Photo Courtesy : www.ameamericanamdavadi.com
આનું નામ સ્પિન ડૉક્ટરું. મતદાનનો ત્રીજો દોર નજીકમાં હતો અને અરુણ શૌરીએ ગુજરાતની મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીનું નામ ભાવિ વડાપ્રધાન તરીકે ઉછાળ્યું. આમ તો, મોદી-અડવાણી દ્વંદ્વ (બંને કે બેઉ અર્થમાં) જાણીતું છે. બીજી બાજુ, 2009ની ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટેના સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપે અડવાણીનું નામ કયારનુંયે જાહેર કરેલું છે. બલકે, વારે વારે ‘તમારા ઉમેદવાર કોણ’ એવો ગોકીરો કરીને એણે કૉંગ્રેસને મનમોહનસિંહનું નામ વિધિસર આગળ ધરવાની ફરજ પણ પાડી છે. સાથે સાથે, મનમોહનસિંહને ‘સૌથી નબળા વડાપ્રધાન’ લેખે નવાજવામાં કોઈ કસર પણ છોડી નથી.
આ સંજોગોમાં અરુણ શૌરીએ વચમાં મોદીનું નામ દાખલ કરવાની મરોડ માસ્તરી ખેલવાનું કોઈ કારણ ખરું ? એનો જવાબ કદાચ ગુજરાતના શહેરી મધ્યમવર્ગના એ સંભવિત મનોવલણમાં રહેલો છે જે ગુજરાતમાં તો મોદીથી આકૃષ્ટ અને આશ્વસ્ત છે પણ રાષ્ટ્રીય સ્તરે એને આક્રમક અડવાણી કરતાં અર્થશાસ્ત્રી મનમોહનસિંહ સવિશેષ શ્રદ્ધાભાજન લાગે છે. ગુજરાતનો શહેરી મધ્યમવર્ગ મનમોહનસિંહને ધોરણે કૉંગ્રેસ ભણી કંઈક અભિમુખ થઈ રહ્યો હોય ત્યારે અડવાણીને બદલે મોદીનું નામ આગળ ધરવામાં આવે તો, બને કે, ‘ગુજરાત અને દિલ્હી બેઉમાં મોદી’ – ને ધોરણે શહેરી મધ્યમવર્ગ કૉંગ્રેસ ભણી ઢળતો અટકે.
શહેરી મધ્યમવર્ગનાં આ સંમિશ્ર વલણો વિશે વધુ નુક્તેચીની ઘડીક રહીને. પણ ઓણ જે વસ્તુ સાફ સમજાય છે તે એ કે આપણી રાષ્ટ્રીય ચૂંટણીઓને, કેમ જાણે આપણે સંસદીય નહીં પણ પ્રમુખીય લોકશાહી હોઈએ એ રીતે ચોક્કસ વ્યક્તિઓ વચ્ચે પસંદગીનું સ્વરૂપ અપાઈ રહ્યું છે. દેખીતી રીતે જ, અડવાણીને આગળ કરી (એમને મુકાબલે) મનમોહનસિંહને ઝાંખા દર્શાવી ભાજપ કૉંગ્રેસને શેહ આપવા માંગે છે. એમાં વળી કેટલાક વર્ગમાં મનમોહનસિંહ-મોદી એવું નવી દિલ્હી-ગાંધીનગર યુગ્મ બનતું જોઈ એને મોદી-મોદી વળ આપવાની શૌરી ચેષ્ટાનો આ સંદર્ભમાં હમણાં જ ઉલ્લેખ કર્યો પણ છે. ચૂંટણીમાં વ્યક્તિગત પ્રક્ષેપણ (પ્રોજેક્શન) એ કદાચ ઈંદિરા ગાંધીના રાજકારણની કમાણી છે. જવાહરલાલ નેહરુએ વડાપ્રધાનપદે સત્તર વરસનો વિક્રમ સ્થાપ્યો, પણ લાંબા સમય સુધી તેઓ રાષ્ટ્રીય એકંદરમતીના નેતા રહ્યા હતા. નેહરુ પછી કોણ એવી ચર્ચા કૉંગ્રેસ અને કૉંગ્રેસેતર પક્ષોમાંની પ્રતિભાઓની આસપાસ જરૂર ચાલી હતી, પણ નેહરુના વિકલ્પે (સામે) કોણ એવો સંસદીય ચૂંટણીને પ્રમુખીય ચૂંટણીમાં ફેરવી નાખતો પડકાર દેશજનતાએ જોયો નહોતો. એ જ રીતે ઈંદિરા ગાંધી સામે પણ આવો કોઈ વ્યક્તિગત વિકલ્પ નહોતો. પક્ષમાં જરૂર મોરારજી દેસાઈ જેવાનો પડકાર હશે, પણ અસરકારક વિપક્ષ અને છાયા વડાપ્રધાન જેવું કશું નહોતું. અલબત્ત, નેહરુથી ઈંદિરા લગીની સંક્રાંતિમાં જે એક મોટું પરિવર્તન આવ્યું તે એ હતું કે રાષ્ટ્રીય ચળવળ અને લોકભાગીદારીની વડી સંસ્થા તરીકેનું કૉંગ્રેસનું પોત ફિસ્સું પડ્યું તેમજ સંગઠન તૂટ્યું તે સાથે ઈંદિરાજીની વ્યક્તિગત અપીલ પર રોડવવાપણું અનિવાર્ય બનવા લાગ્યું હતું.
