કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.
રસીકરણથી ને ગાઈડલાઇનથી દુનિયા થોડી બેઠી થવા મથે છે કે નવો વેરિયન્ટ માથે પડે છે ને વળી દુનિયા કોકડું વળી જાય છે. સત્તાધીશોને કોરોનાનું બહાનું મળી ગયું છે ને તે થોડે થોડે વખતે દુનિયાને ભયભીત કર્યા કરે છે. એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ભૂમિકા દુનિયાને નિર્ભય બનાવવાની રહી નથી તે દુ:ખદ છે. નથી ચીન સામે કોઈ પગલાં લેવાયાં કે નથી તો કોરોનાથી ભયમુક્ત થવાનો કોઈ માર્ગ બતાવાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન કેવળ ભયભીત કરે છે. અલબત્ત ! વેરિયન્ટ વધુ નુકસાન ન કરે એટલે દુનિયાને ડર્યા વિના છૂટકોય નથી. તે બેધ્યાન રહે તો તેણે જ વેઠવાનું આવે એટલે નાછૂટકે ડરીને દિવસો કાઢે છે. એ પણ સાચું કે વેરિયન્ટ એનો પ્રભાવ તો પાડે જ છે ને તે અનેક પ્રકારની આફત ઊભી કરે જ છે. એટલું નક્કી છે કે કોરોના ન જાય તેને માટે વૈશ્વિક રાજકારણ ઘણી મહેનત કરે છે. ચીન પછી દક્ષિણ આફ્રિકાથી વેરિયન્ટ મળ્યો છે તો બીજા દેશો પણ બાકી ન રહી જાય એમ બને. એટલે કોઈને કોઈ વેરિયન્ટ કોઈને કોઈ દેશ ફેલાવે એમ બને. કોઈ વાયરસ ન હોય એવે સ્થળેથી પણ વેરિયન્ટ આવે તો આઘાત ન લાગવો જોઈએ. કયા દેશે કયો વાયરસ ક્યારે ફેલાવવો એવું કોષ્ટક બહાર પડે તો પણ નવાઈ ન લાગવી જોઈએ.
ભારતની વાત કરીએ તો એ કોરોનાથી સારો એવો ટેવાઇ ગયો છે. બીજી લહેરે એટલી લાશો પાડી છે કે નથી તે નદીમાં સંઘરાઈ કે નથી સ્મશાનમાં ! આશ્ચર્યજનક રીતે ભારતમાં 100 કરોડને રસી લગાવવામાં આવી. આજે તો સવાસો કરોડને રસી લાગી હોવાનું ને 32 ટકાથી વધુને બંને ડોઝ મળ્યાનું પાકું થઈ ગયું છે. દેશે મોકળાશથી દિવાળી ઊજવી. સ્કૂલોની બીજી ટર્મ શરૂ થઈ. 1થી 5ના વિદ્યાર્થીઓ તો અઢી વર્ષે 22 નવેમ્બરથી સ્કૂલે આવતા થયા. યુનિવર્સિટીઓ પરીક્ષા લેતી થઈ. પેટાચૂંટણીઓ થઈ અને મોંઘું થતું જતું પેટ્રોલ ચૂંટણી પરિણામોએ સસ્તું કરી આપ્યું. શેરબજારમાં સહજતા આવવા લાગી ને બધું સામાન્ય થવા પર હતું ત્યાં નવેમ્બરના અંતમાં ઓમિક્રોનનો ધડાકો દક્ષિણ આફ્રિકાએ કર્યો અને આખી દુનિયા ફરી એલર્ટ પર મુકાઈ.
10 દિવસમાં જ ઓમિક્રોન અમેરિકા, ફ્રાંસ, મલેશિયા, ભારત જેવા 33 દેશોમાં ફેલાયો. શનિવાર સુધીમાં દુનિયામાં આશરે 400 જેટલા કેસ નોંધાયા. ભારતમાં 4 કેસ થયાના સમાચાર છે. તેમાં ગુજરાતમાં એક, મહારાષ્ટ્રમાં એક અને કર્ણાટકમાં બે કેસ થયા છે. ગુજરાતમાં એક કેસ સાઉથ આફ્રિકાથી ભારત આવેલ 72 વર્ષનાં વડીલનો મળ્યો છે જે 28 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી ગુજરાત આવ્યા હતા. એ વખતે ને તે પછી આ લખાય છે ત્યાં સુધીમાં એરપોર્ટ પર ચેકિંગને નામે લાલિયાવાડી જ ચાલી છે. વિદેશથી અમદાવાદ આવેલા પ્રવાસીઓએ પણ એ રોકડું કરી દીધું છે કે ચેકિંગને નામે ‘ધતિંગ’ જ ચાલે છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી ગુજરાત સરકાર તાળું મારતી હોય તેમ સાવધ થઈ ગઈ છે ને મંત્રીઓને મીટિંગમાં જોતરીને પગલાં ભરવા લાગી છે, પણ એ ખાતર પર દિવેલ જેવું જ છે. જે જામનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ પ્રગટ થયો છે તે શહેરના લોકો પણ પૂરતી બેદરકારીથી શહેરમાં મહાલતા જણાયા છે. ગુજરાતને તો એમ જ થઈ ગયું હતું કે કોરોના ગયો. મીડિયાએ પણ કોરોના વિદાયની વાતો કરી દીધી હતી, ત્યાં ઓમિક્રોને દેખા દીધી છે ને માંડ થાળે પડેલું જનજીવન ફરી ઘોંચમાં પડ્યું છે.
કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. માત્ર ભાવનગરમાં 11 કેસનો વિસ્ફોટ થયો છે. આ બધું જનજીવન વધારે અઘરું કરે એમ બને. વિદેશથી આવતા યાત્રીઓનું સઘન ચેકિંગ થવું જોઈતું હતું, તેને બદલે એરપોર્ટ પર લાપરવાહી દાખવાઈ એટલે કોરોના કે ઓમિક્રોનથી સંક્રમિતો દેશભરમાં ફેલાઈ ગયા છે ને હવે તેમની શોધાશોધ ચાલે છે. એ લોકો મળે તે પહેલાં સંક્રમણ કાબૂમાં આવે તેમ ઇચ્છીએ. શુક્રવારનો આંકડો કહે છે કે દેશમાં 9,216 નવા કેસ કોરોનાના વધ્યા છે. એક્ટિવ કેસ આંશિક વધીને 99,976 થયા છે, તો 391નાં કોરોનાથી મોત થયા છે. રાજ્યની વાત કરીએ તો શુક્રવારે જ નવા 45 કેસો નોંધાયા છે ને સુરતની વાત કરીએ તો કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે ને એક દરદીનું કોરોનાને લીધે મોત નીપજ્યું છે. પરિસ્થિતિને હજી કાબૂમાં લઈ શકાય એવું છે, પણ લોકો અને સરકાર વકરતી જતી સ્થિતિ તરફ બહુ ઘ્યાન આપતા હોય એવું લાગતું નથી. જો આમાં સુધાર ન થાય તો ફરી એક વાર માથે હાથ દેવાનો વારો આવે એમ બને.
વધારે સારું તો એ છે કે ભારતમાં કેન્દ્ર અને વિદેશોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન તેમના વ્યવહારો એકદમ પારદર્શી રાખે. એવું બન્યું છે કે કેન્દ્રે નવા વેરિયન્ટ મામલે લોકોને ગભરાવ્યા છે, તો WHO-એ તેનો ફેલાવો ઝડપી હોય છતાં તે બહુ ઘાતક નથી તેમ પણ કહ્યું છે. આ બંને મંતવ્યો લોકોને ગેરમાર્ગે દોરનારા છે. આખું વિશ્વ છેતરી રહ્યું હોય તેમ સાચું ચિત્ર હાથ લાગતું નથી. વિશ્વની રાજરમત તો જે હોય તે, પણ લોકો માટે, બેદરકાર અને ભયભીત રહેવાને કારણે બે વાતો બને છે. જો બેદરકાર રહે છે તો લોકો કોરોનાના વાહક બને છે ને છેવટે વેઠવાનું તેમને જ આવે છે. વાયરસ તેનો પ્રભાવ તો બતાવે જ છે. એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં બેદરકારી દાખવાઈ હોય ને લોકોએ તેને બહુ ગંભીરતાથી ન લીધી હોય કે વાર તહેવારે, લગ્નોમાં ગાઈડલાઇન્સનું પાલન ન થવાને કારણે વેરિયન્ટનો ફેલાવો વધ્યો હોય ને તેનું પરિણામ લોકોએ જ ભોગવ્યું હોય એના દાખલાઓ દૂર શોધવા જવું પડે એમ નથી. લોકો ભયભીત થવાને કારણે પણ ન કરવાનું કરી બેસે છે. આજના જ સમાચાર છે કે કાનપુરના એક ડોક્ટરને ઓમિક્રોનનો એવો ભય લાગ્યો કે તેણે પત્ની અને બે સંતાનોની હત્યા કરી નાખી. તેને એવો ભય વ્યાપી ગયો કે ઓમિક્રોન કોઈને છોડવાનો નથી. એ સ્થિતિમાં કુટુંબ મુકાય તેનાં કરતાં ઓછું પીડાય એવી ગણતરીથી ડોક્ટરે તેમની હત્યા કરી નાખી. એક ડૉક્ટર જો આટલો ભયભીત થઈ શકતો હોય તો સામાન્ય માણસની શી સ્થિતિ થતી હશે તેની કલ્પના જ કરવાની રહે છે. કોરોના કાળમાં અનેક લોકો નોકરીધંધામાં, શિક્ષણમાં, સમાજમાં, કુટુંબમાં અનેક રીતે હતાશાનો ભોગ બન્યા છે. ઘણાંએ કસમયનું મૃત્યુ વહોર્યું છે. હવે નવા નવા વેરિયન્ટ રાજરમતની નીપજ હોય તો જેઓ ડિપ્રેશનનો, મૃત્યુનો ભોગ બન્યા છે તે રમત કે નાટક નથી. તે તો ખરેખર જ મર્યાં છે. તેઓ રોગથી નહીં, ભયથી જોખમમાં મુકાયા છે. એમની દયા ખાઈને પણ, જો, આ રમત હોય તો અટકવી જોઈએ એટલું તીવ્રપણે કહેવાનું રહે જ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ડિસેમ્બર 2021