‘જીહાં હુજુર મૈં ગીત બેચતા હૂં’ – કાવ્યના સર્જક ભવાની પ્રસાદ મિશ્ર કવિ તરીકે ભારતભરમાં જાણીતા હતા. એ ગાંધીમાર્ગના સમર્પિત યાત્રી હતા. એમના સુપુત્ર અનુપમ મિશ્ર પાણી અને પર્યાવરણના જતન માટે સતત સક્રિય રહ્યા. વક્તા અને લેખક તરીકે એ વિશ્વવિખ્યાત થયા. અહિંસા સંસ્કૃિત કા દ્વૈમાસિક ‘ગાંધીમાર્ગ’નું સંપાદન કર્યું. માત્ર અડસઠ વર્ષ (1948થી 2016) જીવ્યા પણ શતાબ્દીથી પણ સવાયું કામ કર્યું. એમનાં ધર્મપત્ની મંજુશ્રીએ ગાંધી-માર્ગના છેલ્લા અંકમાં આપેલા જીવન-વૃત્તની વિગતો વાંચતાં આશ્ચર્ય થાય છે.
સંસ્કૃત સાથે એમ.એ. થયેલા પણ ભાષાની સાદગી એમની પાસેથી શીખવાની રહે. સને 1969માં એ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. પ્રભાષ જોશીના નેતૃત્વમાં શ્રવણ ગર્ગ સાથે જોડાઇ લેખન-પ્રકાશનની જવાબદારી સંભાળી. સર્વ સેવા સંઘના સાપ્તાહિક ‘સર્વોદય’નું પ્રકાશન આરંભ્યું.
વૃક્ષો બચાવવા માટેનું ‘ચિપકો’ આંદોલન, મધ્યપ્રદેશના નવા બંધનું મિટ્ટી બચાવો આંદોલન, ગોચર રક્ષા આંદોલનમાં ભાગ લઇ લખવાનો આરંભ કર્યો. સને 1973માં જયપ્રકાશજીના નેતૃત્વમાં ચંબલમાં ડાકુઓ આત્મસમર્પણ કરે એ માટેના અભિયાનમાં જોડાયા. એ વિશે ‘ચંબલની બંદૂકો ગાંધીનાં ચરણોમાં’ એ નામે પુસ્તક લખ્યું.
આજીવન દાસ બનાવવામાં આવતા ‘બંધુઆ મજદૂરો’નો સર્વે કર્યો. સને 1980થી પાણીનું કામ સંભાળ્યું. રાજસ્થાનની પાણી જાળવણીની પરંપરાનો અભ્યાસ કર્યો. બારેક વર્ષના અભ્યાસ પછી ‘આજ ભી ખરે હૈં તાલાબ’ પુસ્તક રચ્યું. આ પુસ્તક અનેક ભાષાઓમાં પહોંચ્યું. અનુપમજી પછીનાં વર્ષોમાં પાણી અને પર્યાવરણના પ્રશ્ને રજૂઆત કરવા વિશ્વના અનેક દેશોનાં સંમેલન કે સંસ્થાઓ દ્વારા આમંત્રણ મેળવે છે. સને 1977થી 2000 સુધીમાં પર્યાવરણ કક્ષ દ્વારા નાનાં મોટાં સત્તર પુસ્તકો પ્રગટ થયાં. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ની ચોત્રીસ આવૃત્તિઓ થઇ છે. ભારતની મોટાભાગની ભાષાઓમાં એના અનુવાદ છપાયા છે. કોપીરાઇટ જેવું કંઇ રાખ્યું જ નથી. છાપો, વાંચો, અમલ કરો.
સને 1975માં સુલભ થયેલ ‘રાજસ્થાન કી રજત બૂંદે’ ફ્રાન્સથી ચીન સુધી પ્રસરે છે. અનુપમજીને પર્યાવરણ ક્ષેત્રે વિરલ કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયાં. આ બધું ગાંધીજી અને ગાંધી-માર્ગ ખાતે જમા. 2000થી 2006 સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સચિવ તરીકે અને 2006થી 2016 સુધી-મૃત્યુપર્યંત ‘ગાંધી-માર્ગ’નું સંપાદન કર્યું.
જાન્યુઆરી, એપ્રિલ 2017ના સંયુક્ત અંકમાં દેશના ગાંધીમાર્ગી કર્મશીલ સારસ્વતોએ અનુપમજીના જીવન અને કાર્ય વિશે લખ્યું છે. ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના પ્રમુખશ્રી કુમાર પ્રશાંત લખે છે: અનુપમજી ગાંધીના બ્રહ્માંડમાં પરિક્રમા કરનારા અગણિત ગ્રહોમાંના એક હતા, પરંતુ એ અર્થમાં અનુપમ હતા કે એ પોતાની કક્ષામાંથી કદી વિચલિત નહોતા થયા.
નયા જ્ઞાનોદયે પણ અનુપમ મિશ્ર વિશે વિશેષ લેખ પ્રગટ કર્યા હતા.( ફેબ્રુઆરી 2017) એમાં લખેલા લેખના આરંભે કુમાર પ્રશાંતજીએ રવીન્દ્રનાથની રચનાનો અનુપમજીના પિતા ભવાનીપ્રસાદ મિશ્રે કરેલો અનુવાદ ટાંક્યો છે:
દેશ કી માટી દેશ કા જલ
હવા દેશ કી દેશ કા ફલ
સરસ બનેં, પ્રભુ સરસ બનેં.
