Opinion Magazine
Number of visits: 9458060
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૮) 

સુમન શાહ|Opinion - Literature|19 May 2023

અલંકૃતિનો અર્થ છે, અલંકાર. કાવ્યશાસ્ત્રમાં ‘અલંકાર’-ની વિસ્તારથી સમજૂતી અપાઈ છે. જેમ કે, ’અલંકાર્ય’ એટલે જેને માટે અલંકાર યોજાવાનો હોય તે, અને જે યોજાય, તે ‘અલંકાર’.

જેમ કે, સંસારમાં અનેક સુન્દરીઓ ચન્દ્રમુખી હોય છે. ધારો કે એવી કોઈક સુન્દરીનું મુખ ‘અલંકાર્ય’ છે – જેને આપણે ‘ઉપમેય’ કહીએ છીએ; અને તે ચન્દ્ર જેવું છે એમ યોજાય ત્યારે ‘ચન્દ્ર જેવું’ ‘ઉપમાન’ છે – પછી જેને આપણે ‘ઉપમા’ અલંકાર કહીએ છીએ.

ચન્દ્રમુખી, “દેવદાસ” ફિલ્મમાં.

કાવ્યશાસ્ત્રમાં ૧૨૦-થી પણ વધારે અલંકાર વર્ણવાયા છે. 

શબ્દનાં બે રૂપ છે – શબ્દ પોતે, એનું ‘વાચક’ રૂપ, અને તેનો અર્થ, એનું ‘વાચ્ય’ રૂપ. શબ્દ-અર્થ બન્ને, વાચક-વાચ્ય બન્ને, અલંકાર્ય છે અને તેની સાથે અલંકૃતિ જોડાયેલી છે. કુન્તક દર્શાવે છે કે શાસ્ત્રમાં એ સર્વનું વિવેચન કરવામાં આવે છે. કુન્તકે પોતે ‘વિવેચન’ શબ્દ વાપર્યો છે જેનો સંકેતાર્થ એ છે કે સામાન્ય અને વિશેષ લક્ષણો દ્વારા તેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે – અ કાઇન્ડ ઑફ ઑન્ટોલૉજી.

પણ નિરૂપણ કેવી રીતે? કુન્તક કહે છે, અપોદ્ધૃત્ય. એટલે કે, પૃથક પૃથક કરીને. વાક્યમાં, અલંકાર્ય શબ્દ-અર્થ અને અલંકૃતિનો અન્તર્ભાવ હોય છે, તેને વિભક્ત કરીને – અ કાઇન્ડ ઑફ ઍનાલિસિસ.

પણ શેને માટે? કુન્તકનો ઉત્તર છે, તદુપાય, એટલે કે કાવ્યને સમજવાના ઉપાય રૂપે; કાવ્યસૌન્દર્યનું ગ્રહણ કરવા માટે.

કુન્તક સરસ ઉમેરે છે કે વાસ્તવિકતા તો એ છે કે કાવ્યમાં એ ત્રણની કશી ભિન્ન ભિન્ન સત્તા નથી હોતી, એની એવી સમષ્ટિનું નામ જ કાવ્ય છે ! જે અલંકૃત છે, જેના અવયવ ન દેખાય એવી, ન સાંધો ન રૅણ જેવી, જે સમષ્ટિ છે, તે જ કાવ્ય છે. કાવ્યમાં વ્યષ્ટિનો કશો જ મહિમા નથી. સૂચવાય છે એમ કે કાવ્યમાં શબ્દ, અર્થ કે અલંકૃતિનું કશું આગવું અસ્તિત્વ નથી હોતું, બધું સર્વથા સંશ્લિષ્ટ હોય છે, ને એટલે તો એ કાવ્ય છે !

પોએટિક કૉમ્પોઝિશન-ની એમણે ચીંધેલી આ અદ્વિતીયતા એમ સૂચવે છે કે સંસારમાં કલા કેવું તો અનુપમ સંશ્લેષણ છે. અને એવી અદ્વિતીયતાએ પ્હૉંચેલા સર્જનકર્મને કુન્તક કાવ્યતા એટલે કે કવિ-કર્મત્વ કહે છે, એ પણ કેટલું સયુક્તિક છે.

કુન્તક સર્જનના સિન્થેટિક ફૉર્મને યથાતથ સમજે છે અને વિવેચનના ઍનાલિટિક ફૉર્મને પણ બરાબર સમજે છે. મારું મન્તવ્ય છે કે એમને મન સર્જન અને વિવેચન, બન્નેનાં સત સ્વરૂપે વસ્યાં છે.

