સત્તાવાર જાહેર ઉપયોગ સામે વાંધો ન જ હોય
બંધારણે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એવો ફોડ પહેલા દિવસથી પાડેલો છે. સિંધુ પરથી હિંદુ અને ઇન્ડસ પરથી ઇન્ડિયા એ બેઉ પ્રયોગો આવ્યા એટલે એનાં મૂળિયાં, વિદેશી ભેટ છતાં નિતાન્ત સ્વીદેશી છે.

પ્રકાશ ન. શાહ
ઇન્ડિયાને સ્થાને ભારતના આગ્રહે જગવેલ વિવાદે સંમિશ્ર પ્રતિભાવો જગવ્યા છે, અને આ વિવાદની જોડાજોડ સાળંગપુર ઘટના સાથે ધર્મ, સનાતન ધર્મ જેવી સંજ્ઞાઓ નવસમજ સહ તપાસના દાયરામાં આવી છે. અધૂરામાં પૂરું, દક્ષિણ દેશમાંથી સ્તાલિને પેરિયાર પરંપરામાં ચીપિયો પછાડ્યો છે કે ધર્મ, ધર્મ શું કરો છો. અમે વર્ણવ્યવસ્થાની ગુલામી પરંપરામાં નથી માનતા.
સામાન્યપણે ભારત એ નામના સત્તાવાર જાહેર ઉપયોગ સામે વાંધો ન જ હોય. બંધારણે ઇન્ડિયા ઘેટ ઇઝ ભારત એવો ફોડ પહેલા દિવસથી પાડેલો છે. સિંધુ પરથી હિંદુ અને ઇન્ડસ પરથી ઇન્ડિયા એ બેઉ પ્રયોગો આપ્યા એટલે એનાં મૂળિયાં, વિદેશી ભેટ છતાં, નિતાન્ત સ્વદેશી છે.
ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીની જૈન પરંપરામાં અને ઇતિહાસક્રમે તે પછી દુષ્યંતપુત્ર ભરતની પરંપરામાં ભારત એ પ્રયોગ રૂઢ થયો, અને સ્વાભાવિક જ તે સ્વીકાર્ય પણ છે. બીજું ‘જનતા દલના ભર્તૃહરિ મહેતાએ 2015માં લોકસભામાં તો કાઁગ્રેસના શાંતારામ નાઇકે 2011માં રાજ્યસભામાં આ એકમાત્ર નામના આગ્રહસર ખાનગી વિધેયક પણ રજૂ કર્યા હતા. 2011 અને 2015માં ભા.જ.પ. સંસદીય પક્ષે ગૃહમાં શું ભૂમિકા લીધી હતી. એનો ખાયલ નથી પણ ભારત માટેનો એનો આગ્રહ સ્વાભાવિક જ લાંબા સમયથી રહ્યો છે.
વિપક્ષની તત્કાળ પ્રતિક્રિય અલબત્ત એ જ છે કે અમે ‘ઇન્ડિયા’ રૂપે ગઠિત થયા અને લોકોમાં ઊંચકાયા કે તરત આ ‘ભારત’ જાપ શરૂ થયો છે. ડિબેટમાં સ્કોરિંગ પોઈન્ટ તરીકે આવા મુદ્દાઓ પરસ્પર કામ આપતાં હોય છે, પણ નીતરી ચર્ચામાં એમની ભૂમિકા એવી મહત્ત્વની નયે હોય.
મુદ્દે ભારત કહેતાં જે ખયાલ છે એની સાથે સંઘ પરિવાર પ્રકારનાં જોડાણોથી અમુક ઇતિહાસબોજ માલૂમ પડે છે. બંધારણ સભામાં ચાલતી ચર્ચાની જોડાજોડ સંઘના ‘ઓર્ગેનાઇઝર’ વગેરે પત્રોમાં જે સમાંતર ટીકાટિપ્પણ ચાલતાં હતાં. એમાં જેમ ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ જેવા પ્રયોગ નિશાન પર હતા તેમ પ્રસંગે મનુસ્મૃતિની પરંપરાથી ખસીને નવા બંધારણ પર જવા અંગે ટીકાભાવ પણ પ્રગટ થતો. (જેમને આ આઝાદી અધૂરી અગર જુઠ્ઠી લાગતી હતી એવા ડાબેરી અંતિમવાદીઓ પણ હતા. બીજા પણ હતા. પણ આ ક્ષણે આપણે સ્વાભાવિક જ એમાં જતા નથી.)
સરકાર એના સત્તાવાર કામકાજમાં યથાશક્ય અગ્રતાપૂર્વક ભારત એ નામનો ઉપયોગ કરે એમાં કોઈ બંધારણીય સુધારાની જરૂર નથી, સિવાય કે ‘ઇન્ડિયા’ને સદંતર તિલાંજલિ આપવાનો ખયાલ હોય. મુદ્દે, મુશ્કેલી અને વિવાદમુદ્દા ત્યાંથી શરૂ થઈ શકે જ્યાં ‘ભારત’ નામ એક વિચારધારાકીય સ્થાપના તરીકે આગળ કરાય. વ્યાપક સ્વીકૃતિવાળા એક સ્વાભાવિક નામ તરીકે સરકારી રાહે એના ઉપયોગમાં મુશ્કેલી ન હોવી જોઈએ.
છેલ્લા ત્રણેક દાયકામાં રાષ્ટ્ર-રાજ્યની પરંપરાગત ચર્ચામાં સભ્યતા(સિવિલાઇઝેશન)નું પરિમાણ દાખલ થયું છે. જેમ સેંગોલ પ્રકરણ વખતે તેમ આ ચર્ચામાં પણ સંઘ પરિવાર એ પરિમાણ આગળ કરી રહેલ છે. 19મી સદીમાં વિકસેલ રાષ્ટ્રનો ખયાલ અને 20મી સદી ઉતરતે વિકસેલ સભ્યતા અભિગમ પરસ્પર પૂરક કરતાં વધુ તો સામસામા છે. સાવરકર-ગોળવલકરના રાષ્ટ્રવાદમાં ન તો ‘ધર્મના નિતાન્ત શુદ્ધ સ્વરૂપને અવકાશ છે, ન તો હમણે હમણે વિકસેલ સભ્યતા-અભિગમને. થોડોક રસ્તો ઉપર દીનદયાલે ખોલ્યો હતો, પણ હવે તો શલ્યાની અહલ્યા થાય ત્યારે.
ભારત નામનો વાંધો નથી. એને આવકાર જ હોય. માત્ર આપણે એકવીસમી સદીમાં એક સર્વસમાવેશી મુલક તરીકે શ્વસવા વસવા વિકસવા માગીએ છીએ એ પાયાની સમજ, કહો કો પૂર્વશરત છે, ‘ઇન્ડિયા’ પાસે વૈકલ્પિક દર્શન નથી, કેવળ અંકગણિત છે, કોઈ રાસાયણિક ઘટનાવિવેક નથી એવી ટીકા થાય છે એ તે કોઈક તબક્કે સાચી તો કોઈક તબક્કે ખોટી હોઈ શકે છે. પણ સામે પક્ષે, બંધારણના મેળમાં જે વિરોધ સૂરો અલગ અલગ છેડેથી સત્તાપક્ષની શાસકીય નીતિરીતિ સંબંધ ઉઠે છે એમાં વૈકલ્પિક વિચાર-સામગ્રી પડેલી છે જે હવા બંધાતાં સામે આવી પણ શકે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 સપ્ટેમ્બર 2023
![]()




કૃષ્ણ અકળ છે ને સકળ પણ ! ગોકુળ છોડ્યું, રાધા છોડી, મથુરા છોડ્યું, પછી કૃષ્ણ ત્યાં જણાતા નથી. એ આગળ જ ગયા છે, ગયા ત્યાં, ફરી ગયા નથી. એમણે U-TURN લીધો જ નહીં ! ત્રણ વખત વિરાટનાં દર્શન એમણે માટી ખાઈને જશોદાને, વિષ્ટિ વખતે દુર્યોધનને અને ગીતા ઉપદેશતી વખતે અર્જુનને કરાવ્યાં છે. એ સિવાય કૃષ્ણ સામાન્ય મનુષ્યની જેમ જ વર્ત્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાનો આગ્રહ રાખ્યો, એવો આગ્રહ બીજો એક મોહન, યુગો પહેલાં રાખી ચૂક્યો હતો. એકને ગોળી વાગી, એકને તીર, એ સાથે જ યુગો બદલાયા.