આ સાદગીનો વારસો અનુપમજીએ પણ દિપાવ્યો છે.
શ્રીકૃષ્ણકુમારના લેખનું એક વાક્ય યાદ રહી ગયું: ‘પ્રકૃતિની જેમ ગામ પણ વિજયી નીવડશે.’ – આ અનુપમજીની શ્રદ્ધા હતી.
રામચંદ્ર રાહીના લેખ દ્વારા જાણવા મળ્યું કે છેલ્લે કેન્સરની બીમારી દરમિયાન પણ અનુપમજી કેવા સ્વસ્થ-પ્રસન્ન હતા. એમનું તારણ છે કે સત્તા, સંપત્તિ અને ધર્મની સત્તાએ એમને આકર્ષિત કર્યા ન હતા, ન તો પોતાના દાયરામાં એ સત્તાઓ એમને સમેટી શકી હતી. પોતાના કર્મમય જીવન-સાધનાની ઉપલબ્ધિઓ પર પણ એમણે કદી પોતાનો હક દર્શાવ્યો ન હતો.
જમીને થાળી જાતે ધોવી, આંધીથી વરંડામાં આવી પડેલી ધૂળ જાતે વાળવી, જેવાં અનેક કામ જાતે કરતા એથી મિત્રો પ્રેરાતા.
કેતકી નાયકની કવિતાની થોડીક પંક્તિઓ:
‘અનુપમ, યે મેરી આંખોં કે તાલાબ
સૂખે નહીં હૈ
તુમ્હારે જાને કે બાદ
યે નિરંતર બહ રહે હૈં.
•••
યે આંસૂ તુમ્હારી તરફ સરલ ઔર સહજ
ભી નહીં હૈચ
યે બડે હી હઠી ઔર જિદ્દી હૈં
મના કરને પર ભી નહીં રુકતે.’
આ વિશેષાંકમાં વચ્ચે વચ્ચે પિતાશ્રી ભવાનીપ્રસાદ મિશ્રની કાવ્ય પંક્તિઓ મૂકીને યુગસંધિ રચવા સાથે વારસાને વધુ સાર્થક કર્યો છે :
પ્યાર કી સીમા નહીં હૈ
મુક્ત સ્વર મેં કહ સકૂં વહ શક્તિ દે,
પ્યાર કે મેરે પુજારી મન
લૂંટા દૂં પ્યાર સબકુછ મુઝે વહ ભક્તિ દે.
સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017
![]()


યુરોપ અને ભારતીય નવજાગરણને જાણનારા મેઘાણીના દર્શનનાં રૅડિકલ, રૅશનલ અને સેક્યુલર પાસાં બતાવતી આ જોરદાર કવિતા છે. સાહિત્ય માટેના માપદંડોથી મૂલવતાં ય તે એક ઉત્તમ કૃતિ બને છે. શબ્દપસંદગી, રૂપકો, કલ્પનો, લય, વ્યંજના, ધ્વનિ અને જોશ જેવા અનેક કાવ્યગુણોમાં આ રચના મેઘાણીની સર્જનક્ષમતા બતાવે છે. આમ છતાં તે બહુ જ ઓછી જાણીતી છે, આપણા મોટા ભાગના વિવેચકોને તેના વિશે વિગતે લખવાની સૂઝ પડી નથી. તેનું કારણ કદાચ એ છે કે સામાજિક નિસબત ધરાવતી કલા અભિવ્યક્તિ આપણા સાંસ્કૃિતક વિમર્શને ભાગ્યે જ માફક આવે છે. એટલા માટે લોકસાહિત્યના સંશોધક કે કસુંબીના રંગના કવિ, દુહા અને ડાયરાના મેઘાણી જ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે છે. મેઘાણીના ગદ્યમાંથી પરંપરાગત કોમી સંવાદિતાનાં ચાળીસ લખાણોનાં વિનોદ મેઘાણીએ કરેલાં વિશિષ્ટ સંપાદન ‘લોહીનાં આલિંગન’ની ખબર જ હોતી નથી. ‘ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના બાળ મરે’ એવી દુર્દશા હોય ત્યારે ‘હાય રે હાય કવિ, તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?’ એમ પૂછીને સાક્ષરોના શહામૃગી માનસને ખુલ્લા પાડતા મેઘાણીને વિવેચકો વાચકો સુધી પહોંચવા દેતા નથી. અંગ્રેજ શાસકો વિરુદ્ધ ૧૯૪૧માં ‘ફુલછાબ’માં ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ નામનું ઠઠ્ઠાચિત્ર દોરીને મુકદ્દમાનો સામનો કરનાર કે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર મેઘાણી આપણી સામે મૂકવામાં આવતા નથી. કોરિયા, હંગેરી અને મિસરનાં મુક્તિસંગ્રામો વિશે તવારીખ-કિતાબો લખનાર મેઘાણી આપણા સમીક્ષકોને દેખાતા નથી.
અલબત્ત, મેઘાણી દુરાચારી સાધુજમાત વિરુદ્ધ ‘અમે’ જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત રવિશંકર મહારાજ ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક ‘માણસાઈના દીવા’. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ‘અમે’માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે.
ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.
આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).
વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’