પણ કોઈ પૂછે કુન્તકને કે કઈ વસ્તુને તમે કાવ્યનું નામ આપશો, તો દર્શાવે છે કે એ માટે અમે કાવ્યનું લક્ષણ રજૂ કરીશું. લક્ષણ છે : તદ્વિદોને, એટલે કે કાવ્યમર્મજ્ઞોને, આહ્લાદ કરાવનારા, તદ્વિદાહ્લાદકારી, વક્રકવિવ્યાપારથી યુક્ત રચનામાં, એટલે કે બન્ધમાં, વ્યવસ્થિત શબ્દ અને અર્થ, બન્ને મળીને કાવ્ય થાય છે.

માત્રશબ્દ કે માત્રઅર્થ જેવી ભેદકારી દૃષ્ટિથી કુન્તક મુક્ત છે. કહે છે કે એ અભિન્નત્વ પ્રકારે વક્રોક્તિને અમે કાવ્યનું જીવિત કહી રહ્યા છીએ. આગળ વધીને એમણે કહ્યું છે કે રસસિદ્ધ કાવ્યનું જીવિત પણ વક્રોક્તિ છે. એનો સંકેતાર્થ આપણા માટે તો એ છે કે સાહિત્યિક ભાષા અથવા સર્જનાત્મક ભાષા અથવા લિટરરી લૅન્ગ્વેજ વિના રસ કે આનન્દ સિદ્ધ નહીં થાય.

કુન્તક જણાવે છે કે પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દ અને અર્થ બન્નેમાં તદ્વિદાહ્લાદકારિત્વ હોય છે, એવું નથી કે એકમાં હોય ને બીજામાં ન હોય. એ ક્યારે ન હોય તેનું દૃષ્ટાન્ત આપે છે :

આનન્દસ્યન્દી શરદપૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખવાળી, સુન્દર હાવભાવથી વાતચીત કરનારી, રક્તચરણવાળી હે સુન્દરી ! તારા અનલ્પ રૂપથી મણિમેખલાનો અને નૂપુરનો હૃદયંગમ ધ્વનિ કરતી તું જો તારા પિયુને ત્યાં જઈ રહી છું, તો તારું ત્યાં જવું મને આમ જ (વ્યર્થ) કેમ સતાવી રહ્યું છે?

બળતરાને લીધે કથક અહીં દુ:ખી થઈ ગયો છે. પણ કુન્તકને આ શ્લોકમાં અનુપ્રાસનું પ્રલોભન ભળાયું છે, માત્ર વર્ણોની સમાનતાને કારણે ઊભી થયેલી રમ્યતા (રમત) દેખાઈ છે, અને તેથી તેને તેઓ માત્રકથનની કોટિમાં મૂકે છે – સલીલ લીલાભિ: સહિતમ્ ઉલ્લપિતમ્ વક્તુમ્ શીલમ્ યસ્યાસ્તથાભૂતે … વગેરેમાં.

વળી, કુન્તક કહે છે કે આ શ્લોકમાં ચમત્કાર તો છે જ નહીં. અને, નવયૌવનથી તરંગિત લાવણ્યકાન્તિવાળા કોઈ યુવકની કાન્તાને ચાહવા નીકળેલો આ ઉપનાયક આ શ્લોકમાં જો એમ કહી રહ્યો હોય કે તું પિયુને ત્યાં જતી હોઉં, તો તારું એ જવું, પરિસરણ, મને કશા કારણ વગર કષ્ટ આપે છે, તો એ વક્રતા સૌન્દર્યયુક્ત નથી. અને તેથી, કુન્તક દર્શાવે છે કે એ અત્યન્ત ગ્રામ્ય ઉક્તિ છે. કિમ્ મે રણરણકમકારણ કુરુતે-માં જે રણરણક છે, દુ:ખ, તે અકારણ નથી. કેમ કે એનો અનાદર કરીને એ સુન્દરી જતી રહી, એટલે એની તરફ અનુરક્ત અન્ત:કરણ રાખવાવાળા એ ઉપનાયકને વિરહ-વિધુરતાની જે શંકા પડી, એ જ એના દુ:ખનું કારણ છે, વગેરે. કુન્તક કહે છે કે બહુ બધાં સમ્બોધન તો મુનિપ્રણીત સ્તોત્રપાઠ (શુકપાઠ અથવા તોતારટણ પણ કહેવાય) લાગે છે, ઉપહાસજનક લાગે છે, એથી કાવ્યમર્મજ્ઞોની આહ્લાદકારિતાનું તો જરા જેટલું ય પોષણ નથી થતું. તેથી આ દૃષ્ટાન્તને વ્યર્થ સમજવું, શોભાતિશય વિનાનું એ એક, નામનું કાવ્ય છે, એ ખરું કાવ્ય જ નથી.

