ગયા શનિવાર[04 જુલાઈ 2015]ના લેખમાં, રસૂલ હમજાતોવના 'મારું દાઘેસ્તાન' વિશે મેં જે વાતો કરી તે દર્શાવે છે કે લેખકમાં તળપદનું કેવું તો મૉંઘેરું શાણપણ છે. જો કે પુસ્તકમાં એમણે સાહિત્યના યુનિવર્સિટી-અભ્યાસક્રમો વિશે તેમ જ સમ્પાદક વિવેચક અનુવાદક અને વાચક નામની સાહિત્યસંસાર સાથે અનિવાર્યપણે જોડાયેલી હસ્તીઓ વિશે પણ વ્યંગભરી ઉપકારક વાતો લખી છે :
યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં, સર્જનની સરખામણીએ ક્રમશ: વિવેચનનું આધિપત્ય — એવું લગભગ બધે હોય છે. પોતાને ત્યાંની પરિસ્થિતિ વિશે રસૂલ કહે છે : પ્રથમ વર્ષમાં, ૨૦ કવિઓ, ૪ ગદ્યલેખકો અને એક નાટ્યકાર. બીજામાં, ૧૫ કવિઓ, ૮ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર, ૧ વિવેચક. ત્રીજામાં, ૮ કવિઓ, ૧૦ ગદ્યલેખકો, ૧ નાટ્યકાર અને ૬ વિવેચકો. પાંચમામાં, ૧ કવિ, ૧ ગદ્યલેખક, ૧ નાટ્યકાર અને બાકી બધા વિવેચકો ! : આની તુલનામાં આપણે ત્યાં કેવું છે તે લાગતાવળગતાઓ જણાવે, તો થાય …
રસૂલે સમ્પાદકો બાબતે આવું આવું કહ્યું છે: 'પ્રિય સમ્પાદક'-નો લહેકો કરી એક જણાને લગીર વ્યંગ વાપરીને કહે, તમે સમ્પાદકોના શાણા અને માયાળુ પ્રકારમાં આવો છો. તમારી જોડે કામ કરવામાં મઝા આવે છે. ખાતરી રાખજો કે મારી હસ્તપ્રતના હાંસિયામાં તમારી બહાલી વ્યક્ત કરવા તમે અંકિત કરેલા કોઈ પણ ઉદ્દગારચિહ્નની અથવા તમારા એક પણ પ્રશ્નાર્થચિહ્નની હું અવગણના નહીં કરું. પૂરેપુરું ધ્યાન આપીશ: અવળું પણ કહે છે, હું કવિ તરીકે જે જાહેર કરવાની ધગશ અનુભવતો હોઉં એને ઢાંકી ન દેશો. અને મારી પંક્તિઓ અલંકારો તથા ભાતો વિશે શંકા ન ઉઠાવશો. મારા ગાલીચાની ભાતમાં ખામી હોય તો પણ કોઈને મિટાવી દેવા કે ઘસી નાખવા ન દેશો — કેમ કે એથી તો ધાબું જ પડે, ધબ્બો કે કાણું જ પડે.
રસૂલ કહે છે કે વિવેચક વિશે ઝાઝું ન કહેવું જ સારું છતાં ઉમેરે છે કે હું એને થોડીક સલાહ આપું. એમ કહીને એમણે ૧૦ સલાહો આપી છે. રસૂલે પોતે જણાવ્યું છે એમ એ સલાહોમાં 'નવું' કશું નથી. પણ બે સલાહો મજાની છે : ૧ : (ઘણું વાંચ્યાની બડાશો મારનારા વિવેચકોને કામ આવે એવી સલાહ) : ખીસાં ખાલી હોય તો અમીર દેખાવાનો ડોળ ન કરવો : ૨ : (ગપ્પાંબાજીથી કામ ચલાવતા વિવેચકોને કામ આવે એવી સલાહ) : લાંબા સમયથી વતનના ગામે જવાનું ન થયું હોય અને ત્યાંની હાલત વિશે કશી ખબર ન હોય તો કદી ન કહેવું કે હું હમણાં જ ત્યાંથી આવ્યો છું !
