વર્ષ સુધી ઘરમાં માબાપ પાસે જ શિક્ષણ થયું. એ દરમિયાન અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાઓ શીખી લીધી. ચિત્રકામ એટલું ગમતું કે ચાર વર્ષની ઉંમરે કાગળ વાવવા અને ઉગાડવાની કલ્પના કરી, જેથી કાગળ ખૂટે નહીં. છ વર્ષની ઉંમરે ઈટલીના ચિત્રકાર લિયોનાર્ડો પર લગભગ પૂજવાની હદ સુધીનો પ્રેમ જાગ્યો.

પછી કુટુંબ અમેરિકાના બૉસ્ટનમાં આવી વસ્યું. જિબ્રાનને ત્યાં ગમ્યું નહીં. ત્યાંના શિક્ષણથી તેને એવો ત્રાસ થયો કે બે વર્ષમાં અમેરિકા છોડી એકલા જ બૈરુતમાં આવી અરબી ભણવા માંડ્યું. 1901માં મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે વૈદક, આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત જેવા વિષયોનો ઘણો અભ્યાસ પણ થઈ ગયો હતો. ઉપરાંત ‘ધ પ્રોફેટ’નો ખરડો અરબી ભાષામાં તૈયાર થઈ હયો હતો. ‘અલ-હકીકત’ (સત્ય) નામનું એક સામયિક પણ કાઢેલું.

મેટ્રિક થયા પછી જિબ્રાન ગ્રીસ, ઈટલી અને સ્પેન થઈ પેરિસ ગયા. 1901થી 1903 તેઓ પેરિસમાં ચિત્રકલાનો અભ્યાસ કરતા હતા. સાથે લેખન પણ ચાલતું. એમના ‘સ્પિરિટ ઑફ રિબેલિયસ’ પુસ્તકને બૈરુતના પાદરીઓએ ‘ભયંકર’ કહ્યું અને બજાર વચ્ચે બાળ્યું. જિબ્રાનને દેશવટો અને ધર્મવટો ફરમાવ્યો. જિબ્રાનને ખબર પડી ત્યારે શાંતિથી કહે, ‘પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરો.’ આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત શીખી લીધા હતા.

મા બીમાર પડતાં જિબ્રાન 1903માં બૉસ્ટન આવ્યા. એની પથારી પાસે બેસી ‘ધ પ્રોફેટ’ના અંશ સંભળાવતા. માએ કહ્યું, ‘સારું લખ્યું છે, જિબ્રાન, પણ હજુ પાક્યું નથી. હમણાં ઊંચું મૂક.’ અને જિબ્રાને દસ વર્ષ સુધી એને ઊંચું મૂકી દીધું. 1903થી 1908 જિબ્રાન બૉસ્ટનમાં હતા. એક વાર મકાનને આગ લાગી અને અત્યાર સુધીની બધી જ કલાકૃતિ ભસ્મીભૂત થઈ ગઈ. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ચિત્રકલાનો અભ્યાસ ફરી શરૂ કર્યો.

1923માં ‘ધ પ્રોફેટ’ અંગ્રેજીમાં પ્રગટ થયું. આખું નવેસરથી જ લખાયું હતું. એ પહેલાં ‘બ્રોકન વિંગ્સ’, ‘ધ ટેમ્પેસ્ટ્સ’ અને ‘પ્રોસેશન્સ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં. ત્યાર પછી ‘ધ મેડનેસ’, ‘ધ ફૉર રનર’ વગેરે છએક પુસ્તકો આવ્યાં. અંગ્રેજીમાં હતાં અને બાઈબલની શૈલીમાં લખાયાં હતાં તેથી આખા યુરોપનું ધ્યાન ખેંચાયું. વીસ કરતાં વધુ ભાષામાં એના અનુવાદો થયાં. યુરોપ-અમેરિકામાં અનેક સ્થળે એમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાતાં.

જિબ્રાન દિવસે ચિત્રો દોરે અને રાત્રે લખે. બે છેડે બળતી મીણબત્તીની જેમ એમની સર્જકતા અને આયુષ્ય બમણા વેગે ખર્ચાતાં હતાં. કદાચ એટલે જ માત્ર 49માં વર્ષે એમણે ચિરવિદાય લઈ લીધી. એક વાર્તામાં એક માણસ ઘર શોધ્યા કરે છે. લેખક તેને મદદ કરવા માગે છે, ત્યારે એ ઊભો થઈ હાથ પહોળા કરે છે. એની હથેળીઓમાં ઊંડા ઘા પડેલા છે. લેખક રડી પડે છે, ‘ઓહ…ઓહ… તમે તો નાઝારેથના ઈસુ છો!’ ઈસુ કહે છે, ‘લોકો મારા ઉત્સવો ઊજવે છે, પણ મારી સામે કોઈ જોતું નથી. આ પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ સુધી મેં ભ્રમણ કર્યું છે, પણ કોઈ મને ઓળખતું નથી. વનનાં પશુઓ સારુ એમની બખોલો છે, આકાશનાં પંખીઓ સારું એમના માળા છે, પણ મારે માટે – માનવીના પુત્ર માટે એ નચિંત થઈ શિર ઢાળીને સૂઈ શકે એવું કોઈ નિવાસસ્થાન શોધ્યું જડતું નથી.’ આટલું કહી ઈસુ ચૂપ થાય છે. લેખક આગળ લખે છે, ‘મેં આંખ ખોલી તો સામે માત્ર ધૂમ્રસ્તંભ ખડો હતો. પલકારામાં એ વિખેરાઈ ગયો …’ અનુભૂતિ અને સર્જકતાના કયા સ્તરેથી આવી કૃતિઓ જન્મતી હશે!

એમનું અંગત જીવન સાદું અને ભાવનાપ્રધાન રહ્યું. એમના અનેક સ્ત્રીઓ જોડેના સંબંધોને સુભાષ ભટ્ટ ‘ચૈતન્યના આવિષ્કારના ભિન્ન ભિન્ન તબક્કાઓ’ એવા શબ્દોમાં વર્ણવે છે. સર્જકતા એટલી ઊભરાતી કે એને વ્યક્ત કરવા ગજા બહારનો પરિશ્રમ કરવો પડતો. ‘ધ પ્રોફેટ’નો ‘વિદાયવેળાએ’ નામનો અત્યંત સુંદર અનુવાદ કરનાર કિશોરલાલ મશરૂવાળા લખે છે કે ‘જિબ્રાનની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી અને સ્વભાવમાં બાળક જેવી નિષ્કપટ સરળતા હતી. સાથે ઉદારતા, સતત અધ્યયન અને અખૂટ વતનપ્રેમ. અમેરિકામાં બેઠા લેબનનના તરુણોને પ્રેરણા આપી શકતા. પુનર્જન્મમાં માનતા અને જેમ હિંદુઓ માને છે કે ભગવાનના અવતારો ભરતખંડમાં જ થાય છે તેવો જ વિશ્વાસ ધરાવતા કે ઈશ્વરના પયગંબરો સિરિયામાં જ જન્મે છે.’

ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં 10 એપ્રિલ 1931ના દિવસે તેમનું અવસાન થયું. શબને ન્યૂયૉર્કથી બૉસ્ટન, ત્યાંથી બૈરુત અને ત્યાંથી એમના જન્મસ્થાને પહોંચાડ્યું ત્યારે જુલાઈ મહિનો આવી ગયો હતો. જ્યાંથી તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા ત્યાં જ તેમને માનપૂર્વક અને વિધિપૂર્વક દફનાવવામાં આવ્યા.

પ્રેમ વિનાના મનને જિબ્રાન ‘ઋતુઓ વિનાનું જગત’ કહે છે. લખે છે, ‘પ્રેમને હું સમજી શકું એ પહેલાં હું પ્રેમનું ગીત ગાતો. પણ જ્યારે મને પ્રેમની અનુભૂતિ થઈ ત્યારે મારા શબ્દો માત્ર મારા ઉચ્છવાસમાં ભળી ગયા અને મારા હૃદયનું સંગીત ઊંડી નીરવ શાંતિમાં સમાઈ ગયું. તમે કહી શકો એમ હો તો કહો, કે મારા હૃદયમાં જલતી આ જ્યોત શાની છે, જે મારું સઘળું સામર્થ્ય ખર્ચાવી નાખે છે અને મારી આશાઓ-ઈચ્છાઓને ઓગાળી નાખે છે? આ કયા હળવા, મૃદુ ને સુંદર હાથ છે જે મારા આત્માને એકાંતની પળોમાં આવરી લઈ મારા હૃદયપાત્રમાં આનંદની કટુતા અને દર્દની મધુરતાથી મિશ્રિત સુધા રેડી જાય છે?’

‘હું વ્યાકુળ છું – આ કઈ પાંખો મારી પથારીની આસપાસ ફફડાટ કરતી ફરે છે? આ કયું રહસ્ય છે જે સઘળાં કાર્યોનું કારણ ને સઘળાં કારણોનું કાર્ય છે? મંદિરના ગુંબજમાંથી પડઘા આવે છે, “સૃષ્ટિમાં બે જ ચીજ છે, થીજેલો પ્રવાહ અને ભભૂકતી જ્વાળા.” હું પોકારું છું, “તો હે પ્રભુ! મને એ ભભૂકતી જ્વાળાનો હોમ બનાવ અને એ દૈવી આતશનું બળતણ પણ બનાવી દે.”’

‘મોટાભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે.’ ‘આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.’ ‘વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો.’

પ્રેમ અને જિંદગી પર આટલું ચિંતન કર્યું હોય તે મૃત્યુ વિશે કહ્યા વિના રહે? યાદ આવે છે ‘વિદાયવેળાએ’નું છેલ્લું વાક્ય, ‘થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ અને એક બીજી માતા મને ધારણ કરશે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઍપ્રિલ 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૬)

સુમન શાહ|Opinion - Literature|13 May 2023

કવિઓના પ્રકાર –

કાવ્યશાસ્ત્રમાં, કવિઓના ત્રણ પ્રકાર વર્ણવાયા છે :

શાસ્ત્ર-કવિ. કાવ્ય-કવિ. શાસ્ત્ર અને કાવ્ય બન્નેમાં પ્રવીણ, ઉભય-કવિ.

સુમન શાહ

શ્યામદેવ જણાવે છે કે એ ત્રણમાં ઉત્તરોત્તર કવિ, શ્રેષ્ઠ છે. એટલે કે, શાસ્ત્ર-કવિથી કાવ્ય-કવિ અને કાવ્ય-કવિથી ઉભય-કવિ ચડિયાતો છે.

પણ વાસ્તવને ઓળખનારા રાજશેખર કહે છે – ના ના, પોતપોતાના વિષયમાં બધા શ્રેષ્ઠ છે. તેઓ સરસ કહે છે કે – રાજહંસ ચન્દ્રિકાપાન નથી કરી શકતો અને ચકોર નીરક્ષીર-વિવેકમાં સમર્થ નથી. એટલે કે, પોતપોતાના વિષયમાં બન્ને શ્રેષ્ઠ કલાવિદ છે.

તદનુસાર, શાસ્ત્ર-કવિ શાસ્ત્રીય ગમ્ભીરતાને કારણે રસ, ધ્વનિ આદિ દ્વારા કાવ્યમાં રસ-સમ્પદાની શોભા વધારતો હોય છે. તેવી રીતે, કાવ્ય-કવિ તર્કકર્કશ શાસ્ત્રીય જટિલ વિષયોને પોતાની સુકુમાર કલાકૃતિથી સરસ અને સુન્દર બનાવી શકતો હોય છે. ઉભય-કવિ બન્ને વિષયોમાં સિદ્ધહસ્ત હોવાને કારણે વાસ્તવમાં બન્નેમાં શ્રેષ્ઠ નીવડતો હોય છે.

રાજશેખર એક નૉંધપાત્ર સત્ય ઉચ્ચારે છે. કહે છે – અમે માનીએ છીએ કે કાવ્ય અને શાસ્ત્રનો ઉપકાર્ય-ઉપકારક ભાવ છે; શાસ્ત્ર દ્વારા કાવ્યને ઉપકાર થાય છે અને કાવ્ય દ્વારા શાસ્ત્રને. કવિ જો શાસ્ત્રોનો પણ વિદ્વાન હોય તો એની રચના અધિક ગમ્ભીર, સરસ અને ઉચ્ચ કોટિની નીવડી આવે છે. કેવળ શાસ્ત્ર જાણનારો વિદ્વાન કવિતાનો વિરોધી હોય છે, એ જો કવિતા કરે, તો અરોચક અને નીરસ નીવડતી હોય છે. જ્યારે, કાવ્યનું જ્ઞાન શાસ્ત્રીય વાક્યોના પોષણમાં સરળતાથી સહાયક નીવડે છે. પરન્તુ, કેવળ કાવ્યજ્ઞાનમાં શાસ્ત્રીય ગામ્ભીર્યનો અભાવ રહેતો હોય છે.

અહીં રાજશેખર સઘળા કવિ-ભેદ સાચવે છે છતાં તરત સમતા ભણી વળી જાય છે. આમે ય મને તેઓ પ્લુરાલિસ્ટ વરતાયા છે. મેં જ્યારે જોયેલું કે એમણે શાસ્ત્ર-કવિ અને કાવ્ય-કવિના પેટા પ્રકારો પણ દર્શાવ્યા છે, ત્યારે મને મારું આ મન્તવ્ય દૃઢ થતું લાગેલું.

કાવ્ય-કવિના પ્રકાર જોઈએ. એમણે ૮ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે :

૧ : રચના-કવિ

આ કવિ કેવળ શબ્દોની રચનાછટા દાખવતો હોય છે. એની કૃતિ પઠન-શ્રવણમાં સુન્દર પ્રતીત થાય છે પણ અર્થ બાબતે એમાં ગમ્ભીરતા નથી હોતી.

૨ : શબ્દ-કવિ

એમાં એક છે, નામ-કવિ

એ નામવાચક સુબન્ત (નામાદિ) શબ્દો બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – જેમ પુરુષ માટે વિદ્યા, રાજા માટે મહિમા, વૈદ્ય માટે પ્રજ્ઞા, ભવિષ્યદર્શી માટે બુદ્ધિ, સજ્જન માટે દયા,  વગેરે વગેરે …

અહીં અનેક નામો – સુબન્ત શબ્દો – એકનીએક ક્રિયા સાથે જોડાયા છે, એટલે એના રચનાકારને નામ-કવિ કહેવો જોઈશે.

એમાં બીજો છે, આખ્યાત-કવિ 

એ આખ્યાત પદ બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – સમુદ્રમાંથી અમૃતમન્થન પ્રસંગે, ગુરુએ – બૃહસ્પતિએ – કરેલી અમૃતમન્થનની ઘોષણા સાંભળીને દેવતાગણ અટ્ટહાસ્ય કરતા’તા, પ્રસન્ન થતા’તા, ગર્જના કરતા’તા, ફરકતી ભુજાઓનો પરસ્પર આઘાત કરતા’તા, સ્તુતિ કરતા’તા, પ્રમુદિત થતા’તા.

અહીં નામ-પદ તો એક-બે જ છે, બાકી બધાં આખ્યાત અથવા ક્રિયાપદ છે.

૩ : નામાખ્યાત-કવિ

આ કવિ નામ અને ક્રિયાપદ બન્નેનાં મિશ્રણ કરતો હોય છે.

૪ : અર્થ-કવિ

ઉદાહરણ – કુમાર કાર્તિકેયના જન્મમહોત્સવ પ્રસંગે, હાથ ઊંચા કરીને એક બાજુએથી ભૃંગિરિટ ગણ આવી રહેલો ને બૂમો પાડીને કહેતો’તો – હે ગણો ! બેસી શું રહ્યા છો, દેવીએ (પાર્વતીએ) પુત્ર પ્રસવ્યો છે, ગાવ અને નાચો. એવી જ રીતે, બીજી બાજુએથી ચામુણ્ડા આવી રહેલી; બધાં પરસ્પર મળીને આલિંગન કરતાં કરતાં નાચવા લાગેલાં. એમનાં ગળામાં લટકતી પુરાણાં સૂકાં હાડકાંની માળાઓ પરસ્પર અથડાઈ એટલે એનો એવો તો ભયંકર ધ્વનિ થયો કે દેવતાઓનો દુન્દુભિ ધ્વનિ તો ક્યાં ય દબાઈ ગયો.

અહીં કવિએ શબ્દરચના તો કરી જ છે પણ અપેક્ષા એ રાખી છે કે પ્રધાનપણે અર્થ ચમત્કારી બની આવે.

૫ : અલંકાર-કવિ

એમાં એક છે, શબ્દાલંકાર-કવિ

ઉદાહરણ – ખેદ છે કે મેં મારાં પાપકર્મોને લીધે વિષમ રણ પ્રાપ્ત ન કર્યુ ને વિષ-મરણ પ્રાપ્ત કર્યું. હું મન્દભાગી ભાગીરથીમાં ન મરીને સાધારણ એવી રથ્યામાં – ગલીમાં – દુર્ગતિ પામીને મર્યો.

અહીં, વિષમ-રણ અને વિષ-મરણ, ભાગીરથ્યામ્ અને મન્દભાગી રથ્યામ્ -માં પાદમધ્યયમક શબ્દાલંકાર છે.

એમાં બીજો છે, અર્થાલંકાર-કવિ.

ઉદાહરણ -ફરફરતી જિહ્વારૂપી પતાકાવાળા અને ફણારૂપી છત્ર ધારણ કરનારા સર્પરાજ વાસુકીની દાંતરૂપી શલાકાઓનો ભંગ કરવા માટે મારી ભુજાઓ સમર્થ છે.

અહીં, જિહ્વા-પતાકા, ફણચ્છત્ર, દંષ્ટ્રા-શલાકા વગેરેમાં રૂપક અલંકારની પ્રધાનતા પ્રતીત થાય છે.

૬ : ઉક્તિ-કવિ

ઉદાહરણ – યૌવન ! આ સુનયના રમણીમાં તું રમણીય ક્રીડાઓ કરી રહ્યું છે. એની સુન્દર પાતળી કમર કોઈના શ્વાસથી ભંગ થવા યોગ્ય છે, સ્તનોની વિશાળતા સુન્દર ભુજલતાઓ જોડે આલિંગન કરી રહી છે, અને એનું મુખચન્દ્ર આંખોની નલિકાથી પાન કરવાને યોગ્ય આકર્ષક થઈ ગયું છે.

અહીં યૌવનના આરમ્ભનું વર્ણન છે. કવિએ શ્વાસભંગ માટે યોગ્ય કટિ, સ્તનોની વિશાળતાને આલિંગન, અને મુખચન્દ્રનું નેત્રનલિકાથી પાન, વગેરે ઉક્તિઓમાં વિશેષતા દાખવી છે.

૭ : રસ-કવિ

ઉદાહરણ – મોટે ભાગે લોકોમાં જાણીતું છે કે પ્રસિદ્ધ તામ્રવર્ણી નદી સમુદ્ર સાથે સંગમ કરે છે, ત્યાં ઉચ્ચ કોટિનાં મોતી ઘણાં ઉત્પન્ન થાય છે. કાલિદાસે પણ એની ચર્ચા કરી છે. કવિ વર્ણન કરે છે : હે કૃશોદરિ ! સમુદ્રમાં ભળી જતી આ નદીને જો, છિપોનાં સમ્પુટથી નીકળેલા એના જલકણ સુન્દરીઓના વિશાળ સ્તન-તટો પર મોતીના હાર રૂપે શોભે છે.

અહીં, કવિ સમ્ભોગ શ્રૃંગારરસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે.

૮ : માર્ગ-કવિ

ઉદાહરણ – પૂર્વકાળે શિવજીની નેત્રજ્વાળાથી કામદેવ બળી રહ્યો’તો, ત્યારે એના પ્રિય મિત્ર ગ્રીષ્મે એને દાહશમનની ઔષધિઓ પ્રદાન કરેલી, જેથી એનો તાપ શાન્ત થઈ શકે – જેમ સુગન્ધબાલાની ગન્ધથી – માલતીની છાલથી – ચન્દન વૃક્ષોના સારથી – અશોકનાં લીલાં સરસ પલ્લવથી – શિરીષનાં પુષ્પથી અને પક્વ કેળાંથી થઈ શકે છે. તાત્પર્ય એ છે કે આ બધાં સાધન ગ્રીષ્મકાળે શીતળ, એટલે કે કામક્રીડા-નાં જીવન હોય છે. 

અહીં, કવિએ મૂળથી માંડીને ફળ સુધીની ઔષધિઓનો વર્ણનક્રમ આકર્ષક રીતે તેમ જ વૈદર્ભી રીતિ અથવા માર્ગ અનુસાર સાચવી બતાવ્યો છે.