કુન્તકને રચનાકારમાં પ્રતિભાની દરિદ્રતા અને દીનતા વરતાયાં છે. કહે છે, એની પાસે કહેવાજોગ ખાસ કશું છે નહીં – એની પાસે જે છે તે અત્યન્ત સ્વલ્પ સુ-ભાષિત છે.

“કાવ્યાલંકાર”-ના કર્તા ભામહ અલંકાર-સમ્પ્રદાયના પ્રવર્તક મનાય છે. અને “કાવ્યાદર્શ”-ના કર્તા દણ્ડી, “કાવ્યાલંકાર”-ના કર્તા રુદ્ટ, “કાવ્યાલંકારસારસંગ્રહ”-ના કર્તા ઉદભટ, સૌ આલંકારિક કહેવાયા છે. આમ તો, બાંધેભારે, સૌ કાવ્યશાસ્ત્રીઓને આલંકારિક કહેવાય પણ આ વિદ્વાનો વિશિષ્ટપણે એમ છે કેમ કે તેઓ અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણે છે. આચાર્ય જયદેવ તો એટલે લગી કહે છે કે જે કવિ અલંકારહિત શબ્દાર્થને કાવ્ય ગણે છે, એ અગ્નિને શીતળ શું કામ નથી કહેતો?

કુન્તક પણ આલંકારિક છે છતાં તેઓએ અલંકારતત્ત્વ વક્રોક્તિમાં જોયું છે, એટલા માટે તેઓ મને વિશિષ્ટોમાં વિશિષ્ટ લાગ્યા છે.

= = =

(05/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રજામાં સજા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 May 2023

રવીન્દ્ર પારેખ

અત્યારે સ્કૂલ-કોલેજોમાં વેકેશન ચાલે છે. આપણને એમ કે છોકરાંઓ રજાની મજા માણતાં હશે, પણ ચિત્ર જુદું જ જોવા મળે છે. થોડીક પરીક્ષાઓનું રિઝલ્ટ આવી ગયું છે તો બીજા થોડા વિદ્યાથીઓ-વાલીઓ એડ્મિશનની પંચાતમાં પડ્યાં છે. કેટલાંક વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયાં છે તો દુ:ખી છે. કેટલાંક ગુજરી ગયાં છે.  પરીક્ષાની નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી જ ! એટલે જે મરવાનું વિચારે છે એ પગ પર કુહાડી નહીં, પણ કુહાડી પર પગ મારે છે. આમે ય ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે તો પણ નોકરી સામે કરી રાખી નથી, તો પાસ થનાર કે નાપાસ થનાર બંને જ જો બેકારીનો ભાગ હોય તો નાપાસનો અર્થ આપઘાત તો ન જ હોય ને ! એટલું છે કે વેકેશન પાસ-નાપાસ બંને માટે છે. એને એ રીતે જ લેવું જોઈએ. આમ પણ વેકેશનમાં બધાં જ એન્જોય કરવાના મૂડમાં હોય છે, ઘણાંને કુલુ-મનાલીની ઠંડક ખેંચતી હોય છે, તો કોઈ મોસાળમાં કેરી ગાળો કરવા ઉપડે છે, તો કોઈ ચાલુ માવઠાંએ ફ્રેંડનાં લગ્નમાં પલળવાનો આનંદ લૂંટે છે. કેટલાંક તો ઘરોમાં જ કેદ છે. કોઈ નવી નવી રેસિપી ટ્રાય કરે છે તો કોઈ ભર ઉનાળામાં કેવો ડ્રેસ કમ્ફર્ટેબલ રહેશે એની ચિંતામાં સુકાઈ રહ્યાં છે.

