ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
![]()
ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
![]()
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સોમાં વરસમાં પ્રવેશવામાં હતી અને પાટણ કૉલેજની બલાત્કૃતા છાત્રાના કેસમાં છ શિક્ષકોને જનમટીપ પડી : એક રીતે, ગુજરાત પૂરતી તો, મહિલા વરસના શતાબ્દી પર્વની આ એક નાંદી ઘટના જ લેખાશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક જ વરસના ટૂંકા ગાળામાં કેસ ચાલવો અને ચુકાદો આવી જવો, એ પણ ઇતિહાસસર્જક બિના છે. જોકે સરકાર અને ન્યાયતંત્ર બેઉએ પોતાની પ્રતિષ્ઠાથી વિપરીત ઝડપે કામ આપ્યું એનું રહસ્ય આ છાત્રાના હિમ્મતભેર બહાર આવવામાં અને ગુજરાતવ્યાપી ઉદ્રેકને વાચા આપવામાં અમદાવાદમાં નાગરિક ફોરમે ('અવાજ' અને 'મહિલા સાંસ્કૃતિક સંઘ'ના મુખ્ય બળ ઉપર) ઉપાડેલ ઝુંબેશઝંડામાં તેમજ કાનૂની મોરચે 'નવસર્જન'ની સક્રિયતામાં રહેલું છે. જો કે પહેલો યશ તો આપણે એ છાત્રાને જ આપીશું જેણે બદનામી અને બદહાલીના ડર વગર કાનૂની લડત આપવાનો નિર્ધાર કરી જાણ્યો. સમાજમાં આસુરી બળોના જંગલમાં એની આ બહાદુરી મેઘાણીની ચારણ કન્યા કરતાં મુદ્દલ ઓછી નહોતી અને નથી. ખેતમજૂરી પર નભતાં માવતરની આ દીકરી, સહેલાઈથી ઊંચે માર્કે પાસ થઈ શિક્ષિકા બનવાના રાજમાર્ગને વળગી રહી શકી હોત; પણ એણે નવી ભોં ભાંગી, અને જેઓ સામાજિક શીલને સારુ લડવા ઇચ્છતાં હશે પણ બહાર નહીં આવી શકતાં હોય એમનો ભો પણ ભાંગ્યો.
હમણાં રાજીપો વ્યક્ત કર્યો, આ ચુકાદાને શતાબ્દી વર્ષની નાંદી ઘટના કહીને; પણ નારાજીપો તેમજ ફરિયાદ અને ફિકરનાં કારણો ઓછાં નથી. જે નફટાઈ-નકટાઈથી પેટભૂખ્યા વકીલોએ સામૂહિક બળાત્કારના છયે આરોપીઓ વાસ્તે છેલવેલ્લી ક્ષણોમાં રહેમ માગી, શું કહીશું એમની એ દલીલો વિશે. એમણે કહ્યું કે અમારા અસીલો કંઈ 'રીઢા ગુનેગારો' ('હેબિચ્યુઅલ ક્રિમિનલ્સ') નથી બચારા કાચાકુંવારા! સપ્ટેમ્બર ૨૦૦૭થી જાન્યુઆરી ૨૦૦૮ સુધી સળંગ ચાલેલો સિલસિલો જેમને નામે નોંધાયેલો છે (જોકે ચોપડે બરાબર નહીં ચડેલી આ 'પ્રવૃત્તિ' નોંધાયેલા મહિનાઓ જેટલાં જ વરસો જૂની છે) એમને રીઢા નહીં લેખાવવાની આ ચેષ્ટા વિશે શું કહેવું, સિવાય કે કાળા ડગલાં તે કાળા ડગલાં.
