પ્રકાશ ન. શાહ : પંચોતેરમે
• ઉર્વીશ કોઠારી
’આવતી કાલે પ્રકાશભાઈને પંચોતેરમું વર્ષ બેસશે’ એવું બિનીત મોદીએ ગઈ કાલે કહ્યું, ત્યારે મેં ફક્ત ’હા, હં’ કહીને નોંધ લીધી ને ફોન મૂકી દીધો. પછી આજે સવારે વિચાર આવ્યો કે ઝડપથી અને શોર્ટ નોટિસમાં મળી શકે એવા પ્રકાશભાઈના પ્રેમી મિત્રો એમના ઘરે ભેગા થઈએ. ’મઝા આવશે’ એ તો પ્રકાશભાઈને મળવાનું હોય એટલે નક્કી જ હોય.
એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ‘પી.યુ.સી.એલ., રિપબ્લિક ઓફ ચાઇના.’ (પી.યુ.સી.એલ. – પિપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ – સાથે પ્રકાશભાઈના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)

અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઈના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.
’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઈએ 'મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’, એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસા-પાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઈના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઈ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઈ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઈનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.
તો આ તસવીરો .. અને પછી લેખ ..

પ્રકાશભાઈના જાહેરજીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા – કટોકટી અને જેલવાસના વર્ષ 1975 અને 75માં વર્ષનો મેળ બેસાડતું બિનીતભાઈ મોદીનું લખાણ.
બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું !

પ્રકાશભાઈને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠું કરાવતા બિનીતભાઈ મોદી, વચ્ચે અજયભાઈ ઉમટ અને પાછળ દિવ્યેશભાઈ વ્યાસ

કેક કાપવા વિશે પ્રકાશભાઈ એકાદ સારો શબ્દ આપે એની રાહ જોઈએ. [પ્રકાશભાઈ – નયનાબહેન]

પ્રકાશભાઈ − નયનાબહેન

ડાબેથી : બિનીતભાઈ મોદી, દિવ્યેશભાઈ વ્યાસ, અજયભાઈ ઉમટ, પ્રકાશભાઈ ન. શાહ, આશિષભાઈ કક્કડ, ઉર્વીશભાઈ કોઠારી

મંડળી મળવાથી થતા ફાયદા : નયનાબહેન શાહ, પ્રકાશભાઈ ન. શાહ, આશિષભાઈ કક્કડ, દિવ્યેશભાઈ વ્યાસ, કેતનભાઈ રૂપેરા, સંજયભાઈ ભાવે, બિનીતભાઈ મોદી

નયનાબહેન, પ્રકાશભાઈ, આશિષભાઈ કક્કડ, સંજયભાઈ ભાવે, ઉર્વીશભાઈ કોઠારી, કેતનભાઈ રૂપેરા, દિવ્યેશભાઈ વ્યાસ
પ્રકાશ ન. શાહ : અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય
આ અગાઉ 17 માર્ચ 2014ના રોજ, “અોપિનિયનમેગેઝિન”ની વેબસાઇટ પર ઉર્વીશભાઈ કોઠારીનો આ લેખ મુકાયેલો હોવાથી, તેની આ કડી [link] અહીં આપીએ છીએ :
https://opinionmagazine.co.uk/details/769/પ્રકાશ-ન.-શાહ-ઃ-અડીખમ-નાગરિકધર્મનું-મુક્ત-હાસ્ય
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/2014/09/blog-post_12.html
ગયા ફેબ્રુઆરી વેળા સંજયભાઈ ભાવેનો આ લેખ “નવગુજરાત સમય”માં પ્રગટ થયેલો તે પણ અહીં સાદર લઈએ છીએ :
નમતા પહોરે જ્ઞાનપ્રકાશ
• સંજય શ્રીપાદ ભાવે
વિચારપત્ર ‘નિરીક્ષક’ ના કર્મશીલ સંપાદક અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકાશ ન. શાહનાં એકંદરે ઇતિહાસ વિશેના વ્યાખ્યાનોમાં દર મંગળવાર અને શુક્રવારના નમતા પહોરનો દોઢ કલાક જ્ઞાનપ્રકાશથી ઝળાંઝળાં હોય છે. વક્તા વિદ્યાવંત અનંત ભાસે છે.
ગુજરાત વિદ્યાપીઠના અહિંસા શોધ ભવનમાં ચાલતી વ્યાખ્યાનમાળાનું નામ છે ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’. [આ લયગહન પંક્તિથી ઉમાશંકર જોશીનું વિશિષ્ટ ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ (1926) શરૂ થાય છે. તેમાં ગાંધી અને ગાંધીયુગનો મહિમા છે.]
સત્તર જાન્યુઆરીથી શરૂ થયેલી અને ચૌદ માર્ચે પૂરી થનારી વ્યાખ્યાનમાળાનું પ્રકાશભાઈએ પેટાશીર્ષક આપ્યું છે – ‘નવજાગરણથી સ્વરાજનિર્માણ સહિતની વૈચારિક જદ્દોજહદ : વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં’. વ્યાખ્યાનમાળા જેમના નામ સાથે જોડાયેલી છે તે આચાર્ય કૃપાલાની (1888-1982) પ્રકાશભાઈના એક આરાધ્ય સમાજઅગ્રણી, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ આચાર્ય અને ગાંધીવિચારના સ્વતંત્રમતિ ભાષ્યકાર. ગાંધીજી અને કૃપાલાની મળ્યા તે 1915ના ભારતના માહોલનું ચિત્ર પ્રકાશભાઈએ પહેલા વ્યાખ્યાનમાં આપ્યું.
સમાંતરે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનાં એટલે કે નવજાગરણનાં વર્ષો આવ્યાં. બીજા વ્યાખ્યાનમાં પ્રકાશભાઈએ, જેનું આ શતાબ્દી વર્ષ છે તે, ગદર પાર્ટીને શસ્ત્રોથી ઉપર ઊઠી ચૂકેલાં માનવતાવાદી સંગઠન તરીકે મૂલવી. ત્યાંથી તે યુરોપિયન રેનેસાંમાં પહોંચ્યા અને ફરી પાછા નર્મદ-દલપત, બંકિમ-રવીન્દ્રના કાળમાં ગયા, ત્યાંથી ઔદ્યોગિકરણવાળા ઇંગ્લેન્ડમાં, અને દસ વ્યાખ્યાનોમાં પછી …. !

''દર્શક'ના દેશમાં હીંચકે મહાલતા પ્રકાશ ન. શાહ અને મનુભાઈ પંચોળી 'દર્શક'
પ્રકાશને કોણ રોકે? તેની ગતિ અને દિશાની આછીપાતળી રૂપરેખા આપવી ય મુશ્કેલ છે. વક્તવ્યવિહાર માનવવિદ્યાઓ અને સમાજશાસ્ત્રની અનેક શાખા પ્રશાખાઓમાં ઉન્મુક્તપણે થતો રહે છે. સાથે સાહિત્ય, જાહેરજીવન અને સમૂહમાધ્યમો હોય છે. પ્રચલિત અને અદ્યતન પ્રવાહો હોય છે. ગાંધીવિચાર તરફ વારંવાર જવાનું થાય છે. [જ્ઞાનના સાગરપંખીનો વિહાર આકાશમાં હોય અને નજર ધરતીપરના સમાજવાસ્તવ પર.] ધ્યેય સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાની મૂલ્યત્રયી પર વસેલા શાણા સમાજનું હોય છે.
ટૉલ્સ્ટૉય અને થૉરો, માર્ક્સ-સ્પેન્સર-આદમ સ્મિથ, સાવરકર અને આંબેડકર, રામ અને કૃષ્ણ, ચાર્લ્સ ડિકન્સ અને કૉલિન વિલ્સન, જયપ્રકાશ નારાયણ અને જયંતિ દલાલ હોય. ત્રિકાળ-ત્રિલોકમાંથી કયા વ્યક્તિવિશેષો પ્રકાશભાઈની હડફેટે ચડે અને વિચક્ષણ વક્તા તેનાં કેવાં નવલાં દર્શન કરાવે તે કહેવાય નહીં. સવાસો જેટલા જણ અત્યાર સુધી હડફેટે ચઢ્યા છે એક ગણતરી મુજબ.