કેટલાંક એક જ રૂમમાં ટી.વી. ચાલુ કરીને સાઉથની ફિલ્મ જોવાં બેઠાં છે, પણ જોતું કોઈ નથી. એ બધાં કોઈ વાતોમાં મશગૂલ છે એવું ય નથી, હા, બધાંના મોબાઈલ ચાલુ છે. કોઈ મેસેજ જુએ છે, કોઈ મેસેજ ફોરવર્ડ કરે છે, કોઈ વીડિયો મોકલે છે, તો કોઈ ડિલિટ કરે છે. આખું ઘર, ઘરમાં હોવા છતાં, ઘરમાં નથી. કલાકોથી કોઈ, કોઇની સાથે બોલતું નથી ને ફોરેન કંટ્રીઝના મેસેજિસ કે વીડિયો ફોરવર્ડ થતા રહે છે. ઘર, ઘરમાં હોવા છતાં, ઘરનાં સંપર્કમાં નથી ને બહારની દુનિયા ઘરમાં આવી ગઈ હોય તો તેને અહોભાવથી જોઈ રહે છે. દુનિયા ઘરમાં આવી ગઈ છે ને ઘર દુનિયામાં વેરાઈ ગયું છે. આવું વેકેશનમાં જ બને છે, એવું નથી, આ તો રોજનો ઇતિહાસ છે. એવી અપેક્ષા કેટલાંકને હોય છે કે ઘર, રજામાં વધુ નજીક આવે, પણ મોબાઈલ, ઘરને વધુ દૂર લઈ જાય છે. ઘરમાં હવે કોઈ સાપસીડી કે રમી રમતું નથી, એ બધું હવે મોબાઇલમાં રમાય છે. ક્રિકેટ હવે મહોલ્લાઓમાં ઓછી ને મોબાઇલમાં વધુ રમાય છે. નિર્દોષતા લગભગ બધી રમતોમાંથી ચાલી ગઈ છે. બધે જ ગણતરી, નફા ને કમાણીનું ટાર્ગેટ વત્તે ઓછે અંશે હાવિ થતું રહે છે.

કેટલાક પરોપજીવી છે તો કેટલાક પરોપકારી પણ છે. આવું વેકેશન છે એટલે છે એવું નથી, પણ એ વખતે વેગ કદાચ વધુ હોય છે. બીજી તરફ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, પણ કેટલાંક પરાણે આપણું ભલું કરવા સામે આવે છે. કોઈ હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગે છે, તો કોઈ એનાથી બચવાના ઉપાયો સૂચવે છે, કોઈ ગાંધી-ગોડસેને અથડાવે છે, તો કોઈ નાની ઉંમરે આવતા હાર્ટ એટેકમાં ખોરાકની ભૂમિકા જવાબદાર છે એમ ચેતવે છે. કોઈ ધર્મધ્યાન, કથાવાર્તાથી વ્યસ્ત રાખવા મથે છે, તો કોઈ ધર્મ પરિવર્તન કે લવજેહાદનો મુદ્દો આગળ કરીને આંખો ખોલવા મથે છે. આમાં કૈં ભલું થાય છે કે કેમ તે તો નથી ખબર, પણ જીવ સતત ઉચાટમાં રહે એની મહેનત બધા હિતેચ્છુઓ કરતા હોય છે. આપણે અગાઉ ક્યારે ય ન હતા એટલા જીવદયાને પાત્ર કદાચ આજે છીએ.

ઘણીવાર એમાં મરો સ્કૂલના વિદ્યાર્થીઓનો થાય છે. એક તરફ વાલીઓ, છોકરાંઓનાં એડ્મિશનમાં, યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, બૂટમોજાં, ફી વગરેની વ્યવસ્થામાં વ્યસ્ત થઈ જાય છે, તો કેરિયર શેમાં બનાવવી, કઇ કોલેજમાં એડમિશન લેવું, કયા શોર્ટ ટર્મ કોર્સિસ લાભદાયી નીવડે એનાં માર્ગદર્શન માટે પણ આમંત્રણો આવતાં રહે છે. કોઈ મફત ગાઈડન્સ આપે છે, તો કોઈ ફી પણ વસૂલે છે. વેકેશનમાં વિદ્યાર્થી જપે નહીં એને માટે ઘણી તકો વેકેશનમાં જ ઊભી કરાય છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ એટલા વ્યસ્ત થઈ જાય છે કે એને શંકા પડે છે કે વેકેશન ગયું તે હતું કે છે તે? એ સાથે જ વાલીઓ, શિક્ષકોની ટાટ-ટેટની, તલાટીની, ક્લાર્કની પરીક્ષાઓ ચાલતી રહે છે, તેનાં પેપરો ફૂટતાં રહે છે, તારીખો બદલાતી રહે છે એન્ડ સો ઓન …

