ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જી બતાવ્યો છે. એ બન્ને પડછંદા મિત્રોએ આજ લગી કોઈએ ન કર્યું હોય તેવું મોટા ગજાનું કામ કર્યું છે. અને તે ય પાછું સામે પૂરે તરતાં રહીને; વળી, શાસકોની ખબર લેવાનું ય આ બહાદુર મનેખ લગીર ચૂક્યા નથી. મસ્તક ગૌરવભેર એમને નમે છે.
તમે માનશો ? ૦૨ એપ્રિલ ૨૦૨૦થી ૦૫ જૂન ૨૦૨૦ના સમયગાળામાં એમણે ડિજિટલ દૈનિકની કુલ મળીને ૬૫ અંકોમાં લેખનસામગ્રીના આશરે સાડાચારસો ઉપરાંત પાનાંનું સાહિત્ય આપણને ધર્યું છે. અને તે પછીને ગાળે, ૦૫ જુલાઈ ૨૦૨૦થી આજ સમેત એટલે કે ૨૬ ઑક્ટોબર દરમિયાન સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના સત્તર અંકો આપ્યા છે. અને પરિસ્થિતિવસાત્ આ અંકથી આ બેલડી વિરામ લે છે, ત્યારે, સમજીએ, આ સત્તર અંકોમાં જ ૨૭૨ પાનનું સાહિત્ય એમણે ઠોસબંધ પિરસ્યું છે.
એકંદરે, આછોપાતળો તો આછોપાતળો, પણ ‘પ્રિન્ટેડ મીડિયા’ [મુદ્રિત સમસામયિક], ’ઇલેકટૃિનિક મીડિયા’ [વીજળિક સમસામયિક], તેમ જ ‘સોશિયલ મીડિયા’ [પારસ્પરિક સમસાયિક] જોડેનો એક અનુભવ મને ય રહ્યો છે. આ ત્રણેય જગતને સામે રાખીને ચાલીએ તો ય આસાનીથી તારવી લેવાય કે આ એક અનોખો પ્રયોગ હતો. અને તેમાં પણ એ બન્નેએ નિર્વિવાદ આગેવાની કરી છે. ગાંડા બાવળની પેઠે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ‘ફેઇક ન્યૂઝ’નું પણ જબ્બર ઊગાણ થયું છે. તેને નીંદતાં રહી, આ પ્રયોગ વાટે, “નિરીક્ષકે”, સતતપણે, હકીકત પેશ કરવાની રાખી છે. આ વામનનું વિરાટ પગલું હોય તેમ સમજાય છે.
મને તો થાય, પત્રકારત્વ શીખવાડતું હોય તેવું કોઈ પણ વિશ્વવિદ્યાલયનો વિભાગ આ માતબર સામગ્રીને કેન્દ્રમાં રાખીને કોઈ કને સંશોધન આધારિત કામ કરાવે. ભારે મજબૂત સામગ્રી એમાં પડી છે. પૂછવાનું મન કરું : કોઈ હૈ લેને હારા ?
મહાત્મા ગાંધીએ, સન ૧૯૪૮માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, ૧૯૫૮માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના ૫૬મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :
"હું તમને એક તાવીજ આપું છું. ક્યારે ય તમને શંકા થાય કે અહમ્ તમને પીડવા માંડે ત્યારે આ ઉપાય અજમાવવો.
"તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?
"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”
આ બન્ને ભાઈબંધોએ, બસ, આ છેવાડે નજર ચોંટી રાખેલી જ હોય તેમ વર્તાયા કર્યું છે. કોરોના કેર સામે શાસન શિથિલ રહ્યું છે તો તે દાખલા દલીલો અને વિગતો આપીને તેમને સજાગ રાખવાનો જબ્બર પ્રયાસ એ બંધુઓએ કર્યો છે. દલિત, આદિવાસી, નીચલા થરના જૂથો, લધુમતીઓને જ્યારે જ્યારે અન્યાય થયાનું દેખાયું છે તો એ મિત્રોએ પોતાની કલમને સતત સજાવે રાખી છે. એમની નજર ફક્ત ગુજરાત ભણી જ રહી નથી, એમણે જગતભરે પથરાયા ગુજરાતી આલમને જ્યાં જ્યાં ઝૂઝવાનું થયું છે તે મુલકની દાસ્તાં પણ માંડી છે.
ઉર્વીશભાઈ, ચંદુભાઈ, દૂર બેઠા બેઠા વિશેષ તો શું કહી શકું ? તમારા બને થકી “નિરીક્ષક” વધુ ઊજમાળું થયું છે. તમારા બન્નેને આથી પૂરા ઓશિંગણભાવે જૂહારી લઉં છું.
હેરૉ, ૨૬ ઑક્ટોબર ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15
![]()


ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …
ક્યારે ય નથી વેઠી એવી અસ્થિરતામાં મુકાઈ ગયા છીએ આજકાલ. ક્યારે ય નહોતી એવી ભંગુરતાને કાંઠે આવી ચઢ્યા છીએ આજ. “…આ સંસાર સુખરૂપછે કે દુઃખરૂપ ?” એવા દ્વિધાભાવમાં સપડાયા છીએ આપણે સૌ. કોરોનાવાઇરસનો ચેપ બધાને મોત આપતો નથી. એના સકંજામાંથી ઊગરી જનારાઓ મોટી સંખ્યામાં છે, પરંતુ જેઓને કોરોનાનો મૃત્યુદંડ મળે છે, તેઓની સ્થિતિ જોઈ/સાંભળી અન્યોને જે પીડા થાય છે, તે અભૂતપૂર્વ એવી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિ મોતનો ભોગ બને તે ક્ષણ સુધી જે પીડા ભોગવતી હશે એ જ પીડા તેમનાં સ્વજનો પછીના સમયમાં ક્યાં ય સુધી ભોગવે છે. આજ સુધી આવું મોત ક્યારે ય જોયું/સાંભળ્યું નથી. ગરુડપુરાણમાં વર્ણવાયેલી નરકપીડા જાણે તાદૃશ થાય છે.