જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેકવાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા તેના આંતરવિરોધને કારણે એક દિવસ તૂટી પડશે અને એ દિવસ બહુ દૂર નથી. ત્યારે કલ્પના નહોતી કરી કે ચીની વ્યવસ્થાનું તૂટી પડવું તો બાજુએ રહ્યું, બહુ નજીકના ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે જગતના કહેવાતા સભ્ય દેશો સામે પ્રશ્ન પડશે કે ચીનનો મુકાબલો કેમ કરવો? ચીનને અનુસરીને કે ચીનની સામે સંગઠિત થઈને મોરચો રચીને?
જો તમે ભારતના અને વિશ્વના લોકશાહી દેશોના રાજકારણ ઉપર નજર રાખતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આ દેશો બન્ને દિશામાં ફાંફા મારી રહ્યા છે. આ દેશોમાં લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોને શિથિલ કરીને ચીનને અનુસરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પાછા લોકતાંત્રિક સભ્ય હોવા માટે ગર્વ પણ અનુભવે છે. હવે જ્યારે ચીનની સરસાઈ વધી રહી છે ત્યારે ત્યાંના શાસકો અને પ્રજા (મુખ્યત્વે પ્રજા, જેને લઈને શાસકો) એમ માનતા થયા છે કે ચીનની સફળતાનું કારણ લોકશાહીનો અભાવ અને મારે એની ભેંસની નાગાઈ છે. આપણે કહેવાતા લોકહિતના નામે લોકોની વચ્ચે ચર્ચા થવા દઈએ છીએ, જેમાં સમયસર નિર્ણયો લેવાતા નથી તો કેટલીકવાર નિર્ણયો બદલવા પડે છે કે પડતા મૂકવા પડે છે જેને પરિણામે તક હાથમાંથી સરકી જાય છે. આનો લાભ ચીનને મળે છે. ચીનના શાસકો નિયંત્રણમુક્ત આઝાદ છે. આપણે ત્યાં પણ શાસકોને આવી આઝાદી મળવી જોઈએ. તો જ અને તો જ ચીનનો મુકાબલો થઈ શકશે.
આ સિવાય અને આ ઉપરાંત બીજો અભિગમ એવો છે કે ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ. શીતયુગમાં જગતને આનો લાંબો અનુભવ છે. અમેરિકાના નેતૃત્વમાં નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને સોવિયેત રશિયાના નેતૃત્વમાં સીટો (કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) તો એ જમાનાના બે વિખ્યાત મોરચા હતા. જાણે કે આખું જગત આ બે દેશોએ વહેંચી લીધું હતું. આ સિવાય આરબ દેશોના, મુસ્લિમ દેશોના અને બીજા મોરચા હતા. વીતેલી સદીનો અનુભવ એવો છે કે કોઈ મોરચા સફળ થયા નથી, પણ એ છતાં મોરચાનો એક રોમાંચ હોય છે. આપણે મળીને પ્રતિસ્પર્ધીને સીધોદોર કરી દેશું.
ચીનની સફળતાનું રહસ્ય ચીનમાં લોકશાહીનો અભાવ અને ચીની શાસકોની નાગાઈ છે એવું જે કહેવામાં આવી રહ્યું છે, એમાં તથ્ય જરૂર છે, પણ સંપૂર્ણ સત્ય નથી. ભારત તો ઠીક, પણ પહેલી હરોળના લોકશાહી દેશો સુદ્ધાં ચીન સામે હાંફી રહ્યા છે, એનાં કારણ પણ એ જ છે જે ચીનમાં જોવાં મળી રહ્યાં છે. એ છે, લોકશાહી વ્યવસ્થાની અંદર સત્તાકીય સ્વાર્થની નાગાઈ અને લોકશાહી વ્યવસ્થામાં છીંડા પાડવાં. ભારતની વાત કરીએ તો ભારત હજુ હમણાં સુધી, ૨૧મી સદીના પ્રભાતે, ૨૧મી સદીના ટાઇગર અને ચીન પછીના રનર અપ તરીકે ઓળખાતું હતું. શા માટે ભારતે એ તક ગુમાવી દીધી? કારણ દેખીતું છે; કાઁગ્રેસ કે ભા.જ.પ., આ સરકાર કે તે સરકાર જશ ન ખાટી જવા જોઈએ. દેશ ભલે ખાડે જાય પણ તમને જશ ખાટવા નહીં દઈએ એવી જે લોકશાહી અંતર્ગત સત્તાકીય નાગાઈ હતી, એનું પરિણામ લોકશાહી દેશોની નિષ્ફળતા અને ચીનની સફળતા છે. ચીનની ઉઘાડી નાગાઈ સામે લોકશાહી દેશોના શાસકોની છૂપી નાગાઈ પરાજીત થઈ છે. લોકશાહી વ્યવસ્થા પરાજીત નથી થઈ.
