મૂળ શીર્ષક : રસ્તા ઉપરનો સંવાદ, પુસ્તક : જવાહરલાલ નેહરુ – સંઘર્ષનાં વર્ષો : ચૂંટેલાં વક્તવ્યો; અનુવાદ – યાસીન દલાલ; પ્રકાશક : નેશનલ બુક ટૃસ્ટ
રાત પડી ગઈ હતી, અને રોહતક-દિલ્હી રોડ ઉપર અમે ઝડપથી જઈ રહ્યા હતા. અમારે દિલ્હીથી રાતના ટ્રેઈન પકડવાની હતી. હું માંડ માંડ જાગી શકતો હતો. અચાનક, રસ્તાની જમણી બાજુએ હાથમાં ટોર્ચ લઈને બેઠેલાં સ્ત્રી-પુરુષોને જોઈને અમારે અટકવું પડ્યું. એ લોકો અમારી પાસે આવ્યાં અને અમે કોણ છીએ એની ખાતરી કરી, પછી એમણે કહ્યું કે એ લોકો બપોરથી અમારી રાહ જોતાં બેઠાં હતાં. અમે બહાર નીકળ્યા અને હજારેક જેટલાં જાટ સ્ત્રી-પુરુષોની વચ્ચે બેઠા.
કોઈક બોલ્યું, “કોમી નારા” અને તરત હજારો ગળામાંથી ત્રણ વખત ઉદ્ઘોષ થયો, “વંદે માતરમ્”, પછી અમે ‘ભારતમાતા કી જય’ અને બીજાં સૂત્રો બોલ્યા.
પછી મેં એમને પૂછ્યું, “આ ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ શા માટે ?”
કોઈ જવાબ ન મળ્યો. એમણે મારી સામે જોયું. પછી એકબીજાં સામે જોવા માંડ્યાં. મારા પ્રશ્નથી એ બધાં મૂંઝાયા હતા, મેં ફરીથી પૂછ્યું, “આ સૂત્રોનો અર્થ શો થાય છે ?” પણ, કોઈ જવાબ ન મળ્યો. ત્યાંનો હવાલો સંભાળતા કૉંગ્રેસી કાર્યકર દુઃખી થઈ ગયા. એમણે મને આનો જવાબ આપવા કોશિશ કરી, પણ મેં એમને ‘આ માતા કોણ છે, જેની તમે જય બોલાવો છો ?’ એમ ફરીથી પ્રશ્ન કર્યો. છતાં, તેઓ મૌન અને મૂંઝાયેલા રહ્યા. એમને આવા અજાણ્યા પ્રશ્નો કોઈએ પૂછ્યા નહોતા. એમને તો કહેવામાં આવે, ત્યારે સૂત્રો પોકારી દેતા, પણ એનો અર્થ સમજવાની તકલીફ લેતા નહીં. કૉંગ્રેસવાળા એમને આમ કરવાનું કહે, ત્યારે જુસ્સાથી એ સૂત્રો પોકારતા, એનાથી એમને ઉત્સાહ મળતો અને એમના વિરોધીઓમાં હતાશા થતી.
છતાં મેં પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. અંતે એક માણસે હિંમત કરીને કહ્યું કે માતા એટલે ધરતી. એ ખેડૂત હતો, આથી એનું ધ્યાન ધરતી તરફ ગયું. એ ધરતીને સાચી માતા અને તારણહાર ગણતો.
મેં પૂછ્યું, “કઈ ધરતી? તમારા ગામની ધરતી, કે પંજાબની, કે આખી દુનિયાની?” પાછા એ મૂંઝાયા, અને પછી એક સાથે બધાં કહેવા લાગ્યાં કે તમે જ અમને સમજાવો. એ લોકોને ખબર નહોતી, એટલે મારી પાસેથી જાણવા માગતા હતા.
મેં એમને કહ્યું કે ભારત શું છે, અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એ કઈ રીતે પથરાયેલું છે, અને એમાં પંજાબ, બંગાલ, મુંબઈ અને મદ્રાસ પણ સમાયેલાં છે. આ મહાન ધરતી પર આપણને એવા લાખો ખેડૂતો મળશે, જેમની મુશ્કેલીઓ, ગરીબી અને દુઃખ આપણાં જેવાં જ છે. આ મહાન દેશ હિંદુસ્તાન છે, ભારતમાતા એ કોઈ સુંદર લાંબાવાળવાળી સ્ત્રી નથી, જે ઘણી વાર કાલ્પનિક ચિત્રોમાં દર્શાવાય છે.
