2019માં, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક નજીકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહેલ કે ‘બધા મોદી ચોર છે !’ જેથી સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 15 એપ્રિલ 2019ના રોજ, કોર્ટમાં IPC કલમ-કલમ 499/ 500 હેઠળ માનહાનિનો કેસ કરેલ. આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ નીચલી અદાલતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 1000નો દંડ કરેલ છે.
થોડા સવાલ :
[1] ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી જે બોલ્યા તે પૂર્ણેશ મોદીને ઉદ્દેશીને કહેલ કે લલિત મોદી / નિરવ મોદીના સંદર્ભમાં કહેલ? શું રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને ઓળખતા હતા? તેમની સાથે કોઈ પરિચય હતો?
[2] વડાપ્રધાન / લલિત મોદી / નિરવ મોદી અંગે કહેલ કથન પૂર્ણેશ મોદી પોતાના માથે લઈ શકે? બંધ બેસતી પાઘડી સબબ કોર્ટ 2 વર્ષની સજા કરી શકે?
[3] રાહુલ ગાંધીએ ગુનો કર્યો હોય તો તેમને સજા અવશ્ય થવી જોઈએ; પરંતુ વિપક્ષના નેતાનું મોં બંધ કરવા જ સજા થાય તે લોકશાહી માટે ખતરા સમાન નથી?
[4] લોકશાહીમાં વિપક્ષના નેતાને આલોચના કરવાનો અધિકાર હોય કે નહીં? વળી વડા પ્રધાન જે રીતે માનહાનિ વાળી ભાષાનો પ્રયોગ કરે છે તેવી ભાષાનો પ્રયોગ રાહુલ ગાંધી કરતા નથી. વડા પ્રધાને ‘કાઁગ્રેસની વિધવા’ જેવા શબ્દપ્રયોગ કર્યા છે; તે જોતા રાહુલ ગાંધીને 2 વરસની સજા કરવી કોર્ટને કઈ રીતે ઉચિત લાગ્યું હશે?
[5] હવે આ મેટર ઉપલી કોર્ટમાં જશે. ત્યાં નિવૃત્તિ પછી લાભ ઈચ્છતા જજ હશે તો સજા કાયમ રહેશે અથવા બંધારણને વફાદાર જજ હશે તો આવા વાહિયાત કેસમાં સજા કરનાર નીચલી કોર્ટની ટીકા કરશે. જો રાહુલ ગાંધીને આ પ્રકારના માનહાનિ કેસમાં સજા થાય તો વડા પ્રધાનને તેમની માનહાનિ વાળી ભાષા સબબ 20 વરસની સજા થઈ શકે કે નહીં?
આ પ્રકારના માનહાનિના કેસમાં માત્ર રાહુલ ગાંધીને સજા નથી થઈ; પરંતુ કોર્ટે આડકતરી રીતે વડા પ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર