મુરલી મનોહર જોશીની ગણતરી એવી હતી કે લાલ કૃષ્ણ અડવાણી કરતાં નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વવાદી છે એટલે તેઓ તેમના આઇડિયોલૉગ અને સલાહકાર બની રહેશે. તેમની ધારણાથી ઊલટું હવે તેમને ખાતરી થઈ ગઈ છે કે તેમણે જે સપનાં જોયાં હતાં એ ઠગારાં સાબિત થવાનાં છે. ડૉ. જોશીના બળાપાનું ખરું કારણ આ છે.
ડૉ. મુરલી મનોહર જોશીએ BJPના સિનિયર નેતાઓના મનમાં ધૂંધવાઈ રહેલો બળાપો વ્યક્ત કર્યો છે. નરેન્દ્ર મોદીએ BJPના સિનિયર નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે એ વાત પચાવવી તેમને માટે મુશ્કેલ બની રહી છે. ડૉ. મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે દેશમાં નરેદ્ર મોદીના નામનો કોઈ જુવાળ નથી. જે જુવાળ નજરે પડી રહ્યો છે એ BJPનો છે અને એ વાસ્તવમાં કૉન્ગ્રેસવિરોધી જુવાળ છે. આ વખતે BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રચારનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને તેમણે એવો આભાસ પેદા કર્યો છે કે જેકોઈ જુવાળ છે એ નરેન્દ્ર મોદીના નામનો છે.
તેમણે બીજી વાત એ કહી છે કે નરેન્દ્ર મોદીનું કહેવાતું ગુજરાત મૉડલ દેશનાં બીજાં રાજ્યોને અને દેશ સમગ્રને એકસરખું લાગુ પડે એવું સાર્વત્રિક નથી. દરેક રાજ્યોની સ્થિતિ અલગ-અલગ છે એટલે એક રાજ્યનું મૉડલ બીજા રાજ્યને લાગુ ન પડી શકે. એ ઉપરાંત તેમણે BJPના સિનિયર નેતા જશવંત સિંહને રાજસ્થાનના બારમેર મતદારક્ષેત્રમાંથી ટિકિટ આપવામાં નથી આવી એની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોનાં નામ નક્કી કરવા માટે મળેલી પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં બારમેરની બેઠક વિશે કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો. રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ અને પક્ષના પ્રમુખ રાજનાથ સિંહે પછીથી પક્ષને વિશ્વાસમાં લીધા વિના બારોબાર બારમેર વિશે નિર્ણય લીધો હતો અને તેમણે જશવંત સિંહની ઉમેદવારી નકારી હતી.
મુરલી મનોહર જોશી પક્ષના બીજા સિનિયર નેતાઓની જેમ નરેન્દ્ર મોદીના ઉદયને કારણે દુખી છે, પણ તેમનો દુખાવો પછીથી પેદા થયેલો છે. ગયા વર્ષે જ્યારે નરેન્દ્ર મોદીએ પક્ષની અંદર નીચેથી દબાણ પેદા કરીને પોતાને માટે રસ્તો કરી આપવા પહેલાં ગોવાની બેઠકમાં અને પછી દિલ્હીની બેઠકમાં પક્ષના સિનિયર નેતાઓને મજબૂર કર્યા ત્યારે એકલા લાલ કૃષ્ણ અડવાણીએ એનો વિરોધ કર્યો હતો અને ત્યારે ડૉ. જોશી ચૂપ રહ્યા હતા. એ સમયે સુષમા સ્વરાજે પણ લાલ કૃષ્ણ અડવાણીને ખૂલીને ટેકો નહોતો આપ્યો અને અડવાણી એકલા પડી ગયા હતા. વાસ્તવમાં પક્ષની અંદર ડૉ. જોશીને લાલ કૃષ્ણ અડવાણી માટે અસૂયા છે અને એ દાયકાઓ જૂની છે. ૧૯૮૯માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા પછી અડવાણી પક્ષના સર્વોચ્ચ નેતા બની ગયા હતા જે ડૉ. જોશી અને સુંદર સિંહ ભંડારી જેવા જનસંઘના વારાના સિનિયર નેતાઓ સહન કરી શક્યા નહોતા. અડવાણી પછી મુરલી મનોહર જોશી પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને તેમણે પણ અડવાણીની સમકક્ષ પોતાનું કદ વિસ્તારવા કન્યાકુમારીથી કાશ્મીરની રથયાત્રા કાઢી હતી. એ રથયાત્રા ફ્લૉપ-શો જેવી રહી હતી અને એ સમયના વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે ડૉ. જોશીને વિમાનમાં બેસાડીને શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવાની વ્યવસ્થા કરી આપીને તેમનું નાક બચાવ્યું હતું. ડૉ. જોશીને સુષમા સ્વરાજ અને જશવંત સિંહ માટે પણ કોઈ ઊંચો આદર નથી, કારણ કે એ નેતાઓ બહારથી આવ્યા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી નથી આવ્યા.