બીજું, આર્થિક રીતે સંપન્ન લોકશાહી દેશોએ આર્થિક રીતે વિકસી રહેલા કે અવિકસિત ગરીબ લોકશાહી દેશોને ક્યારે દિલથી મદદ કરી છે? જગતના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશે (અમેરિકા) જગતના સૌથી મોટા લોકશાહી દેશ(ભારત)ને ક્યારે ય મદદ કરી નથી. દિલથી શું, દિલ વિના પણ મદદ કરી નથી. તેનું મિત્ર તો પાકિસ્તાન હતું. લોકશાહી દેશોએ જેટલા મોરચા રચ્યા છે કે રચ્યા હતા તેના કેન્દ્રમાં પ્રજાકેન્દ્રીય અને પ્રજાલક્ષી લોકતાંત્રિક શાસનવ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ ક્યારે ય નહોતો. એ બધા મોરચાઓ કાં તો લશ્કરી હતા અથવા આર્થિક હિતના હતા. ગામના ઉતાર જેવા શાસકો અને એવા શાસિત દેશો અમેરિકા અને બીજા વિકસિત લોકશાહી દેશોના મિત્ર રહ્યા છે.
તો વાતનો સાર એ છે કે લોકશાહી નિષ્ફળ નથી નીવડી, લોકશાહી દેશોમાં શાસન કરનારા શાસકો નિષ્ફળ નીવડ્યા છે. દુષ્ટ શાસકો જગતની શ્રેષ્ઠ શાસન વ્યવસ્થાને પણ નિષ્ફળ બનાવી શકે છે એમ પ્રાચીન યુગથી મનીષીઓ કહેતા આવ્યા છે અને લોકશાહીના ઉદય પછી તો લિંકન અને નેહરુ જેવા અનેક મુત્સદીઓ અને રાજનીતિશાસ્ત્રજ્ઞો કહેતા આવ્યા છે. છૂપી નાગાઈ હંમેશાં ઉઘાડી નાગાઈ સામે પરાજીત થાય એ સનાતન સત્ય છે. પણ સનાતન સત્ય તો એ પણ છે કે બંધિયારપણું ખુલ્લાપણા સામે હંમેશાં પરાજીત થતું હોય છે. તમે તમારા સગાંસંબંધીઓ તરફ એક નજર કરી જુઓ. જે પરિવારોમાં મોકળાશ અને આઝાદી વધુ હશે એ પરિવારો આર્થિક અને બીજી દરેક રીતે વધારે સુખી હશે. મોકળાશ સમૃદ્ધિ રળી લાવે છે એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. બાકી તો છૂપી નાગાઈ ઉઘાડી નાગાઈ સામે હંમેશાં પરાજીત થવાની છે.
બીજા વિશ્વયુદ્ધ પછીના સાત દાયકામાં લોકશાહી અર્થવ્યવસ્થા વિકસવી જોઈતી હતી. જો સામ્યવાદનો એટલો બધો ભય હતો અને ભવિષ્યને લઈને ચિંતિત હતા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા સામે લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવી જોઈતી હતી. આવી સલાહ આપવામાં પણ આવી હતી, પણ ત્યારે તેને કાને ધરવામાં આવી નહોતી. ત્યારે લોકશાહી દેશોના શાસકોએ લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવાની જગ્યાએ લોકશાહીનો લાભ લેનારી મૂડીવાદી અર્થવ્યવસ્થા વિકસાવી હતી. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ પરિપક્વ થયા પછી કલ્યાણ રાજને જાકારો આપ્યો અને સાપીણ જેમ પોતાનાં બચ્ચાંને જ ખાય એમ લોકશાહીને ખાવાનું શરૂ કર્યું. જેટલી પ્રજાની ભાગીદારી ઓછી એટલો લાભ વધુ.
ટૂંકમાં કહીએ તો એક બાજુએ શી ઝિંગપિન્ગોએ અને બીજી બાજુએ લોકશાહી દેશોમાં શેઠજીઓએ જગત આખામાં પ્રજા ઉપર, શાસકો ઉપર, શાસનવ્યવસ્થા ઉપર અને એકંદરે રાજ્ય ઉપર કબજો કર્યો છે. બન્ને પક્ષે પ્રજાને બને એટલી બહાર રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે એક ઉઘાડી નાગાઈ છે અને બીજી છદ્મ નાગાઈ છે અને છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે પરાજીત થઈ રહી છે.