વસમું અને વરવું તો, એમ તો, આ છ શૂરા ભાઈલોગના પત્નીલોકની પ્રતિક્રિયાઓથી પણ લાગ્યું. એક આરોપીની પત્નીએ કહ્યું કે અદાલતે 'બે છોકરાના બાપ' કરતાં અઢાર વરસની છોકરડી ઉપર વધુ ભાર મૂક્યો! નરવો સૂર અલબત્ત પબ્લિક પ્રોસીક્યુટર નયના ભટ્ટનો (ચુકાદો આવી ગયો ત્યાં સુધી રાજ્ય સરકારે જેને ફદિયું પણ આપ્યું નથી, એમનો) હતો કે આ શિક્ષકોએ છાત્રાઓ સાથેના સંબંધનું પાવિત્ર્ય જાળવ્યું નથી અને પોતાનાં કુટુંબનોયે દ્રોહ કર્યો છે. પબ્લિક પ્રોસીક્યુટરની આ ટિપ્પણી, ચુકાદા સબબ તત્ક્ષણ પ્રતિક્રિયાઓ વચ્ચે સુવર્ણરેખ શી દીસે-દીપે છે.
સરકારે, છાત્રાની માગણીથી અને લોકમતના દબાણથી નીમેલાં પબ્લિક પ્રોસીક્યુટર નયના ભટ્ટની સેવાઓ બદલ પાઈ પણ નહીં પરખાવ્યાનો જે ઉલ્લેખ કર્યો એ તો સરકારની એકંદર કારકિર્દી અને કામગીરીના સંદર્ભમાં એક દશાંશમું ટોચકુંયે હોય તો હોય. સરકારમાં ગાંધીનગરથી માંડીને પાટણ સુધીના સ્તરે વિરાજેલાઓ પૈકી કોઈક તબક્કે આંખ આડા કાનની તો કોઈક તબક્કે મેળાપીપણાની વિગતો પાર વિનાની છે. અહીં નમૂના દાખલ એક બે નિર્દેશો જ બસ થઈ પડશે. વરસોનાં વરસો પાટણ કાંડ જારી રહી શક્યો એ લક્ષમાં લઈને રાષ્ટ્રીય મહિલા પંચે આનંદીબહેન પટેલને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની (બરતરફ કરવાની) ભલામણ કર્યાને હવે વરસ થવામાં છે. હાલ અન્ય ખાતાનો હવાલો સંભાળી રહેલાં આનંદીબહેન ગઈ સરકારમાં શિક્ષણ મંત્રી હતાં તેમજ શિક્ષણ ખાતાની જવાબદારી એમણે તેઓ પાટણથી ધારાસભામાં બેસતાં થયાં તે અગાઉથી સંભાળેલી હતી. પહેલવહેલી વાર પાટણનો આ બળાત્કારી સિલસિલો એમના ધ્યાન ઉપર જાન્યુઆરી ૨૦૦૦માં લાવવામાં આવ્યો હતો. એમણે તે પછી બધો વખત પોતાના ખાતાને આ મુદ્દે સુષુપ્ત રાખવાની સક્રિયતા દાખવી છે. છેક ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં આ બધું બહાર આવ્યું જ્યારે આનંદીબહેન પાસે શિક્ષણ ખાતું નહોતું.