ડૉ. જોશી વિદ્વાન છે અને તેઓ એમ માને કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુત્વની આઇડિયોલૉજી તેમનાથી વધારે કોઈ જાણતું નથી. ૧૯૯૬માં ૧૩ દિવસ માટે અને ૧૯૯૮થી ૨૦૦૪નાં વર્ષોમાં છ વર્ષ માટે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર રચાઈ ત્યારે તેઓ સિનિયર નેતા હોવા છતાં ધરાર તેમણે પ્રમાણમાં નીચેનું માનવ સંસાધન ખાતું માગ્યું હતું અને સંઘે જીદ કરીને તેમને એ ખાતું અપાવ્યું હતું. તેમનો ઇરાદો પાઠ્યપુસ્તકો દ્વારા પાછલે બારણેથી આવનારી પેઢીને હિન્દુ રાષ્ટ્રવાદી બનાવવાનો હતો અને એ કામ તેમણે સાતત્યપૂવર્ક કર્યું હતું. આ વખતે મુરલી મનોહર જોશીની ગણતરી એવી હતી કે વાજપેયી તો ઠીક, લાલ કૃષ્ણ અડવાણી કરતાં નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વવાદી છે એટલે તેઓ નરેન્દ્ર મોદીના આઇડિયોલૉગ અને સલાહકાર બની રહેશે. જે સ્થાન તેમને આટલાં વર્ષોમાં ક્યારેય નથી મળ્યું અને અડવાણી કરતાં હંમેશાં તેમને નીચા દેખાડવામાં આવ્યા છે એ સ્થાન કદાચ નવી સ્થિતિમાં તેમને મળી શકે એમ છે. એટલા માટે તો તેઓ લાલ કૃષ્ણ અડવાણીએ માગેલી ભોપાલની બેઠક નકારવામાં આવી ત્યારે પણ ચૂપ રહ્યા હતા. તેમની ધારણાથી ઊલટું હવે તેમને ખાતરી થઈ ગઈ છે કે તેમણે જે સપનાં જોયાં હતાં એ ઠગારાં સાબિત થવાનાં છે. ડૉ. જોશીના બળાપાનું ખરું કારણ આ છે.
