રાજકારણ સ્મૃિતનાશક છે. એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઇ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.
હું આ ‘સાહિત્ય સાહિત્ય’-ની છતરી હેઠળ બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ – અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી – વિશે પણ લખવું જોઇએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાહબરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો. મેં કહ્યું : દોસ્ત, આમાં મને તારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન – હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ?- હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું, હા, બધા વિશે લખીશ. શનિવારે ‘છતરી’ તું જોઇ લેજે. ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો. આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્યુલર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઇક લખું :
સન્મિત્રને જણાવું કે અકાદમી-અધ્યક્ષ વિષ્ણુભાઇને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઇ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઇ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તો પણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે.
પરિષદ-પ્રમુખને પૂછવા કરતાં સિતાંશુ યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું કંઇક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને ‘શબ્દસૃષ્ટિ’ જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુ:ખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી- સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઇપણ સાહિત્યકાર મુક્ત મને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઇ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે. મૈત્રીના એ જ નાતે કહું કે રાજેન્દ્ર મહેતાએ RTI -ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તો પણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી.
મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઇ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ – સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઇ પણ સંસ્થા ‘સાહિત્યિક સંસ્કૃિત’ માટે શ્રેયસ્કર છે.
પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. વ્યક્તિએ સર્જક કે સમીક્ષક પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુક્સાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ – જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અધીન રહેવાની વાત. કેમ કે વૈશ્વિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઇ ગયો ! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઇમાં વીસરી જાય છે કે પોતાથી સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે. ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઇ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકીય રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે ! કોઇ પણ ક્ષણે વ્યક્તિના ખૉળામાં જઇ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃિતનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.
હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઇ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે ! એને થાય, મારે આને, ‘પ્રમુખ’ ચૂંટવાનો? સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઇ જવાનું.
આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. ભૂતકાળમાં, જરા જેટલા ય પ્રચાર વિના મધ્યસ્થમાં બે વાર ભરપૂર મતોથી ચુંટાયો છું. પણ કારોબારીની ચૂંટણીમાં મને દગો કરીને હરાવાયો, એટલે પછી, ત્યારથી છૂટાછેડા છે. છતાં નિમન્ત્રણથી પરિષદનાં કામો હંમેશાં કર્યાં છે : અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે : ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, ‘શબ્દસૃષ્ટિ’-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી. તેમ છતાં, વર્તમાનમાં અકાદમીના નિમન્ત્રણથી જોડાયેલો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હંમેશાં કર્યાં છે. મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઇ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિ:સ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે. રામ રામ.
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 11 નવેમ્બર 2017
https://www.facebook.com/suman.shah.94/posts/1713885838642322
![]()


હું લગભગ ૧૯૬૦થી વિજ્ઞાનના વિવિધ વિષયો પર ગુજરાતીમાં લખું છું અને છેલ્લાં ઠીકઠીક વર્ષોથી હાથેથી લખવાનું બંધ કરીને બધું જ કામકાજ કમ્પ્યૂટર પર કરું છું. લખવા-વાંચવાના શોખને કારણે આ દરમિયાન મારે અનેક પ્રકારના વિદેશી-દેશી સંદર્ભગ્રંથો, દેશ-પરદેશનાં સામયિકો અને વિવિધ ભાષાના વિષય પરના કોશોના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું છે. વર્ષોના અનુભવ પછી ગુજરાતીમાં લખતી વખતે જે કેટલીક મુશ્કેલી લાગી છે, તેના ઉકેલ કેવી રીતે લાવી શકાય તે ધ્યાન પર લાવવા આ લખું છું. પણ સાથે એ પણ કહું કે હું કોઈ કમ્પ્યૂટર-વિશેષજ્ઞ કે ભાષાશાસ્ત્રી નથી. મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ અન્ય સાહિત્યિક સંસ્થાઓ એક થઈને અહીં સૂચવેલાં સૉફ્ટવેર બનાવવાની કામગીરી પાર પાડે, તો મારી માબોલી, માતૃભાષા ગુજરાતી પર બહુ મોટો ઉપકાર થશે.
(૪) હવે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ અંગેની વાત કરીએ. સન્ ૨૦૧૭ની છેલ્લી આવૃત્તિ કેટલીક બાબતોમાં અગાઉની આવૃત્તિઓ કરતાં ચડિયાતી છે, તેમાં કશી શંકા નથી. તેના પ્રત્યેક પૃષ્ઠ પર નીચે ગુજરાતી મૂળાક્ષરો તેમના ક્રમમાં આપ્યા છે તે બહુ ઉપકારક છે. પણ બીજી વાત કરીએ તે પહેલાં જ કબૂલ કરું કે હું કોઈ ભાષાશાસ્ત્રી નથી. સામાન્ય માનવીને થાય તેવું એક કૂતૂહલ મને પણ થાય છે તે એ કે અંગ્રેજી શબ્દકોશોમાં શબ્દોની સચોટ સમજ મળે તે આશયથી સાથે ટચૂકડાં ચિત્રો કે સુરેખ આકૃતિઓ (મોટે ભાગે એકરંગી કે પછી બહુરંગી) આપવામાં આવે છે. જરૂર પડે ત્યાં આકૃતિને લેબલથી અંકિત પણ કરેલી હોય છે. આપણે ગુજરાતીમાં આવું કરી શકીએ. જેમ કે, હાથના પંજાની આકૃતિને અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠિકા, એવા નામનાં લેબલ મારીને દર્શાવી શકાય. આમ કરવાથી જેને થોડુંઘણું પણ વાંચવાં આવડતું હોય, તેને તરત જ સમજાઈ જશે કે આ નામો કઈ કઈ આંગળીનાં છે.
કોઈકને એમ પણ થાય કે આવો એકાદ શબ્દ ન આપ્યો હોય તેમાં શું થઈ ગયું ? પણ ઘણો ફેર પડે. એક ઉદાહરણથી સમજીએ, માનો કે તમારે ‘Binoculars’ શબ્દ તમારા પુસ્તકમાં લખવાનો થાય છે. એ શબ્દને ગુજરાતીમાં લખવો તો કેવી રીતે લખવો તે માટે ખાંખાંખોળા કરો છો, પણ તે એક પણ કોશમાં મળતો નથી. આ માટે તમે ડૅનિયલ જૉન્ઝ કૃત ‘English Pronouncing Dictionary’ પણ જુઓ છો. પણ યાદ રહે કે તેનું નામ જ સૂચવે છે તેમ તે માત્ર ઉચ્ચારકોશ છે, જોડણીકોશ નથી, તેથી તેમાંથી લિપિ અંગે જરૂરી માર્ગદર્શન મળશે, પણ ગુજરાતી જોડણી લખતી વખતે તો ગુજરાતી રૂઢિ, ગુજરાતી બોલી કે પછી કોશમાં આપેલા નિયમોને આશરે જ જવાનું થશે. પણ આ બધું સુલભ ન હોવાથી અને નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી તમે તમારી રીતે જોડણી કરો છો. આમ કરવામાં ‘… હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ એવા ગાંધીજીના આદેશનો તમે નછૂટકે ભંગ કરો છો! અગાઉનાં પુસ્તકોમાં ભારે ગર્વ સાથે લખવામાં આવતું કે ‘પુસ્તકમાં જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ જો આ શબ્દ ન મળ્યો, તો પછી તમારા પુસ્તકમાં બેધડક નામ લખી શકાશે? મજાકમાં કહીએ તો પછી આવું લખાશે. ‘બાયનોક્યુલર વગરના બધા શબ્દોની જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ આ ઉદાહરણથી કોશકારનું ઉત્તરદાયિત્વ કેટલું વધી જાય છે, તે સમજાશે.
પાંચસો સાઈઠ પાનાંની આ નવલકથાનાં અનેક દ્રશ્યો વાચકને હચમચાવી મૂકે તેવાં છે. ‘ક્રોસરોડ’ નવલકથા અડધી સદી(૧૯૨૦-૭૦)નો સમય આલેખે છે. આ સમયગાળો -સાંસ્થાનિક ભારતની આઝાદીની લડાઈનો અને નવા ભારતની મથામણોનો ગાળો છે. નવજાત શિશુની હાલત બગડે ત્યારે કાચની પેટીમાં રાખવામાં આવે એવી હાલત આપણી આઝાદી પછી હતી એ પણ અહીં દર્શાવાયું છે. આવા કાળખંડની સામગ્રીનું આકલન કરવાની ક્ષમતા અને સીમાઓ તેમ જ એ સામગ્રીનું કળામાં રૂપાંતર કરવાની ક્ષમતા અને સીમાઓનું દર્શન આ નવલકથા કરાવે છે.