ભારત માતા કી જય, આ જય કોની? એ કાલ્પનિક સ્ત્રીની નહીં, તો પછી શું ઊંચા પહાડોની અને નદીઓ તથા રણની જય? ના, એમણે પોતે જ કહ્યું. પણ, કોની જય, એ ન કહી શક્યાં.
મેં એમને કહ્યું, “ભારતમાં રહેતા લોકોની આ જય છે. જે લોકો એના શહેર અને ગામડામાં રહે છે, એની જય છે.” એમને આ જવાબ ગમ્યો, અને સાચો પણ લાગ્યો.
“આ લોકો કોણ છે? તમે જ, અને તમારા જેવા બીજા. તમે તમારી જ જય બોલાવો છો, અને તમારા ભાઈઓની અને બહેનોની જય બોલાવો છો. યાદ રાખો કે ભારત માતા એટલે તમે જ અને તમારી જ જય બોલાવો છો, એમણે ધ્યાનથી સાંભળ્યું અને એમના ભારેખમ કિશાન મગજ ઉપર જાણે પ્રકાશ પથરાયો.
આ એક અજબ વિચાર હતો કે એ લોકો પોતે જ પોતાની જય બોલાવતા હતા! રોહતાકના ગરીબ જાટ ખેડૂતો પોતાનો જય જયકાર કરતા હતા. તો પછી ચાલો આપણે ફરીથી, સાચી, શુભેચ્છાથી બોલીએ, “ભારતમાતા કી જય”.
[ચૂંટણી ઝુંબેશ દરમિયાન ૧૬-૯-૧૯૩૬ના રોજ લખેલા એક લેખમાંથી; જે ‘ત્રિવેણી’(મદ્રાસ)માં સૌપ્રથમ છપાયો. (‘સિલેક્ટેડ વર્ક્સ’, ભાગ-૭, પૃ. ૩૪૮-૫૦)]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 01-02
![]()


ભગતસિંહની પંચાસીમી સંવત્સરી સરહદની બંને બાજુએ અવનવાં સ્પંદનો જગવી ગઈ! આપણી બાજુએ તો સ્પંદનો ઉપરાંત કંઈક શોર પણ; કેમ કે ભાજપે ‘ભારતમાતા કી જય’ અને રાષ્ટ્રવાદનો ખાસ મુદ્દો બનાવવામાં ભગતસિંહને ય ઠીક સંડોવવા ધાર્યું છે. અધૂરામાં પૂરું, કૉંગ્રેસ સાંસદ શશી થરુરે જે.એન.યુ.ના કન્હૈયાકુમારમાં વર્તમાનકાળના ભગતસિંહ જેવી ઝલક જોઈ તે વિગતમાં આ ‘રાષ્ટ્રનેતાનું અપમાન’ જોવાની ભાજપની પ્રતિક્રિયા છે તો કૉંગ્રેસે પણ થરુરના અંગત મતથી કિનારો કરવામાં સલામતી જોઈ છે.
ચિત્તભૂષણ દાસગુપ્તાએ ગત ૭મી ફેબ્રુઆરીએ પોતાના આયુષ્યના ૧૦૧મા વર્ષે દેહ છોડ્યો. માંજિહેડા(પુરુલિયા, બંગાળ)માં તેમણે વાવેલા બીજ સમી રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા સંસ્થાના વિશાળ વૃક્ષ તળે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેઓ ગાંધીવિચારને સમર્પિત જીવન જીવ્યા અને અંતિમ સંસ્કાર બાદ કોઈ પણ ક્રિયાકર્મ ન કરાયાં. તેઓ પોતાની પાછળ માત્ર પોતાનો હર્યોભર્યો પરિવાર જ નહીં, બલકે નઈ તાલીમના એક વિશાળ પરિવારને છોડી ગયા છે. આની એક ઝલક તેમના શતાબ્દી-વર્ષમાં તેમની પૂર્ણ સક્રિય અવસ્થામાં પણ જોવા મળી હતી. એ દરમિયાન તેમણે પોતાના અતિશય સ્પષ્ટ અને સટીક વક્તવ્ય થકી સંસ્થાના હીરક-મહોત્સવનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પોતાના સન્માનનો જવાબ પણ આપ્યો હતો. મહોત્સવની વચ્ચે તેઓ કાંતણ અને લોકકળામાં પણ સામેલ થયેલા. આટલું સ્વસ્થ અને સક્રિય સોમું વર્ષ બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે. પોતાનાં બન્ને દીકરા અને બેઉ દીકરીઓને તેમણે નઈ તાલીમ થકી જ ભણાવ્યાં અને તેઓ આજે ય આ વિચારને સમર્પિત છે. આવું બહુ ઓછું જોવા મળે છે.