પોતાના લોકોની સાહિત્યપ્રીતિ બાબતે રસૂલને ઘણો ગર્વ છે. કહે, અવાર લોકોને જેટલો પરિચય પોતાના સાહિત્યનો છે એટલો જ પરભાષાની અનેક અનૂદિત સાહિત્યકૃતિઓનો પણ છે. રસૂલે અનુવાદ અને અનુવાદક વિશે કહેતાં, પોતાના બાપુને મળેલા પારિતોષિકની વાત કરી છે. કહે, રશિયન ભાષાના જાણકાર ૪૦ કવિઓએ પૂશ્કિનના કાવ્ય 'ગામ'-નો અવાર ભાષામાં અનુવાદ કરેલો પણ પહેલું ઈનામ તો બાપુને મળેલું. પછી ઉમેરે છે — જો કે એ વખતે બાપુ રશિયન બોલી નહોતા શકતા ! રસૂલનો મતલબ એ કે અનુવાદકો ભલે મોટા વિદ્વાનો હોય પણ સાહિત્યસમજુ ય હોય તો વધારે સારું. ભાષાન્તર અને અનુવાદનો ફર્ક સમજાવવા માટે રસૂલે રોજિંદા જીવનના દાખલા આપ્યા છે. કહે, દરેક પંક્તિના દરેક શબ્દનું ભાષાન્તર એટલે બીજી જગ્યાએ ફેરવવા માટે છૂટું પાડેલું ઘર : કહે, વાળંદ મારા વાળ કાપીને, દાઢી કરી આપીને, વાળ ઓળી આપીને, મને રવાના કરતી વેળા કહેતો હોય — કે તમે દરેક પંક્તિના દરેક શબ્દના 'ભાષાન્તર'-ના રૂપમાં આવેલા હવે 'અનુવાદ'-ના રૂપમાં જઈ રહ્યા છો : જો કે એમ પણ કહે કે અનુવાદકો કેટલીયે વાર કાવ્યના બધા દાંત ખૅંચી કાઢતા હોય છે અને જગતમાં એને બોખી ડોકરીની જેમ ગણગણતું મૂકી દેતા હોય છે …
રસૂલની આવી બધી સમજ જીવનમાં બનેલા કિસ્સાઓથી ઘડાઈ છે. એમની એ આગવી રીત માટે વાચકે આ પુસ્તકને નિરાંતે વાંચવું જોઈશે. જાપાનમાં કલાકાર મિત્રોને ભેટ આપવા પોતે સુન્દર સુરાઈઓ લઈ ગયેલા. ઍરપોર્ટોની અદલાબદલી વખતે સુરાઈઓ તૂટીફૂટીને ઠીકરાં ઠીકરાં થઈ ગયેલી, પણ કેટલાક દિવસ પછી એ યજમાન-િમત્રોએ ટુકડાઓને જોડીને સુરાઈઓને અદ્દલ નવી જેવી બનાવી આપેલી. એ જોઈ રસૂલને પોતાના અનુવાદકો યાદ આવેલા, લખે છે : મારા કાવ્યોની દરેક પંક્તિ અને દરેક શબ્દનાં ભાષાન્તરો ફૂટી ગયેલી સુરાઈઓનાં ઠીકરાં જેવાં હતાં. હવે એ ઠીકરાંને જોડી દેવામાં આવ્યાં છે, સુરાઈ સાવ નવી જેવી બની ગઈ છે, મારી અવાર ભાષા-ભાતો અસલ જેવી જ કાયમ રહી છે : જો કે રસૂલ ચેતવે છે — કે બેશક, અનુવાદકે સુરાઈને નવો ઘાટ ન જ આપવો જોઈએ. હાથા વગરની સુરાઈને હાથો ન જ જોડવો જોઈએ. એક તળિયાને ઠેકાણે બે ન જ બનાવવાં જોઈએ. બધા અનુવાદકોને રસૂલ કહે છે : હું લંગડો ને આંધળો હોઉં તો મને હાથ ઝાલીને બહાર ન લઈ જશો. મને મારા ઘરને પગથિયે મારી પોતાની સગડી પાસે બેસી રહેવા દેજો. મારી ત્રાંબાની થાળીઓને કલઈ ચડાવશો નહીં કે મારી ચાંદીની ચીજને સોનાનો ઢોળ ચડાવશો નહીં : રસૂલ આમ મરમમાં ઘણું કહી દેતા હોય છે.