વેકેશનમાં આરામ કરવાની ગણતરીએ વિદ્યાર્થીઓ સવારે મોડા ઊઠતા હોય છે, પણ એ સુખ પણ કઈં બહુ ટકતું નથી. વેકેશનમાં વર્કશૉપની મોસમ બેસતી હોય છે. ક્યાંક નાટકના વર્કશોપ, ક્યાંક કવિતાના વર્કશોપ, ક્યાંક વકતૃત્વ કળાના વર્કશોપ, ક્યાંક સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ને એવું તો એટલું બધું શરૂ થઈ જાય છે કે વેકેશન કઇ બલાનું નામ છે એ જ નથી સમજાતું. એકાદ વર્કશોપમાં જવું-આવવું તો કૈંકે સમજાય, પણ સવારથી સાંજ એમાં જ જાય તો વિચારવાનું રહે. નાટક, વક્તૃત્વ, કવિતા એમ એકથી વધુ વિષયના વર્કશોપમાં જુદા જુદા સમયે દોડવાનું ને ત્યાં પ્રવૃત્ત રહેવાનું ને તે પણ 40-42 ડિગ્રી તાપમાં એ સહેલું નથી, બલકે, જોખમી પણ છે. કેટલાક આયોજકો ખરેખર કશુંક શીખવવાની રીતે આયોજન કરતા હોય છે, તો કેટલાક કમાણીની આશાએ પણ ધંધે લાગતા હોય છે, એનું એ જાણે, પણ એ બધાંમાં વેકેશનનો આનંદ નંદવાઈ જાય એ તો બરાબર નથી.

કોણ જાણે કેમ, પણ સતત પ્રવૃત્ત રહેવું ને કારણ વગર પ્રવૃત્ત રહેવું એ આજની ન સમજાય એવી વજનદાર  વાસ્તવિકતા છે. નિરાંત લગભગ રહી નથી. ખબર નથી પડતી કે નાનેથી મોટાં સુધીના સૌને કશાકમાં ને કશાકમાં વ્યસ્ત રહેવાનું વ્યસન ક્યાંથી લાગી ગયું છે? લગભગ બધાંની સવાર મોડી પડે છે ને રાતના મોડે સુધી કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલ્યા જ કરતી હોય છે. કૈં ન હોય તો છેવટે મોબાઈલ તો છે જ ! મોબાઈલ અનેક રીતે ઉપયોગી છે, એની ના નથી, પણ મોબાઈલ આજનું સાર્વજનિક દૂષણ-પ્રદૂષણ છે. એમાં સોશિયલ મીડિયાની વ્યસ્તતાની તો વાત જ શી કરવી? શક્ય હોય તો એનો સર્વે કરવા જેવો છે કે કોઈ પણ કારણ વગર વ્યસ્ત રહેનારાઓ કેટલો સમય એમ જ વેડફે છે. મોબાઇલમાં કેમેરા આવ્યો ત્યારથી બધા જ કેમેરા વાપરતા થયા છે ને બિનજરૂરી એટલો સમય ફોટા કે સેલ્ફીમાં વપરાય છે કે વાત ન પૂછો. એ ફોટા પાછા અપલોડ થાય, ફોરવર્ડ થાય, ડિલિટ થાય ને એ બધું જીવ સટોસટની હદે થાય તે અસહ્ય છે.

આમ કોઈને ફુરસદ નથી ને બગાડવા માટે બધાં પાસે સમય જ સમય છે. એમાં ગરબડ તો ત્યારે થાય છે, જ્યારે વર્કશોપમાં શીખવાયું હોય એના કરતાં જુદું જ સોશિયલ મીડિયામાં કવિતા કે લેખ કે વાર્તા તરીકે સામે આવતું હોય. હવે તો એવી એપ્સ છે જે કઈં પણ લખો તો તે છાપવા માટે તત્પર છે. એ એપ્સને એ કવિતા છે કે નહીં, એની ચિંતા કે સમજ નથી, એને તો વધેરવા માટે માથાં જોઈએ છે ને વગર મહેનતે લેખક થઈ જવાતું હોય તો એટલાં માથાં તો નવરાં છે જ ! એમાં કવિતા તરીકે છપાય તે વર્કશોપમાં ન ચાલે એવું પણ બને. વર્કશોપમાં પણ પ્રારંભિક તબક્કાની જાણકારી જ અપાતી હોય છે, એ સાચી હોય તો વેકેશનમાં થોડુંકેય પામવાનું થાય, નહીં તો ફેરો ફોગટ જવાની તૈયારી પણ રાખવાની રહે.

જ્યાં સુધી સ્કૂલના વિદ્યાર્થીઓને લાગે વળગે છે, વાલીઓ વેકેશન બગાડવા માટે સૌથી વધુ જવાબદાર છે. એમને એવું જ છે કે પોતાનું સંતાન બધાંમાં જ મોખરે રહે. પહેલાથી આગળનો કોઈ નંબર હોય તો તેને માટે પણ સંતાનોને દાવ પર લગાવવાનું તેઓ ચૂકતાં નથી. એમાં જો કોઈ સંતાન નિષ્ફળ ગયું કે 100 ને બદલે 98 ટકા આવ્યા તો એટલું લોહી પીવાય કે સંતાન આપઘાત ન કરે તો જ નવાઈ ! બધા જ વાલીઓ આમ કરે છે એવું નથી, પણ જે નિષ્ફળ ગયા હોય કે ઓછા સફળ રહ્યા હોય એ વાલીઓ નથી ઇચ્છતા કે એમના સંતાનો કોઈ પણ પ્રકારની નિષ્ફળતાઓ ચાખે. એટલે ભરચક પૈસા વેરીને, ટ્યૂશનો રાખીને, તેઓ સંતાનોને બીજે નંબરે આવવા જ નથી દેતા. રેસના ઘોડાની જેમ સંતાનોને દોડાવતાં જ રહે છે. એ હાંફે કે તૂટી પડે એણે દોડવાનું જ છે. એ દોડ વેકેશનમાં પણ ચાલુ જ રહે છે. આ ક્લાસ, તે વર્કશોપ, જનરલ નોલેજ ને એવાં તો એટલાં નિમિત્તે દોડાવાય છે કે સંતાન, કંતાઈને જ રહે. તે આગળ જતાં ડિપ્રેશનનો ભોગ બને છે. એને બદલે થોડી શાંતિ રખાય ને પચે એટલું જ ખવાય તો સ્વસ્થતા ને શાંતિ જળવાઈ રહે.

રજાનો અર્થ સજા – તો કોઈ શબ્દકોશમાં નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 મે 2023

Loading

ધરાસણાનો કાળો કેર (ધરાસણાની લડતનો અહેવાલ)

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|18 May 2023

મે  મહિનો આવે એટલે ધરાસણાનો સત્યાગ્રહ યાદ આવે. આ પુસ્તક પરિચય વાંચો. વલસાડના જિજ્ઞેશ પટેલે ડોક્યુડ્રામા કે ફિલ્મના હેતુથી પ્રપોઝલરૂપે બનાવેલી ફિલ્મ પણ જુઓ.

પુસ્તક પરિચય 

 ‘એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી

એ પથ્થર પર કોઈ કોતરશો નવ કવિતા લાંબી

લખજો : ‘ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની’ 

ઝવેરચંદ મેઘાણી રચિત આ કાવ્ય ધરાસણા સત્યાગ્રહમાં સરકાર દ્વારા જે કેર વર્તાવવામાં આવેલો તેમાં શહીદ થયેલા યુવાનોને અને પછી તો તમામ શહીદોને  હ્યદયાંજલિ રૂપે લોકહૈયૈ વસી ગયું એવી લોકસમજ છે.

નમક સત્યાગ્રહ – દાંડી સત્યાગ્રહનાં મૂળ ૧૯૨૦-‘૨૨ની સવિનય કાનૂનભંગની પછીતના વિચારમાં ને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના પૂર્ણ સ્વરાજ ને સાર્વભૌમત્વના એલાનમાં ગૂંથાયેલી છે. વાસ્તવિકતા એવી હતી કે દરિયાના કુદરતી ખારા પાણીમાંથી મીઠું પકવી લેતી પ્રજા પર ૧૮૮૨માં બ્રિટિશ સરકારે નમક કાયદા દ્વારા કર ઝીંક્યો ને કુદરતી સંસાધન પરથી લોકોનો હક્ક છીનવ્યો, પરંતુ ગાંધીજીએ છેક ૧૯૩૦માં તેને આંદોલનના મુદ્દા તરીકે કેન્દ્રબિન્દુ બનાવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. જો કે તે પહેલા સુરતમાં વિરોધનો એક આંદોલિત પ્રયાસ થઈ ચૂક્યો હતો જેને ખાસ સફળતા ન મળેલી એવું માની શકાય છતાં બીજ રોપાયેલું તે તો સાચું જ. ટૂંકમાં દાંડી સત્યાગ્રહે ઇતિહાસ રચ્યો. તો પણ કહેવું જોઈએ કે ક્યારે ય દાંડી-ધરાસણા સાથે ન બોલાયું; બાકી ખરી લોકલડત તો ધરાસણાની જ હતી જે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ!

