ફિલ્મમાં જે રીતે ન્યાય મળે એવું હકીકતમાં બનતું નથી, પુરુષ પ્રધાન સમાજમાં વાસ્તવિકતા પેચિદી હોય છે
છેલ્લા અઠવાડિયામાં જાતીય સતામણી સંબંધી ત્રણ સમાચાર ધ્યાનમાં આવ્યા. ત્રણેયનાં પરિણામ અલગ અલગ. એક તરફ દિલ્હીના મયૂરવિહારમાં રહેતી પબ્લિક સ્કૂલમાં ભણતી પંદર વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. વિદ્યાર્થિની ધોરણ નવની પરીક્ષામાં નાપાસ થઈ હતી. તે માટે એના પિતાએ શાળાના સમાજવિદ્યાના શિક્ષકને જવાબદાર ગણાવતા કહ્યું કે તેઓ પોતાની દીકરી સાથે અણછાજતું વર્તન કરતા હતા જેને કારણે એ ખૂબ મૂંઝાતી હતી. એમણે આરોપ મૂક્યો છે કે એમની દીકરીએ ગેરવર્તણૂક કરનાર શિક્ષક સામે ફરિયાદ કરી હોવાને કારણે એને નાપાસ કરવામાં આવી. પરિણામે હતાશામાં એણે આત્યંતિક પગલું ભર્યું.
બીજી તરફ, જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ જાતીય સતામણીના કેસના આરોપી એવા લાઇફ સાયન્સ વિભાગના પ્રાધ્યાપક અતુલ જોહરીની સામે દેખાવો કરી રહ્યા છે. તેમની સામે એકથી વધુ વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીઓના આંદોલનને જે.એન.યુ.ના શિક્ષકોએ પણ ટેકો કર્યો. ફરિયાદ થયાના ચાર દિવસ બાદ પણ જ્યારે પોલીસે અસરકારક કાર્યવાહી ન કરી તો વિદ્યાર્થીઓ મોરચો કાઢી પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું. બીજે દિવસે, વીસમી માર્ચના રોજ પોલીસે પ્રોફેસર જોહરીની સામે આઠ એફ.આઈ.આર. દાખલ કરી અને તેમની ધરપકડ કરી. ધરપકડ થયાની એંશી મિનિટમાં જ કોર્ટે એમને જામીન પર છોડ્યા. જે.એન.યુ.ના સત્તાધીશોએ હજુ કોઈ પગલાં લીધા નથી. વિદ્યાર્થીઓની માગણી છે કે આરોપી પ્રાધ્યાપકને રવાના કરવામાં આવે અને તેમને કેમ્પસ પર આવતા રોકવામાં આવે. એટલે વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ ચાલુ છે.
ત્રીજો કિસ્સો મહારાષ્ટ્રના થાણેનો છે. થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટના જજ આર.ટી. ઈંગળેએ પોતાના ચુકાદામાં કહ્યું કે ‘નો મીન્સ નો’. સ્ત્રી જ્યારે ના પડે છે તો એનો અર્થ ‘ના’ જ હોય છે. પણ કેટલાક પુરુષો સ્ત્રીની ‘ના’ ને ‘હા’ સમજીને ચાલે છે. જાતીય સતામણીના આ કેસમાં મહિલા વકીલે તેની સાથે કામ કરતા અન્ય વકીલની સામે ફરિયાદ કરી હતી. ઘટના 2013ની છે. પહેલા લગ્નમાંથી છૂટાછેડા લીધા પછી બીજીવાર લગ્ન માટે મહિલાએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર લગ્ન માટેની જાહેરાત મૂકી હતી. એના જવાબમાં આરોપી વકીલે ત્રણ-ચાર વાર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેનો મહિલા વકીલે અસ્વીકાર કર્યો. એક વખત કલ્યાણ કોર્ટના પ્રાંગણમાં પણ રસ્તો રોકીને લગ્નની દરખાસ્ત કરી, જે ફરી એક વાર મહિલાએ નકારી. પણ ‘ના’ સાંભળવાની ટેવ આ વકીલ મહાશયને નહિ હોય ને તે પણ છૂટાછેડા લીધા પછી બીજી વાર લગ્નની ઇચ્છા ધરાવતી મહિલા પાસેથી તો નહિ જ. તેઓ મહિલા વકીલની ઑફિસમાં રાત્રે નવ વાગ્યાની આસપાસ પહોંચી ગયા અને ફરી વાર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તંગ થયેલી મહિલાએ ફરી એક વાર જ્યારે ‘ના’ કહી તો વકીલ મહાશય ઑફિસના કર્મચારી અને અસીલની હાજરીમાં એલફેલ બોલવા લાગ્યા અને અણછાજતુ વર્તન કરવા લાગ્યા. લોકો વચ્ચે પડ્યા, તેમને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા અને સ્ત્રીની મર્યાદા પર હુમલો કરવા બદલ કેસ દાખલ કર્યો.
