માત્ર બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી ટ્રેન અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે: મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓ અને ખેડૂતો બુલેટ ટ્રેન યોજનાનો વિરોધ કરતા રહ્યા છે

દેશભરના ખેડૂતોનું આંદોલન, તેના ફેલાવા તેમ જ શાકભાજીના બગાડના બનાવોને કારણે લોકોના ધ્યાનમાં આવ્યું છે, પણ મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો, આદિવાસી ખેડૂતો તેમ જ આદિવાસીઓ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજના વિરુદ્ધ ગયા નવેક મહિનાથી જે ચળવળ ચલાવી રહ્યા છે, તેની તરફ ખાસ ધ્યાન ખેંચાયું નથી. બુલેટ ટ્રેન હેઠળ તેમની જમીન દબાઈ જવાની છે. એટલે કોઈ પણ ભોગે જમીન નહીં આપવાનો નિર્ધાર હમણાં રવિવારે બંને રાજ્યોનાં અનેક સંગઠનોનાં બનેલા ‘બુલેટ ટ્રેનવિરોધી જનમંચ'ના નેજા હેઠળ પાલઘરમાં મળેલી સભામાં ફરી એક વાર જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આ ચળવળ મુખ્યત્વે ‘ખેડૂત સમાજ' અને ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ' સંગઠનોના નેજા હેઠળ છે. ૨૮મી મેએ થયેલી પેટા ચૂંટણીના માહોલમાં પણ દહાણુ, તલાસરી, મોખડા અને વસઈ-વિરાર તાલુકામાં બુલેટ ટ્રેન માટે લોકોમાં રોષ દેખાતો હતો. તે પૂર્વે ત્રીજી મેએ દહાણુ ખાતે થાણા અને પાલઘર જિલ્લાનાં સાઠથી વધુ ગામોના પચાસેક હજાર કિસાન અને આદિવાસીઓએ ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેજા હેઠળ દોઢ કિલોમીટર લાંબી વિરોધ-કૂચ કાઢી હતી.
આમ તો ખેડૂતો-આદિવાસીઓએ પહેલવહેલો વિરોધ તો સપ્ટેમ્બરમાં ભારત અને જાપાનના વડા પ્રધાનોએ મળીને અમદાવાદમાં બુલેટ ટ્રેન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પાલઘરમાં દેખાવો યોજીને કર્યો હતો. માત્ર બે જ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી રેલગાડી અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે. જાપાનની ગણતરીપૂર્વકની ભરપૂર સહાયથી શરૂ થનારી આ હાઇસ્પીડ રેલવે લાઈન ૫૦૮.૧૭ કિલોમીટર લાંબી છે. તેના ૧૫૫.૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં, ૩૫૦ કિલોમીટર ગુજરાતમાં અને બે કિલોમીટર દાદરા નગરહવેલીમાં આવે છે.
મોટા ભાગનું અંતર જમીનથી ઉપરના એલેવેટેડ કૉરિડોર તરીકે હશે, જ્યારે બાવીસેક કિલોમીટર થાણાની ખાડીના દરિયાના પેટાળમાં થઈને બનાવેલા બોગદા તરીકે હશે. પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરવાની આવશે, તેમાં ગુજરાતની જમીન ૬૧૨.૧૭ હેક્ટર, મહારાષ્ટ્રમાંથી ૨૪૬.૪૨ અને દાદરા-નગરા હવેલીમાંથી ૭.૫૨ હેક્ટર હશે. યોજનાના ફાયદા અંગેના સરકારના દાવા અને નુકસાન અંગે અભ્યાસીઓનાં મંતવ્યો ચર્ચાતાં રહ્યાં છે.
મોટા ભાગની કહેવાતી મોટી યોજનાઓની જેમ જમીન સંપાદન અહીં પણ મડાગાંઠ સાબિત થઈ રહ્યું છે. કુલ ૫૦૮ કિલોમીટરમાંથી ૧૦૮ કિલોમીટર પાલઘર જિલ્લાના છે. તેને માટે ૧૨૩ ગામોની ૧૭૦ હેક્ટર જેટલી જમીન લેવી પડે એમ છે. મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના ટુકડા છે જે તેમની આજીવિકાનું એક માત્ર સાધન છે. તેની સામે સરકાર વળતર કેટલું અને કેવી રીતે આપશે એ અંગે તેમને પૂરેપૂરો શક છે. થોડાંક વર્ષો પહેલાં ધોરી માર્ગ પહોળો કરવા માટે જેમની જમીનો સંપાદિત કરવામાં આવી તેમને વળતરના કડવા અનુભવો છે. એટલે મોટા ભાગની ગ્રામસભાઓએ જમીન નહીં આપવાનો ઠરાવ કરેલો છે.
તદુપરાંત આ પ્રોજક્ટ માટે જે જંગી બાંધકામ થશે તેના માટે રેતી મેળવવા નદીના પટ અને ટેકરિયાળ વિસ્તારોને ભારે હાનિ પહોંચશે. જંગલપેદાશો પર જીવતા આદિવાસીઓ અને નદીનાં પાણી પર જીવતા માછીમારોને પણ મોટી અસર થશે. પાલઘરના લોકોનું એમ પણ કહેવું છે કે પીવાનું પાણી, રસ્તા, તબીબી સેવા, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે સરકાર પૈસા ફાળવતી નથી અને જાપાન પાસેથી લોન લઈને આ મસમોટી યોજના બનાવે છે. ગુજરાતના ખેડૂતોએ એમ માગણી છે કે સરકારે જમીન માટેનું વળતર ૨૦૧૧ના એન્યુઅલ સ્ટેટમેન્ટ ઑફ રેટ પ્રમાણે નહીં, પણ જમીનના અત્યારના બજાર ભાવ પ્રમાણે આપવું જોઈએ.
બુલેટ ટ્રેનના વિરોધનો એક મહત્ત્વનો મુદ્દો પારદર્શકતાના અભાવ અને બિનલોકશાહી અભિગમનો છે. તેની સાબિતી યોજના અંગેની જાહેર સુનાવણીના ઉપક્રમમાંથી મળે છે. જાહેર સુનાવણીનો હેતુ લોકોને લગતી યોજના અંગેની લોકોની વચ્ચે સત્તાવાળાઓ દ્વારા છણાવટ થાય, લોકોનાં મંતવ્યો-માગણીઓ મુજબ યોજનામાં ફેરવિચારણા અને ફેરફાર કરવામાં આવે એવો હોય છે. લોકોનો ખૂબ વિરોધ હોય તો યોજના પડતી મૂકવામાં આવે છે. ભાવનગર પાસે મીઠી વીરડીમાં અણુવિદ્યુત મથકની યોજના પડતી મૂકવામાં જાહેર સુનાવણી પ્રક્રિયાનો નોંધપાત્ર ફાળો હતો.
જો કે બુલેટ ટ્રેન પરની જાહેર સુનાવણી બાબતે કર્મશીલ આનંદ જણાવે છે કે એ પ્રક્રિયા ‘માત્ર આઘાતજનક અને સંવેદનહીન જ નહીં, તૈયારી વગરની અને બેજવાબદારીભરી હતી'. માર્ચ-એપ્રિલ દરમિયાન નડિયાદ, વડોદરા અને ભરૂચની સુનાવણીઓને આધારે તેમની વાત સમજાવે છે. આ સુનાવણીઓની જાહેરાતો, તેમનાં તારીખ અને સ્થળ એમ અનેક બાબતો એ રીતે ગોઠવવામાં આવી હતી કે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ ન શકે. તદુપરાંત લોકોને આપવામાં આવતી છાપેલી માહિતી કે તેમની સામે કરવામાં આવેલાં પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન્સ મોટે ભાગે અંગ્રેજીમાં હતાં, જે મોટો અવરોધ ગણાય. કલેક્ટર તેમ જ પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓનાં વર્તન પણ અધીરા, ઉતાવળા, સરકારતરફી અને સરવાળે લોકવિમુખ હતા.
આનંદ કહે છે : ‘અત્યંત ચોંકાવનારી વાત એ છે કે ૧ લાખ ૧૦ હજાર કરોડ રૂપિયા જેટલા જંગી ખર્ચથી થનાર આ પ્રોજેક્ટ જેમાં હજારો લોકોના રોજી-રોટીના સવાલો ઊભા થાય તેમ છે, તે અંગે જાહેર સુનાવણીની કે બીજી કોઈ જ ધોરણસરની પદ્ધતિ વિના પ્રોજેક્ટ દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.' વડોદરામાં યોજાયેલ જાહેર સુનાવણી કેવી રીતે માત્ર એક ‘આઇવૉશ' એટલે કે દેખાવ હતો તેની વાત સૂરતના કર્મશીલ કૃષ્ણકાન્ત સમજાવે છે. ચૌદમી મે સૂરતની જાહેર સૂનાવણીમાં ખેડૂત સમાજના ચારસોએક ખેડૂતો ઓલપાડ, કામરેજ, પલસણા અને ચોરિયાસી તાલુકાના ગામોમાંથી એકઠા થયા હતા. પણ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં પોલીસે પંદરેક આગેવાનોની અટકાયત કરતાં ખેડૂતોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો. મહિનાના આખરે નવસારી અને સૂરતમાં યોજાયેલી સુનાવણીમાં ‘આયોજકોની હંમેશ મુજબની અસંતોષકારક ભૂમિકાને કારણે હોબાળો થયો' એમ જાણવા મળે છે.
‘ખેડૂત સમાજ'ના અગ્રણી કર્મશીલ સાગર રબારીએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લોકવિરોધી અને વિનાશક બાજુ ખુલ્લી પાડતી પુસ્તિકા લખી છે. તેની શરૂઆતમાં યોજનાની ‘આછેરી ઝલક'માં તેના ઉદ્દભવ અને તેમાં જાપાનનાં જોડાણની વિગતો છે. તેને છેડે તે નોંધે છે : ‘વિકાસ અને જી.ડી.પી. વધારવાને નામે જાપાન આપણને નાણાં ધીરશે, વ્યાજ કમાશે, ટેક્નોલૉજિ-ટ્રેઇનિન્ગ-કૉન્ટ્રાક્ટ થકી એની કંપનીઓ પૈસા પાછા જાપાન લઈ જશે … ભારતના નાગરિકો માથે એક લાખ કરોડનું દેવું વધશે! જાપાની જળ-જંગલ-જમીન આપણાં વેડફાશે … ને આપણે રાજી થઈશું કે આપણે વિકાસ કર્યો.'
ત્યાર પછી સાગરભાઈ આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોના લાભ માટેના કાયદાનો આ પ્રોજેક્ટમાં શી રીતે ભંગ થયો છે તેની માહિતી આપે છે. પછી તે બતાવે છે કે યોજનાને પૈસો પૂરો પાડનાર ‘જાપાન ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન એજન્સી'ની પર્યાવરણ અને સામાજિક અસરો લગતી માર્ગદર્શિકાનો ભંગ થયો છે. સાગરભાઈને યોજનાના આર્થિક પાસા અંગે સવાલ થાય છે: ‘જરૂરિયાત, વિકાસ કે લૂંટ ?' તેની ચર્ચા કરીને તેઓ વિકલ્પ તરફ આંગળી ચીંધે છે. અંતે લખે છે : બુલેટ ટ્રેનના પિલર નીચે ધરબાશે પર્યાવરણ, મહેનતકશોના રોજગાર અને લોકશાહી અધિકારો … ‘વિકાસ'ની તમારી ભૂખ ભાંગવા કેટકેટલાને ઉજાડશો ?’
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ ક્ષિતિજ’ નામક લેખકની કતાર, “નવગુજરાત સમય” 8 જૂન 2018
![]()






સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે.
પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી!
તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.