જવાહરલાલ નેહરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત એમ ખુદ વડા પ્રધાને સંસદમાં કહ્યું હતું.
શું ફરક પડ્યો હોત તો કહે આખેઆખું કાશ્મીર ભારતના કબજામાં હોત વગેરે. જમ્મુ અને કાશ્મીરની નીતિમાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે બહુ મોટા મતભેદ હોવાનાં કોઈ પ્રમાણ મળ્યાં નથી એમ વડા પ્રધાન પોતે કોઈ પ્રમાણ રજૂ નથી કરી શક્યા, પરંતુ ચીનના પ્રશ્ને નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ હતા એ ઉઘાડું સત્ય છે.
સરદાર પટેલે જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે ચીન પર ભરોસો મૂકવા જેવું નથી. તિબેટ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ તરીકે જળવાઈ રહે અને ચીન ભારતના સીમાડાથી દૂર રહે એ માટે ભારતે પ્રયત્ન કરવો જોઈએ. સરદારથી ઊલટું નેહરુ ચીન પર ભરોસો કરવામાં અને ચીનને સહયોગ કરવામાં માનતા હતા. રહી વાત તિબેટની તો નેહરુ તિબેટની રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃિતક સ્વાયત્તતા જળવાઈ રહે એ શરતે તિબેટ પરના ચીનના દાવાને માન્ય રાખતા હતા. આખરે તિબેટના ૧૪મા દલાઈ લામાની માગણી પણ આટલી જ હતી અને આજે પણ એ જ છે. તિબેટ જ જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની માગણી ન કરતું હોય, સાચી સ્વાયત્તતાથી સમાધાની હોય તો ભારત તિબેટને બફર સ્ટેટ કઈ રીતે બનાવી શકે એ સવાલ હતો. બીજું, તિબેટ ત્યારે એક સ્વતંત્ર દેશ બની શકે અને બને તો ટકી શકે એવી કોઈ લાયકાત ધરાવતું નહોતું. પ્રમાણ જોઈતું હોય તો ઑસ્ટિૃયન પવર્ત ખેડુ હેનરિક હેરર[Heinrich Harrer]નું ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામનું પુસ્તક વાંચી જાઓ. આપણા મહેન્દ્ર મેઘાણીએ એનો ગુજરાતીમાં બહુ સરસ અનુવાદ કર્યો છે. મહેન્દ્રભાઈ જે કરે એ ઉત્તમ જ હોય. હેરરના વૃત્તાંત પર આધારિત એ જ નામની ફિલ્મ પણ બની છે.
જવાહરલાલ નેહરુ ચીન પરત્વે દિલસોજી ધરાવતા હોવા છતાં અને ચીનને વણમાગી મદદ કરતા હોવા છતાં તિબેટની ન્યાયી માગણી તરફ તેમણે ક્યારે ય આંખ આડા કાન કર્યા નહોતા. ચીનના સર્વેસર્વા માઓ ઝેદોંગને તેમણે આંખમાં આંખ પરોવીને કહ્યું હતું કે તિબેટની માગણી યોગ્ય છે અને ચીને માન્ય રાખવી જોઈએ. ભારતે તિબેટના મામલામાં દખલ ન કરવી જોઈએ એવા ચીનના સૂચનને નેહરુએ ઠુકરાવી દીધું હતું. નેહરુએ દલાઈ લામાને સલાહ આપી હતી કે તેમણે ચીન સામે અહિંસક સંઘર્ષ કરતા પણ રહેવું જોઈએ અને ચીનના નેતાઓ સાથે સંવાદ પણ કરતા રહેવું જોઈએ. ૧૯૫૪માં દલાઈ લામા (ઉંમર વર્ષ ૨૧) માઓ અને ચાઉ એન લાઈ સાથે આંખમાં આંખ પરોવીને વાતચીત કરવા ચીન ગયા હતા. ચીન દલાઈ લામાને પાછા આવવા દેશે કે નહીં એ વિશે અંદેશો હતો, પરંતુ ૫૬ ઇંચની છાતી ધરાવતા ૨૧ વરસના બિનઅનુભવી યુવાનમાં ચીન જવાનું અને ચીનના નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરવાનું જિગર હતું.
