= = મારી એક લાગણી દૃઢ થયા કરી છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન ખાડે ગયું છે ને એ દુખ:દ સ્થિતિ-પરિસ્થતિ સુધાર માગે છે = =
= = ક્લાસરૂમને હું ઘણા વખતથી ‘સીક’ ગણું છું – વર્ગખણ્ડ માંદો છે. એ મંદવાડને નીરખવાનું યુનિવર્સિટી-સત્તાધીશોની પ્રાયોરિટીઝમાં નથી આવતું = =
: ૧ : ક્લાસરૂમ સીક છે :
કવિસમ્મેલનો કે ગઝલના મુશાયરા પોતાની શક્તિમર્યાદામાં સફળ થતા હોય છે. સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓને વિશેના વ્યાખ્યાન-કાર્યક્રમોમાં બારોબારિયાં વખાણ કે ખાસ વાગે નહીં એવી મીઠી મુસ્કાનવાળી ટીકાટિપ્પ્ણીઓ થતી હોય છે.
અઘરા વિષયને વક્તાએ કેવોક ન્યાય આપ્યો તેની ખબર તો કોને પડે? સિવાય કે સભામાં જાણકારો બેઠા હોય અને મુક્ત ચર્ચાની જોગવાઇ હોય. આજકાલ એ જોગવાઇ ભાગ્યે જ હોય છે. વક્તાએ આસ્વાદ અને સમીક્ષા પછી કામચલાઉ મૂલ્યાંકન પીરસવાનું હોય. પણ એવું તો બહુ ઓછા કાર્યક્રમોમાં થતું હોય છે.
કેમ કે સાહિત્ય માટે સૌ પહેલાં તો ‘સહૃદયત્વ’ જોઇએ – અમસ્તો શૉખ કે કાર્યક્રમવેડા ન ચાલે. સાહિત્યની નાની કે મોટી વાત કરનાર વ્યક્તિ ‘રસાનુભવી' હોવી જોઇએ. નર્મદનો શબ્દ વાપરું તો, એને ‘રસજ્ઞાન' હોવું જોઈએ. મધુસૂદન ઢાંકીસાહેબ જેને ‘રસકારણ' ક્હૅતા તેની એને સૂઝબૂઝ હોવી જોઈએ. ’રાજકારણ’-વાળાને એમાં લાંબી સફળતા ન મળે.
આ તો જાણે, સમજ્યા. પણ માની લઈએ કે યુનિવર્સિટી-ડિપાર્ટમૅન્ટ્સમાં ને કૉલેજોના વર્ગોમાં તો સાહિત્યનું બધું બરાબર જ ચાલતું હશે. કેમ કે વર્ગખણ્ડ તો સાહિત્યવિદ્યાને માટેનું સુઆયોજિત અધિષ્ઠાન છે. વિધિવિધાન અનુસાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બધું યોગ્ય જ કરતા હશે. હા, કરે તો છે. અધ્યાપકો અભ્યાસક્રમ-નિયત બધું ભણાવે છે. વિદ્યાર્થીઓ ભણે છે. પરીક્ષાઓ લેવાય છે. પરિણામો આવે છે. દરેક યુનિવર્સિટીમાં બે-ત્રણ જણાંને ગોલ્ડ મૅડલ મળે છે. અનેકને ફર્સ્ટ ક્લાસ અને મોટા ભાગનાંઓને સૅકન્ડ ક્લાસ. ચોરીઓ કરીને પાસ થનારાં વધતાં ચાલ્યાં છે. પકડાતાં નથી કે પકડતા નથી. કોક નસીબફૂટલો જ નાપાસ થાય છે !
તો પછી દુખાવો શો છે? દુખાવો જાણવા વર્ગખણ્ડને અંદરથી જોવાની અને વાસ્તવમાં ત્યાં જે બને છે તેનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની જરૂર છે. આખી વાતને હું ગુજરાતી સાહિત્યના અધ્યયન-અધ્યાપન પૂરતી સીમિત રાખું છું અને જે કહું છું એ એના સન્નિષ્ઠ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના અપવાદે કહું છું. એઓ માટે મને માન-પ્રેમ છે.
પહેલી વાસ્તવિકતા એ કે વર્ગમાં અધ્યાપક મુક્ત નથી. ટાઇમટેબલ અનુસાર વ્યાખ્યાનો કરે. અભ્યાસક્રમ પૂરો કરે. પરીક્ષાઓ. પ્રશ્નપત્રો. સુપરવિઝન. વગેરે ક્રિયાકાણ્ડમાં જ બધો સમય વપરાઈ જાય. વિષયમાં અધ્યાપકને ઊંડા ઊતરવું હોય, કોઈ વિદ્યાર્થીને વધારે જાણવું હોય, તો વર્ગમાં એ માટેનો અવકાશ નથી. સૅમિસ્ટર સિસ્ટમમાં એ અવકાશ ઝીરો ડિગ્રીએ છે. ‘સૅમિ’-નો અર્થ છે, ગૌણ, અરધુંપરધું. ‘સ્ટર’-ને ‘સ્તર’ ગણીએ તો સૅમિસ્ટરમાં બધાં સ્તર અરધાંપરધાં થઈ ગયાં છે.
બીજી મોટા કદની વાસ્તવિકતા એ છે કે વર્ગમાં અમુક અધ્યાપકો વિ-મુક્ત હોય છે. પોતાનાં કર્તવ્યો માટે તેઓએ ભ્રાન્ત ઉપાયો અજમાવી લીધા છે : બહારના વિદ્વાનોનાં પુસ્તકોમાંથી નૉટો ઉતરાવી દેવી. મટિરિયલનાં ઝેરોક્ષ પકડાવી દેવાં. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર લખાવી દેવા. કહે છે, કેટલાક તો ગાઇડોમાંથી ભણાવે છે. અમુક કૉલેજોની લાઇબ્રેરીઓમાં ગાઇડો જ ભરપૂરે હોય છે.
એક ત્રીજી વાસ્તવિકતા પણ છે : ગામડાંગામની કૉલેજો. બહુ ઓછા લોકોને જાણ છે કે ગુજરાતીના મોટા ભાગના અધ્યાપકો ગામડાંની કૉલેજોમાં છે. ત્યાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મુખ્ય વિષય તરીકે ગુજરાતી રાખે છે. જ્યારે, શહેરોની કૉલેજોમાં ગુજરાતી વિષય લેનારાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે.
કવિ ઉમાશંકર વર્ગને ‘સ્વર્ગ’ કહેતા. કેટલાક મિત્રો પોતાનાં વિદ્યાકીય પુણ્યોને પ્રતાપે સ્વર્ગીય વિદ્યાનન્દ અચૂક પામતા હોય છે. એનો મને ગર્વ છે. પણ ઘણી વાર પ્રશ્ન થાય કે ગામડાની કૉલેજના સરેરાશ અધ્યાપકને કયું સ્વર્ગ? એને વાતાવરણ કેવુંક મળ્યું હોય? કઈ સગવડો? વર્ગને સ્વર્ગમાં બદલી નાખનારું જ્ઞાનબળ ધારો કે એનામાં હોય, પણ એ બળનું ત્યાં શું ઊપજે? ૪૫ મિનિટને ઍળેબૅળે જ રોડવતો હશે ને? સઘળું પ્રતિકૂળથી પ્રતિકૂળ. બને કે એની કારકિર્દી ત્યાં ને ત્યાં ઠિંગરાઇ જતી હોય.
આ વિસ્તરતું પલાયન છે : અધ્યાપક અને વિદ્યાર્થી બે ય એકદમના બદલાઈ રહ્યા છે. બન્નેનો આત્મા મૂરઝાઈ રહ્યો છે. બન્નેના આત્મવિશ્વાસનો ક્ષય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ટૅક્સ્ટ-બુક લાવે નહીં. ભાગ્યે જ લાઇબ્રેરીમાં જાય. અધ્યાપક એને જવલ્લે પૂછે કે સ્વાધ્યાય માટે તું શું કરું છું. વિદ્વત્તાની છત ધરાવનારા અધ્યાપકોની સંખ્યા ઘટી રહી છે. કહે છે, કોઈ કોઈ તો નછૂટકે ભણાવે છે. ચીડાયેલા રહે. નિયમ ફરમાવે – કોઈએ મને પ્રશ્ન નહીં પૂછવાનો, મારી ‘લિન્ક’ તૂટી જાય. ગુજરાતી સાહિત્યજગતને મૂંગા ને ઠાવકા શ્રોતાઓ જે મળ્યા છે એ આમ યુનિવર્સિટીઓની દૅણ છે.
એટલે ક્લાસરૂમને હું ઘણા વખતથી ‘સીક’ ગણું છું -વર્ગખણ્ડ માંદો છે. એ મંદવાડને નીરખવાનું યુનિવર્સિટી-સત્તાધીશોની પ્રાયોરિટીઝમાં નથી આવતું. પરિણામો સમયસર જાહેર નથી કરી શકાતાં એ વાતે ડખો છે : આન્સરબુક્સ તપાસનારા મળે, ન મળે; આવે, ન આવે. આમ તો એ અધ્યાપકની પાયાની ફરજ છે -શીખવે તે પરખે કે નહીં? જોકે, ૨૪ પેજની આન્સરબુક ૨૪-થી ઓછી સૅકન્ડમાં તપાસી આપનારા મળે છે ! કહેવાય છે કે પરિણામો બાબતે કાર્યાલયમાં ય ખાસ્સી અટવામણ છે.
ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસ માટે ચિન્તાળુ જીવાત્માઓએ આ ત્રણેય વાસ્તવિકતાઓ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે – ગુજરાતી વિષય લેનારાં અલોપ થઈ જાય અને વિષયને યુનિવર્સિટીઓ તાળાં મારી દે, એ પહેલાં.

Picture courtesy : Reader's digest
આ બધું આવું બધું છે, તેમ છતાં, હું આશાવાદી છું. મારું પહેલેથી માનવું રહ્યું છે કે ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસશીલ ભવિષ્યનો આધાર માત્ર યુનિવર્સિટીઓ જ હોઈ શકે. ગુજરાતી ભાષા-સાહિત્યની એક વિષય તરીકે યુનિવર્સિટી-કક્ષાએ થયેલી આ કાયદેસરની જોગવાઈ છે. એને રોળાતી જોયા કરીએ તો અપરાધી કહેવાઈએ.
જુઓ, રોજ સવારે એ અધ્યાપક, જેવો હોય એવો, સાહિત્ય વિશે, સવિશેષે ગુજરાતી સાહિત્ય વિશે, જેવું આવડે એવું બોલતો હોય છે. એ વિદ્યાર્થી, જેવો હોય એવો, જે સાંભળે એ, હમેશાં સાહિત્ય બાબતે સાંભળતો હોય છે. સાહિત્યશિક્ષણની એ રોજિંદી ઘટમાળમાં મંદવાડ જરૂર છે, પણ એને ચાહત અને નિસબતથી જોવાની જરૂર છે. મને એ કંજૂસ બાપની આછીપાતળી પણ મૉંઘી મૂડી લાગે છે – એવી કે જેમાંથી એક દિ એનાં સન્તાનો અને ભાવિ પેઢીઓ બ્હૉળા વેપારનાં ધણીધોરી બનવાનાં હોય. આ થઈ, દુખાવાની વીતકવારતા. ઇલાજ શું?
(હવે પછી)
(January 1, 2022 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફતો આવે છે તો સરકારને જીવનું જોખમ ઊભું થતું નથી, પણ લોકો તો મરે જ છે ને ઘણીવાર તો એવાં મરે છે કે તેમનું રડતાં પાર નથી આવતો. જેમનો કોઈ વાંક નથી હોતો એવાં મરે છે ત્યારે પીડા વધુ હોય છે. એની વે, બહુ મહેનતને અંતે આપણે કોરોનાની ત્રીજી લહેર લાવવામાં સફળ થયાં છીએ ને હવે જે થાય તેની તૈયારી રાખવાની રહે જ છે. સરકારે રોગ ન વધે એની ચિંતા કરવા કરતાં હોસ્પિટલોને સુસજ્જ કરવાનું શરૂ કરી દીધું છે ને બીજી લહેર વખતે પણ બધું સુસજ્જ જ હતું તો ય હજારો માણસો બેડ વિના, ઇન્જેકશન વિના, ઓક્સિજન વિના એટલી સંખ્યામાં મર્યાં કે સ્મશાનો ખૂટી પડ્યાં. ગુજરાત સરકારે ચામડી બચાવવા મોતના આંકડા છુપાવ્યાં હતાં તે તો તે વખતના મુખ્ય મંત્રીએ ખુદ કબૂલ્યું હતું. એની તીવ્ર પ્રતીતિ તો એના પરથી થાય છે કે સુપ્રીમ કોર્ટે મૃતકોનાં સ્વજનોને 50,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો ત્યારે 67,388 અરજીઓ આવી. સરકારે જો 10,116 મૃત્યુ થયાનું જાહેર કર્યું હોય તો આટલી અરજીઓ આવી કેવી રીતે? એમાંથી 45 હજારથી વધુ અરજીની 226 કરોડથી વધુ રકમ તો મંજૂર પણ કરી દેવાઈ છે ને એમાં પણ, 41 હજારથી વધુ અરજદારના ખાતામાં તો રકમ પણ જમા કરી દેવાઈ છે. એ બતાવે છે કે આ આંકડાઓ સરકારે સ્વીકાર્યા છે. મોતની એટલી સંખ્યા તો હવે સરકારને ગળે પણ ઊતરી છે, નહિતર એ કરોડો રૂપિયા વળતર તરીકે મૃતકોનાં સ્વજનોને ચૂકવે નહીં. એ સાથે જ એ વાત પણ સરકારે જ પુરવાર કરી છે કે કોરોનાથી થયેલ મોતનો આંકડો તેણે છુપાવ્યો છે. સાથે જ એ પણ માનવું પડે કે સરકાર ખોટું બોલી શકે ને ખોટું કરી પણ શકે. મતલબ કે સરકાર વિશ્વનીય ન પણ હોય એય માનવું પડે. આ જ સરકારે કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા ઘણી તૈયારીઓ કરી હોવાના દાવાઓ પણ કરેલા ને પછી જે તકલીફો થયેલી તે લોકોને થયેલી ને સરકારે પણ પછી તો બદલાવું પડેલું. કોરોનાને કારણે એમ થયેલું એવું કદાચ ન પણ હોય, પણ એ વખતના મુખ્ય મંત્રી, કોરોનામાં જે હાલત ગુજરાતની થઈ એ કારણે સહાનુભૂતિ ગુમાવી ચૂકેલા એ વાત નિર્વિવાદ છે.
પચીસમી ડિસેમ્બરનું વડાપ્રધાન મોદીનું લખપત વક્તવ્ય સાંભળ્યું તમે? જેમ તે પૂર્વે કાશીમાં તેમ અહીં કચ્છમાં પણ એમણે હજુ ‘ઔરંગઝેબ’ સામેનું જુધ્ધ ચાલુ છે, એ મુદ્દો કર્યો. ગુરુ નાનકે મક્કા જતાં જ્યાં રોકાણ કરેલું તે લખપતમાં એમણે હિંદુમુસ્લિમ સમન્વયનો મહિમા કરવા કરતાં ઓરંગઝેબનાં વરસો પસંદ કરવાનું નક્કી કર્યું એ સૂચક છે એમ જરૂર કહી શકાય. પણ ખરી વાત તો એ છે કે આ પ્રકારના ઉલ્લેખો એમનો ચિરરાબેતો છે. એમાં પણ ખાસ કરીને ૨૦૨૨નું વરસ ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોનું ચૂંટણીવરસ છે ત્યારે તો હિંદુમુસ્લિમ ધ્રુવીકૃત કોમી ચશ્મે જોવુંચીતરવું એ એમને સારુ કદાચ તકાજો પણ હશે. સબકા સાથ, સબકા વિકાસ જેવાં સૂત્રો ઉછાળતાં ઉછાળ્યાં હશે, પણ સ્થાયી રાગ તો પેલો અને પેલો જ, બોલ્યે અગર વણબોલ્યે.