૨૦૦ વર્ષના સામ્રાજ્યવાદ પછી માંડ મળેલી લોકશાહીને અમુક દાયકા પછી આપણે ‘ગ્રાન્ટેડ’ લેવાની શરૂઆત કરી. લોકશાહીની સમાનતા જીવવી હોય તો તેની જાગૃત સમજ સૌથી અનિવાર્ય પાસું છે.
આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ આપણું બંધારણ અમલમાં મૂકાયું હતું અને ભારત સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દેશ બન્યો હતો. પ્રજાના હાથમાં રાષ્ટ્રની સુકાન હોય તો લોકશાહી સલામત હોય છે. જો કે પ્રજાનો મિજાજ બદલાય તો તેને પોતાના પર લાગેલી લગામો તંગ કરવાનો શોખ થઇ જાય એમ પણ બને. બીજી ચર્ચા વિસ્તારથી બાદમાં કરીએ પણ આજના, ગણતંત્ર દિને એ જાણવું જરૂરી છે કે ડેમોક્રેસી ઇન્ડેક્સ ૨૦૧૯માં ભારતનું સ્થાન પહેલાં પચાસ રાષ્ટ્રોમાં નથી રહ્યું. આપણે લોકશાહીના આ ઇન્ડેક્સની યાદીમાં મૂકાતા ૧૬૫ રાજ્યોમાં દસ ક્રમાંક પાછળ ચાલી ગયા છે અને આપણો ક્રમાંક આ ઇન્ડેક્સમાં છેક ૫૧મો છે. નાગરિક સ્વતંત્રતામાં ઘટાડો થવાથી આપણે ત્યાં લોકશાહીનું સ્તર નીચે ઉતર્યું છે. ઇકોનોમિસ્ટે રજૂ કરેલા અહેવાલ અનુસાર નાગરિકતા સુધારા કાયદાને પગલે ભારતનો ક્રમાંક વધુ પાછળ ગયો. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ ભારતનો સ્કોર આ ઇન્ડેક્સમાં ઘટ્યો જ હતો પણ તાજેતરમાં થયેલા મોટા ફેરફારોને પગલે સ્કોર વધુ નીચે ગયો. ટૂંકમાં આજના પ્રજાસત્તાક દિને આપણે આ કડવો ઘૂંટડો ગળે ઉતારવો પડશે કે આપણા દેશમાં લોકશાહીની સ્થિતિ જેવી પહેલાં હતી તેવી નથી રહી.
ભારતમાં લોકશાહીની શરૂઆત તો બહુ તેજસ્વી હતી. આપણા યુવાન દેશે ગરીબી અને નિરક્ષરતા જેવા રાક્ષસોનો પગદંડો હોવા છતાં ય યુ.કે. અને યુ.એસ.એ. કરતાં ઘણો સારો દેખાવ કર્યો હતો. ભારતે અન્ય વિકાસશીલ દેશો સમક્ષ પોતાનાં પરિવર્તનોથી એ ઉમદા ઉદાહરણ આપ્યું હતું. એક સમયે રાજકારણ જનતાલક્ષી હતું. લોકોનું ભલું થાય, પૉપ્યુલિસ્ટ રાજકારણનો વધારો ન થાય તે રીતે રાજકારણીઓને કામ કરવામાં રસ હતો. ૨૦૦ વર્ષ સુધી સામ્રાજ્યવાદી શાસકોનો ભોગ બનેલા, દુકાળ, રોગચાળા, ગરીબી, નિરક્ષરતા અને ભાગલાની થપાટો ખાધેલા ભારત માટે મતાધિકાર બહુ મોટી બાબત હતી. દેશ પ્રજાસત્તાક થયો તે પછી કટોકટી સમયે પહેલીવાર ભારતીય લોકશાહીના પાયા હચમચી ગયા. આવનારાં વર્ષોમાં નવનિર્માણ આંદોલન, વી.પી. સિંઘની સરકાર હતી ત્યારે મંડલ કમિશન જેવા મોટા દેખાવો, વિરોધો થયા અને પછી ઘણું બધું બદલાયું. પ્રજાને કંઇક નવું જોઇતું હતું અને એ પણ થયું. આ પરિવર્તનની સાથે અત્યારે દેશમાં ઠેર ઠેરથી વિરોધનો અવાજ ઊભો થઇ રહ્યો છે. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ થઇ ગયો છે, હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચેની ભેદ રેખા વધારે ઝાંખી થઇ રહી છે અને સત્તાધીશોના વિચારથી જુદું બોલનારાઓને નિશાન બનાવનારાઓનો પાર નથી. અહીં સરકારનો વાંક કાઢવાનો ઇરાદો નથી બલકે આપણે પ્રજા તરીકે કેટલા બદલાયા છે એ જોવાની જરૂર છે કારણ કે આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં બધા જ પ્રકારની સરકાર આપણે કારણે જ બની છે અને ભાંગી પણ પડી છે. આખરે તો લોકશાહીમાં પ્રજા જ રાજા હોય છે અને તેને એ જ રાજા મળે છે જેને તે લાયક હોય છે. રાજકારણ સતત બદલાતું રહે છે. આપણા દેશમાં ધર્મ, જાતિ અને ભાષા આધારિત લઘુમતીની સાથે બહુવચનવાદનો પ્રભાવ રાજકારણ પર રહ્યો છે.
માણસની પ્રકૃતિ છે કે જે સરળતાથી મળ્યું હોય એને ‘ગ્રાન્ટેડ’ લેવું. આઝાદીનાં અમુક દાયકાઓ પસાર થઇ ગયા પછીની પેઢીને માટે લોકશાહી એક એવી બાબત હતી જેને ‘ગ્રાન્ટેડ’ ગણવામાં આવી. તમામને સમાન હક આપતું લોકશાહી તંત્ર ત્યારે જ સફળ થઇ શકે છે જ્યારે સમાજના તમામ સ્તરનાં લોકો તે ઘડવામાં ભાગ લે, ટૂંકમાં, રાષ્ટ્રની રાજકીય પ્રક્રિયામાં સામાન્ય માણસ પણ ભાગ લે. વિશ્વના સૌથી મોટા લોકશાહી તંત્ર ભારતમાં આ બે પગલાંની પ્રક્રિયાને બહુ ગંભીરતાથી ન લેવાતી હોવાથી તે અમુક ઉચ્ચ વર્ગનાં લોકોની ભાગીદારી સુધી જ સીમિત થઇ જાય છે. સમાજના ગરીબો વહીવટી પ્રક્રિયામાં દર પાંચ વર્ષે, ચૂંટણી ટાણે જ ભાગ લે છે અને આમ લોકશાહીની સફળતાની ભાગીદારી બધાને હિસ્સે નથી આવતી.
કમનસીબે રાજકીય પક્ષો દ્વારા ઇલેક્ટોરલ સિસ્ટમનો દુરુપયોગ તથા મૂલ્યો અને નીતિઓ સાથે સમાધાન કરનારા રાજકારણીઓની સંખ્ય વધી. રાષ્ટ્રીય હિત ખૂણામાં ધકેલાવા માંડયું. લોકશાહીની પ્રક્રિયામાં અંગત સ્વાર્થ સાથે નૈતિક અને આર્થિક ભ્રષ્ટાચાર પણ વધ્યા.
લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં જંગી બહુમતથી સત્તા પર આવેલ ભા.જ.પા. કૉન્ગ્રેસના એકધારા શાસનથી કંટાળેલી પ્રજાનો નિર્ણય છે. આઝાદી પછી કૉન્ગ્રેસને આ જ રીતે આખા રાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી આધિપત્ય પ્રાપ્ત થયું હતું પણ લોકોનો વિશ્વાસ કૉન્ગ્રેસ પર પંદરેક વર્ષ ટક્યો. નેવુંના દાયકામાં ગઠબંધનની સરકાર રચવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો કારણ કે કદમાં મોટા થયેલા પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવા પોતાનો રસ્તો કાઢવા માંડ્યા. રાષ્ટ્રીય હિત કેન્દ્રીય સ્તરે નક્કી કરીને આગળ વધવાને બદલે હવે પક્ષીય હિત પ્રાથમિકતા બન્યું. પ્રદેશવાદ અને જાતિવાદમાં વધ્યાં અને સરકાર રચવાની પ્રક્રિયા ‘સર્કસ’માં ફેરવાઇ ગઇ.
વળી આર્થિક સુધારાઓમાં મોટા ફેરફારો થયા જે નરસિંહા રાવની સરકાર દમિયાન થયા. હવે દલિત અને અન્ય પછાત વર્ગોની ગતિ વધી અને કૉન્ગ્રેસને ચાવીરૂપ મતની ખોટ પડવા માંડી. આ સંજોગોને કારણે રાજકારણમાં જે ફાટ પડી તેમાં વાજપાઈનાં સમયે ભા.જ.પા.એ હિંદુત્વના એજન્ડાની ધજા ફરકાવી. જે ઉચ્ચ વર્ગોને કૉન્ગ્રેસ પરિવાર વાદી પક્ષ લાગતો હતો, સમાજનું એક સ્તર જે જાતે રાજકારણ સાથે જોડી નહોતું શકતું તે બધાયને હિંદુત્વનું કાર્ડ માફક આવ્યું અને રાતોરાત ભારતીય રાજકારણનાં ચહેરાની રેખાઓમાં ફરી પરિવર્તન થવા માંડ્યું.
૨૦૧૪ પછી જે રીતે આપણું રાજકારણ બદલાયું તેમાં લોકશાહી કોરાણે મુકાઇ. ઉદારમતવાદી નીતિઓ અને મોબાઇલ ક્રાંતિમાં ઉછરેલી પેઢી લોકશાહીને સમજવામાં કાચી પડી. ભા.જ.પા.એ પોતે આમૂલ પરિવર્તન આણશે અને પહેલાની સરકારે આપેલા જે વચનો પૂરાં નથી કરાયા તે બધાં પોતે પૂરાં કરશેની વાતો શરૂ કરી. સૂટબૂટની સરકારથી હવે ચા બનાવનારા સામાન્ય માણસે ઘડેલી સરકાર દેશનું ભલું કરશેનો પ્રચાર પણ મોટે પાયે કરાયો. કૉન્ગ્રેસને એલિટ ગણનારાઓ અથવા કૉન્ગ્રેસે કશું જ નથી કર્યું એમ માનનારાઓને આ પ્રચાર માફક આવ્યો. આપણી લોકશાહીમાં વિચારધારાને બદલે વ્યક્તિ પૂજા, પૉપ્યુલિસ્ટ રાજકારણની એક નવી જ ઊંચાઇ જોવા મળી. હિંદુ મુસલમાનનું રાજકારણ હવે તમે કાં તો મોદી સાથે છો અથવા તેની સામે છોના ધ્રુવીકરણમાં ખેલાવા માંડ્યુ. હિંદુત્વનું રાજકારણ સૂક્ષ્મ સ્તરે સતત ખેલાઇ રહ્યું છે. કાશ્મીરનો મુદ્દો, એન.આર.સી. અને કેબનો ખેલ જેવાં પગલાં ભા.જ.પ. સરકારે બહુ ઝડપથી લીધા. સાથે કૉન્ગ્રેસે જે નથી કર્યું એ અમે કરીએ છીએનું ગાણું પણ સતત ચાલુ રાખ્યું. મોંઘવારી, રોજગારી, માળખાકીય સવલતો જેવા પ્રશ્નો પહેલાં કરતાં વધારે સંકુલ બન્યા છે પણ વ્યક્તિ પૂજામાં ઘેલી થયેલા સમાજના પેટનું પાણી હજી તો નથી હલતું. લોકશાહીની વિશાળતા સમજવા જેટલું ડહાપણ મળે એ જરૂરી છે નહીંતર આ વખતે કટોકટીમાં કચડાઇ ગયા પછી સમજાશે કે કેટલું ગુમાવ્યું અને કેટલું મેળવ્યું.
બાય ધી વેઃ
મોદી સરકારની વાતમાં એક સૂર સતત સંભળાય છે કે અમે દેશમાં ડોહળાયેલા માહોલને સ્વચ્છ કરવા માગીએ છીએ. સ્વચ્છતા અભિયાન લોકશાહીનો સફાયો ન બની જાય તે આપણી જવાબદારી છે. લોકશાહી આપણને માત્ર મતાધિકાર નથી આપતી બલકે સમાનતા પણ આપે છે. અસમાનતા અને વૈમનસ્ય લોકશાહીના સત્વ માટે ઊધઈ સાબિત થશે. લોકશાહી રાષ્ટ્રની પ્રજા તરીકે આપણે યાદ રાખવું જ પડશે કે આપણને અંતે તો એ જ રાજા મળે છે જેને આપણે લાયક હોઇએ. લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર નજર કરીને આપણું માનસ સંતુલિત રાખવાની જવાબદારી આપણે નહીં ઉપાડીએ તો ડેમોક્રસી ઇન્ડેક્સમાં છેલ્લા પચાસમાં ય કદાચ આપણો ક્રમાંક નહીં આવે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2020
![]()


સંવેદનશીલ સર્જક સમાજથી નિરાળો રહીને કંઈ કરી શકતો નથી. સમાજ અને સામાજિક સમસ્યાઓ સાથેની એની નિસબત એને સમસ્યાઓના આલેખન માટે પ્રેરે છે. ગુજરાતી નવલકથા સાહિત્યનાં વિદ્યમાન સ્ત્રી સર્જકો પૈકી સર્જક પિતાની દીકરીઓ, બે સેન્સિટીવ સિસ્ટર વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા સમસ્યામૂલક નવલકથાઓનાં સર્જન માટે જાણીતાં છે. એક વિદ્રોહી નારીવાદી લેખિકા તરીકે ઈલા આરબ મહેતાએ સ્ત્રી અત્યાચાર અને સ્ત્રી સમસ્યાઓ પર આધારિત ‘રાધા', 'બત્રીસ પૂતળીની વેદના’, 'પાંચ પગલાં પૃથ્વી પર’ જેવી અનેક સર્જનાત્મક કૃતિઓ આપી છે. 'વાડ' સામાજિક સમસ્યા અને નારી સમસ્યાને કેન્દ્રમાં રાખી લખાયેલી હેતુપ્રધાન નવલકથા છે. નવલકથાની પ્રસ્તાવના, 'ગ્રહીને હસ્ત હસ્તેથી'માં નિખાલસ કેફિયત આપતાં તેઓ કહે છે. – 'એક સર્જકની માઈન્ડ વર્કશોપ તો ક્યારે ય બંધ નથી હોતી ક્યાંક જોયેલું, ક્યાંક સાંભળેલું, ક્યારેક મનમાં ઊગી નીકળેલું – એમ બધી બાજુથી આ મનમાં હથોડા ટિપાયા કરતા હોય છે, ઘાટ ઘડાતા હોય છે. આમાંથી ક્યારેક સંઘેડાઉતાર કૃતિ નીપજી આવે તો વળી કોઈ વાર કાચાપાકા આકારો. આકારોના ટુકડા મનની ભીતર પડ્યા રહે. પછી કોઈ નવી કૃતિ રચાતી હોય ત્યારે આપોઆપ તે પ્રગટતા રહે, નવા સર્જનમાં ગોઠવાતા રહે’. (પ્રસ્તાવના પૃ. ૪) લેખિકા કૃતિની સર્જન પ્રક્રિયાને સહજ અને સરળ રીતે સમજાવે છે. 