વાચકને 'પ્યારો દોસ્ત' ગણે છે. એને સમ્બોધીને કહે છે : દરેકે દરેક પુસ્તક તારા માટે જ લખાતું હોય છે. હું પ્રકાશકને સમજાવવાની કોશિશ કરી શકું અને સમ્પાદક તેમ જ વિવેચક જોડે દલીલો કરી શકું પરન્તુ તારો ફૅંસલો જ ઈનસાફી અને આખરી હોય : કહે, મારા પુસ્તકમાં તને બીજા કોઈના પુસ્તકમાંનો ખયાલ નજરે ચડે તો એને ફગાવી દેજે. પણ મારા પુસ્તકમાં તને ખરો ખયાલ મળે તો તેની નીચે લીટી કરજે, અને ખોટો મળે તો તેની નીચે બે લીટી કરજે. અને પુસ્તકમાં તને એક પણ જૂઠાણું નજરે પડે તો આખું પુસ્તક ફગાવી દેજે : કહે, લેખક તો માત્ર વાચક સાથેની મુલાકાત માટે જ જીવતો હોય છે. મારી જિન્દગીમાં મેં ખરેખરી ફિકર માત્ર ત્રણ અનુભવી છે : તને વાચકને મળતાં પહેલાં, હું ફિકરમાં પડી જાઉં છું — મુલાકાતની રાહ જોઉં ને કલ્પના કર્યા કરું કે એ કેવી રહેશે. મુલાકાત દરમ્યાન, મને ફિકર હોય જ હોય એ તો સ્વાભાવિક છે. મુલાકાત પછી ય, મને ફિકર થાય — વીગતો યાદ કરું, અંદાજ લગાવું, કે તારા પર મારી કેવીક છાપ પડી હશે …
પછી રસૂલ સરસ કહે છે : મારી નજર સામે વાચકોના ચહેરા તરવરે છે. દરેક ચહેરો નિરાળો છે. એકનાં ભવાં ચડી ગયાં છે — એની નાખુશી દૂર કરવા માટે શબ્દો ક્યાંથી લાવું ? બીજો જાણે માખી ગળી ગયો હોય એમ એનું મોઢું કટાણું થઈ ગયેલું છે. ત્રીજાના ચહેરા પર ભયંકર અને નિરાશાજનક કંટાળાનો ભાવ વરતાય છે. આવા વાચકોને મનમાં રાખીને રસૂલ એક વાત રજૂ કરે છે. કહે, લોકોથી દૂર પહાડો પર ઘર બાંધીને રહેતા પહાડવાસીઓ લગી પહોંચવાનું મુશ્કેલ — સાંકડી કેડીએ ઉપર ચડતાં ખીણમાં ગબડી પડવાનું કે ઉપરથી ધસી પડતા ખડકો નીચે દબાઈ જવાનું જોખમ. પહાડવાસીઓને પૂછવામાં આવ્યું કે તમારા લગી કોઈ આવે તો આવે શી રીતે. પહાડવાસીઓએ સરસ કહ્યું : ખરા દોસ્તો તો મુશ્કેલ પંથ કાપીને અને તમામ જોખમો ઉઠાવીને પણ અમારા લગી પહોંચવાના જ છે — ને નકામા ? એમના વગર અમે ચલાવી લઇશું …
મને થાય, જો પુસ્તક નામનું 'ઘર' દરેક લેખક 'અંદર'-ના પહાડ પર આમ 'ઊંચે' બાંધે; ખરા દોસ્તો જેવા વાચકો અંગે આવો ભરોસો રાખે; ને નકામાને વિશે આવા બેપરવા રહે, તો કેટલું સારું થાય …
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’, નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 11 જુલાઈ 2015
http://navgujaratsamay.indiatimes.com/editorial/sampadkiya/rasool-hamjatov-hated-translators/articleshow/48021195.cms
![]()


સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે.
વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !
જગતના તમામ સમાજોમાં સમલૈંગિકતાને માનસિક બીમારી ગણવામાં આવે છે જેના કારણોમાં સાયકોલોજિકલ અથવા તો આધ્યાત્મિક અધ:પતનને જવાબદાર ઠેરવવામાં આવે છે. ભારતમાં છેક 1861થી ઇન્ડિયન પીનલ કોડની કલમ 377 અમલમાં જેના તહત સમલૈંગિક સેક્સમાં દસ વર્ષની સજા થાય છે. સમલૈંગિક સંબંધોને ગુનાઇત કાનૂનના દાયરામાંથી બહાર લાવવા માટે 2006થી રાજકીય અને કાનૂની મોરચે લડાઈ ચાલે છે જ્યારે તે વખતે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને અંગ્રેજી લેખક વિક્રમ સેઠે 377ને નાબૂદ કરવા માગણી કરી હતી.