‘નો મીન્સ નો’ આંતરરાષ્ટ્રીય સ્તરે બળાત્કાર અને જાતીય સતામણી વિરોધી અભિયાનની ટૅગલાઇન છે. દરેક ભાષામાં ‘ના’ અને ‘હા’ની અભિવ્યક્તિ તદ્દન સ્પષ્ટ છે. એમાં કોઈ પ્રકારની અસંદિગ્ધતાને અવકાશ નથી. છતાં સ્ત્રીની ‘ના’ને ‘હા’ માનવાની ગેરસમજ ધરાવનારા વિશ્વના લગભગ દરેક ખૂણે મળી જશે. આ એવા વર્ગના લોકો છે જેમની સ્ત્રી પાસેથી ‘ના’ સાંભળવાની તૈયારી નથી. ઉપરના ત્રણેય કિસ્સામાં આરોપી પુરુષ આવી જ કોઈ માનસિકતાવાળા જણાય છે. સામે આવેલી વિદ્યાર્થિની કે પછી મહિલા સહકર્મચારીની અનિચ્છા છતાં તેની સાથે જાતીય માગ કરવામાં તેમને કશું ખોટું નથી લાગતું.
‘નો મીન્સ નો’ને આપણે ‘પિંક’ ફિલ્મ સાથે એને જોડીએ છીએ. આ ફિલ્મ આવી ત્યારે એની ઘણી ચર્ચા થઈ. પણ, ફિલ્મમાં જે રીતે ન્યાય મળતો દેખાય એ વાસ્તવિકતામાં પણ શક્ય બને એવી આશા મોટે ભાગે આપણને હોતી નથી. વાસ્તવિકતા ઘણી પેચીદી હોય છે. સમગ્ર સમાજની માનસિકતા અને કોર્ટના જજની સામાજિક માન્યતાઓમાં બદલાવ ઘણો જ ધીમો આવી રહ્યો છે. બળાત્કારના કેસમાં સ્ત્રીની મંજૂરી કે નામંજૂરી સાબિત કરવા પર સમગ્ર કેસનો મદાર હોય છે. એટલે સમગ્ર કેસની કાર્યવાહીમાં બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં એ જ પુરવાર કરવાની કોશિશ કરવામાં આવે છે કે સ્ત્રીએ સંબંધ બાંધવાની મંજૂરી આપી હતી કે નહિ. આ સૌથી પેચીદો મુદ્દો બની જાય છે. કારણ કે પુરુષ દ્વારા થતાં મર્યાદા ભંગ માટેનો કાયદો સીધો છે પણ આરોપી અને બચાવ પક્ષની પુરુષપ્રધાન સામાજિક માનસિકતા એમાં ગૂંચ પેદા કરે છે. વાત સીધી પીડિતા સ્ત્રીના ચરિત્ર પર આવી જાય છે. સ્વાભાવિક છે કે ચરિત્રનાં લેખાંજોખાં પણ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી માટે ઘડાયેલા નિયમો પર જ આધારિત હોય. સૂરજ ઢળ્યા પછી ઘરની બહાર કેમ હતી, એણે કેવાં કપડાં પહેર્યા હતાં, એ હસીને વાત કેમ કરતી હતી, પુરુષ મિત્રો સાથે જાૅક્સ કેમ કરતી હતી વગેરે જેવા વર્તનને સંબંધ બાંધવાની મંજૂરી સમજી લેવામાં આવે. એનો અર્થ એ થયો કે ઘરે પાછા આવી જવાનો નિર્ધારિત સમય, શું પહેરવું, શરમાઈને રહેવું, ઊંચેથી બોલવું નહિ, હસીને વાત કરવી નહિ જેવી સમાજે લાદેલી પાબંદીમાંથી બહાર આવીને મુક્તપણે રહેવા માગતી છોકરીઓ પાસે જાણે જાતીય છેડછાડ સામે ‘ના’ કહેવાની અધિકાર જ નથી.
ઉપરના ત્રણ કેસમાં કેટલાંક અવલોકન નોધવા જેવાં છે. પબ્લિક સ્કૂલની છોકરીના કેસમાં એણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું. કદાચ એને શિક્ષક સામે ફરિયાદ કરવાથી ન્યાય મળશે એવો વિશ્વાસ ન હતો અને પરીક્ષાના પરિણામનું મહત્ત્વ એટલું બધું હતું કે જ્યારે જાતીય શોષણની સાથે સાથે પરિણામ બગાડવા જેવી કિન્નાખોરી સામે આવી ત્યારે એને મરવું વધારે સહેલું લાગ્યું. નહિતર ખરાબ પરિણામનો ભાર પણ એણે જિંદગીભર વેઠવો પડ્યો હોત અને સંઘર્ષનો નવો મોરચો ખૂલી ગયો હોત.
જે.એન.યુ.ના વિદ્યાર્થીઓના દેખાવોથી આશ્વાસન મળે છે કે સંગઠિત પગલાંમાં શક્તિ છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીઓને સહપાઠીઓનો અને અન્ય શિક્ષકોનો ટેકો મળવાથી ન્યાય માટે ઊંચા માથે લડી શકવાની ખુમારી આવી અને પોલીસને પણ પગલાં લેવાની ફરજ પડી. જો વિદ્યાર્થી સંગઠન એમની પડખે ન આવ્યું હોત તો અન્ય કિસ્સાઓની માફક તેમની ફરિયાદ પણ દબાઈ ગઈ હોત. થાણેના કેસમાં જોઈ શકાય છે તે તંત્રમાં જો કોઈ પ્રગતિશીલ માણસ હોય તો એ ફરક લાવી શકે છે. ‘નો મીન્સ નો’નો રોમાંચક લાગતો ફિલ્મી અંત આ વાસ્તવમાં પણ શક્ય છે. થાણેના મેજિસ્ટૃેટે પ્રગતિશીલ વલણમાં એક સુખદ ચીલો શરૂ કર્યો છે.
સૌજન્ય : ‘અહેસાસ’, “દિવ્ય ભાસ્કર”, 23 માર્ચ 2018
![]()


કવિ તરીકે પેટ ભરવું શક્ય નથી, કારણ કે કવિઓ સાથે વર્ષોથી અન્યાય ચાલી રહ્યો છે. ખૂબ જ આક્રમક અને સચોટ શબ્દોમાં જાણીતા કવિ શોભિત દેસાઈ કહે છે, ‘મેં તો આજથી લગભગ બારેક વર્ષ પહેલાં રમેશ પારેખ અને મરીઝની જિંદગી પર એક નાટક લખેલું, ‘એક ખોબો ઝાકળનો’. એમાં રમેશ પારેખને વ્યથાપૂર્ણ કહેતા દેખાડેલા કે અમારી કવિતા ગાઈ-ગાઈને આજકાલના લવરમૂછિયાથી લઈને સંગીતના પુરાણા પઠ્ઠાઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા. અણુમાંથી ઘણું થઈ ગયા, પણ અમે તો એયને બેઠા રહ્યા ત્યાં ને ત્યાં અમારી ઉદાસીને પંપાળતા-પંપાળતા. એ સમયે પણ મુદ્દો ઉછાળેલો, પણ પરિણામ ન આવ્યું.