બીજી એક ગણતરી મુજબ પ્રકાશભાઈએ અત્યાર સુધીના દસ વ્યાખ્યાનોમાં પ્રતીતિકર રીતે ટાંકેલાં પુસ્તકોની સંખ્યા સો જેટલી છે. [આ માહિતી, બધાં વ્યાખ્યાનોમાં નોંધો લેતા અને કેટલાકનો સાર રજૂ કરતા કૉલેજના વિદ્યાર્થી પાર્થે કરી છે (પત્રકારત્વમાં ભણતી શૈલી વિડિયો રેકૉર્ડિંગ કરે છે).] તેમાં સંખ્યાબંધ નવલકથાઓ, જીવનચરિત્રો, સંશોધનો તેમ જ જે તે વિષયના પાયાના આકરગ્રંથો છે. સાથે માઇઆ રામનાથના ‘હજ ટુ યુટોપિઆ’ કે રામચન્દ્ર ગુહાના ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ જેવા તાજા અભ્યાસો પર ટિપ્પણી પણ હોય છે.
સમગ્ર વિવેકાનંદ−મુનશી–દર્શક, મોટાભાગના રસેલ અને ગાંધી; મહાદેવભાઈની ડાયરીના ઓગણીસ, વિલ ડ્યુરાંની ‘સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન’ના અગિયાર અને ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છ ખંડ જેવા પ્રકાશભાઈએ ઉલ્લેખેલાં પુસ્તકોનો ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ નથી !
આવા જ્ઞાનસાગરમાંથી માહિતીનાં કેવાં અચંબો પમાડનારાં મોતી નીકળે – નર્મદે દાદાભાઈ નવરોજીના અકાઉન્ટન્સીના વર્ગો ભરેલા, લોકમાન્ય ટિળકે મુંબઈમાં પડાવેલી કામદારોની હડતાળની નોંધ લેનિને લીધી હતી, [લાલશંકર ઉમિયાશંકર વિવેકાનંદના અમદાવાદના યજમાન હતા,] સાવરકર-કૃપાલાની-કાલેલકર ફર્ગ્યુસન કૉલજમાં સહપાઠીઓ હતા, ગદ્દર પાર્ટીના મંગુરામ ચમારે પંજાબમાં માનવતાવાદી આદિધર્મ શરૂ કરેલો, દુર્ગા ભાગવત અને બાબુભાઈ જશભાઈ વચ્ચે પ્રભાતિયાંની હરીફાઈ થઈ હતી. આ યાદી બહુ લાંબી થઈ શકે.
મોટી વાત એ કે વિરલ વિદ્વત્તાભર્યા આ વ્યાખ્યાનોની રજૂઆતમાં એટલી જ વિરલ હળવાશ હોય. સહજ હાસ્ય હોય, જેમ કે ‘બ્રૂમફીલ્ડ નામ આપણા સુખદેવભાઈને ગમે તેવું છે’. સંદર્ભસભર નર્મવિનોદ હોય – ‘ધુમકેતુમાં ગામડાનું એટલું સરલીકરણ હોય કે તેમણે જિબ્રાન વાંચ્યા છે કે નહીં એ નક્કી ન થઈ શકે.’ કટાક્ષ હોય – ‘નરેન્દ્ર નામ કંઈ સાઠ વર્ષ પહેલાં જ પડ્યું છે એવું નથી.’
અનેક વિચાર-ચમકારામાંથી આ બે દાખલા : દલપરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગનું રેનેસાંમાં પ્રવેશવું; ગોવર્ધનરામ ખેડા જિલ્લાની તમાકુની ખળીઓમાંથી નીકળ્યા હોત તો કલ્યાણગ્રામની જગ્યાએ સેવાગ્રામ ઘણું વહેલું આવ્યું હોત.
પ્રકાશભાઈ વાતવાતમાં ગુજરાતી ભાષાના લાડ લડાવે છે. તેમાં સુંદર અંગ્રેજી પ્રયોગો ડોકાય છે. ‘દેવભાષા’ના અવતરણોનો ઉપયોગમાં એમના જેવી સહજતા જવલ્લે જ જોવા મળે છે. વ્યાખ્યાન આપતી વખતે પ્રકાશભાઈનું આખું ય શુભ્રોજ્જ્વલ વ્યક્તિત્વ તેની તમામ હળવાશ સાથે દીપી ઊઠતું હોય છે. કોઈ પૂછે કે શ્રોતાઓને આ વ્યાખ્યાનોમાંથી શું મળે ? એક શ્રોતા તરીકેનો જવાબ છે : ‘પ્રકાશમાંથી શું ન મળે ?’
21 ફેબ્રુઆરી 2014
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : 26 ફેબ્રુઆરી માટે / ‘કદર અને કિતાબ’
http://epaper.navgujaratsamay.com/details/835-7021-1.html
![]()


બ્રિટનમાં રંગભેદ સામે પગલાં લેવા માટે ત્યાની સરકારે નીમેલા ‘કમિશન ફોર રેશિયલ ઇક્વોલીટી’ના તેઓ સભ્ય અને ઉપાધ્યક્ષ હતા. ‘પારેખ રિપોર્ટ’ તરીકે ઓળખાતો, બહુસાંસ્કૃિતક બ્રિટનના ભાવિ વિષયક અભ્યાસ, વર્ષ ૨૦૦૦માં તેમણે રજૂ કર્યો, જે આજે પણ આ વિષયનો એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ ગણાય છે. ૨૩મી મે ૨૦૦૦ એ એમની કારકિર્દીનો કદાચ સૌથી મહત્ત્વનો દિવસ છે, જ્યારે તેમની બ્રિટનના ‘હાઉસ ઓફ લોર્ડ્ઝ’માં ‘લાઈફ પિયર’ તરીકે નિમણૂક કરવામાં આવી. બહુસંસ્કૃિતવાદ, લઘુમતીના અધિકારો, બિનસાંપ્રદાયિક સહિષ્ણુ સમાજરચના વિષયક તેમણે કરેલા પ્રદાનોથી તેઓ બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી ‘પોલિટિકલ થિયરિસ્ટ’તરીકે ગણના પામ્યા છે. તેમની સિદ્ધિઓને બિરદાવતાં, ભારત સરકારે ૨૦૦૭માં તેમને ‘પદ્મભૂષણ’ એનાયત કર્યું. તેમને મળેલાં અનેક સન્માનો પૈકી બીબીસીએ ૧૯૯૯માં તેમને અર્પણ કરેલો ‘સ્પેિશયલ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ફોર એશિયન્સ’, ૨૦૦૩નું બ્રિટનના ‘પોલિટિકલ સ્ટડીઝ એસોસિયેશન’નું સર ઇસૈયાહ બર્લિન પારિતોષિક, અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓએ તેમને અર્પણ કરેલી માનદ્દ ડોકટરેટની ઉપાધિઓનો સમાવેશ થાય છે.