૧૯૫૬માં દલાઈ લામા પહેલી વાર ભારત આવ્યા હતા. તેમણે નેહરુને ચીનમાં થયેલી વાતચીત અને એ પછીની ઘટનાઓનો વૃત્તાંત આપતાં કહ્યું હતું કે હવે તિબેટમાં રહીને તિબેટની સ્વાયત્તતા માટે લડવું મુશ્કેલ લાગે છે માટે તેઓ ભારતમાં રહી જાય તો કેમ? નેહરુએ તેમને તિબેટ જઈને હજી વધુ પ્રયાસ કરવાની સલાહ આપી હતી. પોતાની ભૂમિમાં રહીને લડવાથી જે ફાયદો થશે એ બહાર રહીને નથી થવાનો. તેમણે ચીનને પણ સલાહ આપી હતી કે એણે તિબેટનો પ્રશ્ન તિબેટને સ્વાયત્તતા આપીને ઉકેલવો જોઈએ. નેહરુની સલાહને અનુસરીને દલાઈ લામા તિબેટ પાછા ફર્યા હતા. જાનનું જોખમ હતું અને કદાચ આખી જિંદગી ચીની જેલમાં રહેવું પડે એવી પૂરી શક્યતા હતી અને એ છતાં દલાઈ લામા પાછા ફર્યા હતા. ૨૩ વરસના યુવાનમાં આધ્યાત્મિક બળ હતું અને આધ્યાત્મિક બળ ધરાવનારાઓની છાતી માપવા માટે ગજ ટૂંકો પડતો હોય છે. ગાંધીજી આનું ઉદાહરણ છે.
૨૧ વરસની વયે દલાઈ લામા ચીનમાં જઈને ચીની નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરી આવ્યા. ૨૩ વરસની ઉંમરે ભારતમાંની સુરક્ષા છોડીને દલાઈ લામા તિબેટમાં રહીને ચીનાઓ સામે લડવા પાછા ચીન જાય છે. ૨૬ વરસની ઉંમરે તેમને સમજાઈ જાય છે કે તિબેટમાં રહેવાથી સફળતા તો મળે ત્યારે, પરંતુ તેઓ જ્યાં સુધી તિબેટમાં છે ત્યાં સુધી દલાઈ લામાને ભગવાનની જેમ પૂજતી ભોળી તિબેટન પ્રજાને ચીનાઓ સતાવશે. દલાઈ લામાને કેદ કરવામાં આવે અને તિબેટીઓનો મોટો નરસંહાર થાય એ પહેલાં તિબેટ છોડીને નાસી જવું જોઈએ. ૧૯૫૯ની ૧૭ માર્ચે દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવી ગયા હતા.
આ વખતે બીકણ નેહરુએ તેમને તિબેટ પાછા જતા રહેવાની સલાહ નહોતી આપી. તેમણે નહોતું કહ્યું કે તમારા કારણે અમારા ચીન સાથેના સંબંધો વણસશે. ઊલટું તેમણે વિશ્વદેશોને સલાહ આપી હતી કે તેમણે તિબેટીઓને તેમની લડાઈમાં ટેકો આપવો જોઈએ. તેમણે ચીનની નિંદા કરી હતી અને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો હતો. દલાઈ લામાએ ભારતમાં રીતસર રાજધાની સ્થાપી હતી, રીતસર સરકારની સ્થાપના કરી હતી અને સંસદની રચના કરી હતી. આ બધું નેહરુ કરી શક્યા હતા, કારણ કે તેઓ બીકણ હતા. ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ તિબેટ અને દલાઈ લામાને આપવામાં આવેલો આશ્રય હતું એ જાણીતી વાત છે. એ યુદ્ધમાં ભારતની નાલેશી થઈ એ જુદી વાત છે.
ભારતનું દુર્ભાગ્ય કે ૧૯૪૭માં સરદાર પટેલને વડા પ્રધાન બનાવવામાં ન આવ્યા અને ત્યારથી એક પછી એક ડરપોક લોકોની સરકાર દિલ્હીમાં આવતી રહી. અટલ બિહારી વાજપેયીનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેઓ પણ દલાઈ લામાના પક્ષે ઊભા રહ્યા હતા. કોઈએ તિબેટના પ્રશ્ને ચીનની ખુલ્લી ટીકા કરી હતી, કોઈએ મભમ ટીકા કરી હતી. કોઈએ ચૂપ રહીને દલાઈ લામાને મદદ કરી હતી. દરેકે દલાઈ લામાને વિદેશ જવા દઈને તિબેટનો પ્રચાર કરવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારતનું વિદેશમંત્રાલય દલાઈ લામાની સરકારને મદદ કરતું રહે એવી વ્યવસ્થા કરી આપી હતી. દરેકે બિચારાએ પોતાના ગજા મુજબ તિબેટને ટેકો આપ્યો હતો. હવે ગજું જ જ્યાં નાનું હોય ત્યાં વધારે તો શું થઈ શકે?
આપણે કેટલા નસીબદાર કે ૨૦૧૪માં ભારતમાં પહેલી વાર શૂરવીરોની સરકાર આવી. હવે પહેલી વાર આશા બંધાઈ કે ચાલો, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર મુક્ત થશે. સિયાચીનનો પ્રદેશ ભારતને પાછો મળશે. દલાઈ લામા તિબેટીઓ સાથે તિબેટ પાછા ફરશે. ચીન અને પાકિસ્તાનના શાસકો અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એમ કહી નાગદમનમાંની નાગણોની જેમ પગમાં પડશે. કેવાં-કેવાં સોણલાં હતાં અને આપણી નસોમાં લોહી કેવું ઘુઘવાટા મારતું હતું.
એની વચ્ચે ચીને ભુતાનમાં ડોકલામમાં કબજો જમાવ્યો, આપણા વડા પ્રધાન દસ મહિનાથી ચૂપ છે. પાકિસ્તાનની સરહદે રોજ અથડામણો થાય છે, વડા પ્રધાન ચૂપ છે. ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર છે જેમાં વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન વતી લશ્કરી વડો નિવેદનો કરે છે. કદાચ શૂરવીરોના આવાં સ્વાભાવલક્ષણો હશે. આપણને આનો અનુભવ નથી, કારણ કે આપણે સાત દાયકા ડરપોક શાસકોનું જ રાજ જોયું છે.
દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવ્યા અને ભારતમાં આરઝી હકૂમત સ્થાપી એને ૬૦ વરસ થઈ રહ્યાં છે. તિબેટી સરકારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં દલાઈ લામા, લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લેવાના હતા. ભારતમાંના ૬૦ વરસના વસવાટ નિમિત્તે બીજા એક કાર્યક્રમનું આયોજન ભારતમાં રહેતા તિબેટીઓએ ભારતનો આભાર માનવા કર્યું હતું. ભારતમાં આશ્રય આપવા માટે ‘થૅન્ક યુ ઇન્ડિયા’ નામના એ કાર્યક્રમમાં પણ મહાનુભાવો હાજર રહેવાના હતા.
આ કાર્યક્રમ યોજાય એ પહેલાં ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે ચીન જઈ આવ્યા. ચીને દલાઈ લામાના અને તિબેટીઓના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો. વિજય ગોખલેએ સરકારને સલાહ આપી કે ચીનની નારાજગીને ધ્યાનમાં રાખીને દલાઈ લામાનો અને તિબેટીઓનો કાર્યક્રમ દિલ્હીમાં નહીં યોજવા દેવો જોઈએ. ભારત સરકારે દલાઈ લામાને જણાવી દીધું છે કે તેઓ દિલ્હીમાં કાર્યક્રમ નહીં યોજી શકે. થૅન્ક યુ ઇન્ડિયા પણ દિલ્હીમાં નહીં કહેવાય. હવે ધરમશાલામાં યોજાનારા કાર્યક્રમમાં ભારત સરકારના પ્રધાનો, પ્રતિનિધિઓ અને BJPના નેતાઓ સુધ્ધાં હાજરી નહીં આપે. ચીન નારાજ છે અને ડોકલામમાં છાતી પર બેઠું છે એટલે ચીનાઓને રાજી રાખવા જરૂરી છે.
