હરિયાણાની પોલીસે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા, ડી.એલ.એફ. નામની કન્સ્ટ્રકશન કંપનીના તેમ જ ઓમકારેશ્વર પ્રોપર્ટીઝના માલિકો સામે જમીનનું કૌભાંડ કરવાને લગતો ફોઝદારી કેસ નોંધ્યો છે, જેને અંગ્રેજીમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફ.આઈ.આર.) કહેવામાં આવે છે. પોલીસને જ્યારે કોઈ ગુનાની તાજી-તાજી જાણકારી મળે ત્યારે પોલીસ તેને દાખલ કરતી હોય છે. એ પછી તેની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જો ફરિયાદમાં પહેલી નજરે તથ્ય નજરે પડે અને ગુનો ધરપકડ કરવી પડે એ રીતનો ફોઝદારી હોય તો કહેવાતા આરોપીની ધરપકડ કરવામાં આવે છે.
ગુનાઓ બે પ્રકારના હોય છે : જામીનપાત્ર અને બિનજામીનપાત્ર. બિનજામીનપાત્ર ગુનામાં આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. મોટાભાગે પોલીસ વધુ તપાસ કરવા માટે અને આરોપી પુરાવાઓનો નાશ ન કરી શકે કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે એ માટે રિમાન્ડની માગણી કરતી હોય છે. અદાલત કેસની ગંભીરતાના આધારે રિમાન્ડ આપે છે. જામીનપાત્ર અને બિનજામીનપાત્ર એમ બન્ને પ્રકારના ગુનાઓ માટે તપાસ કરવામાં આવે છે અને આરોપનામું ઘડવામાં આવે છે. અદાલતમાં ખટલો ચાલે છે અને અદાલત જો ગુનો સાબિત થાય તો આરોપીને ગુનેગાર ઠેરવીને સજા કરે છે.
આ સભ્ય દેશોમાં કાયદાના રાજની રીતરસમ છે. રીતરસમ પણ નહીં, કાયદાકીય જરૂરિયાત છે. હવે રોબર્ટ વાડ્રાના પ્રકરણની વાત કરીએ. હરિયાણા સરકારમાં અશોક ખેમકા નામના નીડર અને પ્રામાણિક સનદી અધિકારી છે. અશોક ખેમકા જ્યારે ગુડગાંવમાં લેન્ડ રજિસ્ટ્રેશન વિભાગના વડા હતા, ત્યારે તેમણે રોબર્ટ વાડ્રાના લેન્ડ ડીલની વિગતો ઉઘાડી પાડી હતી. એ વિગતો જ્યારે ઉઘાડી પાડવામાં આવી ત્યારે પહેલી નજરે આખી દુનિયાને એમ લાગ્યું હતું કે આ કૌભાંડ છે. રોબર્ટ વાડ્રાએ ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી હતી અને એ પછી વગનો ઉપયોગ કરીને એ જમીન બિન ખેતીકીય કરાવડાવીને ઊંચા ભાવે ડી.એલ.એફ.ને વેચી હતી. રોબર્ટ વાડ્રાએ લગભગ ૬૦ કરોડનો નફો કર્યો હતો. એ સમયે મેં પણ લખ્યું હતું કે આ પહેલી નજરે કૌભાંડ છે અને વાડ્રાને સજા થવી જોઈએ.
એ સમયે એટલે ક્યારે? ૨૦૧૨ના ઓક્ટોબર મહિનામાં, જ્યારે ઈશ્વરી અવતાર હજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવામાં વ્યસ્ત હતા, અને દિલ્હી જવાની તૈયારી કરતા હતા. શું પ્રામાણિકતાની તેમ જ પારદર્શકતાની સફેદ રૂ જેવી પૂણીઓએ કૉન્ગ્રેસ પર માછલાં ધોયાં હતા. દેશ પર કંસ અને દુર્યોધનો રાજ કરી રહ્યા છે અને હવે તો બસ કૃષ્ણાવતાર જ દેશને ઊગારી શકે એમ છે. આપણા સદ્દભાગ્યે દેશમાં કૃષ્ણાવતાર થયો પણ ખરો અને રામરાજ્ય સ્થપાઈ પણ ગયું. એ રામરાજ્યનું સ્વરૂપ આ રહ્યું.
રોબર્ટ વાડ્રાનું જમીનકૌભાંડ ૨૦૦૮નું છે. ૨૦૧૨માં એ કૌભાંડ બહાર આવ્યું. ૨૦૧૩માં દેશમાં અવતરી રહેલા ભગવાને તેનો ભરપૂર રાજકીય ઉપયોગ કર્યો. એમ લાગતું હતું કે બસ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એટલી વાર છે, દેશના બની બેઠેલા પ્રથમ પરિવારના જમાઈ જેલમાં જવાના છે. સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા જેલના દરવાજે ગુનેગારોના સ્વજનોની ભીડમાં ટિફિન લઈને ઊભી હશે અને પતિનું મોઢું જોવા કરગરતી હશે, એવા દ્રશ્યોની ભક્તો મનોમન કલ્પના કરીને પોરસાતા હતા. શું એ ક્રાંતિના મનોરથ હતા!
૨૦૧૩માં હરિયાણાની કૉન્ગ્રેસ સરકારે અશોક ખેમકાની સંગ્રહાલયમાં બદલી કરી હતી અને તેમની સામે ખોટા કેસ દાખલ કર્યા હતા. સફેદ પૂણી જેવા પવિત્ર માણસોએ હજુ એ નિર્દોષ સનદી અધિકારી સામેના ખોટા કેસ પાછા ખેંચવાના બાકી છે. હરિયાણાની કૉન્ગ્રેસ સરકારે જાંબાઝ અને પ્રામાણિક અધિકારીને જ્યાં સાફસૂફી માટે કોઈ અવકાશ જ ન હોય એવી જગ્યાએ ટ્રાન્સફર કર્યા હતા, એ ટ્રાન્સફર નવી બી.જે.પી. સરકારે રદ્દ કરી નહોતી. આ તો હજુ ઠીક છે, અશોક ખેમકાને ગયા વરસે હજુ એકવાર ટ્રાન્સફર આપીને સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેરમાં ધકેલી દેવામાં આવ્યા છે. એ તેમની ૫૧મી ટ્રાન્સફર હતી. ૫૩ વરસના અધિકારીની ૫૧મી ટ્રાન્સફર. જો પારદર્શકતા અને પ્રામાણિકતાની આટલી બધી ખેવના છે તો અશોક ખેમકાને જ્યાં મોટા પ્રમાણમાં સાફસૂફી કરવી પડે એમ છે, ત્યાં કેમ મુકવામાં આવતા નથી?
હદ હવે થાય છે. મૂળમાં ૨૦૦૮નો કેસ. પ્રકાશમાં આવ્યો ૨૦૧૨માં. કૌભાંડની આખા જગતને જાણ થઈ એને છ વરસ થવાં આવ્યાં છે. છ વરસ પછી હરિયાણા સરકારની પોલીસ કૌભાંડની પ્રાથમિક જાણકારી (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ – એફ.આઈ.આર.) દાખલ કરે છે. તો શું ૨૦૧૪માં હરિયાણામાં બી.જે.પી.ની સરકાર આવી એ પછી તરત એફ.આઈ.આર. દાખલ કરવામાં નહોતી આવી? ના નહોતી કરવામાં આવી. શા માટે નહોતી કરવામાં આવી? ભક્તોને છોડીને બાકીના વાચકોને આનું રહસ્ય સમજાઈ જશે. હમામમાં એટલે સ્નાનાગારમાં બધા જ નાગા છે. બધા એકબીજાને ગાળો આપે છે, હાથ કોઈ કોઈને નથી લગાડતું. ભારતના રાજકારણમાં આ વણલખી સમજૂતી છે. જો કોઈ નેતાને જેલની સજા થઈ છે તો એ નાગરિકોએ પૂંઠ પકડી એના કારણે, સરકારના કારણે નહીં.
તો પછી હવે રહી રહીને છ વરસે એફ.આઈ.આર. શા માટે દાખલ કરવામાં આવી? લોકસભાની ચૂંટણી નજીક છે અને ભગવાનનું તેજ ઝાંખું પડ્યું છે, એટલે તેને ફરીવાર ચમકાવવા માટે. સફેદ પૂણી જેવા પવિત્ર અને પારદર્શક માણસની દેશને જરૂર છે એ બતાવવા માટે. ઘેટાંઓ વાડામાંથી નાસી ન જાય એટલા માટે. ચૂંટણી પતી જવા દો, એફ.આઈ.આર. ભુલાઈ જશે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. અદાલતે હરિયાણાના શાસકોને અને અવતારપુરુષને પૂછવું જોઈએ કે જેની આખા જગતને ૨૦૧૨માં જાણ થઈ તેની તમને ૨૦૧૮માં જાણ થઈ? ૨૦૧૩માં અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વાડ્રા અને ગાંધી પરિવાર સામે આક્ષેપો કરતા હતા, એ પ્રાથમિક જાણકારી વિના કરતા હતા? શેની એફ.આઈ.આર.? કેટલાક કેસમાં પોલીસે એફ.આઈ.આર. દાખલ કરવાની જગ્યાએ ઇન્ફોર્મેશન ફોર યુઝ, ઇન્ફોર્મેશન ફોર સેકન્ડ યુઝ, થર્ડ યુઝ એવો કેસ દાખલ કરવા જોઈએ. વાસ્તવિકતા તો આ જ છે તો પછી નાટક શા માટે?
હરિયાણાની પોલીસે રોબર્ટ વાડ્રા સામે જે એફ.આઈ.આર. દાખલ કરી છે એ વાસ્તવમાં ઇન્ફોર્મેશન ફોર થર્ડ યુઝ માટેની છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2018