ઉત્તર : હા, એ છ મુદ્દાઓ આ પ્રમાણે છે. પહેલું તો, દરેક રાજ્યમાંથી ઉજ્જવળ કારકિર્દીર્વાળા પસંદ કરેલા વીસ વિદ્યાર્થીઓને વિદેશની મોટી યુનિવર્સિટીઓમાં ડોકટરેટના અભ્યાસાર્થે મોકલવામાં આવે અને એ લોકો ત્રણ વર્ષના અભ્યાસ બાદ ભારત પરત આવે. બીજું, જે વિદ્યાર્થીઓએ ભારતમાં ડોકટરેટ કર્યું હોય એ પૈકી પસંદ કરેલા કેટલાકને, એક વર્ષ માટે વિદેશની યુનિવર્સિટીઓમાં, તેમના શોધ-નિબંધો વિષયક વધુ અભ્યાસ કરવા મોકલવામાં આવે. ત્રીજું, વિશ્વના ઉચ્ચતમ કોટિના વિદ્વાનોને ભારતની યુનિવર્સિટીઓમાં આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તથા એમની સાથે વિચાર-વિમર્શ કરવા નિમંત્રણ આપવામાં આવે. ચોથું, દેશમાં સમર-સ્કૂલનું આયોજન કરવામાં આવે જેમાં કાળજીપૂર્વક પસંદ કરેલા થોડાક વિદ્યાર્થીઓને વિશ્વસ્તરના વિદ્વાનો જુદા જુદા વિષયો શીખવી શકે. પાંચમું, ભારતમાં વિશ્વસ્તરની પરિષદો અને પરિસંવાદો યોજાવા જોઈએ જેમાં ભારતના અભ્યાસુઓ વિદેશથી આવતા વિદ્વાનો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી શકે. અને છઠ્ઠો મુદ્દો એ કે, આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં થતી શિક્ષણવિદો અને અધ્યાપકોના ઉચ્ચ હોદ્દાઓની નિમણૂક માત્ર અને માત્ર એમની લાયકાતના આધારે કરવી અને આવી નિમણૂકોમાં અમલદારશાહીનું તત્ત્વ ન હોવું જોઈએ.
ઉત્તર : તદ્દન સાચી વાત. તમે કહ્યું અને મને ઉમાશંકર જોશી યાદ આવ્યા. એમની એક સુંદર કવિતા છે, જેમાં એ કહે છે કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી.’ બહુસંસ્કૃિતવાદમાં વિશ્વમાનવીની કલ્પના માર્યાદિત છે. બહુસંસ્કૃિતવાદનો અર્થ એટલો કે કોઈપણ સંસ્કૃિત સ્વયંસંપૂર્ણ નથી. દરેક સંસ્કૃિતની મર્યાદા છે. એનો અર્થ એ થયો કે જો તમારી સંસ્કૃિતને તમારે સુધારવી હોય તો બીજી સંસ્કૃિતઓ જોડે તમારે વાર્તાલાપ કરવો જોઈએ, એમાંથી શીખવાનું છે. ગાંધીજીનું પ્રિય વાક્ય હતું, જે ઋગ્વેદમાંથી આવે છે ‘आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ આખી દુનિયામાંથી જે સારા વિચારો છે તે મારામાં આવો. એટલે તમે જે પ્રશ્ન ઊભો કર્યો તે બહુસંસ્કૃિતવાદની સાથે સાથે પોતાનું કે પોતાનાપણું શું ? તો એ બંનેને ભેગા કરવાની જરૂર છે. હું ભારતીય છું, વધુ આગળ જઈએ તો હું ગુજરાતી છું, હું દક્ષિણ ગુજરાતનો છું, એમાં હું અમુક કોમનો છું. આ બધા વિભાગો તો રહેવાના, એની સાથે મારી અલગ અલગ પ્રકારની વળગણ પણ રહેવાની, એનો કોઈ ઇનકાર કરતું નથી. પણ સાથે સાથે ભારતને જો મારે આગળ લઈ જવું હોય તો બીજા બધા દેશોમાંથી જે કંઈ સારું મને મળે એ મારે મારા ગુજરાતમાં કે મારા ભારતમાં લાવવું જોઈએ. એટલે ગુજરાત કે ભારત પ્રત્યેની મારી વફાદારી પોતે જ માંગી લે છે કે મારે બહાર જઈને જે કંઈ ખજાનો મળતો હોય એ મારા ઘરે લઈ આવવો જોઈએ. મારા પુસ્તકમાં પણ મેં આ જ જાતની દલીલો કરી છે.
