
રવીન્દ્ર પારેખ
અત્યારે ઈરાન V/S અમેરિકા અને ઇઝરાયલનું તાજું તાજું યુદ્ધ ચાલે છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. આમ તો આ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, પણ ઇઝરાયલ અમેરિકાને પક્ષે રહીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યું છે. ઈરાની વડા ખોમેનીના મોતમાં ઈઝરાયલનો હાથ નથી એમ કહી શકાશે નહીં. ઇઝરાયલ અને અમેરિકાએ 17 ઈરાની જહાજો ડુબાડ્યાં છે. ઈરાને મિડલ ઇસ્ટના નવ દેશોમાંના 14 અમેરિકી બેઝ પર વળતો હુમલો કર્યો છે, તો ઇઝરાયલે પણ લેબેનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટેનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે, તો ઈરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લીઅર સેન્ટરને ટાર્ગેટ કરશે. એ ઉપરાંત અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા નજીક હુમલો કરીને જહાજ ડુબાડી દીધું છે. આ હુમલામાં 180માંથી 100થી વધુ નૌસૈનિકોનાં મોત થયાં છે. આ જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં આયોજિત 2026 ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. હુમલાની પ્રતિક્રિયા આપતાં ઈરાને કહ્યું કે ઇઝરાયલે અમારું યુદ્ધ જહાજ ડુબાડીને ભૂલ કરી છે. આ ભૂલ બદલ અમેરિકાએ પરિણામ ભોગવવું પડશે. એવું અમેરિકા પણ બોલ્યા કરશે ને એમ ચાલ્યા કરશે.
આમ તો અમેરિકામાં ઈરાન પરનાં સંભવિત હુમલાનો વિરોધ થઇ રહ્યો છે. હાલમાં જ યુંનાઈટેડ સ્ટેટ્સ સેનેટની આર્મ્ડ સર્વિસિસ કમિટીની સુનાવણી દરમિયાન ભારે ધમાચકડી થઈ છે. ઈરાન પર અમેરિકી હુમલાનો વિરોધ કરવા જતાં એક પૂર્વ સભ્યનો હાથ ભાંગી ગયો. એ સાથે જ અઝરબૈજાન પર ડ્રોનનો હુમલો ઈરાને કરાવ્યો હોવાનો આરોપ પણ છે ને તેના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઈરાન માફી માંગે. જો કે, ઈરાને હુમલાનો ઇન્કાર કર્યો છે. વાત તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાની પણ છે. ઈરાનના કમાન્ડરે પાકિસ્તાનીને હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ન્યૂયોર્કની કોર્ટમાં આવો ચોંકાવનારો દાવો થયો છે. ટૂંકમાં, આ બધા પ્રયત્નો યુદ્ધને ભડકાવવા થઈ રહ્યા હોવાનું લાગે છે. અમેરિકા દરેક પગલાંને ન્યાય્ય ઠેરવવા કંઇ પણ કરી શકે એમ છે એ સમજી લેવાનું રહે.
ભારતે ખોમેનીનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત ના કર્યો એ સંદર્ભે પણ માછલાં ધોવાયાં, પણ ભારતે એ વિવેક દાખવ્યો છે ને પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને ત્યાં શોકદર્શક પુસ્તિકામાં સહી પણ કરી ને શોકાંજલિ પણ અર્પણ કરી. આ શ્રદ્ધાંજલિ ભારત સરકાર દ્વારા આપવામાં આવી.
એક તરફ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધમાં સંડોવાયેલા છે, તો રશિયા અને યુક્રેન પણ યુદ્ધમાં રોકાયેલાં છે. ચાર વર્ષથી ત્યાં યુદ્ધ ચાલ્યા કરે છે ને તેનો છેડો આવતો નથી ને જે ગુજરી ગયા એ બંને પક્ષે લોકો છેડો મૂકતાં પરવારતાં નથી. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ એકબીજાને શિંગડાં ભરાવી રહ્યાં છે. બીજે પણ યુદ્ધ ચાલતું હશે કે યુદ્ધની તૈયારીઓ ચાલતી હશે ને મીડિયા તેની સાનંદ નોંધ લેતાં હરખાયા કરે છે. યુદ્ધના સમાચાર આપવામાં હરખાતું મીડિયા યુદ્ધ અંગેની ટિપ્પણીઓ બહુ ઓછી આપે છે. એ અત્યંત દુખદ છે કે સૌ યુદ્ધનો લાભ લઈ રહ્યા છે. એ સાથે જ શેરબજાર કડાકો બોલાવી રહ્યું છે અને ક્રૂડ મોંઘુ થવાની સંભાવનાઓ સાથે યુદ્ધ લાંબું ચાલ્યું તો ભારતની તકલીફ વધશે એવા વર્તારા પણ મીડિયા જ આપ્યે રાખે છે. કોણ જાણે કેમ પણ યુદ્ધનો લેવાય એટલો લાભ દુનિયા લઈ રહી હોય એવું વાતાવરણ છે.
આ પૃથ્વી ફરતી થઈ અને માનવ વસ્તી વધતી ગઈ તેમ તેમ યુદ્ધ થતું આવ્યું છે. માણસને લોહી વગર ચાલ્યું નથી, એટલે લોહી રેડવાનું પરાપૂર્વથી ચાલ્યું આવે છે. વહેતું લોહી જોઈને સ્વજનોને પીડા થતી હશે, પણ શત્રુને તો આનંદ જ આવે છે. મહાભારત કાળથી લોહીની નવાઈ નથી. ભીમ જેવાએ તો દુશાસનની છાતીનું લોહી પીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી, તો દ્રૌપદીએ તેનાં લોહીથી વાળ ધોયા હતા. યુદ્ધ કદાચ માનવને સૌથી વધુ ક્રૂર અને ઝનૂની બનાવે છે. આ ક્રૂરતા ઉત્તરોત્તર વધતી જ આવી છે ને તેના મૂળમાં સત્તાની પ્રાપ્તિ રહેલી છે. પહેલું યુદ્ધ પથ્થરોથી લડાયું હશે ને પછી તીરકામઠા. ભાલાતલવાર ને તોપબંદૂકોથી આક્રમણો થયાં ને થતાં રહ્યાં છે. આ બધી વખતે શત્રુ સામે રહેતો હતો ને કોને મારવાનો છે, એની ખબર મારનારને રહેતી હતી.
એક સમયે રાજા પણ રણભૂમિમાં યુદ્ધે ચડતો ને રાજ્ય માટે જીવ આપતો, હવે એવું થયું છે કે યુદ્ધ કરતી વખતે શત્રુનું દેખાવું અનિવાર્ય નથી. તેનો સંપર્ક હોય કે ન હોય સત્તાધીશો કેબિનમાંથી સામસામે આક્રમણ કરતાં રહે છે. યુદ્ધ ચાલતું રહે છે, હજારો સૈનિકો, નિર્દોષ નાગરિકો મોત પહેરી લે છે, પણ પેલા બેત્રણ સત્તાધીશોનો કાંગરો ય ખરતો નથી. હવેનાં રાજાઓ શત્રુને જોયા વગર જ કેબિનમાંથી આક્રમણ કરી શકે છે. મૃત્યુ માટે જેટલી તકો આપણે યુદ્ધમાં ઊભી કરી છે, એટલી જીવન માટે નથી કરી. યુદ્ધ માટે રણમેદાનની જરૂર જ ન રહે એટલો વિકાસ આપણે કર્યો છે. હવે હજારો માઈલ દૂર પડીને મિસાઈલ્સ ઘાતકી હુમલાઓ કરીને હજારો લોકોનાં કોલસા પાડી શકે છે ને કરોડોની માલમિલકતનો ધુમાડો પણ કરી શકે છે. જાતભાતના વિકાસ પછી સર્વનાશ એક માત્ર લક્ષ્ય રહી જાય છે.