તો પછી આનો ઉપાય શું? આર્થિક રીતે મહાસત્તા બની ગયેલું ચીન લશ્કરી રીતે પણ તાકાતવાન બની ગયું છે અને હવે તો તેનો વિસ્તારવાદ છડેચોક નજરે પડી રહ્યો છે. એશિયા અને પ્રશાંત મહાસાગરના ૧૮ દેશો એવા છે જેની જમીન અથવા પાણી ઉપર ચીને કબજો જમાવ્યો છે કે દાવો કરી રહ્યું છે. ૧૮ એ કોઈ નાની સંખ્યા નથી. જાગતિક રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે. જ્યારે વાસ્તવિકતાનો સામનો ન કરવો હોય ત્યારે અભ્યાસપંચ રચવાનો આપણે ત્યાં શિરસ્તો છે એમ જ્યારે કોરી વાસ્તવિકતા સ્વીકારતા ડર લાગતો હોય ત્યારે મોરચા રચો એવો વિશ્વદેશોનો શિરસ્તો છે. આ ન્યાયે ચીનનો મુકાબલો કરવા માટે ભારત, જપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મળીને ‘ક્વાડ’ નામે ઓળખાતો quadrilateral security dialogue નામનો ચતુર્ભૂજીય કે ચતુષ્કોણીય મોરચો રચ્યો છે. એની બેઠક ગયા અઠવાડિયે મળી હતી જેમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા.
‘ક્વાડ’નું કોઈ ભવિષ્ય નથી એ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેઓ ‘ક્વાડ’માં આવતા હતા અને ભાગતા હતા, ચીનને ગાળો આપતા હતા અને જ્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લેતા હતા. ઓસ્ટ્રેલિયાની નીતિમાં પણ સાતત્ય નથી. આ વખતે ઓસ્ટ્રેલિયાનું વલણ પીછેહઠ કરનારું હતું. ભારતના નેતાઓ હજુ હમણાં સુધી નક્કી નહોતા કરી શકતા કે ચીનના નેતાઓ સાથે હિંચકે બેસીને ઢોકળાં ખાવાં કે પછી મોરચામાં અગ્રેસર રહેવું. ગયા વરસની ગાલ્વાનની ઘટના પછી ભારત માટે ઢોકળાં ખાવાં-ખવડાવવાનો વિકલ્પ બંધ થઈ ગયો છે.
જો ચીનના માર્ગે ચીનનો મુકાબલો કરવો હોય તો ચીનની જેમ ઉઘાડી નાગાઈ કરતાં શીખી લેવું જોઈએ અને જો એ શક્ય ન હોય તો મોકળાશ દ્વારા વિકાસ તરફ લઈ જનારા લોકશાહી માર્ગની ગુણવત્તા સુધારવી જોઈએ. આ અકસીર ઈલાજ છે અને એમાં શાસંક રહેવાની જરૂર નથી. બાકી, ઇન્ડિયા ઈઝ ધ મધર ઓફ ઓલ ડેમોક્રસીઝ પણ કહેવું અને લોકશાહીની ઘોર ખોદવી એ બન્ને સાથે ન ચાલી શકે. આગળ કહ્યું એમ છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે જીતી ન શકે. નેવર, ક્યારે ય નહીં, આ સનાતન સત્ય છે. આ બાજુ ચીનના શાસકોએ ચીની પ્રજાને ડરાવવાનું શરૂ કરી દીધું છે કે જુઓ, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે માટે તમારે ખામોશ રહીને શાસકોને મદદ કરવાની છે.
સવાલ એ છે કે પ્રજાના ખામોશ રહેવાથી રાજા વધારે શક્તિશાળી બને કે વધારે નાગો બને? વિચારો.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 સપ્ટેમ્બર 2021
![]()


હવે આબાલવૃદ્ધ એ વાત પૂરેપૂરી સમજદારીથી સમજી ગયા છે; કે રાજકારણ એ "સત્તા" અને "સંપત્તિ" મેળવવા માટેનું, અને એ પણ "છાનીછપની સંપત્તિ" મેળવવા માટેનું સુરક્ષિત ક્ષેત્ર છે. "સુરક્ષિત" એ અર્થમાં કે આખેઆખું "સરકારી તંત્ર" તમારા નિયંત્રણમાં હોય છે. એથી ઊહાપોહ થાય, તો પણ કોઈ તમારું કાંઈ કરતા કાંઈ જ બગાડી શકતું નથી, જે કોઈ સંસ્થા, કે વ્યક્તિ એનું કામ લઈ આવે, એની પાસેથી મોઢે માંગ્યા રૂપિયા ખંખેરી લેવાના. આવું બને એટલે અધિકારીઓ ય સમજે, કે આમે ય હોદ્દેદારના આદેશથી કામ તો કરવું પડે છે. એ રાજકીય હોદ્દેદાર તો રૂપિયા બનાવે જ છે, તો આપણે ક્યાં ઈમાનદારીનો ઠેકો લીધો છે? આપણે ય શું કામ ન કમાઈએ? એટલે એ પણ "વહેતી ગંગા"માં હાથ ધોઈ લે છે ! (આવા અધિકારીઓની વચ્ચે કોઈ કોઈ અધિકારી બી.કે. સિંહા શા – ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી – જેવા પવિત્ર અધિકારી પણ પ્રજાને સાંપડે છે. તેઓ સરકારશ્રીની પ્રતિષ્ઠાને બચાવી લે છે, કારણ કે કેવળ "સાદી અરજી"થી ટ્રાન્સફર માંગનાર સરકારી કોલેજના અનેક વ્યાખ્યાતાઓને, એક જ ઓર્ડરથી, "સામૂહિક બદલીઓ" માંગણી મુજબ આપી દે છે !
