આફતને અવસરમાં પલટવાની કળા તો બી.જે.પી.ની જ. તાજું ઉદાહરણ સી.બી.એસ.ઈ.ના સિલેબસમાંથી વિચારધારાને માફક ના આવે તેવા ટોપિક્સને હઠાવવાનું છે. ધોરણ ૯થી ૧૨ના ૧૯૦ વિષયનાં શિક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણની જવાબદારી નિભાવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને કોરોના મહામારીની અસાધારણ પરિસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય અભ્યાસક્રમ ઘટાડાનો ઉદ્દેશ તો, ‘વિદ્યાર્થીઓ પર તણાવ અને બોજ ઘટાડવાનો’ જણાવે છે. પરંતુ જે પ્રકારના મુદ્દા અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે, તેની પાછળ વિચારધારાની પ્રેરણા હોવાનો આરોપ સ્વાભાવિક છે. ધોરણ ૯થી ૧૨ના રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયના જે પાઠ વરસ ૨૦૨૦-૨૧માં ભણાવવાના નથી તેની યાદી કંઈક આવી છે : ધર્મનિરપેક્ષતા, સમવાયતંત્ર, નાગરિકતા, પાડોશી દેશો સાથેના સંબંધો, જી.એસ.ટી., ભારતમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણના વિશેષ સંદર્ભમાં વ્યાપાર પર સરકારની નીતિમાં બદલાવની અસર, સ્થાનિક સરકાર, લોકતંત્ર અને વિવિધતા, લોકતંત્ર સામેના પડકારો, લોકપ્રિય સંઘર્ષો અને આંદોલનો તથા લિંગ, ધર્મ અને જાતિ.
એચ.આર.ડી. મંત્રી ડો. રમેશ પોખરિયાલ(કેન્દ્રીય મંત્રી તરીકે બંધારણ અને ગુપ્તતાના સોગંદ લેતાં પોતાના નામ પૂર્વે જોડાયેલું ડિગ્રીનું છોગું ઉચ્ચારવાની કાળજી લેનાર)નો દાવો છે કે સરકારે પુખ્ત વિચારણા, નિષ્ણાત સમિતિના વિમર્શ અને દેશભરમાંથી મળેલા ૧,૫૦૦ ઉપરાંત સૂચનોના આધારે આ ઘટાડો કર્યો છે. જે લોકો સરકાર પર વિચારધારાને કારણે સિલેબસ ઘટાડાનો આરોપ લગાવે છે તેમને મંત્રી મહોદય સનસનાટી અને જૂઠ ફેલાવનારા ગણે છે. સરકારના નિર્ણયને વાજબી ઠેરવનારાઓની દલીલ છે કે જો કોર્સમાંથી સેક્યુલારિઝમ(ધર્મનિરપેક્ષતા)નો પાઠ હઠાવાયો છે તો નેશનાલિઝમ(રાષ્ટ્ર્વાદ)નો પાઠ પણ હઠાવાયો છે. જો કે વધારે ગંભીર મુદ્દો તો એ પણ છે કે ધોરણ ૧૨ સાયન્સના કોર્સમાંથી જે પાઠ હઠાવાયા છે તે ‘નીટ’ અને ‘જે.ઈ.ઈ.’ની એક્ઝામના સિલેબસમાં તો છે જ. એટલે વિજ્ઞાનના શિક્ષકો આ ઘટાડાથી ચિંતિત છે. સી.બી.એસ.ઈ.ના સેક્રેટરીના કહેવા પ્રમાણે એવા જ પાઠ હઠાવાયા છે જે નીચલા ધોરણોમાં વિદ્યાર્થીઓને સંક્ષેપમાં ભણાવાયા હોય. અર્થાત્ ઉપલા ધોરણમાં જે પાઠ વિસ્તૃત રીતે ભણાવવાના હતા તે જ દૂર કરાયા છે. જો એમની વાત માની લઈએ તો જે મુદ્દા સંક્ષિપ્તમાં શીખવા પર્યાપ્ત છે તેને વિસ્તૃત રીતે શા માટે ભણાવાય છે ? વાત એમ છે કે વિદ્યાર્થીની ઉંમર અને સમજણના વધારા સાથે તેનો અભ્યાસક્રમ ઘડાય છે. એટલે ટોપિક પડતા મૂકવાનું કારણ આટલું સરળ ન હોઈ શકે.
સિલેબસ ઘટાડવા જેવા મુદ્દે પણ પોતાની રાજનીતિને વચમાં લાવનાર સરકાર અને શિક્ષણ મંત્રી, ‘શિક્ષણને રાજનીતિથી અલગ રાખવા અને રાજનીતિને શિક્ષિત બનાવવાની’ વિનંતી કરે છે ત્યારે ખરેખર તો એમણે અને એમના પક્ષે જ વિચારવાની જરૂર છે. જે જે રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો છે ત્યાં શિક્ષણની સ્વતંત્રતા અને સ્વાયત્તતા હણી નાંખવામાં આવી છે. કુલપતિઓ તરીકે પોતાના માનીતાઓને વગર યોગ્યતાએ પણ ગોઠવી દેવાયા છે, દીનાનાથ બત્રા જેવા વિચારધારા-કોવિદોની સલાહ મુજબ પાઠયપુસ્તકો લખાયા છે. તેથી શિક્ષણને રાજનીતિથી દૂર રાખવાની અને રાજનીતિને શિક્ષિત કરવાની સૂફિયાણી સલાહ પહેલાં તેમણે જાતે ગાંઠે બાંધવાની જરૂર છે.
(તા.૧૩-૦૭-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com