વળી ‘આફતને અવસરમાં બદલવી’-વાળી જે વાત છે, એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો?
સત્તા પર આવ્યાને નરેન્દ્ર મોદીને સાડા છ વર્ષ થયા છે. આટલાં વર્ષોના શાસનમાં હાલમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન મોદી માટેનો સૌથી મોટો પડકાર છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ‘સત્તા મળવાથી પરિવર્તન રાતોરાત થઇ શકે છે’નો ભ્રમ ખોટો સાબિત થઇ રહ્યો છે. બહુમત મળવાથી મતભેદો દૂર નથી થતા, સત્તા હોવાથી લોકો બધું જ સ્વીકારી લે એમ નથી હોતું. નરેન્દ્ર મોદી પાસે શું વિકલ્પ છે? અચાનક જ પસાર કરી દેવાયેલા કૃષિ કાયદાને મામલે દેશમાં વિરોધનો વંટોળ ચાલ્યો છે તેમાં એક તબક્કે રોગચાળાની બીકને કારણે કંઇક અટકશે તેવી અપેક્ષા સરકારને હોય તે સ્વાભાવિક છે પણ એવું કંઇ થયું નહીં. વિરોધનો વંટોળિયો વધારે જોરથી ફુંકાઇ રહ્યો છે. ખેડૂતો સાથેની વાટાઘાટો કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી રહી. આ આખા ય આંદોલનની સરખામણી એન્ટી સી.એ.એ. સાથે ન થવી જોઇએ, એનું સીધું કારણ છે કે સી.એ.એ.ના મુદ્દામાં ભા.જ.પા.નો ભાવતો અને ફાવતો વિષય હતો, ધ્રુવીકરણ, જરૂર પડ્યે ત્યાં કોમવાદ. શીખોને તમે મુસલમાનોમાં ફેરવીને કોઇ બીજો ખેલ ન કરી શકો. છતાં ય ખાલિસ્તાની જમીનનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ થયો, જે ઠાલો અને નિષ્ફળ રહ્યો. સી.એ.એ.ની વિરુદ્ધમાં જે ચળવળ ચાલી તેમાં ડાબેરીઓ અને બૌદ્ધિક જૂથ હતા, જેમને હાંસિયામાં ધકેલી દેવા આસાન હતું, સરકારે તેમની સાથે વાત માંડવાનો પ્રસાય પણ નહોતો કર્યો પણ ખેડૂતોને એમ ટાળી શકાય તેમ નથી. આ તરફ જે પણ આર્થિક બદલાવના પ્રયાસો કેન્દ્ર સરકારે કર્યા છે તેને એક પણ અર્થશાસ્ત્રીએ વખાણ્યા નથી, અર્થતંત્રનો સ્તંભ પોલો થઇ રહ્યો છે તેવા જ અવાજો ઊઠે છે. વળી ‘આફતને અવસરમાં બદલવી’ વાળી જે વાત છે એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો? ફટાફટ નિર્ણયો લેવાથી કંઇક સારું પરિવર્તન થશે એ ધારણા ખોટી પડી રહી છે. કૃષિ કાયદો અને પછી લેબર લૉઝમાં પણ કંઇ વળ્યું નહીં. હવે આ પરિસ્થિતિમાં મોદીએ શું એ કરવું જોઇએ જે મનમોહન સિંઘે લોકપાલ બિલ ટાણે અણ્ણા હઝારે કર્યુ હતું? તેઓ અણ્ણા સામે ઝૂક્યા, તેમના મુદ્દાને ચર્ચવા સંસદમાં સત્ર યોજ્યું, જે કબૂલવા જેવું લાગ્યું એ કબૂલીને નૈતિકતા અને રાજકીય ભથ્થું હોમી દીધા. યુ.પી.એ.-2નો ગઢ પડી જવા પાછળ અણ્ણા હઝારે એક માત્ર કારણ નહોતા, પણ ગાલાવેલા કૉન્ગ્રેસીઓ પણ આ સરકારને નડી ગયા. આ તો અણ્ણા અને લોકપાલ બિલની વાત થઇ.
હવે જે માર્ગારેટ થેચરે કર્યું હતું તે આનાથી તદ્દન વિરુદ્ધ હતું. થોડા વખત પહેલા નેટફ્લિક્સ પર ‘ધી ક્રાઉન’ સિરીઝનો ચોથો ભાગ આવ્યો, તેમા લેડી ડાયનાની વાત તો છે, પણ આયર્ન લેડી કહેવાયેલી અને બ્રિટનની પહેલી મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરની કથા પણ તેમાં આલેખાયેલી છે. શું મોદી સરાકારને માર્ગારેટ થેચરની માફક કોઇની ય પરવા કર્યા વગર જે બદલાવ લાદ્યા છે તે તો ચલાવવા જ પડશે – એવું કરવાનું માફક આવશે? જો તે એમ કરશે તો એ આપણા લોકશાહી દેશમાં કેટલાને ગળે ઊતરશે?
ખેડૂતોની વાત કરીએ તો પંજાબ અને હરિયાણાના કેટલાક ખેડૂત જૂથો રાજકીય પક્ષને રંગે રંગાયેલા હોવા છતાં પણ સપ્ટેમ્બરની આસાપાસ તેમણે રાજકારણને પોતાના આંદોલનમાં ઘુસતા રોક્યું છે. પરંતુ જ્યારે રાષ્ટ્ર વ્યાપી બંધની વાત આવી ત્યારે તે બિલકુલ બિન-રાજકારણી બંધ હશે, તેવું ગળું તાણી તાણીને કહેવાયું હોવા છતાં ય કૉન્ગ્રેસે બંધમાં ઝંપલાવ્યું. જ્યાં જ્યાં ભા.જ.પા.ની સરકાર હતી તે રાજ્યોમાં કૉન્ગ્રેસીઓ સક્રીય રહ્યા, રાહુલ ગાંધી પણ ખેડૂતોને મળવા ગયા અને તેમાં તેમની ઠેકડી પણ ઊડી. મૂળ વાત એમ કે રાષ્ટ્ર વ્યાપી બંધ રાજકારણના રંગે રંગાયા વિના ન રહી શક્યો.
વળી જોવાનું એ છે કે જે કૉન્ગ્રેસ આ ફ્રી-માર્કેટના સુધારાઓનો વિરોધ કરવામાં ખેડૂતોનો સાથ આપી રહ્યા છે અથવા તો તેમની પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે, એ જ કૉન્ગ્રેસે એક સમયે આ જ પરિવર્તનો કરવાનો પ્રયાસ કર્યો હતો. 2004માં યુ.પી.એ.ની સરકારે રાજ્યોને મોડેલ APMC એક્ટ 2003ના અમલીકરણ માટે દબાણ કર્યું હતું, આ નિયમો 2007માં બદલાયા હતા અને 2013માં કૃષિ ઉત્પાદનોના આંતર રાજ્ય વેપાર અને વાણિજ્ય બિલ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. ન્યાય મંત્રાલયે આ બિલ તૈયાર પણ કર્યું હતું પણ કોઇ કારણોસર વાત આગળ વધી જ નહીં. 2019માં પણ કૉન્ગ્રેસના મેનિફેસ્ટોમાં આ સુધારાની વાત હતી.
ભા.જ.પા. અને કૉન્ગ્રેસની લીડરશીપમાં એક મૂળભૂત તફાવત એ છે કે ભા.જ.પા.ના લીડર્સ આપણને ગમે કે ન ગમે એ આપબળે જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા છે. અત્યારની કૉન્ગ્રેસમાં મહાત્મા ગાંધી કે નહેરુની વિચારશીલતાની છાંટ પણ નથી. એક જ કુટુંબમાં એ શતરંજ રમાયા કરે છે જે શતરંજ ન રહીને સાપ સીડીનો ખેલ બની જાય છે. ભા.જ.પા.માં પરિવારવાદ અગ્રિમતા નથી અને જે જોઇએ છે તે મેળવવા તેઓ યેનકેન પ્રકારેણ સતત કામ કરતા રહે છે. કૉન્ગ્રેસના અત્યારના નેતાઓને બધું બગાસું ખાતા મ્હોમાં પડેલાં પતાસાંની જેમ મળ્યું છે, રાહુલ ગાંધી પક્ષના કપરા સમયે ક્યારેક દેશમાં તો ક્યારેક વિદેશ ભણી પ્રવાસ કરતા જોવા મળે છે. ભા.જ.પા.માં જીત મળે ત્યારે ફરી ગ્રાઉન્ડ વર્ક શરૂ થાય છે, એ પણ ત્યાં જ્યાં પક્ષ સહેજ નબળો હોવાની જાણ હોય પણ કૉન્ગ્રેસમાં કોઇને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું. સોનિયા ગાંધીની તબિયત અને ઉંમર સાથ આપે તેમ નથી, એમાં અહેમદ પટેલના જવાથી પક્ષની હાલત થોભવા આવેલા ભમરડા જેવી થઇ ગઇ છે. એ સાવ ધૂળમાં રગદોળાઇ ન જાય એ પહેલાં પરિવારે પોતાની ‘ગાદી’ ખાલી કરી દઇ, રાજકારણને પૂરેપૂરું ધર્મના કાર્ડને શરણે જતાં અટકાવવું જોઇએ.
બાય ધી વેઃ
સમસ્યાઓ પેંડોરાઝ બૉક્સમાંથી બહાર આવેલા જીવ જંતુઓની માફક ઉભરાઇ રહી છે. બન્ને પક્ષની સમસ્યાને પાર પાડવાની પદ્ધતિઓ અલગ છે. ક્યાંક શાહમૃગ વૃત્તિ છે તો ક્યાંક ‘તમ તમારે તલવાર ચલાવો, જોઇએ શું થાય છે’ પ્રકારનું વલણ છે. ભા.જ.પા.ની સફળતામાં કૉન્ગ્રેસે મૂકેલી ઢીલ બહુ મોટું કારણ છે. હજી ત્રણ વર્ષ છે કે આ વારસાગત ખેલ આ પક્ષમાં અટકે અને તો જ કદાચ લોકશાહીનો અર્ક અને અર્થ બંન્ને કોઇ રીતે સચવાશે, બાકી સરમુખત્યારશાહી કેટલી લોહિયાળ કે કેટલી અરાજકતા ફેલાવી શકે છે તેનાથી આપણે અજાણ નથી. ફરી યાદ કરાવું કે ખેડૂત બિલની વાત મૂળ તો કૉન્ગ્રેસે જ શરૂ કરી હતી પણ અમલ નહોતો થઇ શક્યો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020
![]()


૧૮ મી એપ્રિલ, ૧૯૧૭. ગાંધીજીને ચંપારણમાં મોતીહારીની અદાલતમાં બપોરે બાર વાગ્યે હાજર થવાનું હતું. જેલ જવાની તૈયારી તો તેમણે બે દિવસ પહેલાં ૧૫મી એપ્રિલે હજુ તેઓ મુઝફ્ફ્રપુર હતા ત્યારે જ કરી લીધી હતી. જ્યારે તેમણે જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી અલગ કરી ત્યારે જ તેમણે તેમના બિહારના નેતાઓને પૂછ્યું હતું કે, “જો મને જેલમાં મોકલવામાં આવે તો તમે શું કરશો?” કેટલાક નેતાઓ ચૂપ રહ્યા. એક નેતાએ કહ્યું કે તેઓ પોતાના સ્થાને પાછા ફરશે અને વકીલાત કરશે. માત્ર બાબુ ધરણીધરે કહ્યું કે આપ જેલ જશો એ પછી હું ત્યાં સુધી લોકોની વચ્ચે કામ કરતો રહીશ, જ્યાં સુધી મને ધારા ૧૪૪ હેઠળ નોટિસ આપવામાં નહીં આવે. “અને નોટિસ મળશે પછી?” ગાંધીજીના આ પ્રશ્નના જવાબમાં ધરણીધર બાબુએ કહ્યું કે ત્યારે તેઓ તેમની જગ્યાએ કોઈને આ કામ જારી રાખવા માટે ગોઠવીને આદેશ મુજબ ચંપારણ છોડીને જતા રહેશે. કમ સે કમ થોડો સમય સુધી જે કામ હાથ ધર્યું છે એ ચાલુ રહેશે. ગાંધીજીએ તેમની વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
૨૩ નવેમ્બર, ૨૦૨૦ના દિવસે ઓ.ટી.ટી. (ઓવર ધ ટોપ) પ્લૅટફોર્મ નૅટફ્લિ્ક્સ ઇન્ડિયા પર પ્રસારિત થયેલી વાસ્તવિક ઘટના પર આધારિત વૅબ સિરીઝ ‘ડૅલ્લી ક્રાઇમ’ને બૅસ્ટ ડ્રામા સિરીઝ તરીકે પ્રતિષ્ઠિત ૪૮મો ઇન્ટરનેશનલ ઍમી અવૉર્ડ એનાયત થયો. પ્રથમ વખત એક ભારતીય શોને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ થઈ હરખની વાત. આ પ્રસંગે ભારતમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’(વિષમય પુરુષત્વ)ની ચર્ચાએ વેગ પક્ડયો. વિમેન્સ સ્ટડીઝ અને જેન્ડર સ્ટડીઝના અભ્યાસક્રમોમાં વર્ગખંડ પુરતા સીમિત ખ્યાલે વાસ્તવિક જીવન સાથે તાલમેલ સાધ્યો. આપણે ત્યાં આ વિષય ઝાઝો ચર્ચાતો નથી. દૈનિકો અને અન્ય અનેક માધ્યમોમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’નો પુરતો જથ્થો પિરસતી દર્શાવતી નૅટફ્લિ્ક્સની જ વૅબ સિરીઝ ‘પાતાલ લોક’ની ખૂબ બોલબાલા રહી એટલી બોલબાલા ‘ડૅલ્લી ક્રાઇમ’ને ઍમી અવૉર્ડ મળ્યા છતાં નથી થઈ. એનું કારણ પુરુષપ્રધાન સમાજ અથવા જેને અંગ્રેજીમાં ‘the power of patriarchy’ કહે છે — પુરુષપ્રધાન સમાજની સત્તા. એ સત્તા ટકાવી રાખવામાં જે મદદ કરે એની વાહવાહ ને જે જોખમ ઊભું કરે અથવા બદનામી કરે એને યેનકેન પ્રકારે ઢાંકવા/દબાવી દેવાનો પ્રયત્ન કરવો. ગુનાહિત પુરુષ/પુરુષોને કે સ્ત્રી/સ્ત્રીઓને છાવરવાનાં જ ના હોય. સ્ત્રીએ હિંમત અને હોંશિયારીથી કાર્ય સફળતાપૂર્વક કર્યું હોય તો એને મુક્ત મને શાબાશી આપવાની જ હોય. એમ, સકારાત્મક પુરુષત્વ આવકાર્ય છે. બધા પુરુષો ખરાબ નથી જ હોતા. વાંધો નકારાત્મક પુરુષત્વ સામે છે એ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે.
‘ડૅલ્લી ક્રાઇમ’ નિર્ભયાકાંડ* (અહેવાલોમાં સતત આ જ નામથી ઘટનાનો ઉલ્લેખ થવાથી લોકોની સ્મૃતિમાં આ જ નામ અંકાયેલું છે માટે લેખમાં વાપરવામાં આવ્યું છે.) તરીકે કુખ્યાત, અત્યંત પાશવી અને શરમજનક સામૂહિક બળાત્કાર પર બનેલી વૅબ સિરીઝ છે. હાલમાં, ખાસ કરીને લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મોનું ચલણ ખૂબ વધી ગયું છે. હાઇ સ્પીડ ઇન્ટરનૅટ કનૅકશન દ્વારા આ માધ્યમ ફિલ્મ અને ટેલીવિઝનની સામગ્રી દર્શાવે છે. આ માટે કૅબલ કે સૅટૅલાઇટ કનૅકશનની આવશ્યકતા હોતી નથી.
ક્યાં સુધી શાહમૃગવૃતિ રાખીને આ સળગતા પ્રશ્નને અવગણ્યા કરીશું? સામાન્ય રીતે આપણા જેવા રૂઢિચુસ્ત સમાજોમાં આવી ચર્ચાને નજરઅંદાજ કરવામાં અથવા દબાવી દેવામાં અથવા વખોડી કાઢવામાં આવતી હોય છે. “આવી બધી નકામી વાતો પશ્ચિમમાં બહુ ચાલે છે, એમના ત્યાં બધું બે-લગામ ચાલતું હોય એટલે એમને સમસ્યાઓ ઘણી હોય. આપણે ત્યાં આવું નથી” અથવા “આ બધું ભૂસું મગજમાંથી કાઢી નાખો. આમ સુખી નહીં થવાય” આવાં વાક્યો સંભળાતાં હોય છે. હકીકતે, આમ, સત્યને સ્વીકારવાની તૈયારી ના રાખવી અથવા સત્યનો સ્વીકાર હોય પણ કબૂલવામાં પેટમાં ચૂંક આવતી હોય છે. આવું એટલા માટે કે પુરુષપ્રધાન સમાજમાં પુરુષની પ્રતિષ્ઠા જોખમાય ને, ખરાબ દેખાય. આવી ટૂંકી દૃષ્ટિ આપણા સૌ માટે નુકશાનકારક છે. તંદુરસ્ત સમાજ માટે સારા-નરસા બધાંને સ્વીકારી ને જરૂરી હોય તે પગલાં લેવાવાં જ જોઈએ. રોજબરોજની ઘટનાઓના અહેવાલોના સંદર્ભમાં, આ બાબતની તંદુરસ્ત અને નિષ્પક્ષ ચર્ચા ખૂબ ઈચ્છનીય છે. આ વિષયો પર સ્ત્રીઓના જેટલા લેખ વાંચવા મળે છે એટલા પુરુષો દ્વારા લખેલા મળતા નથી એ હકીકત છે.