મુરલી મનોહર જોશીનું ભ્રમનિરસન થવાનાં બે કારણો છે. નરેન્દ્ર મોદીએ પહેલાં ડૉ. જોશીની વારાણસીની બેઠક પોતાને માટે છીનવી લીધી હતી અને તેમને કાનપુર ખસેડ્યા હતા. ડૉ. જોશી અલાહાબાદના વતની છે અને અલાહાબાદમાં રાજકીય સંજોગો પ્રતિકૂળ બનતાં તેઓ ૨૦૦૯માં વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે તેમને કાનપુર જવું પડ્યું છે. મુરલી મનોહર જોશીએ એ અપમાન પચાવી લીધું હતું ત્યાં BJPના મૅનિફેસ્ટોના પ્રશ્ને વિવાદ થયો હતો. નરેન્દ્ર મોદીએ ડૉ. જોશીએ તૈયાર કરેલો ચૂંટણીનો મૅનિફેસ્ટો અક્ષરશ: ફગાવી દીધો હતો અને તેમણે વિઝન ગુજરાતનો તેમનો મુસદ્દો આપીને આદેશ આપ્યો હતો કે એના આધારે નવો મૅનિફેસ્ટો તૈયાર કરવામાં આવે. પોતાને વિદ્વાન આઇડિયોલૉગ સમજનારા અને પક્ષની નવી પેઢીના સલાહકાર બનવાનાં સપનાં જોનારા ડૉ. જોશીના મનોરથ રોળાઈ ગયા હતા. જ્યાં તેમના વિઝનનો કોઈ ખપ નથી ત્યાં તેમનો ખપ કઈ રીતે હોઈ શકે એ ન સમજાય એટલા ડૉ. જોશી મૂર્ખ નથી. તેમણે ગુજરાત મૉડલની સાર્વત્રિક ઉપયોગિતા વિશે સવાલ કર્યો છે એનું કારણ આ છે.
બીજી બાજુ લાલ કૃષ્ણ અડવાણીએ નવી સ્થિતિમાં જાત સાથે સમાધાન કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે નવી સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાશે અને તેઓ એમાં પક્ષ કહેશે એ ભૂમિકા ભજવશે. રાજકારણમાં દરેક પોતાની પ્રાસંગિકતા જળવાઈ રહે એ માટે પ્રયત્ન કરતા હોય છે. ડૉ. મુરલી મનોહર જોશીએ આવો પ્રયાસ કર્યો હતો અને હવે અડવાણી મન મનાવીને આવો પ્રયત્ન કરી રહ્યા છે.
સૌજન્ય : લેખકની 'કારણ-તારણ' કટાર, “મિડ-ડે” ગુજરાતી, 15 અૅપ્રિલ 2014
![]()



૧૦, જાન્યુઆરી ૧૯૭૪. અમે, આશરે ૫૦૦-૭૦૦ વિદ્યાર્થીઓ, અમદાવાદના સરદાર પટેલ બાગમાં, સાંજે ભેગા થયા. … કોલેજના ચુંટાયેલ પ્રતિનિધિઓની સંખ્યા સવિશેષ હતી. યુવતીઓની સક્રિયતા પણ નજરે ચડે. …… અમારો હેતુ ત્યારે માત્ર ફૂડ બિલ પૂરતો સીમિત હતો. એટલે સંખ્યા પણ અમારી દૃષ્ટિએ અ…ધ…ધ હતી. પણ સરકારે કંઈક જુદું જ વિચાર્યું હતું. અમે ભેગા થઈએ અને તે પહેલાં ત્યાં પોલિસ પહોંચી જાય. અને તે દિવસે પણ એવું જ બન્યું. અને પોલિસે દંડાના જોરે અમને ભગાડ્યા. અમે બધા સરદાર બાગમાંથી આશ્રમ રોડ ઉપર આવ્યા. અમને માહિતી મળી કે રાજ્યના વરિષ્ઠ મંત્રી ડો. અમુલભાઈ દેસાઈ નટરાજ સિનેમા પાસે અમદાવાદ મેડિકલ હોલમાં આવેલ છે. અમે રૂબરૂ રજૂઆત કરવા ગયા, પણ પોલિસના દંડા …… અને તેથી વિદ્યાર્થીઓ સ્વાભાવિક કાબૂમાં ન જ રહી શક્યા. અને પહેલી ઘટના ઘટી. …. ડો.અમુલભાઈ દેસાઈને મંત્રી તરીકે રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલ એમ્બેસેડર કાર જોતાંજોતામાં ભાંગીને ભુક્કો થઈ ગઈ. છતાં સરકાર અમને સાંભળવા તૈયાર ન થઈ તે ન જ થઈ. ફરી કેટલાક પકડાયા અને ફરી અદાલતી કાર્યવાહી ….