ભારતની તિબેટનીતિ સ્પષ્ટ છે અને એ ચીનને અનેક વાર જણાવી દેવામાં આવી છે. ભૂતકાળમાં ચીનના દલાઈ લામા વિશેના વાંધાઓને ભારત સરકારે ફગાવી દીધા છે. ડોળા ફાડ્યા વિના અને આંખમાં આંખ પરોવ્યા વિના ભારતે વિવેકપૂર્વક ચીનને જણાવી દીધું છે કે જ્યાં સુધી તિબેટનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી દલાઈ લામા અને તિબેટીઓ ભારતના મહેમાન તરીકે ભારતમાં રહેશે. તિબેટીઓની સ્વાયત્તતા માટેની લડાઈ છે જેને ભારતનો ટેકો છે માટે તિબેટીઓ ભારતમાં સ્વાયત્તતા ભોગવી શકે છે. એટલું તો કબૂલ કરવું પડશે કે ૨૦૧૪ પહેલાંના વડા પ્રધાનો ૫૬ ઇંચની છાતી વિનાના ડરપોક હોવા છતાં કોઈએ તિબેટનો અને દલાઈ લામાનો હાથ નહોતો છોડ્યો. આવું આ પહેલી વાર બની રહ્યું છે.
જિગર જીભ પર નથી હોતું છાતીમાં હોય છે.
સૌજન્ય : ’ કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 માર્ચ 2018
![]()


આવું વાંચતા આજે આપણને બહુ નવાઈ ન લાગે, કારણ પાઠ્ય પુસ્તકોની ગુજરાતી ભાષાથી આપણે ટેવાઈ ગયા છીએ. કોઈ પણ વિષયની પરિભાષા માટે આજે પણ આપણે સંસ્કૃત ભાષા પર ઘણો મદાર રાખીએ છીએ. પણ ઉપરનું અવતરણ લીધું છે ઈ.સ. ૧૮૨૮માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે મુખપૃષ્ઠ છે: પહેલું અંગ્રેજીમાં, બીજું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુસ્તકનું નામ આ પ્રમાણે છાપ્યું છે: ‘ગણિત વેવ્હારની ચોપડી અને નાણાઓની તપાસણીનું વર્તમાન.’ અલબત્ત, આ ‘મૌલિક’ પુસ્તક નથી, પણ અંગ્રેજીનો અનુવાદ છે. મૂળ લેખકો ડોક્ટર ચાર્લ્સ હટ્ટન અને બોનીકાસલ. ગુજરાતી અનુવાદ કર્યો છે કેપ્ટન જ્યોર્જ જર્વિસે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આવા અનુવાદ હકીકતમાં કરતા અહીંના કોઈ સ્થાનિક જાણકાર, પણ પુસ્તક પર નામ છપાતું જર્વિસ જેવા કોઈ અંગ્રેજનું. પણ આ પુસ્તકના ગુજરાતી મુખપૃષ્ઠ પર જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી આ અનુવાદ તૈયાર થયો છે એવો સ્પષ્ટ ઋણસ્વીકાર કરવામાં આવ્યો છે. પુસ્તક દેવનાગરી લિપિમાં, શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. છાપખાનાનું નામ ગુજરાતી મુખપૃષ્ઠ પર જણાવ્યું નથી, પણ અંગ્રેજી મુખપૃષ્ઠ પર મુદ્રકનું નામ જણાવ્યું છે: એફ.ડી. રામોસ. અને તેમણે આ પુસ્તક મુંબઈમાં છાપ્યું છે તેમ પણ જણાવ્યું છે. ૪૬૫ પાનાંના આ પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.
કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો જન્મ ૬ ઓક્ટોબર ૧૭૯૪, અવસાન ૧૪ ઓક્ટોબર ૧૮૫૧. કુલ ત્રણ ભાઈઓ. તેમાંના બે, જ્યોર્જ અને થોમસ મુંબઈ ઇલાકામાં રહ્યા. થોમસનું કામ મુખ્યત્ત્વે કોંકણ વિસ્તારમાં. જ્યોર્જની ચાર વર્ષની વયે કંપની સરકારનું કામ મદ્રાસમાં રહીને કરતા પિતાનું અવસાન. માતાએ તરત બીજાં લગ્ન કર્યાં અને જર્વિસ તથા તેના બે ભાઈઓને મદ્રાસથી ઈંગ્લન્ડ ધકેલી દીધા, અને પછી ક્યારે ય તેમની સામે જોયું પણ નહીં. ઇંગ્લન્ડમાં કાકા પાસે રહી ત્રણે ભાઈ ઉછર્યા, ભણ્યા. જરૂરી શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી બોમ્બે મિલીટરી એન્જિિનયર કોર્પ્સમાં સેકંડ લેફ્ટનન્ટની નોકરી મળતાં જ્યોર્જ જર્વિસ ૧૮૧૧ના સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યા. એન્જિનિયર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રસ્તાઓ બાંધવા અંગેનું ઘણું કામ કર્યું અને આપમેળે ગુજરાતી અને મરાઠી ભાષાના સારા જાણકાર બની ગયા. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન હોદ્દાની રૂએ ધ નેટીવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે સ્થાનિક ભાષાઓની જર્વિસની જાણકારીને કારણે તેમને ૧૮૨૨માં સોસાયટીના સેક્રેટરી બનાવ્યા. એ પદે રહીને જર્વિસે ગુજરાતી અને મરાઠીમાં ઘણાં પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. ‘ઇનામ’ આપવાની જાહેરાતો કરીને પુસ્તકો લખાવવાનો ચાલ પણ જર્વિસે શરૂ કર્યો. એલ્ફિન્સ્ટને તેમના ઉપર પસંદગી ઉતારી તેનું બીજું મુખ્ય કારણ એ કે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે અહીંના લોકોને શિક્ષણ તો તેમની માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. ૧૮૪૦માં ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ સ્થાપીને મુંબઈ સરકારે શિક્ષણનું કામ પોતાના હાથમાં લઇ લીધું. તેના સાત સભ્યોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. ૧૮૪૩માં મુંબઈ હાઈકોર્ટના એક જજ સર અર્સકીન પેરી આ બોર્ડના અધ્યક્ષ બન્યા. લોર્ડ મેકોલેની જેમ તેઓ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના તરફદાર હતા. તેમણે બોર્ડમાં ઠરાવ મૂક્યો કે કલકત્તા ઈલાકાની જેમ મુંબઈ ઇલાકામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોવું જોઈએ, મરાઠી, ગુજરાતી વગેરે સ્થાનિક ભાષાઓ નહિ. બોર્ડના ત્રણ ‘દેશી’ સભ્યો જગન્નાથ શંકરશેઠ, ફ્રામજી કાવસજી અને મહંમદ ઈબ્રાહીમ મકબાની સાથે જ્યોર્જ જર્વિસે પણ આ ઠરાવનો જોરદાર વિરોધ કર્યો એટલું જ નહિ, અધ્યક્ષ તેમ જ બીજા ત્રણ અંગ્રેજ સભ્યોની સામે પડીને ઠરાવની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત તેમણે સરકારી લિથોગ્રાફ છાપખાનાના વડા તરીકે અને ‘એન્જિનિયર ઇન્સ્ટીટ્યૂશન’ના વડા તરીકે પણ કામ કર્યું. ૧૮૩૦માં પૂના બદલી થઇ. કારકિર્દીનાં છેલ્લાં કેટલાંક વર્ષ તેઓ મુંબઈના ચીફ એન્જિનિયર રહ્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની માતૃ સંસ્થા લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની ૧૮૦૪માં સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. નોકરીમાંથી રાજીનામું આપીને ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે ફિરોઝ નામની સ્ટીમરમાં સ્વદેશ જવા નીકળ્યા. પણ રસ્તામાં જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે અણધાર્યું અવસાન થયું. ત્યારે ઉંમર ૫૭ વર્ષની.
કટોકટીને કારણે લોકશાહી પર જોખમ આવ્યું એટલે નાગરિક સ્વાતંત્ર્યના પ્રહરીઓએ આખા દેશમાં તેનો વિરોધ કર્યો. તેમાં ગુજરાત મોખરે હતું. લોકસભાના ચૂંટાયેલા સભ્ય પુરુષોત્તમ માવળંકર (૧૯૨૮-૨૦૦૨) અને રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશી(૧૯૧૧-૮૮)એ પોતપોતાનાં ગૃહમાં કટોકટી વિરુદ્ધ પ્રખર વક્તવ્યો આપ્યાં. માવળંકર સાહેબે કટોકટી સામે સંસદમાં કરેલાં અંગ્રેજી ભાષણોનું ગુજરાતી પુસ્તક ‘ભગવાન માફ નહીં કરે’ (૧૯૭૯) નામે પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત જાહેર જીવનનાં અનેક અગ્રણીઓ, બૌદ્ધિકો તેમ જ નિસબત ધરાવતાં નાગરિકોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે અવાજ ઊઠાવ્યો હતો.