ગમે તેમ પણ, વ્યક્તિ-આરતી-વાદ (પર્સનાલિટી કલ્ટ) નો અહોરાત્ર વિરોધ કરવા છતાં ભાજપે વાજપેયીને આગળ ધરવામાં અને એમના નેતૃત્વમાં રંગપૂરણી કરવામાં સલામતી શોધી હતી એ હજુ ખાસ જૂની વાત નથી. વલણોમાં કંઈક-વ્યાપકતા, પ્રકૃતિમાં કંઈક- ખુલ્લાપણું, કવેતાઈ સહજ સહૃદયતા અને આકર્ષક વક્તૃતા, આ બધાં કારણોસર વાજપેયીની સ્વીકૃતિ પક્ષના સીમાડાની ક્યાંય બહાર નીકળી ગઈ હતી. ભાજપે ચોક્કસ સંજોગોમાં વાજપેયીને એમની ખુદની શરતોએ સાચવવા પડે એવો ઘાટ એક તબક્કે હતો. જેણે સામાન્ય સંજોગોમાં ભાજપને મત ન આપ્યો હોત એવા મતદારે સુદ્ધાં વાજપેયીવશાત્ ભાજપને મત આપ્યાનું પ્રમાણ ઓછું નહોતું.
પ્રમુખીય ચૂંટણી જેવા રંગઢંગ આજે આપણું દુર્દૈવ (કે સુદૈવ) વાસ્તવ બની રહ્યું છે એમાં અમેરિકામાં જેમ કેનેડીની ચૂંટણી વખતથી ઈલેકટ્રૉનિક મીડિયાનું પરિમાણ દાખલ થવા લાગ્યું હતું એવા સમયસંજોગનોયે ફાળો સવિશેષ છે. દિવસના ત્રણ સફારીપલટે શિવરાજ પાટિલ નવી દિલ્હીથી મુંબઈ ભેગા થઈ ગયા, પણ નરેન્દ્ર મોદીનીયે સ્ટુડિયો સાધના ઓછી નથી. બીજી પણ એવી પ્રતિભાઓ હશે સ્તો. હશે ભાઈ, રિયલ-સરરિયલ માર્યાં ફરે અને વર્ચુઅલ વિલસે !
જોવાનું જોકે એ છે કે વ્યક્તિ-પ્રક્ષેપણ વાટે વૈતરણી તરવા ચાહતા પક્ષો , પક્ષખાંઓ અને એમના મરોડ માહેરોને પક્ષબાહ્ય સ્વતંત્ર વ્યક્તિત્વોનો ખપ નથી. આ સ્વતંત્ર વ્યક્તિત્વો ચિત્રમાં કેમ આવે છે એનુંયે એક તર્કશાસ્ત્ર તો એક મનોવિજ્ઞાન પણ છે . મુખ્ય પક્ષોએ મળીને એટલી બધી ભોં ખંડી લીધેલી છે કે સ્વતંત્ર અવાજ વાસ્તે તસુ ભોંય પણ શોધવી રહે છે. જે શહેરી મધ્યમવર્ગ એક સાથે મનમોહન અને મોદી બેઉને અલગ અલગ સ્તરે ઈચ્છી શકે છે એ જ વર્ગની મર્યાદા કે નિયતિ પાછી એ પણ છે કે રાજકીય પ્રક્રિયામાં પ્રવેશતા નવા વર્ગોને તે ખુલ્લા દિલે અંગીકારી આત્મસાત કરી શકતો નથી. કૉંગ્રેસની સર્વજન પરંપરા સામસામા મતબેંકવાદો સાથે તૂટી અને જે અવકાશ ઊભો થયો તેમાં બધા સ્થાપિત રાષ્ટ્રીય પક્ષો વચ્ચે એકદમ બહુજન સમાજ પક્ષ ગજું કરી ગયો ! જો નવજાગ્રત દલિત અસ્મિતાને વિશે ચાલુ રાષ્ટ્રીય પક્ષો પૂરતા સમાવેશકારી હોત તો , બને કે , બહુજનસમાજ પક્ષને સારુ અવકાશ ન હોત. અલબત, આ પક્ષે પણ કાઠું કાઢ્યા પછી અને છતાં વ્યાપની દૃષ્ટિએ સર્વજન ફોર્મ્યુલા અજમાવવી પડે છે એ બીનામાંથી લોકશાહી રાજકારણની સંભાવનાઓની શ્રી અને સુષમા ફોરે છે.