મારા ભાષણ પછી ઉશ્કેરણી સ્વાભાવિક હતી, અને મિલકતોને નુકશાન તેનો એક ભાગ હતો ….. અને સહજ સ્વાભાવિક પોલિસ કાર્યવાહી અને તે ને કારણે વધુ ઉશ્કેરણી …
મનીષી જાની − નવનિર્માણ યુવક સમિતિના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી સિન્ડીકેટના એક માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિ હોવાને કારણે આ અધ્યક્ષ પદની જવાબદારી તેણે વહન કરી. શાંત,સૌમ્ય અને વિચારાધીન સૈધ્ધાંતિક નેતૃત્વ. આંદોલનમાં, પ્રથમ તબક્કામાં, મોટા ભાગનો સમય, MISAના કેદી તરીકે, જેલમાં જ રહેવું પડ્યું. સતત સક્રિયતાને કારણે મનીષીની એક આગવી ઓળખ બની , મીડિયા દ્વારા અનેક પ્રકારની ચર્ચાઓમાં આજે પણ સક્રિય. લેખન તેનો શોખ. NGOનાં માધ્યમથી સમાજ સેવા ધ્યેય .. ISRO દ્વારા યુવાનો માટે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન. એક સફળ નેતૃત્વ જે ક્યારે ય રાજકીય ક્ષેત્રે પ્રવેશવા ઉત્સુક નહિ.
હંગામી સરકારને કારણે, બેફામ બનેલ પોલિસ ગોળીબાર થયા, અને પરિણામે શહાદત અને તેથી ગુજરાતની શાંતિ હણાઈ ચૂકી હતી. તે પરિસ્થિતિ નિવારવા, અમે સવારે ૯-૦૦ વાગે ઉપવાસનો આરંભ કર્યો. વિદ્યાર્થી કે અબાલ વૃદ્ધ સહુ યુનિવર્સિટી આવી રહ્યા હતા. …. પોલિસ – આકાશવાણી અમારી પાસે અવારનવાર શાંતિની અપીલો કરાવતી હતી. અને જે અનિવાર્ય પણ હતું. રાજ્યપાલશ્રી પણ આ બાબતે ચિંતિત હતા. અને તેવામાં જ સવારે, આશરે ૧૦-૪૦ના સમયે, રાષ્ટ્રપતિ મહોદયે ભારત સરકારની કેબિનેટની ભલામણને આધારે ગુજરાત વિધાનસભા મૂર્છિત અવસ્થામાં રાખી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી. અને આમ રાજ્યમાં – રાષ્ટ્રમાં કે કદાચ વિશ્વમાં પ્રથમ વખત, જનમતથી ચૂંટાયેલ સરકારને જનાક્રોશથી જવું પડ્યું તેવી ઐતિહાસિક ઘટનાએ સ્વરૂપ લીધું.
સતત પ્રવાસ અને જાહેરસભાઓ ને કારણે સ્વાભાવિક જ થાક લાગતો હતો, અને આજે અમદાવાદના રાયપુરમાં સભા હતી, એટલે રાત સુધી આરામ મળવાની શક્યતા હતી. સવારે સ્કુટર ઉપર અમદાવાદના નટરાજ સિનેમા પાસે આવેલ અશોક પાન હાઉસ ઉપર હું અને નિરુપમ પાન ખાવા ગયા. અને અમે જોયું અચાનક જ કંઈ પણ સમાજ પડે તે પહેલાં, સામેની બાજુએ આવેલ એચ.કે. કોલેજ પાસે બેઠેલા વિદ્યાર્થીઓ ઉપર પોલિસ તૂટી પડે છે. ….. શા માટે ? શું વાંક ? તે સમજવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલાં, આ સ્થળે એક બસના કાચ તોડવામાં આવ્યા હતા. અાજના પોલિસ પગલાંમાં, એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. અમે રસ્તા ઉપર પસાર થતાં વાહનને અટકાવી, તે વિદ્યાર્થીને વાડીલાલ હોસ્પિટલ લઈ ગયા, પણ સારવાર મળે તે પહેલાં જ યુવાન મૃત્યુ પામ્યો, શહીદ થયો …