પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.
યાદ હશે કે, ઝારખંડમાં – રઘુવર દાસની સરકારે શાસનની શરૂઆતમાં જ, વર્ષો જૂનાં છોટા નાગુપર ગણોત ધારા અને સંથાલ પરગણા ગણોત ધારામાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો. સરકારના કહેવા મુજબ, આ ફેરફારોનો આશય વિકાસલક્ષી કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ઝારખંડમાં આદિવાસી સમુદાયે આ કહેવાતા ‘વિકાસ’નો વિરોધ કર્યો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી સત્તાના નશામાં ભાન ભૂલીને રાજ્ય સરકારે લગભગ ૧૦,૦૦૦ આદિવાસીઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો. છતાં આદિવાસી સમુદાયે નમતું ન જોખ્યું અને સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સુધીમાં ભા.જ.પ. ‘આદિવાસી વિરોધી પક્ષ’ હોવાની છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, ભા.જ.પે. આ વિધાનસભા ચૂંટણીમાં એના ‘આદિવાસી ચહેરા’ અર્જુન મુંડાની ઉપેક્ષા કરી અને ‘છત્તીસગઢમાં જન્મેલા’ રઘુવર દાસને છૂટો દોર આપ્યો. પરિણામે ભા.જ.પ.માં આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન મળ્યું. વળી રઘુવર દાસે સત્તાના મદમાં એમના જ મંત્રીમંડળમાં પ્રભાવશાળી ગણાતા નેતા સરયુ રૉયને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. જમશેદપુર(પૂર્વ)ની બેઠક પરથી ‘અજય’ ગણાતા રૉય રઘુવર દાસ સામે બળવો કરીને એમની સામે ચૂંટણી લડ્યાં અને વર્ષ ૧૯૯૫ પછી રઘુવર દાસને પહેલી વાર પરાજયનો સ્વાદ ચખાડ્યો. આ બેઠક પર મોદી-શાહે પ્રચાર કર્યો હતો અને કલમ ૩૭૦, રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન ધારા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તો ય રઘુવર દાસ અને ભા.જ.પે. હાર જ જોવી પડી.
હવે વાત રાજ્યોમાં કૉંગ્રેસનાં પુનરાગમનની કરીએ. જેમ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં એન.સી.પી.નું અને ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું, તેમ ઝારખંડમાં પણ પ્રાદેશિક પક્ષને મહત્ત્વ આપ્યું. સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીનાં દાવેદાર તરીકે પ્રસ્તુત કર્યા અને એમને વધારે બેઠકો આપી. પરિણામે મુક્તિ મોરચા અને કૉંગ્રેસ બંનેની બેઠકોમાં વધારો થયો.
હકીકતમાં, કૉંગ્રેસ આ વ્યૂહરચના ભા.જ.પ. પાસેથી જ શીખી છે. વાજપેયીના નેતૃત્વમાં ભા.જ.પે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રાદેશિક પક્ષોને આગળ કર્યા હતા. કૉંગ્રેસે ભા.જ.પ.થી નારાજ આદિવાસી સમુદાય વચ્ચે ‘આદિવાસી ચહેરા’ તરીકે સોરેનને આગળ કર્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે પણ ગઠબંધન કર્યું. બીજી તરફ, મોદી-શાહના ભા.જ.પે. ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આ.જ.સુ.) સહિત કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન ન કરીને ‘એકલા ચાલો’ની વ્યૂહરચના અપનાવી. એટલું જ નહીં ભા.જ.પે. સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરીને કલમ ૩૭૦, નાગરિકતા સંશોધન ધારો, એન.સી.આર. જેવા મુદ્દા ઉઠાવ્યાં. પણ આ દાવ ઊંધો પડ્યો અને આદિવાસી સિવાયના મતદારો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા. આ.જ.સુ.એ જ એકલા હાથે ભા.જ.પ.ને ૨૦થી ૩૦ બેઠકો પર ફટકો પાડ્યો છે. ઝારખંડમાં જ ભા.જ.પ.ને કેટલાંક નેતાઓએ પરિણામો આવ્યાં પછી ટિપ્પણી કરી છે કે ભા.જ.પે. આ.જ.સુ. સાથે જોડાણ કર્યું હોત, તો રઘુવર દાસ ફરી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ अब पछतावे होत क्या …
છેલ્લે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓ પર બધાની નજર છે. કૉંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ જશે, તો તમિલનાડુમાં ડી.એમ.કે. સાથે ગઠબંધન કરશે. પણ બધાની નજર હવે બિહાર પર છે. ઝારખંડનાં પરિણામો અને ભા.જ.પ.ની હાર પછી બિહારમાં નીતિશ કુમાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવવા વધુને વધુ થનગની રહ્યા છે. અહીં પ્રશ્ર એ છે કે ભા.જ.પ. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે? નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સાથી પક્ષોને પૂરતું મહત્ત્વ આપવાની આડકતરી ચેતવણી ભા.જ.પ.ને આપી દીધી છે. એટલે મોદી-શાહનો ભા.જ.પ. વાજપેયી-અડવાણી યુગનો ભા.જ.પ. બનવા રિવર્સમાં જશે કે નહીં એ જોવાનું રહેશે.
