બહુ વખત પહેલાની વાત છે, એક ગામમા તરવાડી રહેતો હતો. એનું નામ હતું દલો. દલાની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, “તરવાડી ઓ તરવાડી.” તો દલો સામે પૂછે, “શું કહો છો ભટ્ટાણી?” ભટ્ટાણી કહે “રીંગણા ખાવાનું બહુ મન થયું છે. તમે આજે રીંગણાં લેતાં આવશો?” દલો કહે “ઠીક, તમે રાંધવાની તૈયારી કરો હું હમણાં લાવ્યો.”
પછી તરવાડી હાથમાં લાકડી લઈને ઠક ઠક કરતા રીંગણા લેવા ચાલ્યા. ચાલતા ચાલતા નદી પાસે એક વાડી આવી અને એ પણ રીંગણાંની વાડી. દલા તો ગયા વાડીમાં અને ચારે તરફ જોયું તો વાડીમાં કોઈ નહીં. હવે દલો તો વિચારમાં પડ્યો, કે ભટ્ટાણીને તો રીંગણાં ખાવા છે અને અહીં તો કોઈ છે નહીં, શું કરું?
આમ, શું કરું? શું કરું? વિચારતા, દલાને થયું કે વાડીનો ધણી નથી પણ વાડી તો છે ને! દલો તો રાજી થતો થતો વાડી પાસે ગયો અને વાડીને બોલાવે, “વાડી રે ભાઈ વાડી.” વાડી ક્યાંથી બોલે? વાડીને જીવ હોય તો બોલે ને! એટલે જવાબ ન મળતા, દલો પોતે જ વાડી વતી બોલ્યો, “શું કહો છો, દલા તરવાડી?” તો દલો સામે પૂછે, “રીંગણાં લઉં બે-ચાર?” વાડી પછી ક્યાંથી બોલે? એટલે દલો પાછો પોતે જ વાડી વતી બોલ્યો, “અરે ભાઈ લ્યોને દસ-બાર!”
આમ દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘરે પાછા આવીને ભટ્ટાણીને હાથમાં આપ્યાં. ભટ્ટાણી તો ખુશ થઇ ગઈ. પછી ભટ્ટાણીએ સરસ મઝાનો ઓળો બનાવ્યો, અને બંને જણાએ ખૂબ મઝાથી ખાધો. હવે ભટ્ટાણીને તો રીંગણાંનો ચટકો લાગ્યો, એટલે રોજ રોજ તરવાડી પાસે રીંગણાંની માંગણી કરવા લાગી. દલાને ય શું વાંધો હોય. એને પણ મફતનાં રીંગણાં ખાવાની મઝા પડી ગઈ. એ તો રોજેરોજ નદી પાસેની વાડીએ જાય. વાડીનો ધણી નથી એ જુએ એટલે વાડીમાં જઈને વાડીને પૂછે, “વાડી રે ભાઈ વાડી.” વાડી તો બોલે જ નહીં. એટલે જવાબ ના મળતા, દલો પોતે જ વાડી વતી બોલે, “શું કહો છો દલા તરવાડી?” અને પાછો દલો સામે પૂછે, “રીંગણાં લઉં બે-ચાર?” વળી વાડી ન બોલે એટલે દલો જ પાછો વાડી વતી બોલે, “અરે ભાઈ લ્યોને દસ-બાર!” આમ ને આમ એ રીંગણાંની ચોરી કરવા લાગ્યો.
આ બાજુ વાડીના ધણીને વાડીમાંનાં રીંગણાં ઓછાં થવાનો ખ્યાલ આવી ગયો. અને થયું કે નક્કી કોઈ મારી વાડીમાંથી રીંગણાંની ચોરી કરે છે, મારે એને પકડવો જ પડશે. બીજે દિવસે એ વાડીના ઝાડ પાછળ સંતાઈને ચોરની રાહ જોતો બેઠો. ત્યાં તો દલો પોતાની લાકડી સાથે ઠક ઠક કરતો આવ્યો. હવે દલાને તો ખબર નહીં કે વાડીનો ધણી વશરામ ઝાડ પાછળ સંતાયો છે. એટલે એણે તો રાબેતા મુજબ વાડીને બોલાવી, “વાડી રે ભાઈ વાડી.” વાડી પછી ન બોલી ને દલો પોતે જ વાડી વતી બોલ્યો, “શું કહો છો દલા તરવાડી?” અને પાછું દલાએ સામે પૂછ્યું, “રીંગણાં લઉં બે-ચાર?” વળી પોતે જ બોલ્યો કે, “અરે ભાઈ લ્યોને દસ-બાર!” અને દલો તો ફાંટ ભરીને રીંગણાં લઈને લાકડીને ટેકે ઊભો થઈને ચાલ્યો, ત્યાં તો ઝાડ પાછળથી નીકળીને વશરામે દલાને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈને બૂમ પાડી, “ઊભા રહો ડોસા, કોને પૂછીને આ રીંગણાં લઈ જાઓ છો?” દલો કહે, “કોને એટલે? આ વાડીને પૂછીને લઈ જાઉં છું.” ધણી કહે “પણ વાડી થોડી બોલી શકે!” તો સામે દલો કહે “વાડી નથી બોલતી એટલે હું બોલ્યો.”
વશરામ તો બહુ ગુસ્સે થયો અને દલાને બાવડેથી ઝાલીને કૂવા પાસે લઈ ગયો. દલાને કેડે દોરડું બાંધ્યું અને તેને કૂવામાં નાખ્યો. અને પછી વશરામ બોલ્યો, “કૂવા રે ભાઈ કૂવા!” હવે વાડી ના બોલી શકે એમ કૂવો પણ ક્યાં બોલી શકવાનો. એટલે કૂવાની જગ્યાએ વશરામ પોતે જ બોલ્યો, “શું કહો છો વશરામ ભુવા?” પાછા વશરામ પૂછે, “ડૂબકી ખવડાવું બે-ચાર?” વળી પોતે જ કૂવા વતી બોલ્યા, “અરે ભાઈ ખવડાવોને દસ-બાર!” ભુવાએ તો દલાને બરાબર ડૂબકીઓ ખવડાવી, દલાના તો નાકમાં ને કાનમાં એમ બધ્ધે પાણી ભરાઈ ગયું. દલો તો કરગરવા લાગ્યો, “ભાઈસાહેબ ભાઈસાહેબ, મને છોડી દો. મને માફ કરો. હવેથી હું ક્યારે ય ચોરી નહીં કરું, આ વખતે મને જવા દો.”
દલાએ ખૂબ આજીજી કરી ત્યારે વશરામે એને જવા દીધો. પણ આ પછી દલા તરવાડી તો ચોરી કરવાની ખો ભૂલી ગયા અને ભટ્ટાણી રીંગણાંની માંગણી કરવાનું ભૂલી ગયાં.
ઑડિયો : http://tahuko.com/?p=13770
સૌજન્ય: "બાલઘર" : http://networkedblogs.com/GrP5M
![]()


“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને સો વર્ષ પૂરાં થશે. પારસીઓ જુદાં જુદાં કામોમાં પહેલ કરવાનું જાણે, પણ પોતે કરેલાં કામોનું ડિમ ડિમ કેમ વગાડવું તે ન જાણે. અને બિન-પારસી ગુજરાતીઓ તો પારસીઓનાં કામનાં ગાણાં ગાય જ શાના? જો અદી મર્ઝબાન મરાઠી કે બંગાળીભાષી હોત તો એ પ્રજાએ આખું વર્ષ તેમની જન્મ શતાબ્દી ઉજવી હોત.
"અદી મર્ઝબાન – મૌલિક કલાકાર, માતાની ગળથૂથીમાં જ શીખીને આવેલા – અંગ્રેજી, ગુજરાતી નાટક લખનાર, રજૂઆત, કોઈ પણ માધ્યમ હાથ ધરવા જીવ જોડીને અભ્યાસ કરનાર. એને ઈશ્વરદત્ત સમજણ. ટૂંક સમયમાં એ પારંગત થઇ ગયા. એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ભણીપરવારી પારસી જુવાનિયાઓની ટોળી ઊભી કરી. પારસી બાનુઓ નાટકમાં ભાગ લે તે એ કોમ ઓગણીસ સો વીસથી ત્રીસમાં કબૂલ ન રાખે, વાંધો લે. અદી મર્ઝબાને પાંચ-દસ પારસી જુવાનોના હાથ પકડ્યા, દરેકમાં વિવિધ પ્રકારની અભિનયની ખાસિયતો. આમ, એમની ભાષા રંગીલી, રસીલી, મીઠી, ચબરાક, નવા નવા શબ્દોવાળી. બે-પાંચ સુંદર અવાજવાળી, અભિનયમાં છબીલી છટપટાટ સંવાદ કરનારી છોકરીઓ પણ પકડી અને એ ટોળાએ પહેલાં તો નાટકોની હરીફાઈના ઘાટમાં પ્રવૃત્તિ નિયોજી કામ શરૂ કર્યું. એમાં મને જજ તરીકે લઈ ગયેલા. ત્યારે ‘માયની માયા’ નામે એક નાનકડું, સુંદર નાટક રજૂ કર્યું. હાસ્ય, કોમેડી, ફારસ, ટુચકા જેવાં નાટકો રજૂ કરનાર અદીએ એ નાટિકામાં ભારોભાર કરુણ રસ ભર્યો અને પહેલું ઇનામ જીત્યા.
"અદી મર્ઝબાનનું નામ કાને પડે એટલે એક એવી આકૃતિ આંખ આગળ આવે જેની સૌ પહેલી અને ઠેઠ સુધી સ્થિર રહેતી અસર નિરવધિ આનંદની જ હોય. અદી એટલે અનાદિ, અનંત, આનંદ. પ્રચાર-પ્રસારનું એક પણ માધ્યમ અદી મર્ઝબાનની મોહિનીમાંથી મુક્ત રહી શક્યું નથી. પછી એ છાપું હોય, તખ્તો હોય, રેડિયો હોય કે ટી.વી. હોય. ૧૯૫૩માં મળેલી યુનેસ્કોની શિષ્યવૃત્તિ અને ભારતની સંગીત નાટક અકાદેમી દ્વારા થયેલું સન્માન, અદીની અખૂટ શક્તિની સાબિતી રૂપ છે. નાટકની રજૂઆતની સફાઈ અને સમસ્ત નિર્માણનો ચળકાટ, એ અદીની રંગમંચને અપાયેલી, કદી ન ભૂલાય એવી, એક અજોડ ભેટ છે. પારસી રંગમંચ ઉપર બૈરાં ઉતરે જ નહિ એવો એક અણલખ્યો બાધ સાહસપૂર્વક અને હિંમતથી તોડવા માટે, રંગમંચ ઉપર હાસ્યનાં મોજાં ફેલાવી, સરળ વાક્ ચાતુરીથી એને રસ તરબોળ બનાવી કૈંક દુખિયાં રડતાંને હસતાં કરવા માટે, અને આ સૌ કરતાંય તો ‘લાફ, એન્ડ ધ વર્લ્ડ લાફ્સ વિથ યુ’નો હંમેશ સાક્ષાત્કાર કરાવવા માટે આ મોટા દિલના મોટા બાવા – અદી મર્ઝબાનને સૌની સો સો સલામ !"