ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા
જવાહરલાલ નેહરુ અને જયપ્રકાશ નારાયણ
હજુ ચિત્તમાં પચાસી આસપાસનો દોર જારી છે, પણ આજે 1975થીયે છ વરસ પાછળ 1969માં જવા ચાહું છું. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી ગયા પછી ‘ગુંગી ગુડિયા’ ઇંદિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં હતાં અને 1967ની લોકસભાની ચૂંટણી કાઁગ્રેસ હાંફતે હાંફતે જીતી હતી.
એમની ખરેખરની ને ખરાખરીની પારી 1969માં શરૂ થઈ જ્યારે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીને બદલે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ગિરિને ‘અંતરાત્માને ધોરણે’ ટેકો આપવાની બાજી ખેલી હતી. (સદા સન્નધ્ધ આચાર્ય કૃપાલાણીએ ત્યારે માર્મિક ટિપ્પણી કરી હતી કે આપણે ક્યાં વાલિયા જેવા મોટા લૂંટારા છીએ કે અંતરાત્મા જાગે અને વાલ્મીકિ બનીએ? આપણે તો સાવ સાધારણ ચોટ્ટા છીએ – આપણે ‘અંતરાત્મા’ કેવો ને વાત કેવી!)
1969ના જુલાઈમાં જ ઇંદિરાજીએ બાકી કાઁગ્રેસ શ્રેષ્ઠીઓની સહમતિની પરવા કર્યા વગર 14 બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. વળી, આ સ્તો એ ગાળો હતો જ્યારે એમણે નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ પાસેથી નાણાં ખાતું લઈ લીધું હતું. દેસાઈના શબ્દોમાં ‘મને રીંગણા-બટેટાની પેઠે ફેંકી દેવાયો છે!’ (કોઈકે વળતું ફટકાર્યું’તું : ‘કિચન કેબિનેટ પાસે બીજી શી અપેક્ષા રાખી શકો!’)
1969થી શરૂ થયેલો આ ઘટનાક્રમ પછીનાં બેચાર વરસમાં જ જયપ્રકાશને એમનાં દેખીતાં બિયાબાં વરસોમાંથી સહસા રાજકીય-રાષ્ટ્રીય કેન્દ્રમાં લઈ આવવાનો હતો. હમણાં બેંક રાષ્ટ્રીયકરણનો ઉલ્લેખ કર્યો અને જયપ્રકાશ સહસા સાંભરી આવ્યા તે ય સાભિપ્રાય છે. ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો છેક 1953માં જવાહરલાલે (એમની એકચક્રી આણના સંજોગોમાં) જાહેર વસવસો પ્રગટ કીધો હતો કે સ્વરાજનિર્માણના આજના તબક્કે આંબેડકર, કૃપાલાની, જે.પી. વગેરે અમે સાથે ન હોઈએ એ કેવું કહેવાય. એટલેથી જ નહીં અટકતા એમણે સમાજવાદી સાથીઓને સરકાર સાથે સંકળાવા ઈજન દીધું હતું.
ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા. કંઈક પરિભાષિત – કંઈક અપરિભાષિત રૂપે જવાહરલાલ એમને પોતાના અનુગામી રૂપે જુએ છે એવીયે આમ છાપ હતી. દાયકા બાદ 1964માંયે નેહરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂચવેલું પહેલું નામ જયપ્રકાશનું હતું.
જરા લાંબે પને આ વાત ચાલે છે, પણ વેળાસર કહી દઉં કે જયપ્રકાશ વ્યક્તિગત સત્તાના અર્થમાં જોડાવા આતુર નહોતા. પરંતુ સમતાલક્ષી કાર્યક્રમને ધોરણે સહમતિ બને તે દૃષ્ટિએ એમણે આપેલી વળતી નોંધમાં બેંક રાષ્ટ્રીયકરણ સહિતના સમાજવાદી મુદ્દા હતા. તે વખતે વાત આગળ ન વધી પણ 1953માં આવેલો રાષ્ટ્રીયકરણનો મુદ્દો 1969માં જરા જુદી રીતે ફેર ઊછળ્યો અને કાઁગ્રેસના ભાગલાથી માંડી કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણ સહિતની એક આખી ઇતિહાસ પ્રક્રિયાને એણે મરોડ આપ્યો. આ મરોડમાં ભ્રષ્ટાચાર અને એકાધિકારના સપાટાએ જયપ્રકાશને વળી ચિત્રમાં આણ્યા.