પણ તેથી કૈં મંત્રીમંડળની સંયુક્ત જવાબદારી તો મટી જતી નથી. ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં જ્યારે વિગતો બહાર આવવા લાગી ત્યારે મંત્રીમંડળે પોતાની 'સંયુક્ત જવાબદારી' કેવી તો બખૂબી નિભાવી હશે એનો અંદાજે અહેસાસ પાટણ પીટીસી કૉલેજ વાલી મંડળના પ્રમુખ ધેમરભાઈ ચૌધરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ ૨૧-૪-૨૦૦૮ નાખેલી ધા ઉપરથી આવે છે. આ કેસ સંબંધે રજૂઆત કરવા માટે સતલાસણાની શાળામાંથી (જ્યાં તેઓ શિક્ષક છે) ગેરહાજર રહેવું પડે ત્યારે આચાર્યની મૌખિક પરવાનગી મેળવ્યા છતાં શાળા સંચાલકોએ એમને 'રાજકીય દબાણ'થી નોટિસ આપ્યાનું એમનું કહેવું હતું અને છે. એમણે પંચને આપેલી વિગત મુજબ "આ બનાવને લઈને અમે ગાંધીનગર ખાતે તા. ૨૬-૨-૨૦૦૮ના રોજ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. અહીં પોલીસે અમને ગેરકાયદેસર અટકાવ્યા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ રમણભાઈ વોરા તેમજ અમિતભાઈ શાહ, શંકરભાઈ ચૌધરી (ધારાસભ્ય) તેમજ ઋષિકેશ પટેલ અને કે.સી.પટેલ સહિત ભાજપના આગેવાનોએ અમોને આ મુદ્દો બંધ કરી દેવા જણાવેલ છે અને આવેદનપત્ર આપવાની પણ ના પાડેલ છે. શિક્ષણમંત્રી અને અમિતભાઈએ મને એકલાને બોલાવીને એ પણ કહેલ છે કે જો તમો આમાં રસ લો છો તો તમારી નોકરી ઉપર પણ ગંભીર અસર પડશે."
રાષ્ટ્રીય મહિલા આયોગની ભલામણ અને માનવ અધિકાર પંચ સમક્ષની ધા, આ બેના ઉજાસમાં ગુજરાત સરકારની છબિ કેવીક નીખરે છે! આ સરકારમાં કલંકિત મંત્રી માત્ર માયા કોડનાની એક જ નથી, આનંદીબહેન પટેલ પણ છે. કાનૂની ચુકાદાએ તો એનું કામ કર્યું, પણ રાજ્ય સરકારે પોતે રાજકીય નીતિમત્તાનાં બુનિયાદી ધારાધોરણો મુજબ વરતવાનું હજુ બાકી છે.
દરમ્યાન, મહિલા દિવસના શતાબ્દી પર્વે આ નાંદી ઘટના બદલ આનંદ વ્યક્ત કરવા સાથે કેવળ શાસકીય અગ્રવર્ગ સામે જ નહીં પણ નાગરિક સમાજના એક અગત્યના હિસ્સા સામેય ફરિયાદની લાગણી પુન: પુન: દર્જ કરવી રહે છે. આ હિસ્સો તે અલબત્ત અધ્યાપક સમુદાયનો છે. 'અભિદૃષ્ટિ' માસિકની હિલચાલ કે બે પાંચ સંવેદનશીલ અધ્યાપકોની વેદના-પ્રકોપ-લાગણી બાદ કરતાં આખાં ને આખાં અધ્યાપક યુનિયનો મહાભારતના સભા પર્વમાં ભીષ્મ ને દ્રોણની પંગતમાં (દુ:શાસનની તરફેણમાં?) મૌન જેવા માલૂમ પડે ત્યારે શું કહેવું, કોને કહેવું.
![]()
અને વળી ચોથો મોરચો ! લાલુ, મુલાયમ, પાસવાન એટલે કે રાજદ, સમાજવાદી પક્ષ અને લોકજનશક્તિ સાથે મળીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં કામ કરશે, એવા હેવાલો છે. ગાંધીનેહરુની કૉંગ્રેસ હોય કે લોહિયા-જેપી-વીપીનાં નામ લેતા આ સૌ, કે પછી ફૂલે-આંબેડકર વારસાઈ વટાવતાં માયાવતી : દરેક દરેક પક્ષ, દરેક દરેક નેતા, દરેક દરેક ઉમેદવાર સમક્ષ પૂરો દેશ અને સારોયે સમાજ હોય એવી છાપ આ દિવસોમાં ભાગ્યે જ ઊપસે છે. સ્વાતંત્ર્યસંગ્રામ અથવા તો સપ્ત ક્રાંતિ દર્શન કે પછી સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જેવી કોઈ ધોરણસરની બેઠક વગરના આજના વિખંડિત રાજકારણ વિશે શું કહેવું. બેલાશક, એ એક હીનોપમા થશે, પણ 'બાબુલ મોરા' – ખ્યાત નવાબ વાજિદઅલી શાહની ક્ષમાયાચના સાથે કહેવું જોઈએ કે લખનૌનો દરેક ત્રીજો ટાંગાવાળો જેમ પોતે વાજિદઅલી શાહનો પૌત્ર હોવાનો દાવો કરે છે તેમ આ બધા જ વ્યાપક એકંદરમતી (કૉન્સેન્સ)નું પ્રચલન હતું તે અડવાણીની રથયાત્રા અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ના રાજકારણ સાથે બૂરી રીતે તૂટ્યું અને ભાગલાપૂર્વે જેવું કોમી વિભાજન હતું તેવું ધ્રુવીકરણ સામે આવ્યું. સામાજિક ન્યાયની અને હિંદુત્વની, આ બેઉ રાજનીતિ વિસ્તરતી નાગરિકતાને બદલે વકરતી નાતજાતકોમની બની રહી. માધવસિંહ સોલંકીના ખામ વ્યૂહના ખંધા અનુસરણમાં ગુજરાત ભાજપે જે રીતે કૉંગ્રેસના રિજેક્ટેડ માલને સ્વીકાર્યો છે તે આ જ પ્રક્રિયાનો નાદર નમૂનો છે : ભારતીય-બારતીય તો ઠીક મારા ભૈ, પણ તેઓ પહેલાં કોળી પટેલ કે આદિવાસી (અગર વાણિયા બ્રાહ્મણ) છે, અને પછી 'હિંદુ'.
વાત એમ છે કે નકરાં ઇલેક્શન એન્જિન બની રહેલા પક્ષોએ નાગરિક ઘડતર પર ધ્યાન આપ્યું જ નથી; અને વિસ્તરતા સુખી મધ્યમવર્ગે વંચિત દલિતશોષિત ગાંધી નેહરુ જેપી લોહિયા આંબેડકરની વારસાઈના વહેમમાં વિલસે છે – બલકે, એવો જ દાવો કરે છે. દમયંતીના સ્વયંવરમાં, તે પોતે જેને વરવા ઇચ્છતી હતી એ નળ ઉપરાંત કેટલાક દેવો પણ નળનું રૂપ લઈને દાખલ થઈ ગયા હતા એ પ્રસંગને અનુલક્ષીને પ્રમાનંદે ડાબા હાથની ઠીક ફટકારી છે કે વીરસેન પાંચેનો બાપ. હાલની ટુકડા ટુકડા રાજનીતિના દાવેદારો માટે આથી વધુ સાર્થક, સટીક ટિપ્પણી ભાગ્યે જ બીજી હશે.
ટુકડા ટુકડા અગર તો વિખંડિત ( ફ્રૅક્ચર્ડ ઍન્ડ ફ્રૅગ્મેન્ટેડ ) રાજનીતિનાં બે કારણો તરત સમજાઈ રહે છે : મતદારે નાગરિક તરીકે નહીં વિકસતાં નાતજાતથી ગંઠાયેલ મનોગણિતને અગ્રતા આપી છે, તો રાજકીય પક્ષોએ પણ નાગરિક સિવાયની ભળતીસળતી અપીલોથી રોડવવાપણું જોયું છે. સ્વરાજની લડતમાં અને સ્વરાજ પછી શરૂના દસકાઓમાં જે એક તબકાને પાંખઅનેપનાહ-આપવાપણુંયે જોયું નથી. વળી આપણા કૉંગ્રેસ-ભાજપ જેવા તથાકથિત રાષ્ટ્રીય પક્ષોનાં વિશ્વદર્શન એટલાં સીમિત અને પરિમિત છે કે આજે ગરીબો અને ગરીબી તમને રાષ્ટ્રીય વિમર્શમાં શોધ્યાં જડતાં નથી.
તેથી આ ચૂંટણી કોઈ એક ખરો, દૂરગામી મહત્ત્વનો પડકાર લઈને આવી હોય તો તે જે બધા સીમાન્ત તબકાઓ છે (જેમની ભારે બહુમતી છે) અને જે બધા કેન્દ્રમાં હોવા જોઈતા પણ સીમાડે રહી ગયેલા મુદ્દાઓ છે એમને કેવી રીતે પડમાં આણવા એ છે. બને કે આજુબાજુનાં બાવાજાળાં સાફ કર્યાથી ઢંકાઈ ગયેલો હાર્દ ઇલાકો કંઈક ઊઘડે.
જૂનો અને જાણીતો (સહેજે ખોટો નહીં એવો) ઉપાય અલબત્ત વોટર્સ કાઉન્સિલથી માંડીને ઇલેક્શન વૉચ પ્રકારના ઉપાયોનો છે હમણાં અમદાવાદમાં બિહેવિયર સાયન્સ સેન્ટર, મારગ, સહિયર, આશાદીપ, જનપથ વગેરે સાથે સંકળાયેલા સ્વૈચ્છિક કર્મશીલો આનંદ મઝગાંવકર અને મિત્રોની પહેલથી આ માટે મળ્યા પણ હતા. એક પણ ઉમેદવાર લાયક ન હોય તો એ સઘળા સામે નકારમત આપી શકાય એવી સુષુપ્તવત્ જોગવાઈ પણ ચર્ચામાં આવી હતી, અને વડોદરાના રોહિત પ્રજાપતિએ તે દિશાના પ્રયોગોનો ખયાલ પણ આપ્યો હતો. ઇલેક્શન વૉચ જરૂર નાગરિકની દૃષ્ટિએ એક પાયાનું કામ છે અને તે થવું જ જોઈએ.
પણ તે છતાં અને તેટલા માત્રથી આજની તારીખે આપણી ભાવઠ ભાંગી શકે એમ તો જણાતું નથી. વૈશ્વિકીકરણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, આ બેનાં જે અર્થકારણ-રાજકારણ છે એમાં નાગરિકની બાલાશ તો નાખી નજરે પણ જણાતી નથી. આવે વખતે મુખ્ય પ્રવાહની બહારના કોઈ પક્ષો મેદાનમાં આવે – ત્રીજો/ચોથો પણ બિનચીલેચલુ મોરચો રચે, અગર તો કોઈ સીમાન્ત પક્ષ પ્રજાના બળ તરીકે આંદોલનની ભૂમિકાએ રહી લડે તો કોઈક મુદ્દો દર્જ જરૂર થાય. નમૂના દાખલ, વડોદરામાં એસયુસીઆઈના તપન દાસગુપ્તા કેવી લડાઈ આપી શકે છે તે જોવું રસપ્રદ થઈ પડશે.
સ્વૈચ્છિક કર્મશીલો સાથે સંકળાયેલાં મલ્લિકા સારાભાઈની અપક્ષ ઉમેદવારી પણ એક 'સેલિબ્રિટી' – માત્ર તે જ ધોરણ નહીં પરંતુ બેજબાનની જબાન બનવાની હોંશ સાથે તળ કાર્યાનુભવપૂર્વક મેદાનમાં ઊતરવાની હિંમત દાખવવા બદલ જરૂર ધ્યાનાર્હ છે. સવાલ માત્ર ત્રીજા/ચોથા મોરચા તરેહના ચીલેચલુ પ્રયોગથી હટીને અપક્ષ ધોરણે જનતાનાં બધાં બળોના પ્રતિનિધિરૂપ અવાજ તરીકે ઉભરવાનો છે અને એ રીતે ગુજરાતમાં વૈકલ્પિક રાજનીતિની આવાં ગર્દ કામગીરી બજાવવાનો છે.
મુદ્દો, મથાળેથી ચીખીને પણ ચિંતાથી ચીંધ્યું છે તેમ નાગરિકની પોત્તીકી જગ્યા બનાવવાનો છે.
![]()