કવિ એટલે નખશિખ કવિ તરીકે જેમનો વ્યવહાર છે, જેમની આભા છે અને જેમની વાચા છે એવા સિતાંશુ યશશ્ચંદ્ર માટે આ વિષય થોડોક અભ્યાસક્રમની બહારનો છે. તેમનો કવિજીવ પોતે પૈસાની વાત પર બહુ વાત કરવા રાજી નથી થતો, છતાં તેઓ એક મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘કવિ માટે જાત સાથે પ્રામાણિક રહેવું, ભાષા સાથેની આત્મીયતા હોવી અને સંસ્કૃિત સાથેનો સ્નેહભર્યો ઊંડો નાતો હોય એ ત્રણ બાબત હંમેશાં મહત્ત્વની હતી અને આજ સુધી રહી છે. આજે આપણે ત્યાં ભાષા સાથે ચેડાં થવા માંડ્યાં છે. એક વાત મારે ખાસ કહેવી છે કે કવિ કોઈ વેપારી નથી. કાવ્યરચના તેના માટે અથોર્પાર્જનનું સાધન નથી. જીવનનિર્વાહ માટે માણસ તરીકે તે ઘણું કરી શકે છે, પણ કવિ તરીકે કવિતાઓમાં આવું કોઈ ધ્યેય ન જ હોય, હોવું પણ ન જોઈએ. હું કવિ તરીકે જે કરું છું એ મારી શોધનો એક ભાગ છે. જાણવાની, સમજવાની અને જેમાં ખલેલ પડે ત્યાં પડકારો ફેંકવાની આ યાત્રા છે. કવિતા વેચવાની નથી. કવિ તરીકે હું પોતે કવિતાઓમાંથી અથોર્પાર્જનનો વિચાર ન કરું; પરંતુ સામે પક્ષે સમાજની એ જવાબદારી ચોક્કસ છે જેમાં તેણે કવિની ગરિમાનું, કવિના અધિકારનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત રીતે કલ્ચર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી એટલે આનાથી વધારે આ વિષય પર કંઈ કહી ન શકું.’
ખેડૂત, લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઑલ ટાઇમ ગઝલકાર એવા ૮૩ વર્ષના ખલીલ ધનતેજવી માટે આ મુદ્દો ફાઇનૅન્સ કરતાં ઇમોશનનો વધુ છે. ખલીલભાઈ કહે છે, ‘આજે ગઝલ લખનારા લોકોનો નવો ફાલ આવ્યો છે. એમાં નવા લોકો આવ્યા છે, જેમાં કેટલાક સારા લેખક છે અને કેટલાકનાં કાવ્યોમાં કોઈ દમ નથી. જો કે હું બધાને જ કહું છું જે આવી રહ્યા છે તેમનો સ્વીકાર કરો. જેમ નદીમાં પૂર આવે ત્યારે કાંપ સાથે કચરો પણ આવે. જો કે પછી ધીમે-ધીમે કચરો નીચે બેસી જાય અને પછી ઉપરનું પાણી ચોખ્ખું હોય. બીજું, સદીઓથી આ ધારો રહ્યો છે, જેમાં લખનારા ૫૦૦ હોય પણ આગળ ૧૫ જ હોય. લોકપ્રિયતા ૧૫ની જ વિશેષ હોય. નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે અમે આ રીતે અમારા પ્રયત્નો કરતા રહીએ છીએ, પણ સાથે જૂના કવિઓની કાવ્યરચનાના બેફામ અને બેરોકટોક ઉપયોગ બદલ સમાજનું વલણ પણ બદલાવું જોઈશે.’
‘પૂછીને થાય નહીં પ્રેમ’ જેવાં અઢળક રસાળ ગીતો અને કાવ્યો આપતા કવિ તુષાર શુક્લની દૃષ્ટિએ આજના સમયમાં કલમજીવી બનવા માટે તમે માત્ર કાવ્યરચનાઓ રચીને સંતોષ માનશો તો ગુજરાન નહીં ચાલે. તમારે કલમની ચાહનાના અન્ય રસ્તાઓ પર કામ કરવું પડશે. આજે ઘણા લેખકો એ દિશામાં છે જ. કવિતાઓ લખનારા કવિઓ સાથે જાહેરખબરો માટે જિંગલ લખે, ફિલ્મો માટે ગીતો લખે અને નાટકો તથા ફિલ્મોમાં પણ લખે. તુષારભાઈ કહે છે, ‘આજે આપણે ત્યાં જાવેદ અખ્તર જેવા મહાનુભવોએ લેખકો અને ગીતકારોના અધિકારો માટે તેમની રચનાને કૉપીરાઇટ અંતર્ગત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, જે કવિઓ માટે જરૂરી છે.