ઉત્તર : આરાધનાબહેન, સફળતા એ જબરદસ્ત પ્રશ્ન છે. સોક્રેટિસે કહ્યું છે કે માણસ સફળ થયો કે નહીં તે એના મૃત્યુ પછી જ ખબર પડે. તમે તમારી જાતને સફળ ત્યારે જ કહી શકો કે તમે જે કરવા માંગો છો એ તમે કરી શક્યા હો. તમે શું કરવા માંગો છો એ બદલાતું રહે છે. અત્યારે એક આદર્શ હોય કે મારે એક સારું પુસ્તક લખવું છે, પછી એ લખ્યા પછી વિચાર આવે કે મારે તો આનાથી વધારે સારું બીજું કંઈક લખવું છે, અથવા તો સમાજસેવા કરવી છે કે રાજકારણમાં જવું છે. એટલે જે શિખર પર આપણે જવું છે એ શિખરો બદલાતાં રહે છે. કોઈ પણ સિદ્ધિ મેળવીએ તો એની પાછળ બલિદાન તો હોવાનું. હું પુસ્તક લખતો હોઉં તો એની પાછળ ચાર-પાંચ વર્ષની સાધના હોય. તો એ સમય દરમ્યાન મારે એક જાતનું શિસ્ત મારી જાત ઉપર મૂકવું પડે. એટલે સફળતાની પાછળ એક ઘેરો પડછાયો પણ હોય છે, બલિદાન હોય છે. એટલે મંત્ર તો મારો એટલો જ કે મહેનત કરો, અને સફળતાને એના પરિપેક્ષ્યમાં જોવી જોઈએ. માત્ર એક પુસ્તક લખ્યું એમાં જીવનની સમાપ્તિ થતી નથી. એટલે આપણા પુરુષાર્થોને આપણે સફળતા કહીએ તો એમાં ઘણી વસ્તુઓ હોવી જોઈએ – જે ધંધામાં છો એ સારી રીતે થવો જોઈએ, સાથેસાથે અન્ય સંબંધો, કુટુંબ પ્રત્યેની ફરજો, સમાજ પ્રત્યેનાં બંધનોને ભૂલવાં ન જોઈએ. મારાથી ઘણીવાર આવું થયું નથી, એનો મને અફસોસ છે અને એવું કઈ રીતે થઈ શકે એ માટેના મારા પ્રયત્નો ચાલુ છે.
ના, આ શબ્દો આજકાલના કોઈ બટકબોલા લેખકે નથી લખ્યા છે. એ લખ્યા છે કાકાસાહેબ કાલેલકરે, ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવનામાં. આ હિમાલયનો પ્રવાસના લેખનની પોતાની પણ લાંબી પ્રવાસકથા છે. આ પ્રવાસ કાકા સાહેબે કરેલો ૧૯૧૨-૧૩ના અરસામાં. લગભગ ચાલીસ દિવસના આ પ્રવાસમાં તેમના બે સાથીઓ હતા અનંત બુવા મર્ઢેકર અને સ્વામી આનંદ. જન્મે મરાઠીભાષી કાકાસાહેબે પોતે કરેલા હિમાલયના પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં લખ્યું, જ્યારે ગુજરાતીભાષી સ્વામી આનંદે મરાઠીમાં લખ્યું. જાહેરમાં જેની ક્યારે ય ચર્ચા નથી થઈ એવી એક વાત આ પ્રવાસ પછી બની. બે મિત્રો કાકાસાહેબ અને સ્વામી આનંદ વચ્ચે કોઈક કારણસર અબોલા થયા, જે જીવનભર ટક્યા. પ્રવાસ કર્યા પછી કાકાસાહેબે સાબરમતી આશ્રમના હસ્તલિખિત સામયિક માટે આ વર્ણન લખેલું. તે પછી ૧૯૨૪માં તે પહેલી વાર પુસ્તક રૂપે પ્રગટ થયું. એ વાતને આ વર્ષે નેવું વર્ષ થયા. નવ દાયકા પછી હવે મળે છે અશોક મેઘાણી જેવા નિષ્ઠાવાન અનુવાદક પાસેથી આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ.