પાંચમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
ગરબે રમતી નાર એ તો નોરતાનો જીવ કહેવાય.
પણ વર્ષમાં આ નવ દિવસ ગરબા રમવા સિવાય મહિલાઓ કંઈ રમતી હોય એવું મનમાં નથી આવતું, મા !
મેદાનો ક્રિકેટ રમતાં છોકરાઓથી ભરેલાં હોય છે. ક્રિકેટ રમતી છોકરીઓથી ભરેલાં મેદાનો તો જવા દો, પણ ઘણી છોકરીઓ જ્યાં એકદમ છૂટથી રમતી-કૂદતી હોય તેવી જગ્યાઓ માડી, કેટલી દેખાય છે ?
રમવું તો મન અને શરીર બન્નેનાં આનંદ તેમ જ તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. પણ એ તો જાણે છોકરાઓ માટે જ ! મેદાની રમતોની હરીફાઈઓમાં ભાગ લેતી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ય ઘણીએ ઓછી.
હે મા ! તમને એવી પ્રાર્થના કે અનેક દેશોમાં એવો માહોલ બને કે જ્યાં શેરી, રસ્તા, કૉમનપ્લૉટ કે મેદાનમાં પોતાની પસંદગી મુજબ મન મૂકીને રમવું એ પ્રવૃત્તિ, છોકરાઓ સાથે જેટલી સહજ રીતે જોડાયેલી છે, એટલી જ છોકરીઓ સાથે પણ જોડાયેલી હો !
21-10-2020
![]()


ગરબામાં કાળક્રમે સામાજિક અને રાજકીય વિષયો, સામાજિક કથા, વ્યથા, કટાક્ષ, હાસ્ય, મેણાં-ટોણાં, ઠઠ્ઠા-મશ્કરી, મિલન-વિરહ સહિતનું ભાવ – વિશ્વ ગરબાને સતત નવાં નવાં રંગોમાં રંગતું રહ્યું. નારીચેતનાને ઉજાગર કરતો ગરબો વાગ્યો રે ઢોલ … છેલ્લે આપણે ફિલ્મ ‘હેલ્લારો’માં ય સાંભળ્યો. પણ એનાં મૂળ તો એ પહેલાં મંડાઈ ચૂકેલાં હતાં. નારી જાગૃતિના એક અત્યંત જાણીતા ગરબા એક લાલ દરવાજે તંબૂ તાણિયાં રે લોલ..માં અમદાવાદ નગરીનું સુંદર વર્ણન કરીને પછી કવિ કહે છે કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી! આ રીતે લોકગીતો સંદેશનું માધ્યમ બનતાં. અમદાવાદ વસતાં કવયિત્રી સરૂપ ધ્રુવના ગરબામાં વર્ષો પહેલાં ખરા અર્થમાં નારીશક્તિ ઉજાગર થઈ હતી. સરૂપબહેનના લખેલા બે-ત્રણ ગરબા તો બહેનોએ ગામેગામમાં પ્રચલિત કર્યાં હતા. આ ગરબાઓમાં સરખી સાહેલી, અમે ઈડરિયો ગઢ જીતીશું, અચકો મચકો કારેલીના ઢાળ પર ઢાળેલો ગરબો ઈત્યાદિ પરિવર્તનનું નિમિત્ત બન્યા હતા. વડોદરાની ‘સહિયર’ સંસ્થાએ તો સરખી સાહેલીને સંસ્થાના થીમ ગરબા તરીકે લોકપ્રિય બનાવ્યો હતો.
“મારી જિંદગીની અંદર મેં અનેક કાર્યો કર્યાં છે. તેમાંનાં ઘણાં કાર્યોને માટે મારા મનમાં હું મગરૂરી પણ માનું છું. કેટલાકને સારુ પશ્ચાતાપ પણ થાય છે. એમાંના ઘણાં મોટી જવાબદારીવાળાં પણ હતાં. પણ અત્યારે જરાયે અતિશયોક્તિ વિના હું કહેવાને ઇચ્છું કે, મેં એવું એક પણ કાર્ય નથી કર્યું કે, જેની સાથે આજે કરવાના કાર્યનો મુકાબલો થાય. આ કાર્યમાં મને ભારે જોખમ લાગે છે. તે એ કારણથી નહીં કે એમાં પ્રજાને નુકસાન રહેલું છે, પણ મને દુઃખ થયા કરે છે અથવા હું મારા મનમાં મુકાબલો કરી રહ્યો છું. તે એક જ વસ્તુ છે કે હું જે કાર્ય કરવા બેઠો છું તેને માટે હું લાયકાત ધરાવતો નથી. આમ હું વિવેકદૃષ્ટિએ નથી કહી રહ્યો, પણ મારો આત્મા જ કહે છે તે હું તમારી સામે આલેખી રહ્યો છું. મને જો ખબર હોત કે અત્યારે જે કાર્ય કરવાનું છે તે કેળવણીનો જે ખરો અર્થ છે તેને અવલંબીને કરવાનું છે તો મારે આ પ્રસ્તાવના મૂકવી ન પડત. આ મહાવિદ્યાલયની પ્રતિષ્ઠા કરવાનો હેતુ કેવળ વિદ્યાદાન આપવાનો નથી, પણ આજીવિકાની પ્રાપ્તિને સારુ સાધન કરી આપવાનો પણ છે, અને એ સારુ આ વિદ્યાલયની સરખામણી ગુજરાત કૉલેજ આદિની સાથે કરું છું ત્યારે મને ઘૂમરી આવે છે.