'વાડ' નવલકથાની રચના પ્રક્રિયા – કયા નિમિત્તે આ કૃતિનું કથાબીજ સર્જકની મનોભૂમિમાં રોપાયું અને અંકુરિત થયું તેમ જ એના વિકાસમાં કયા કયા પરિબળોએ સહાય કરી છે તેનું વિગતવાર અને નિખાલસ કબૂલાતનામું તેઓ આપે છે. 'જગત પરેમી' જેવા લગભગ દોઢસો વર્ષ પહેલાંના સામાયિકનો બાઈન્ડ સંપુટ, 'મધ્યકાલીન ભારત – (લે. ઓ.પી. સિંહ)' , 'હિસ્ટ્રી ઓફ જેરુસલેમ', 'ઓ જેરુસલેમ'. 'હિસ્ટ્રી ઓફ ગોડ' – (કેરેન આર્મસ્ટ્રોંગ)', 'બાઈબલ એજ અ હિસ્ટ્રી – (વર્નર કેલર)', 'ઇન ધ શેડો ઓફ ધ સ્વોર્ડ – (એમ.જે. અકબર)’, 'સીઝર એન્ડ ક્રાઈસ્ટ' અને 'એજ ઓફ ફેથ' (વિલ ડ્યુરાં) જેવા ગ્રંથોનો ગહન અભ્યાસ અને સુરેશ દલાલ સંપાદિત 'ધરતીનો છેડો ઘર' વાંચતા શરીફા વીજળીવાળાનો એક લેખ – એક સિંગલ મુસ્લિમ સ્ત્રીની ઘર શોધવાની મથામણમાંથી 'વાડ' નવલકથા નીપજી છે.
'વાડ' નવલકથાના કેન્દ્રમાં સૌરાષ્ટ્રના ગામડા ગામમાં વસતા એક સીધા સાદા મુસ્લિમ પરિવાર અને તેની દીકરી ફાતિમાના જીવનસંઘર્ષની કથા છે. સામાન્ય રીતે આપણા સમાજના લોકો, હિંદુ, મુસ્લિમ વર્ષોથી હળીમળીને રહેતા આવ્યા છે. ગામડામાં તો દરેક લોક પરસ્પર મદદની ભાવનાથી જીવતા …. કૌટુંબિક સંબંધો પણ મજબૂત હતા. સમાજમાં સમરસતાનું વાતાવરણ પ્રવર્તતું હતું. આમ છતાં મનમાં ઊંડે ઊંડે …. વિધર્મીની ભાવના ડંખ્યા કરતી. વિશેષ કરીને હિંદુસમાજની ચુસ્ત વર્ણવ્યવસ્થાની પરંપરાનાં મૂળિયાં ધારીએ છીએ તેના કરતાં વધુ ઊંડા નીકળ્યા. આજે 2020ના વર્ષે પણ સમાજ તો વર્ગોમાં વહેંચાયેલો જ છે. હિન્દુ ધર્મ કરતાં ઇસ્લામની જુદી પડતી ધાર્મિક વિધિઓ, માન્યતાઓને કારણે પ્રચ્છન્ન અણગમો તો પહેલેથી જ મનમાં હતો. એનાં કારણો શોધવા કદાચ દૂર ઇતિહાસમાં જવું પડે. સોમનાથ અને બાબરી બે એવી ઘટનાઓ હતી જેણે બંને પ્રજાઓ વચ્ચે અવિશ્વાસની દીવાલ ઊભી કરી દીધી. એમાં વળી પાકિસ્તાનનાં અડપલાં બળતામાં ઘી હોમવા બરાબર હતાં. બિનસાંપ્રદાયિક ભારતમાં સંપ્રદાયવાદ અને ધાર્મિક કટ્ટરતાનું જોર વધતાં વિચારધારાની લડાઈ શરૂ થઇ. ઈ.સ. ૧૯૯૦ પછી ભારતીય સમાજમાં પરિવર્તનની શરૂઆત થઇ. જાણે દરેકને પોતાની અસ્મિતાનું જ્ઞાન ને ભાન થયું !! આધુનિકતા તરફ આગળ વધતું વિશ્વ માનસિક સંકીર્ણતાનો શિકાર બન્યું . વર્ગ, વાડા અને વર્ણમાં જ લોકો સલામતી જોવા લાગ્યા ! એટલે 'આપણાવાળા', 'અમારા છે', 'અપને વાલે'માં સમાજ વહેંચાવા લાગ્યો ! લેખિકા કહે છે તેમ – 'અમુક તમુક ધર્મમાં માનનારી પ્રજાનું – સમસ્ત સમુદાયના માનસનું આવું પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે ? કોણ કરે છે ? કે એવું બને – પેઢી દર પેઢીના સંસ્કારો રક્તમાં એવા ભળી જાય કે તે તે કોમના સામૂહિક અસ્તિત્વનો ભાગ બની જાય છે. કોમની ઓળખ બની જાય છે …' (પૃ. ૭, ૮) આ ઓળખને ટકાવી રાખવા ઝનૂની ધર્મરક્ષકો ચોકી પહેરો મૂકી દે છે. અધૂરામાં પૂરું કર્યું પ્રિ-ગોધરા અને આફ્ટર ગોધરાએ !
આજે ૨૬મી જાન્યુઆરી. આજના દિવસે ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક થયું હતું અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. મને કોઈ પૂછે કે આઝાદી દિન અને પ્રજાસત્તાક દિનમાં કોની ઉજવણી વધારે ઉમંગ અને ઉત્સાહથી કરવી જોઈએ, તો હું કહીશ કે પ્રજાસત્તાક દિનની. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો ભારતને આઝાદ કરીને સત્તા સોંપીને જતા રહ્યા હતા. કોને સત્તા સોંપી હતી? ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ પક્ષોની બનેલી વચગાળાની રાષ્ટ્રીય સરકારને સત્તા સોંપીને અંગ્રેજો ગયા હતા, ભારતની પ્રજાને નહીં.
બંધારણના મુસદ્દાને ૧૯૪૯ના સપ્ટેમ્બર મહિનામાં અંતિમ રૂપ અપાઈ ચૂક્યું હતું. એ મુસદ્દાને બંધારણસભાએ ૧૯મી નવેમ્બરના રોજ માન્યતા આપી હતી. એ નિમિત્તે ‘હિંદુસ્તાન ટાઈમ્સે’ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના એક મહત્ત્વના સભ્ય કનૈયાલાલ મુનશીને ભારતના બંધારણના ભાવિ વિશે એક લેખ લખવાનું કહ્યું હતું. મુનશીએ પહેલી ઓક્ટોબર ૧૯૪૯ના ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના અંકમાં લખ્યું હતું કે એકંદરે બંધારણમાં ક્લ્પેલા અને દર્શાવેલા ભારતના પક્ષે રાષ્ટ્રીય સર્વસંમતિ છે, પણ તેની સામે જોખમ પણ છે. જો ભવિષ્યમાં સામ્યવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ભારતમાં સામ્યવાદી તાનાશાહી લાગુ કરશે અને ભારતમાં અરાજકતા સર્જાશે અને જો હિંદુત્વવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ફાસીવાદી રાજ્યને લાગુ કરશે. મુનશીના શબ્દોમાં, “If the C.P.I. wins India will be in chaos and if the R.S.S. wins India may lapse into a strong Fascist state.”