રાજશેખરે કવિઓની દસ અવસ્થા પણ દર્શાવી છે. ક્રમશ: જોઈએ :

૧ :

કવિત્વપ્રાપ્તિની ઇચ્છાથી કાવ્ય અને તદંગભૂત અલંકાર છન્દ કલા આદિ વિદ્યાઓના જ્ઞાન માટે ગુરુકુળમાં જાય, એ જન કાવ્યવિદ્યાસ્નાતક છે.

૨ :

મનમાં ને મનમાં કાવ્યરચના કરે છે પણ સંકોચવશ, અથવા દોષ નીકળશે એવા ડરને કારણે, કોઈને સંભળાવે નહીં, મનમાં જ રાખે, એ જન હૃદયકવિ છે.

૩ :

પોતાની રચનાની વિપરીત આલોચના થશે એવા ભયથી, એ રચના બીજાની છે, એમ કહીને પઠન કરે, એ જન અન્યાપદેશી કવિ છે.

૪ :

કંઈક રચના કરવા લાગ્યો હોય પણ પુરાતન કવિઓમાંથી કોઈ એકને પોતાનો આદર્શ માનીને એની છાયામાં કાવ્ય રચ્યા કરતો હોય, એ જન સેવિતા કવિ છે.

૫ :

જુદા જુદા વિષયો લઈને ફૂટકળ રચનાઓ કર્યા કરે, કોઈ એક નિબન્ધન પર જાય નહીં, એ જન ઘટમાન કવિ છે.

૬ :

એક સમ્પૂર્ણ નિબન્ધ-કાવ્યનું નિર્માણ કરે, એ જન મહાકવિ છે.

૭ :

જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી પ્રબન્ધ-રચનાઓ અને ભિન્ન ભિન્ન રસમાં સ્વતન્ત્રતાપૂર્વક નિર્બાધ કાવ્યનિર્માણ કરવામાં સમર્થ હોય, એ જન કવિરાજ છે. સંસારમાં કવિરાજ ગણ્યાગાંઠ્યા હોય છે.

૮ :

મન્ત્ર વગેરેનાં ઉપદેશ અને અનુષ્ઠાનથી કાવ્યસિદ્ધિ પ્રાપ્ત કરે, એ જન આવેશિક કવિ છે.

૯ :

પોતે જ્યારે ઇચ્છે ત્યારે ધારાપ્રવાહથી કોઈપણ વિષય પર કાવ્યરચના કરી પાડે, એ અવચ્છેદી કવિ છે.

૧૦ :

અવિવાહિત કન્યાઓ કે કુમારો પર મન્ત્રશક્તિ દ્વારા સરસ્વતીનો સંચાર કરે, એમની પાસે કાવ્યો કરાવે, એ જન સંક્રામયિતા કવિ છે.

બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ —

કોઈને લાગે કે આ જાતના પ્રકારભેદ અને તેનાં આટલાં બધાં વર્ગીકરણથી, ટૅક્સોનૉમિથી, શો લાભ? યાદ કરો, કેળવણીપરક અમેરિકન મનોવિજ્ઞાની બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ, કેળવણીક્ષેત્રે કેટલી લોકપ્રિય થયેલી.

આ કવિભેદનિરૂપણ અને તેનાં વર્ગીકરણથી સીધી કે આડકતરી રીતે કાવ્યવિદ્યા અને કાવ્યપરમ્પરા જેવાં અતિ આવશ્યક વાનાંનો મહિમા સૂચવાય છે. લાભ એ કે એ મહિમા આત્મસાત્ થાય તો કાવ્યકલાજ્ઞાન મળે, પ્રેરણા અને શીખ પણ મળે; કાવ્યદોષથી બચી શકાય, કાવ્યગુણની સૂઝબૂઝનો વિકાસ થાય. કલા અને અકલા વચ્ચેનો મૂળ ફર્ક શું છે તે સમજાય.

આ સઘળા કવિભેદ કવિઓની ભિન્ન ભિન્ન વર્તણૂકોનો પણ પરિચય આપે છે. એ વર્તણૂકો સાર્વત્રિક અને સર્વકાલીન છે, કોઈપણ ભાષાસાહિત્યના કવિઓમાં, સર્જકોમાં, જોવા મળે છે.

આપણે ત્યાં ક્યાં નથી એવી બધી વર્તણૂકો …

(હવે પછી, કુન્તક — )

= = =

(05/12/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0091,0101,0111,012...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved