'તમને કુલપતિ બનાવવામાં આવે છે.'
‘આભાર, સાહેબ.'
'આગલા કુલપતિ સામે ૯૦ કેસ થયા છે.'
'ચિંતા ન કરો, હું સેન્ચુરી મારીશ.'
'અક્કલ વગરની વાત ન કરો.'
'તો અક્કલવાળી વાત શું છે?'
'તમારી સામે કોઈ કેસ ન થવા જોઈએ.'
'કુલપતિ હોઉં ને કેસ ન થાય ?'
'ના જ થાય.'
'તો, તો મારામાં ને સ્ટુડન્ટમાં ફેર શો?'
'કુલપતિ સ્વચ્છ હોવો જોઈએ.'
'હું સફાઈ કામદાર નથી, કુલપતિ છું.'
'તમે ગંદકી ફેલાવવા જવાના છો?'
'ના. અગાઉની ગંદકીમાં રહેવા જવાનો છું.'
'એટલે તમે ગંદકી વધારવાના છો?'
'ના. મારે ગંદકી બચાવવાની છે.'
'તમે નેતા નથી.'
'પણ નેતા જ તો કુલપતિ નીમે છે ને !'
'તેમ ન હોત તો તમે નીમાયા હોત?'
'ના. કોઈ શિક્ષણશાસ્ત્રી નીમાયો હોત !'
'એટલે જાવ ને કુલપતિ તરીકે કામ કરો.'
'આભાર, સાહેબ!'
'યાદ રાખો તમારે ખર્ચ ઘટાડવાનો છે.'
'મને એ કહો કે હું કુલપતિ છું કે ભિખારી?'
'કુલપતિ!'
'તો કુલપતિ ફૂલપત્તી જેવો ખર્ચ કરે?'
'તમારે તમારી પબ્લિસિટી કરવાની નથી.'
'તમે આખા પાનાની જાહેરાત આપો છો ને?'
'હું તો નેતા છું.'
'તો મને અડધું પાનું તો આપો.'
'નોટ પોસિબલ !'
'કુલપતિ હોય ને કૌભાંડ ન કરે ?'
'ન કરે. એને માટે બીજા છે.'
'તો મને એ બીજામાં મૂકો.'
'બીજા જેટલું તમારું ગજું નથી.'
'એક વાર તક તો આપો. હું તમને આંટી જઈશ.'
'નોનસેન્સ ! તમારે કુલપતિ થવું છે કે નહીં?'
'તમે કોઈ, 'બીજા'ને જ ત્યાં મૂકો, સોરી !'
૦
ગરબા
૦
'સાહેબ, આ વખતે ગરબા નથી કરવાના?'
'ના. રોગચાળો છે એટલે ગરબા નહીં થાય.'
'સાહેબ, અમારે મરવાનો વારો આવશે.'
'ગરબા કરશો તો મરવાનું અમારે આવશે.'
'એ કઈ રીતે?'
'તમે બધા ભેગા થાવ તો રોગ વકરે કે નહીં?'
'ખાણીપીણીની લારી પર ભીડ થાય જ છે ને !'
'પછી ગરબામાં ભીડ કરવાની જરૂર છે?'
'આ વખતે તો પેટા ચૂંટણીમાં ય ભીડ થશે.'
'પછી તમે ગરબા શું કામ કરવા માંગો છો?'
'તમે ભીડ કરો તે ચાલે? ને અમે કરીએ તો …'
'અમારે ગરબા નહીં, ચૂંટણી કરવાની છે.'
'તે ગરબાની ભીડ જેવી જ હશે.'
'તેમાં તું ગરબા ગાને, મને વાંધો નથી!'
'તે તો ગાઈશ જ ને !'
'સરસ. અમારે પ્રચારમાં કામ લાગશે.'
'હું તો ચૂંટણીના ગરબા ગાઈશ.'
' તે માતાના હોય કે પિતાના, તને શું ફેર પડે છે?'
'કંઈ નહીં, બોલો શ્રી અંબે માત કી જાય !'
૦
અટપટું ચટપટું
૦
'લોકો માસ્ક પહેરતા નથી, શું કરીએ?'
'માસક પહેરવાની ઝુંબેશ તો ચાલુ કરી જ છે.'
'તેમાં જ લોકો માસ્ક નથી પહેરતા ને !'
૦
'દેશમાં ઓક્સિજન ઘટી ગયો છે.'
'તો, તો વહેલી તકે દેશને હોસ્પિટલ ભેગો કરો.'
૦
પ્રગટ : કાવ્યકૂકીઝ’ કટાર, ‘અર્ધસપ્તાહિક' પૂર્તિ, “સંદેશ”, 07 ઑક્ટોબર 2020
![]()


મુંબઈના ગિરગામ વિસ્તારના અવંતિકાબાઈ ગોખલે રોડને એક નાકે, વિલા બેલ-વ્યુ મકાન હેઠળ, વરસોથી, સેન્ડવીચ બનાવતા ને વેંચતા રાજુભાઈનો બાંકડો મંડાતો રહેતો. અમારા નિવાસસ્થાનેથી ઊતરતાં રાજુભાઈ જોડે વાતચીત થયા કરે. ચાળીસેક વરસથી આમ રાજુભાઈ જોડે પરિચય. અને પછી તો તેમણે બનાવેલી સેન્ડવીચ લઈને અમે ઘેર આવતાં અને માણતાં. સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનો સરંજામ અને એવા જ તે ખુદ પણ ચોખ્ખા. અમારી ગલીના દરેક દુકાનદાર સાથે તેમનો સદ્દગુણી વ્યવહાર. ક્યારે ય ન કોઈ જોડે ઊંચે સાદે વાત કરે, કે ન કોઈનું તેમણે લગીરેક મનદુ:ખ પણ કર્યું હોય.
દિલ્હીમાં નિર્ભયાના નામે ઓળખાવાયેલી યુવતીની બળાત્કાર અને હત્યાનો કરુણ પ્રસંગ બન્યો, ત્યારે દેશ આખો આંદોલિત થઈ ઉઠ્યો હતો. વિરોધ પક્ષો ઉપરાંત ઘણા સંવેદનશીલ નાગરિકો પણ રસ્તા પર ઉતર્યા. ત્યાર પહેલાં કે પછી બનેલા બળાત્કારના બીજા સેંકડો બનાવ એટલા જ કરુણ હતા. પરંતુ કેટલાક બનાવ વિશેષ મહત્ત્વ ધારણ કરી લે છે અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની જાય છે. એવા વખતે, ‘આ એક જ બનાવને આટલું મહત્ત્વ કેમ અને બીજા બળાત્કારના બનાવો અગત્યના નથી?’ એવો સવાલ તાર્કિક લાગે. છતાં, આવી ‘વૉટઅબાઉટરી’ (‘તમે આની વાત કરો છો, પણ પેલું થયું ત્યારે તમે ક્યાં હતા?’) ન્યાયની વાત કરતા નાગરિકોને પરવડે નહીં. તેમણે એ ધ્યાન રાખવાનું હોય કે મુદ્દાની ચર્ચા અત્યાચાર પર અને વહીવટી તંત્રની – ન્યાયતંત્રની ભૂમિકા પર કેન્દ્રિત રહે.