દરમ્યાન, બીજે છેડે, એવુંયે બનતું માલૂમ પડે છે કે ભલે કોઈ પ્રતિભાને આગળ કરીને પણ આપણા પક્ષો એવાં ઈલેક્શન એંજિન અને મતવખારી થતાં ચાલેલાં છે કે એમાં મધ્યમવર્ગમાંથી આવતા સ્વતંત્ર અવાજોને સારુ અવકાશ રહેતો નથી. હાલનાં પક્ષમાળખાં અને એમના એકંદર રંગઢંગ , આ વર્ગમાંથી સક્રિય સહભાગિતા ઝંખતાં તત્ત્વોને પાછાં પાડી ઊલટાનાં વિમુખ પણ કરે છે. ચાલુ ચૂંટણીમાં મીરા સન્યાલ, મોના શાહ, મલ્લિકા સારાભાઈ, જી. આર. ગોપીનાથ વગેરેની ઉમેદવારી બહુધા આ પ્રકારની છે. તેઓ ચાલુ રાજકીય પક્ષોથી વિમુખતા અનુભવતાં હશે, પણ રાજકીય પ્રક્રિયાઓ પરત્વે સક્રિય સહભાગિતાનું એમનું વલણ પણ છે . કેટલીક વાર જે તબકા ઉપર ઉદાસીનતાનું આળ ચડતું હોય છે – અને એમાં સચ્ચાઈ ન જ હોય એવું તો કેમ કહી શકાય -એ વર્ગ આમ ભાગ લેવા ચહે એથી રૂડું શું. પક્ષોએ, કદાચ જુદી રીતે વિચારવાની જરૂર છે -આપણે કેમ આવી પ્રતિભાઓને આકર્ષી અને સમાવી શકતા નથી. અલબત્ત, આ પ્રતિભાઓ કેવળ સેલિબ્રિટી નથી પણ પ્રજાપરક સક્રિયતા ધરાવે છે એવું અહીં અભિપ્રેત છે.
હમણાં જે તરેહની ઉમેદવારીઓનો ઉલ્લેખ કર્યો એમને સમજવાની દૃષ્ટિએ કદાચ બીજો એક મુદ્દો પણ મહત્ત્વનો બની રહે છે. કૉંગ્રેસ – ભાજપ સહિતના એકંદર રાજકીય વર્ગ સમગ્ર સાથે (જે તે પક્ષમાંનાં કોઈક વર્તુળો કે સીમાંત પક્ષો સાથે અનુભવાતી નિકટતા છતાં) એમનો તાલ બેસતો નથી અને સૂર મળતો નથી. નવનિર્માણ – બિહાર આંદોલનો જુઓ , એને માટેની પહેલ ચાલુ પક્ષમાળખાંની બહારથી આવી હતી અને એક તબક્કે એમણે આપણા રાજકારણની સૂરત અને સિરત ઠીક ઠીક બદલી કાઢી હતી . પહેલો ધક્કો એકંદર રાજકીય વર્ગ સમગ્ર સામેનો હતો. તે પછીના તબક્કે રાજકીય વર્ગ સાથે સંઘર્ષ છતાં સમાયોજનનો પડકાર સ્વાભાવિક જ ઊભો થયો હતો.
આપણા મરોડ માસ્તરો સંસદીય ચૂંટણીને પ્રમુખીય શો વળ તો આપી શકે છે, પણ જેમની કને કાંક કહેવાકરવાપણું છે એ તબકાને આકર્ષતો અને સમાયોજતો અભિગમ ક્યાં છે આપણાં પક્ષમાળખાં અને ઈલેક્શન એંજિનો કને.
14 મે 2009ના દિવસે એ વાતને બરાબર બે વરસ થશે જ્યારે કર્મશીલ ડૉક્ટર વિનાયક સેનને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બે વરસ પૂરાં થવામાં છે અને તાકડે સર્વોચ્ચ અદાલતે છત્તીસગઢ સરકારને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે આજાર સેનને શા સારુ જામીન પર ન છોડવા. વળી રાજ્ય સરકારને એણે આદેશ આપ્યો છે કે હૃદયરોગથી પીડિત સેનને સરખી તબીબી કુમક મળતી રહે તે જોવું.
એક અનોખા સ્વાસ્થ્યકર્મીને નાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિનાયક સેનનો કેસ વિલક્ષણ છે. એ દાક્તર એટલે કે ખરેખર જ દાક્તર છે. સમાજશાસ્ત્રની કે એવા કોઈ વિષયની ડૉક્ટરેટને કારણે અગર તો ભોગજોગે આવી મળેલી કોઈ માનદ ઉપાધિને કારણે એ દાક્તર (ડૉક્ટર) તરીકે ઓળખાય છે એવું નથી. વેલ્લોરમાં તબીબી છાત્ર તરીકે બસ્તીઓમાં કામ કરવાનું થયું એથી હૃદયમાં સેવાધર્મ અને કરુણાનો સંચાર થયો એ સાચું; પણ એમની વિલક્ષણતા ને દીવાનગી એ વાતે છે કે આ સંચાર કોઈ સરળમુગ્ધ મુકામે ઠરી ન ગયો. ગરીબી પોતે પણ રોગનું મૂળ હોઈ શકે, અન્યાયી વ્યવસ્થા કુપોષણનું કારણ હોઈ શકે, આ બધું સમજાવા લાગતાં એમની માનવધર્મી સેવાભાવનાને ધીરે ધીરે માનવ અધિકારોની કલમ લાગતી ગઈ. આગળ ચાલતાં એ છત્તીસગઢમાં તબીબી કામગીરીમાં સક્રિય બન્યા ત્યારે જાહેર સ્વાસ્થ્ય સેવાની નમૂનેદાર કામગીરીની જોડાજોડ શંકર ગુહા નિયોગીની છત્તીસગઢ મુક્તિ મોરચા (સીએમએમ) ચળવળ સાથે એમણે જે ભાવનાત્મક સંધાન અનુભવ્યું એનું રહસ્ય અલબત્ત એમની આ સમજમાં પડેલું હતું કે મનુષ્યમાત્રને જીવનનો અને એથી સ્વાસ્થ્યનો જે પાયાનો અધિકાર છે એમાં અન્યાયી વ્યવસ્થા અને તેના પર ઉભેલું રાજ અવરોધક પરિબળ બની રહે છે. સ્વાસ્થ્યકર્મી તરીકે આદિવાસીઓના હૃદયગભારામાં વિરાજમાન આ મૂર્તિ તેથીસ્તો નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનમાં પણ સક્રિય છે અને પિયુસિએલના રાજ્ય એકમના મંત્રી છે.
રાજ્ય અને રાજકીય-શાસકીય અગ્રવર્ગ જેનું નામ, એને સેવાધર્મીઓ તો પોસાય છે. પણ સેવાધર્મ અને હકની લડાઈનું, પ્રજાસત્તાક સ્વરાજને શોભતું સાયુજ્ય સાધતા ઝુઝારુ જણ એને ક્યાંથી પરવડે. ભળતાસળતા આરોપસર છત્તીસગઢ સરકારે એમને જેલભેગા કર્યા છે. જોવાનું એ છે કે ચાવલવાળા બાબા તરીકે લોકચાહના પ્રાપ્ત કરનાર રમણસિંહની સરકારનો આ નિર્ણય છે. બને કે ખેરાતી સરકારને હકની લડાઈ સાથે સેવાને સાંકળતો નવ્ય અભિગમ સોરવાતો ન હોય. બને કે ખેરાતી ચાવલબાબાને લડાકુ સ્વાસ્થ્યસેવક ખમાતો ન હોય.
દાક્તર વિનાયક સેનને જાડી રીતે કહેતાં નક્સલવાદ સાથે સંબંધ ધરાવવાને ધોરણે જેલમાં ગોંધવામાં આવ્યા છે. સ્પેશિયલ પલ્લિક સિક્યુરિટી ઍક્ટ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ, 1967 લાગુ પાડીને એમને પકડવામાં આવ્યા ત્યાર બાદ ચાર્જશીટ ફાઈલ થઈ ગયા પછી એમને બિનજામીનપાત્ર ધોરણે જેલમાં રાખી મૂકવા પાછળની સરકારી દલીલ (અગર કથિત પુરાવો ) તેઓ જેલમાં ને જેલ બહારના નક્સલવાદીઓ વચ્ચેના ગુપ્ત પત્રવ્યવહાર સાથે સંકળાયેલા હોવાનો છે.
અહીં નક્સલવાદ, રાજ્ય સરકાર અને દાક્તર સેનની સંડોવણી તેમજ વલણને અનુલક્ષીને બે શબ્દો કહેવા લાજિમ છે . સેન નક્સલવાદની કાર્યપદ્ધતિ એટલે કે હિંસા સાથે અક્ષરશઃ અસમ્મત છે. એમણે એમની આ અસમ્મતિ નક્સલ મિત્રો અને ભાજપી સરકાર સહિત લોકસમસ્તથી કદાપિ છૂપાવી નથી. જ્યાં સુધી નક્સલ સંપર્કનો સવાલ છે, એક નક્સલવાદી નારાયણ સન્યાલને (સેન પોતે મુક્ત હતા ત્યારે) તેઓ જેલમાં ખબર અંતર પૂછવા જરૂર મળતા રહ્યા છે – પણ એમનું આ મળવાનું બધો વખત જે તે અધિકારીની જાણ અને સમ્મતિપૂર્વકનું રહ્યું છે.
તે સાથે, કેમ કે સેન હિંસાને વિપરીતપરિણામી (કાઉન્ટર પ્રોડક્ટિવ) લેખે છે, રાજય સરકારે પોતે થઈને ઊભા કરેલ સાલ્વા જુડમના પણ તેઓ ટીકાકાર છે. અહીં જુડમ બાબતે વિગતોમાં નહીં જતાં સારરૂપે એટલું જ કહેવું બસ થશે કે નક્સલ પ્રતિકાર માટે કેટલાક સ્થાનિક નાગરિકોને શસ્ત્રસજ્જ કરવાનો રવૈયો સરકારે લીધો છે. અંતરિયાળ ગામડાંઓમાં ને આદિવાસી ફળિયામાં વસતા લોકો એક પા નક્સલ આતંક અને બીજી પા ‘સાલ્વા જુડમ’ ના નેજા હેઠળનો માર, બેઉથી પોતાને સંત્રસ્ત અનુભવે છે. પરિણામે, ગામોનાં ગામો ખાલી થઈ લગભગ સ્થાયી જેવી રાહતછાવણીઓમાં ઠલવાઈ ચૂક્યાં છે. આમ ખુલ્લી થતી જમીનો પર સરકાર અને ઉદ્યોગગૃહોની મીલી ભગત નજર હોવાની એક છપ છે. ટૂંકમાં, નક્સલ – જુડમ સામસામા હિંસાચારથી એક નવું ખાંડવવનદહન સમ્પન્ન કરી રહ્યા છે જે હાલના કોર્પોરેટ માહોલમાં સરકારની ખાનગીકરણની નીતિને માફક આવતી વાત છે.
દેશના ને દુનિયાનાં જાગ્રત વર્તુળોમાં વિનાયક સેનનો કારાવાસ ચિંતા અને ચર્ચાનો વિષય બની રહેલ છે. નક્સલ હિંસાનો વિરોધ કરનારાઓના મૂલ્યાંકનમાં સાલ્વા જુડમનો હિંસાચાર પણ કેવળ વિપરીતપરિણામી પુરવાર થઈ રહ્યો છે. બને કે સેન જેવી વ્યક્તિ જેલ બહાર હોય તો સમ્બન્ધિત સૌ વચ્ચે શાંતિ સમજૂતીની રીતેય તે ઉપયોગી બની રહે. અલબત્ત, આવી સમજૂતી ન્યાયને ભોગે ન જ હોય તે દેખીતું છે.
એક બાજુએ સર્વોચ્ચ અદાલતે છત્તીસગઢ સરકારને, સેનને જામીન આપવા સબબ નોટિસ પાઠવી છે તો બીજી બાજુએ સાલ્વા જુડમ સામે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા વગેરેએ કરેલી જાહેર હિતની અરજી પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ પડેલી છે. રાજ્યે જેને હથિયાર પૂરાં પાડ્યાં હોય એવી વ્યક્તિને હાથે જો કોઈની હત્યા થાય તો એમાં રાજ્યની પણ જવાબદારી અને સામેલગીરી બને છે એ મતલબનું સર્વસાધારણ અવલોકન પણ સર્વોચ્ચ અદાલતે ગુહાની જનહિત યાચિકા સંદર્ભે કરેલું છે.