શસ્ત્રથી દૂર રહેવાનું આજ સુધીમાં બે મોહને સ્વીકાર્યું છે. એક કૃષ્ણે ને બીજા મોહનદાસ કરમચંદ ગાંધીએ. કૃષ્ણે તો ભીષ્મ સામે રથચક્ર ઉપાડીને આક્રમણ કરવાનું કરેલું, પણ મોહનદાસ કરમચંદ ગાંધીએ એટલી ભૂલ પણ ન કરી. શત્રુ સિવાય નાગરિકો પર હુમલાઓ થતા ન હતા. હવે મિસાઇલોએ શત્રુ અને શહેરીજનો વચ્ચેનો ભેદ ભૂંસી નાખ્યો છે. એ સિવાય યુદ્ધ હંમેશાં લોહિયાળ અને વિજય ભૂખ્યાં રહ્યાં છે. સત્તા અને વિજય લોહીથી જ મેળવાય એવું યુગોથી ચાલી આવ્યું છે. એમાં યુદ્ધમાં ગુમાવનારા સ્વજનોની યાદમાં લોહી જેટલાં જ વહેલાં આંસુઓથી જરા પણ ફરક પડ્યો નથી. પડતો નથી. આંસુ વહેતાં જ રહ્યાં છે ને સમાંતરે લોહીનું વહેવાનું પણ અટકતું નથી. વ્યક્તિ શત્રુ દેશની હોય કે મિત્ર દેશની, યુદ્ધમાં સ્વજનનું મૃત્યુ માતાએ, પિતાએ, પત્નીએ, પતિએ, ભાઈએ, બહેને જીરવવાનું જીવ પર આવે છે. એ મિત્ર દેશની વ્યક્તિ હોય કે શત્રુ દેશની, યુદ્ધમાં મૃત્યુ, એવો કારમો ઘા હોય છે કે જે રહી જાય છે, તે સ્વજનોએ લોહીનાં આંસુ રડવાના આવે છે. આ દરેક યુદ્ધમાં થાય છે, પણ યુદ્ધ વગર માણસજાતને ચાલ્યું નથી. આદમ જ આદમખોર થઈ ઊઠ્યો હોય એમ આખું વિશ્વ યૌદ્ધિક હવામાનનો સામનો કરી રહેલું જણાય છે.
કોઈ પણ દેશમાં બોમ્બ પડે છે તો પ્રચંડ ભડકો થાય છે ને લોકો વરાળ થવા લાગે છે. પહેલી મિસાઈલ પડે છે ત્યારે કોઈને અંદાજ નથી આવતો એના પડવાનો. કદાચ બધા જ વ્યવહારો ચાલતા હોય છે. કોઈ ‘આઈ લવ યૂ’ કહેવા હોઠ ખોલે છે ને શબ્દો બહાર જ નથી નીકળી શકતા. કોઈ પ્રાર્થના કરે છે ને ‘આમીન !’ શબ્દ જ તૂટી જાય છે. કોઈ માતા તેના દીકરાને દૂધ પાવા ઘોડિયામાંથી બહાર કાઢે છે ને તેનો ઝોળી પકડતો હાથ ત્યાં જ સ્થિર થઇ જાય છે ને દીકરો અડધો, ઝોળીમાં જ રહી જાય છે. પછી પવનથી થોડો સંચાર થાય છે ને બધા જ આકારો રાખનો ઢગલો થઇ જાય છે.
આપણે ચંદ્ર પર વસ્તી ઊભી કરવાનું સાહસ કરી રહ્યાં છીએ. પૃથ્વી બગાડીને હવે ચંદ્ર બગાડવા બેઠાં છીએ, પણ પૃથ્વીને વળગેલા લોહીના આકારોની આપણને નાનમ નથી લાગતી. યુદ્ધ દુખદ જ હોય છે, પણ દુનિયાને લોહી રેડાય તેવું ફાવે છે. લોહી રેડે છે તે રાજી થાય છે ને જેનું રેડાય છે તે આંસુઓમાં પણ લોહી જ વહાવે છે. આપણી ‘લોહીની સગાઈ’ જ આવી છે, શું કરીએ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 માર્ચ 2026
![]()


ફ્રાંસના વિખ્યાત નવલકથાકાર, કવિ અને રાજનીતિજ્ઞ વિકટર હ્યૂગો(જન્મ – ૨૬ ફેબ્રુઆરી ૧૮૦૨, અવસાન – ૨૨ મે ૧૮૮૫)ની અજોડ નવલકથા ‘લે મિઝેરાબ્લ’ [Les Miserables] દોઢસો કરતાં વધુ વરસો પહેલાં (૧૮૬૨) પ્રકાશિત થઈ હતી. હ્યૂગોના શબ્દોમાં, “અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિઝ નિરુપયોગી નહીં બને”. બાબાસાહેબ ડો. આંબેડકર જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડેલા તેમાંનું એક ‘લે મિઝેરાબ્લ’ હતું. ફ્રેન્ચ શબ્દ ‘લે મિઝેરાબ્લ’નો અર્થ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે. ૧૯૪૭માં આ નવલકથાનો પ્રથમ ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો. જે સિલસિલો આજે પણ ચાલુ છે. હ્યૂગોની આ કાલજયી નવલના વિવિધ ગુજરાતી અનુવાદોનાં નામો પણ રસપ્રદ છે: દુખિયારા, ગુનો અને ગરીબાઈ, ગુનેગાર..! તથા દરિદ્રનારાયણ.
આ પ્રશિષ્ઠ કૃતિ જીન વાલજીનના પ્રમુખપાત્રના ખભે ઊભી છે. એ ઉપરાંતના ૬૩ જેટલાં પાત્રો, અનેક સ્થળો અને ઉપકથાઓમાં ગૂંથાયેલી આ નવલકથામાં કથારસ બરાબર જળવાય છે. ‘ડી. પરગણાના બિશપ’ના પ્રથમ પ્રકરણથી આરંભાતી અને ‘આટલું બધું અજવાળું શાનું?’ ના એકસો દસમા પ્રકરણે સમાપ્ત થતી નવલમાં બધું મંગળ જ મંગળ નથી. નવલકથાનો આરંભ આશાયેશ જગાડનારો અને અંત સુખમાં પરિણમનારો જરૂર છે, પરંતુ તેની વચ્ચેનાં પ્રકરણોમાં જે અન્યાય, અભાવ, દરિદ્રતા, શોષણ અને દુ:ખનાં વર્ણનો છે તે નવાસવા ઔદ્યોગિકીકરણ તરફ જઈ રહેલા ફ્રાન્સના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું બિહામણું ચિત્ર રજૂ કરે છે.
ખેર, વાત વધુ અવાન્તરે ચાલે તે પહેલાં અટકું પણ જેમ ગિલનું તેમ રિબેરોનુંયે સ્મરણ કરી લઉં. 1985માં માધવસિંહ સોલંકીની સરકાર હતી અને અનામત વિરોધી ઉત્પાતે કોમી વળાંક લીધો હતો. તોફાનો શમવાનું નામ લેતાં નહોતાં અને પંજાબમાં શાંતિ સ્થાપનની યશસ્વી ભૂમિકા ભજવી જાણનાર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રિબેરોની સેવાઓ લેવામાં આવી હતી. માધવસિંહ સોલંકી પછી મુખ્ય મંત્રી પદ સંભાળનાર અમરસિંહ ચૌધરીના શબ્દોમાં ‘રિબેરો સફળ થયા, કેમ કે તે કોઈને બદ્યા બદે નહીં એવી આઝાદ સમજના માલિક હતા. કોઈની શેહમાં આવે તે રિબેરો નહીં.’