E-mail: keyurkotak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 18 તેમ જ 04
![]()


૨૦૧૭માં મોરારિબાપુ આયોજિત મહુવાના સંસ્કૃત પર્વમાં જવાનું થયું હતું. એ વખતે જલન માતરી સાથે સત્સંગ કરવાની તક મળી હતી. જલદ ગઝલના એ શાયરના સૌમ્ય સ્વભાવનો પરિચય તો થયો જ પણ એમના સ્વમુખે ગઝલ સાંભળવાની મજા પડી ગઈ. એ પહેલાં એક મુશાયરામાં જલનસાહેબના સ્વમુખે જ રહસ્યોના પરદા ગઝલ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમની ગઝલ એમના જ અંદાજમાં સાંભળવી એ એક લહાવો છે. કારણ કે એમનો ગઝલ લખવાનો અને મુશાયરામાં ગઝલ રજૂ કરવાનો અંદાજ લગભગ સરખો જ છે. જે બુલંદી ગઝલના શબ્દોમાં દેખાય એવી જ બુલંદી પઠનમાં ય વર્તાય. રહસ્યોના પરદા ગઝલ ગુજરાતી ગઝલોની સર્વશ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. અંગતપણે ખૂબ પ્રિય. નસીબને ચેલેન્જ કરવાની ખુમારી એકેએક શેરમાં પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું માહાત્મ્ય કેટલું અગત્યનું છે એ વાત કવિએ આગવા મિજાજમાં રજૂ કરી છે.
કમાલ તો ત્યારે થાય છે જ્યારે આ ખુમારીભર્યા શબ્દોને એવા જ ધારદાર સંગીતનો સાથ મળે છે. અરેબિક અને ઇજિપ્શિયન સંગીતનો યથાયોગ્ય સ્પર્શ ધરાવતી આ ગઝલ પહેલી વાર સાંભળી ત્યારે થયું કે કોણ કહે છે કે સુગમ સંગીત ઢીલું ઢાલું છે! આ ગઝલ આજના ટીનેજરને સંભળાવો તો એ ય ઝૂમી ઊઠે એવું જબરજસ્ત ઓરકેસ્ટ્રેશન એમાં છે. સર્વકાલીન કહી શકાય એવી આ ગઝલ કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિને આકર્ષી શકે એમ છે. આ ગઝલ વિશે આશિત દેસાઈ કહે છે, "મને આ ખૂબ ગમતી ગઝલ છે. પહેલી નજરના પ્રેમ જેવી આ ગઝલ છે. મુખડું જોતાં સાથે જ ગમી ગયું હતું. ગઝલ રચનામાં જલનસાહેબની જબાન તેજાબી હોય છે. રહસ્યો વિશે માનવજાત હંમેશાં ગજબની ઉત્કંઠા ધરાવે છે. એટલે જ શાયર કહે છે કે આ રહસ્યોનો પડદો ઉઠાવીને ઇશ્વરને હાક મારી તો જો, ખબર પડી જશે એના અસ્તિત્વ વિશે. શબ્દો પ્રમાણે જ ધૂન તૈયાર કરી. મારી વિચિત્રતા કહો કે ખાસિયત, પણ મારે હંમેશાં કંઈક અસામાન્ય, અનયુઝવલ, ચેલેજિંગ કરવું હોય છે. જલનસાહેબ મારા ગમતા, પરંપરાના શાયર છે. એમની આ ટૂંકી બહેરની ગઝલની અરેન્જમેન્ટ મેં જ કરી છે કારણ કે હું માનું છું કે આપણું બાળક આપણે જ સંભાળવું જોઈએ, દાયણને ન અપાય. એ જ રીતે સંગીતકાર પોતાનું સ્વરબદ્ધ કરેલું ગીત બીજા એરેન્જરને આપે તો સંગીતકારે પોતે એ ગીતને જે ‘સંસ્કાર’ આપવા હોય એ કદાચ ન આપી શકે. ગઝલ વાંચતાં વાંચતાં જ લય મળતો ગયો ને કમ્પોઝ થતી ગઈ. રહસ્યમયતા બરકરાર રહે એટલે મેં સ્વરાંકન અરેબિક શૈલીમાં કર્યું. સંગીતકારો મને શ્રેષ્ઠ મળ્યા. સુરેશ લાલવાણી વાયોલીન પર, ચિન્ટુ સિંઘ ગિટાર પર, તબલાંમાં મુશર્રફ અને વિક્રમ પાટીલ તથા સુનીલ દાસનું સિતારવાદન હતું. તમે માનશો? અરેબિક વાદ્ય રબાબની ઇમ્પેક્ટ અમે સિતાર દ્વારા આપી હતી, જેમાં તારની ઉપર રૂમાલ ઢાંકીને મ્યુટ કરી દેવામાં આવે. મોરપીંછની રજાઇ … ગીતમાં પણ અમે આ પ્રયોગ કર્યો હતો. આ પ્રકારના ગીતમાં લોંગ નોટ્સ સારી ન લાગે એટલે સૂરની અને લયની રમત પણ રમ્યો છું. અરેબિક ફ્લેવર ઉમેરવાથી ગાયનનું સ્વરૂપ બદલાઈ ગયું જે શ્રોતાઓને બહુ પસંદ આવ્યું. જ્યાં જ્યાં આ ગઝલ ગાઈ છે ત્યાં બહુ જ ઉપડી છે. સાંભળવામાં સહેલી પણ ગાવામાં અઘરી એવી આ ગઝલ હવે મારો દીકરો આલાપ પણ ખૂબ સરસ ગાય છે.
‘ઇશ્કે હકીકી’ના લડાકુ શાયર જલન માતરીનું મૂળ નામ જલાલુદીન સઆહુદિન અલવી જેમનું તખલ્લુસ ‘જલન’ હતું. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૪માં ખેડા જિલ્લાના માતર ગામે તેમનો જન્મ થયો હતો. એટલે તેઓ જલન માતરી કહેવાયા હતા. ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના હોદ્દા પર કાર્ય કર્યું અને ૧૯૯૨માં નિવૃત્ત થયા હતા. ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮માં અવસાન થયું.