૧૨ માર્ચે ગાંધીજીએ ૭૮ સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી પ્રસ્થાન કર્યું ને ૨૪ દિવસમાં ૨૪૦ માઈલનું અંતર કાપીને છઠ્ઠી એપ્રિલે સવારે ૬:૩૦ કલાકે સવિનય કાનૂન ભંગ દ્વારા મીઠા પર વેરાનો કાયદો તોડ્યો. ત્યાર પછીના દિવસોમાં ગાંધીજીએ બાવીસ જેટલાં ગામોમાં ફરીને માહોલ તૈયાર કર્યો તે બાબતો ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ દ્વારા પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. ગાંધીજીની વ્યૂહરચના હંમેશાં સંપૂર્ણ રહે એવો એમનો આગ્રહ દેખાઈ જ આવે. અભ્યાસનો વિષય બનાવી શકાય કે આવું બીજું ધ્યાન કોણે રાખ્યું ને સારીનરસી કોઈપણ વ્યૂહરચના ગોઠવી! પછી એમણે છઠ્ઠી મેના રોજ ધરાસણાની ધાડનું એલાન કર્યું ને ગાંધીજીની અન્ય નેતાઓ સાથે ૪-૫ મેના દિને મધરાતે ધરપકડ થઈ. આ ધરપકડ પછી ખરો સત્યાગ્રહ અને પોલીસરાજનો વરવો અત્યાચાર શરૂ થયો. લડતનો દોર  કસ્તૂરબા, સરોજિની નાયડુ, અબ્બાસ સાહેબ તૈયબજી, ભાઈલાલભાઈ પટેલ, નરહરિ પરીખ અને લોકાના હસ્તક આવ્યો. નમક સત્યાગ્રહનું ખરું આંદોલન ધરાસણા ખાતે ગણવું જોઈએ જયાં પૂર્ણ અહિંસક રીતે સવિનય કાનૂન ભંગ થતો રહ્યો અને સરકારી દમનનો દોર ચાલતો રહ્યો. ૬/૫/૧૯૩૦થી ૬/૬/૧૯૩૦ સુધીમાં કુલ ૨,૬૯૯ (બે વાર ગણીને  અંતે – ૨,૬૪૦) સત્યાગ્રહીઓમાં ત્રણ શહીદ થયા, ૨૮૬ ને સજા થઈ ૧,૩૨૯ ઘવાયેલા એવા આંકડા નોંધાયેલા છે.

લાઠીમાર તે પણ માથા, પીઠ ને છાતી પર, ગુહ્યેન્દ્રિય પર દબાણ, ગુદાપર લાકડી મારવી કે ખોસવી, પહેલા લોહીલુહાણ માર ને પછી મૂંગો માર, પાણી, ખાવાનું ન આપવું , ન સાંભળી શકાય તેવી ગાળો બોલવી, અપશબ્દો બોલવા, અપમાન કરવું, બેભાન થાય ત્યાં સુધી મારવું, કાંટા ખોસવા, સત્યાગ્રહીઓને વાડમાં નાખવું, ઘોડા દોડાવવા, ઘોડા આનાકાની કરે તો બળજબરી કરવી, રેડ ક્રોસ કે રાહતના કાર્યકર્તાઓને પણ કનડવા જેવી અમાનુષી રીતો દ્વારા પોલીસરાજની ભૂંડી ભૂમિકા તે સમયે દેખાતી થઈ. જો લોકલ પોલીસ જરા પણ આનાકાની કરે તો અધિકારીઓએ પણ હિંસા કરી. આલમશાહ, ઈસ્માઈલ દેસાઈ, ગોરા અધિકારી નીલ ને આંટિયા જેવાના નામ તે સમયે ખૂબ ગાજેલા. તે સામે સત્યાગ્રહીઓનો શાંત પ્રતિકાર, અપ્રતિમ સહનશક્તિ, ઘાયલોની સેવા ને લડતનો આંખે દેખ્યો અહેવાલ દુનિયાને પહોંચાડવા માટે આતુર પત્રકારત્વ, દેશપરદેશના નિરીક્ષકો ને લોક જુવાળ પણ લાજવાબ! વલસાડ, ઊંટડીના રાહતકાર્યો, હોસ્પિટલ, ડોક્ટરોની સેવા, ગામેગામથી વહેલો સૈનિકોનો પ્રવાહ ને મિજાજ ભૂલાભાઈ દેસાઈ, મીરાબહેન, કસ્તૂરબાની કેફિયત, માજી જજ હુસેન તૈયબજી ને બીજા અનેકની કેફિયત, નિવેદન આ પુસ્તિકામાં નોંધાયેલાં છે. બહેનોનાં નિવેદન ધ્યાનાકર્ષક છે જ. વીરમગામની પરિસ્થિતિની કેફિયતમાં બાઈ મંછાની વર્ણનશૈલી જુઓ. ‘મને એટલું માર્યું કે માથામાં બટાકા જેવડું ઢીમણું ઊપસી આવ્યું છે.’ (પાન:૬૭) તો સરોજિની નાયડુની સરદારી માટે તે સમયે પોલીસ સુપ્રિટેન્ડન્ટે ટીકા કરેલી કે It is a Shame on you that you bring a woman for fighting જો કે એનો મોંતોડ જવાબ પણ આપવામાં આવેલો! (પાનું ૧૦) બહેનોનું સત્યાગ્રહીઓ અને લોકોને પાણી પીવડાવવા જવું પણ તે સમયે હિંમતનું કામ ગણાયેલું કારણ કે પોલીસ બાળકો સહિત કોઈને છોડતી ન હતી. તો ક્યાંક પડે દુ:ખ ને આવે હસવું જેવી રમૂજી વાત પણ બનતી.

અહિંસક આંદોલનની શૈલી, લોકોનું વલણ, બહેનો ને અન્યોનો સહભાગ, સત્યાગ્રહીઓની અને નેતાઓની રીતભાત, પોલીસ અને સત્તાશીલોનું વલણ, વર્તન ને અત્યાચારની તુલના દરેક આંદોલન સંદર્ભે કરવી જરૂરી છે. પછી શાસન કોઈનું પણ હોય. તમારા જ રાજા – મહારાજા કે નવાબ- બાદશાહ, બ્રિટિશ સરકાર કે ચૂંટેલા પ્રતિનિધિઓની કોઈપણ પક્ષની સરકાર હોય, એક બાબત તો આંખે ઊડીને વળગે કે એમાં કોણ સારું તે નક્કી ન કરી શકાય! એકનો સત્યાગ્રહ બીજાની દૃષ્ટિએ બળવો કે આતંક ગમે તે હોય શકે! એકની શહીદી બીજાને માટે ગુનાની સજા એવો અર્થ હોય શકે.

હાલ મેં આંદોલનને લગતાં પુસ્તકો વાંચ્યાં, કેટલીક મુલાકાતો લીધી ને મારા જૂના દિવસો પણ યાદ કરતી રહું છું ત્યારે મને સતત એક ગીત યાદ આવ્યા કરે છે, હું પૂરું ગીત શોધું છું પરંતુ જડતું નથી!

‘આ દુનિયામાં  ચારેબાજુ ચોર, ચોર, ચોર,

કોઈ તનનો ચોર, કોઈ મનનો ચોર, કોઈ ચિતડાંનો ચોર, આ દુનિયામાં ….

ધરાસણામાં મીઠું ચોર્યું, ગાંધીજી પણ ચોર …… આ દુનિયામાં … ‘

 વાસ્તવમાં ગાંધીજીની તો ધરાસણામાં મીઠું ચોરતા પહેલા ધરપકડ થઈ ગયેલી છતાં ગીત તો એમને નામે જ લખાયેલું. જો કે એ સહજ ગણાય કારણ કે સુકાની તેઓ હતા. હકીકતે આઝાદી ને આંદોલનના દરેક ગીત પછી તે કાવ્ય રૂપ હોય કે ફિલ્મી, લોકગીત કે ગરબા રૂપે તેનું જો સંકલન ને સંપાદન સાથે અભ્યાસ થાય તો રોચક તારણ મળે. આમ પણ સમગ્રતામાં સંપૂર્ણ ઉપલબ્ધ માહિતી કે સામગ્રીનું  સામાજિક, ભૌગોલિક, સાંસ્કૃતિક, માનસશાસ્ત્રીય, નારીવાદી, માનવીય, વર્તનશાસ્ત્ર એમ તમામ શક્ય શાસ્ત્રીય અભ્યાસુ મૂલ્યાંકન થાય તો વર્તમાન ને ભવિષ્યની પ્રજાનું – દુનિયાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે. મારી સમજ મુજબ છૂટું છવાયું તો થયું છે પરંતુ એક જ સ્થળે બધી જ વિગતો તો મળે એવું કોઈ કેન્દ્ર ધ્યાનમાં આવતું નથી. તે થવું જરૂરી છે કે નહીં? 

૨૦૦૩માં  આ પુસ્તિકાનું  ૫૪માં ગાંધી મેળા સમયે ગાંધીમેળા પ્રબોધક સમિતિ દ્વારા પુન: પ્રકાશન થયું . મુદ્રક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, પ્રસ્તાવના બલ્લુભાઈ દેસાઈ : ભગુભાઈ દરજીની, આર્થિક સહયોગ : સુમિત્રાબહેન મોહનલાલ નાયક થકી મળ્યો. નટુભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈના પ્રયત્નો નોંધપાત્ર ગણાય. આ બાબતો  પુન: પ્રકાશન માટે નોંધનીય ગણાય.  

https://youtu.be/MZC24H5yUtc

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0001,0011,0021,003...1,0101,0201,030...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved