નાના હતા ત્યારથી ગાતા હતા 'મામાનું ઘર કેટલે , દીવો બળે એટલે ..'
સામે જે ઘર દેખાય છે કે જ્યાં દીવો બળી રહ્યો છે તે મામાનું ઘર એવો સીધો સાદો અર્થ ત્યારે ને અત્યારે પણ સમજાય છે.
પણ ક્યારેક લાગે કે જ્યાં આપણા માટે કાયમ દીવો બળે છે, એટલે કે પ્રહ્લાદ પારેખે શીખવ્યું છે તે પ્રમાણે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે તે ઘર એટલે મામાનું ઘર. જે ઘર
આપણામાં માટે કાયમ ખુલ્લું હોય તે મામાનું ઘર .. જે ઘરના દીવડાનો પ્રકાશ આપણાં આંગણાને અજવાળવા આવી ચડે તે મામાનું ઘર ..
બાળપણથી મામાના ઘરનું ભારે આકર્ષણ. વેકેશનના પહેલા જ દિવસે અમારી પલટન મામાના ઘરે જવા ઉપડે ને છેલ્લે દિવસ ઢીલા ચહેરા સાથે પરત ફરે. આખ્ખું વેકેશન મામાના ઘરે મજા કરવાની. ઘરથી પણ વિશેષ લાડકોડ. પોતાના સંતાનોને છાસ આપે પણ મામી મને તો સાંજે વાળુમાં દૂધ જ આપે. ત્રણ મામા સાથે ને પાસે પાસે રહે. સુવાનું તો કોઈ એક મામાના ઘરે પણ ઊઠીને ચા ત્રણેય મામાના ઘરે રકાબી રકાબી પીવાની. ને એમાં પણ ખતુમામી એટલે કે નાના મામીની મીઠી ચા આપણી સ્પેશિયલ. મામી-ભાણેજ અલક-મલકની વાતો કરતાં ચાની ચુસ્કી લીધાં કરીએ.
આમ તો મોસાળનું ગામ ખેડોઈ. કચ્છભરમાં જ્યાંની વાડીઓ વખણાય તે ગામની પાદરે કચ્છ ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવતા અંજારના સીધીક મામાના ખટારામાંથી ઉતરીએ ત્યારે નાની રાહ જોઈને જ બેઠાં હોય. આંખે ઝાંખપ આવ્યાં પછી દૂરથી અમને જોવા નાની આંખ પર હાથની છાંયડી કરે. અમને જોઈને મુખ હરખાઈ ઊઠે ને આંખ છલકાઈ ઊઠે. ચૂમીઓનો વરસાદ વરસી પડે ભલે ને ગમે તે ઋતુ હોય !
નાનાને તો આ આંખોએ ક્યારે જોયા નથી પણ નાનીનાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે એમની ખોટ પણ ક્યારે ય વરતાઈ નથી. હું નાનીના ગળાડૂબ પ્રેમમાં છું. એમના વિશે તો વિગતે ચરિત્રલેખ કરવાની ભાવના છે. એમના કરચલીયાળી ચામડીવાળા હાથ પર હું હાથ ફેરવતો. મને એમ કરવું બહુ ગમતું. વૃદ્ધત્વનું તેજ મેં એમની આંખોમાં ને બોલાતા પ્રત્યેક શબ્દમાં અનુભવ્યું છે. હજી ઘણીવાર પુછાઈ જાય છે કે નાની કેમ છે ?
મામા જ સઘળા લાડ કરવાની જગ્યા. નવાં કપડાં બાર મહિને એક કે બે વાર મામાના ઘરેથી જ મળે. બાકી તો વાણિયાઓએ આપેલાં કપડાં પહેરવાના. ચંપલ પણ મામા લઈ આપે. મામાના ભાઈબંધની દુકાનેથી અમે બધું લઈ આવીએ, 'હિસાબ હું મામા સાથે સમજી લઈશ' એમ કહેતા દુકાનદાર ભાઈના વાક્યો અત્યારે યાદ આવે છે ત્યારે થાય છે કે મામા આ હિસાબ કઈ રીતે સમજતા હશે. પણ ત્યારે તો કપડાંની સીવેલી થેલીમાં સામાન લઈ રાજી થતા થતા ઘરે આવતા. મામા તો માત્ર ભલે લઈ આવ્યા એટલું જ બોલતા.

નાના ઈશાકમામાની ઘોડાગાડીમાં બેસીને વાડીએ જવાની કંઈક અલગ જ મજા આવતી. વાડીઓની વચ્ચેથી નીકળતી ગાડા વાટે ચાલતી ઘોડાગાડીમાં બેસવાની તો મજા આવે જ પણ એથી પણ વધુ મજા આવતી ચીકુ, કેરી ને જામફળના લચી પડેલા બગીચાઓમાંથી મન પડે તે ખાવાની. મને બરાબર યાદ છે કે એકેય વાડીમાં તારની વાડ નહિ ને કોઈની રોક ટોક પણ નહીં. વેચાતાં ફળ લેવાની ત્રેવડ તો ક્યાંથી હોય એટલે મામાના ગામની વાડીઓમાં ધરાઈને ફળ ખાઈ લેતા, વરસ ભરના સામટા.
વાડીઓની સરહદ પૂરી થાય ને થોડાં બાવળની સીમને વટાવી અમારી સવારી મામાના ઈંટોના ભઠ્ઠા પર પહોંચતી. કુંભારની માટી સાથેની નિસબત બરાબર અનુભવાતી. ઈંટ જો પકવવા મૂકી હોય તો એની એક વિશિષ્ટ સુગંધ નાકને ઘેરી લેતી. હું કામમાં મદદ કરાવવા જાઉં તો એ પણ રમત જેવું લાગતું. વાડીમાં લાલ લાલ તરબૂચ નિંદામણની ખુરપીથી જ ચાર ટુકડા કરીને ખાઈ જતા. પછીથી મામા સપરિવાર વાડીએ રહેવા આવી ગયા ત્યારે દિવસો સુધી આ મજા માણી છે.
હમણાં વેકેશનમાં બે દિવસ મામાના ઘરે જઈ ફરી એ દિવસો પાછા જીવી આવ્યા. માનો વર્ગ એવા ઈસ્માઈલમામા, ઈશાકમામા ને ખુદાને પ્યારા બની ગયેલા દાઉદમામા તરફથી મળેલા અસીમ પ્રેમના પ્રવાહને વહેતો રાખી શકું તો ઘણું !
મારા મામાનું ઘર હવે મારી ભીતર જ બંધાઈ ગયું છે ! અંદર દીવો બળ્યા કરશે ત્યાં સુધી એ ઘર સાવ નિકટ ઝળહળ્યા કરશે !
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


મિ. સનત ઝવેરી, તમે નિત્યક્રમ પ્રમાણે પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવાને આવો છો. તે મુજબ આજે પણ સવારના ૭ વાગે નિત્યક્રમ જાળવી રાખ્યો છે. તમે એક ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી છો. પ્રહ્લાદનગર સામે જ આર્યવ્રત-૨-માં બંગલામાં તમારું બહોળું કુટુંબ રહે છે. સવારના ૭થી ૯ સુધી પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવા સાથે તમે અનેક મિત્રોને મળો છો. ૨૦ મિત્રો સાથે બેસી પ્રહ્લાદનગરની ગાર્ડનની લોનમાં બેસી ગોષ્ટિ કરો છો. તમે દરરોજ આ ગાર્ડનમાં ચાલવા આવો છો, તે મુજબ એક વૃદ્ધ કપલ પણ દરરોજ સાતના ટકોરે આજ ગાર્ડનમાં લાકડીના સહારે – ટેકે બન્ને પતિપત્ની ચાલતાં હોય છે. તમારી જેમ, રોજ ૭૦ વર્ષ આસપાસ પહોંચી ગયેલાં આ વદ્ધ કપલે પણ નિયમિત ચાલવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. અનેક લોકો સવારના આ ગાર્ડનમાં ચાલતા હોય છે, પણ સવારના ૯ વાગ્યા પછી ચાલવાવાળાં લગભગ બધાં જ ઘરે પાછા જતાં રહે છે.
મારા મિત્ર પ્રાધ્યાપક ગિરીશ જાનીએ થોડાં વરસ પહેલાં ભારતીય વિદ્યા ભવન માટે ફિરદોસીનાં ‘શાહનામા’નું સંપાદન કર્યું હતું. તેને માટે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનામાં પ્રા. જાનીએ લખ્યું હતું કે મુસ્લિમ આક્રમણકારોથી બચવા જરથોસ્તી ધર્મમાં માનનારા ઈરાનીઓએ પોતાનું વતન છોડીને ભાગવું પડ્યું હતું. ભારતીય વિદ્યા ભવનના વડા હોમી દસ્તુરને પારસી હોવાને નાતે જ્યારે આ પ્રસ્તાવનાનો મુસદ્દો જોવા આપ્યો ત્યારે ઉપરનું વાક્ય વાંચીને તેમણે કહ્યું હતું કે અમારા પૂર્વજોને સતાવનારાઓ આક્રમણકારો હતા, મુસલમાન નહોતા. જે ઇસ્લામ સમજ્યો હોય એ આવું ન કરે! બીજું, ઘાવને દુઝતા રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે. માટે ગિરીશભાઈ આ વાક્યને કાઢી નાખો તો સારુ.