મહામારી વખતની આવશ્યક સેવાઓમાં પત્રકારત્વનો સમાવેશ થાય છે, એટલી હજુ સરકારની દયા છે. બાકી સરકારની મનોવૃત્તિ તો એવી છે કે તમારે સ્વતંત્ર રીતે સમાચારની શી જરૂર છે? અમે રોજ સોશિયલ મીડિયા પર જે કહેવાનું છે તે કહી દઈશું (અને અમારાથી જે સીધું કહેવાય એમ નથી તેના માટે સાયબર સૅલ તો છે જ).
હા, વૈશ્વિક મહામારી વચ્ચે પણ સરકારની મૂળભૂત મનોદશા બદલાઈ નથી. આવા પ્રસંગે ‘સરકાર’ની વાત કરીએ, તો તેમાં મુખ્ય બે ભાગ પડેઃ વાઇરસની સામે કામ કરતું સરકારી તંત્ર અને બીજું, હેડલાઇન મેનેજમેન્ટ કરતું એટલે કે સરકારની છબી-સરકારના પક્ષીય એજૅન્ડાનું ધ્યાન રાખતું તંત્ર. સરકારો એવું માનતી લાગે છે કે આવા કપરા વખતમાં સુઆયોજિત રીતે કોમવાદ-કોમવાદ રમાય અને ધ્રુવીકરણનો એજેન્ડા ફેલાતો રહે તે ચાલે, પણ નાગરિકોએ તેની વાત નહીં કરવાની. એ એજેન્ડા ફેલાવવામાં સહકાર આપી શકાય તો ચાલે, પણ એની સામે આંગળી ચીંધીને વિરોધ કરનારને ઠપકો મળે, ‘આવા વખતમાં પણ તમને રાજકારણ સૂઝે છે?’
પત્રકારો માટે પણ આ સમય પડકારરૂપ છે. આરોગ્યનો પડકાર તો ખરો જ, પણ કયા સમાચાર લખવા અને ખાસ તો કયા સમાચાર ન લખવા — તેમાં જવાબદારીના બહાને તેમની પર લદાયેલા અને જાહેરમાં જેની ચર્ચા થતી નથી એવા અંકુશોનો પાર નથી. સરકારની માળખાગત અને તે કરતાં પણ વધારે તો ઇરાદાગત મર્યાદાઓ ચીંધવાનું મુખ્ય ધારાના પત્રકારો માટે વધુ ને વધુ અઘરું બની રહ્યું છે. ભયપ્રેરિત કે લાલચપ્રેરિત પ્રેમથી માલિકોની અને સરકારની એક ધરી થઈ જાય, ત્યારે સરકારો ફાયદામાં રહે છે અને નાગરિકો નુકસાનમાં. સામાન્ય સંજોગોમાં પૂરબહારમાં ચાલતો આ ખેલ મહામારી વખતે પણ અટક્યો નથી, એવું સાંભળવા મળે ત્યારે સરકારી મર્યાદા અને ખાસ તો ઇરાદા વિશેની ટીકાટિપ્પણી ઓર જરૂરી બની જાય છે. એવે વખતે પૉઝિટિવ થિંકિંગની વાતોનો મતલબ છે નાગરિકહિતવિરોધી પ્રચારમાં જાણે-અજાણે સંડોવાવું, નાગરિકલક્ષી પત્રકારત્વનું ગળું દબાવવું. એ કામ નાગરિકો જાતે જ કરતા હોય, તો સરકારોને બીજું શું જોઈએ?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020