વારુ, વચલી વાતો કુદાવી કટોકટીની જાહેરાત પછીની સંસદીય ચર્ચા પર આવી જાઉં? ઉમાશંકર જન્મજયંતી સંભારીને અગાઉ મેં એમના રાજ્યસભાના સંબોધનને યાદ કર્યું જ છે. હવે, અહીં છેક 1953થી દેશનાં પ્રગતિશીલ પરિબળો જે માંગ ઊઠાવી રહ્યા હતાં એ બેંક રાષ્ટ્રીયકરણનું ઉદાહરણ લઈને લોકસભામાં કટોકટીકાળે થયેલ એક વક્તવ્યની થોડીક ઝલક :
‘1969માં જે વિભાજન થયું તે હકીકતમાં કોઈ કાર્યક્રમને લઈને નહોતું થયું, વ્યક્તિઓને લઈને થયું હતું. આમ છતાં મારા જેવા એ આશામાં ભળ્યા કે હવે આ લોકો કાર્યક્રમ પર અમલ કરવાને બંધાયેલા રહેશે. જુલાઈ ’69માં બેંગ્લોર અધિવેશનમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના મારા ઠરાવને બહુમતીનો ટેકો હતો. આમ છતાં જેણે મને એ ઠરાવ પાસ કરવા પર બહુ જોર ન દેવા સમજાવેલું તે જ ઇંદિરા ગાંધીએ ત્યાર બાદ એક અઠવાડિયામાં વટહુકમ બહાર પાડી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું!
આમાં કોઈ સિદ્ધાંતો માટેનો પ્રેમ વહ્યો જતો હતો એમ નહોતું, પરંતુ એમના પોતાના પદ પર ખતરો ઊભો થયો હતો. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં ઠરાવેલી મુદ્દતમાં બંધ કરવાના ઠરાવની તરફેણમાં અમે મતદાન કર્યું ત્યારે એમનો વિરોધ હતો તે હું પોતે જાણું છું.’ આ બધું સંભારી મોહન ધારિયાએ ઉમેર્યું હતું: ‘1969 હો કે 1975, મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે જ્યારે જ્યારે પ્રધાન મંત્રીના પોતાના પદ પર આફત ઊતરી છે ત્યારે જ આકરાં પ્રગતિશીલ પગલાં ભરવાનું એમને સૂઝ્યું છે. વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટી તરીકે ખપાવવામાં આવી છે.’
તેજતર્રાર કાઁગ્રેસ સાંસદ શશી થરુરે હમણાં કટોકટીની પચાસ વરસી નિમિત્તે લખતાં પોતાના પક્ષ અને તત્કાલીન નેતૃત્વ વિશે ખૂલીને વાત કરી છે. નવજીવન સારુ લાલાયિત કાઁગ્રેસને એ આત્મમંથન સારુ ચોક્કસ ઉપયોગી થઈ પડે એમ છે. જો કે, આ લખનાર કાઁગ્રેસ-ભા.જ.પ. સહિત સહુનું ધ્યાન લેખના ઉપસંહારમાં થરુરે તારવેલ બોધપાઠ તરફ ખેંચવા આતુર છે : એમાં પણ, ભા.જ.પ. અને એના ચાહકોને જાતતપાસ સારુ એથી કિંમતી મદદ મળી રહેશે.
થરુરે કહ્યું છે કે આપણી અત્યારની રાજકીય આબોહવામાં એ દિવસોનો એક મોટો બોધપાઠ એ છે કે સંસદીય બહુમતી ધરાવતી મગરૂર કારોબારી સત્તા લોકશાહી વાસ્તે ખાસી જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ પોતે કદાપિ ભૂલ કરી શકે જ નહીં એવા તોરમાં ને તોરમાં લોકશાહી પ્રથા માંહેલાં અંકુશ ને સમતુલાની કશી તમા વગર ચાલવાનું એનું વલણ હોય તો તો પૂછવું જ શું.
નોંધ્યું તમે? ‘આપણી અત્યારની રાજકીય આબોહવામાં …’
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 જુલાઈ 2025