ગાંધીવિચારના અભ્યાસી, શિક્ષક, લેખક અને અનુવાદક મોહનભાઈ દાંડીકરનું ૨૧મી ઑગસ્ટની વહેલી સવારે અવસાન થયું. છેલ્લા એક અઠવાડિયામાં તેમને હૃદયની બીમારીનાં લક્ષણો દેખાયા હતાં.
મોહનભાઈ લોકભારતી સણોસરાના ૧૯૫૭ની સાલના સ્નાતક હતા. સાવરકુંડલામાં લાંબી શૈક્ષણિક કામગીરી અને કારકિર્દી પછી તે વતન છેલ્લાં ઘણા વરસોથી તે નવસારી જિલ્લાના દાંડીમાં વસ્યા હતા. આ વરસોમાં તેમણે ઘણાં મહત્ત્વનાં પુસ્તકોનો અનુવાદ કરીને ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કર્યું. અનુવાદ-લેખન વગેરે મળીને તેમનાં કુલ ૭૦થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે.
એમના લેખન અને અનુલેખનમાં કોમી સૌહાર્દ અને બિનસાંપ્રદાયિક્તા પરનો ભાર અને ભાવ તરત ધ્યાન ખેંચતો. નાસિરા શર્માનો ગુજરાતી પરિચય કરાવ્યાનું શ્રેય એમને નામે જમા બોલે છે. સોપાન જોશીની કીર્તિદા કિતાબ જલ થલ મલનો એમનો ગુજરાતી અનુવાદ પ્રેસમાં જવાની ક્ષણોમાં છે ત્યારે તે વિદાય થયા. તેમના જીવનકાર્યને અને તેમની શબ્દસ્મૃતિને સલામ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 14
![]()


જગતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું કોઈ ફારસ ભજવાયું હોય એવો એકેય પ્રસંગ યાદ નથી આવતો જેમાં દેશની સર્વોચ્ચ અદાલતના એક નહીં પણ ત્રણ ત્રણ ન્યાયમૂર્તિઓ ગુનેગારને કહેતા હોય કે; ‘ભાઈ ગુનેગાર, ગુના માટે માફી માગી લેને, અમારે તને સજા નથી કરવી.’ માત્ર કહેતા નથી, કાકલૂદી કરે છે અને સજા કરવાનું ટાળે છે. આરોપી ગુનાનો ઇનકાર કરે, અથવા જજસાહેબ સમક્ષ ગુનો કર્યો હોવાનું કબૂલીને માફી માગે કે પછી હળવી સજા કરવામાં આવે એવી કાકલૂદી કરે એ તો અદાલતોમાં રાબેતાની ઘટના છે, પણ જજો ગુનેગાર સમક્ષ માફી મગાવવા માટે કાકલૂદી કરતા હોય એવું તો પહેલીવાર જોવા મળી રહ્યું છે. આખા જગત સમક્ષ ભારતની સર્વોચ્ચ અદાલત હાસ્યાસ્પદ સાબિત થઈ રહી છે.