એપ્રિલથી ઓગસ્ટ 2021 દરમ્યાન લતાબહેન દેસાઈ અને રોલ્ફ કિલસ (Rolf Killus) દ્વારા આયોજિત અને સુંદર રીતે અમલમાં મુકાયેલ એક પ્રકલ્પ વિષે જાણવાની અને તેમાં નાનો શો ફાળો આપવાની તક મળી. સબરંગ આર્ટસ અને બ્રેન્ટ મ્યુઝિયમ તથા આર્કાઇવ્સની ભાગીદારીમાં યુનાઇટેડ કિંગ્ડમમાં અને ખાસ કરીને લંડનના બ્રેન્ટ વિસ્તારમાં રહેતાં ગુજરાતી લોકોનાં મૂળ, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં તેમનો વસવાટ અને ત્યાંથી આ દેશમાં સ્થળાંતરિત થઈને સ્થાઈ થવાને પરિણામે તેમનામાં આવેલ બદલાવ અને બ્રિટન પર પડેલ પ્રભાવની કહાણી પારંપરિક કળા કારીગરી, વેપાર-વણજની માહિતીઓ અને સંગીત, નૃત્ય, ખોરાક અને આધ્યાત્મિક જીવન જેવાં સાંસ્કૃતિક પાસાંઓની રજૂઆત દ્વારા અદ્દભુત રીતે કહી. નોંધ લેવા જેવી બાબત એ છે કે જેઓએ લંડનના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ પાડ્યો છે, તેઓ લંડનમાં રહેતા કેટલાક એવા લોકો છે, કે જેમનાં મૂળ ગુજરાત-ભારતમાં છે, જેઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જાણકાર હોવા ઉપરાંત વ્યવસાયોમાં સફળ રહ્યાં છે. આ પ્રદર્શનમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોથી કેટલાંક લોકોની મુલાકાતો પ્રસારિત થઇ જેથી મૌખિક ઇતિહાસ જાણવા મળ્યો, અને તેમને મન મહત્ત્વની લાગતી વસ્તુઓ વિશેની વાતોથી બ્રિટનના લોકો પર પડેલી તેની છાપની અદ્દભુત કહાણી જાણવા મળી.






પહેલાં શૈલિનીબહેન શેઠ અમીન અને તેમના પરિવાર તથા તેમનાં કાર્ય વિષે જાણીએ. શૈલિનીબહેનનાં માતુશ્રીને તેમણે નવ વર્ષની વયે કેન્સરની બીમારીમાં ગુમાવ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ તેમના દૂરના માસી થાય, જેમણે શૈલિનીબહેનને પોતાની પુત્રીની માફક ઉછેર્યાં અને જીવનભર તેમના માર્ગદર્શક બની રહ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠને ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે. 1906માં ધનિક પરિવારમાં તેમનો જન્મ. મોતી અને કાપડનો વેપાર દક્ષિણ પૂર્વના દેશો સુધી ફેલાયેલો. કેલિકો મિલના માલિક અને મોટા ગજાના ઉદ્યોગપતિની નામના મેળવનાર અંબાલાલ સારાભાઈ તેમના પિતરાઈ ભાઈ થાય. એવા પરિવારો પર અંગ્રેજ આચાર-વિચારનું પ્રભુત્વ વધુ. એ લોકોએ એક કરતાં વધુ વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો અને ત્યાંના શિષ્ટાચાર અને સંસ્કૃતિ અપનાવેલા. સારાભાઈ પરિવારનો
કાપડ ઉદ્યોગ ધમધમતો ચાલ્યો, જેમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી, આમ છતાં એ પરિવારે જ સહુ પ્રથમ ગાંધીના વિચારો અપનાવ્યા. મૂળે ખુલ્લા અને આગળ પડતા વિચારો ધરાવતા હોવાને કારણે ગાંધીના નવા વિચારો તરફ પણ આકર્ષાયાં.


