આ આત્મકથામાં જીવનલીલા જ છે, છતાં સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ વિશે
ગાંધીજી જગજાણીતા; એટલી જ જાણીતી એમની આત્મકથા – સત્યના પ્રયોગો. પણ, મારે આજે જેની વાત કરવી છે એ આત્મકથાનું નામ છે, ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. (ઇમેજ, ૨૦૧૬). એ ‘અજાણ્યા’ તે, નટવર ગાંધી. મૂળે સાવરકુંડલાના. ૧૯૪૦માં જન્મ. કેટલોક સમય મુમ્બઈમાં રહીને વરસોથી અમેરિકામાં વસ્યા છે. બી.કોમ., ઍલ.ઍલ.બી., ઍમ.બી.એ. અને પીએચ.ડી. અમેરિકામાં નાનીમોટી નોકરીઓ અને થોડો વખત પ્રોફેસરી કરેલી. પણ પછી તો રાજધાની વૉશિન્ગ્ટનના ટૅક્સકમિશ્નર-પદે અને છેલ્લે નાણાપ્રધાનની ઑફિસમાં સી.ઇ.ઓ.-પદે હતા. ૨૦૧૩-માં નિવૃત્ત થયા. ત્યારે ‘વૉશિન્ગ્ટનિયન’-ના પત્રકારને નિવૃત્તિ ચાર વર્ષ વહેલાં લેવાનું અનોખું કારણ આપેલું. કહેલું :
‘I have a new love in my life’ : એ ન્યૂ લવ તે આપણાં માનીતાં કવિ, પન્ના નાયક. પતિ નિકુલભાઈના અવસાન પછી, ૫૦ વર્ષના સહવાસ પછી, પન્નાબહેન; અને પત્ની નલિનીબહેનના અવસાન પછી, ૪૭ વર્ષના સહવાસ પછી, નટવરભાઈ, બન્ને, ૨૦૧૩-થી સાથે રહેવાનું નક્કી કરે છે, ને રહે છે. ત્યારે પન્નાબહેન ૮૦-નાં હતાં અને નટવરભાઈ ૭૩-ના. આ વિરલ પણ સુન્દર ઘટનાને સમાજ નહીં સમજી શકેલો. મિશ્ર પ્રતિભાવો જન્મેલા. જો કે નટવરભાઈનો પ્રતિ-પ્રતિભાવ એ હતો કે -I don’t give a damn…
આ વીગતો ૨૯૭-મા પાને એમણે પોતે આપી છે. પણ સાવરકુંડલાથી શરૂ થયેલી એમની વિકાસશીલ કારકિર્દી મને એમ સૂચવે છે કે નટવરભાઈનો first love તો બહુ પહેલેથી જાતના આત્મઘડતર સાથે હતો. હું ધારું છું, મૂજી અતડા એકાકી છોકરાએ ૭૬-ની ઉમ્મરે ૩૪૪ પાનની આત્મકથા પ્રકાશિત કરી તે એ ચકાસી જોવા કે જાતના ઘડતર માટે જીવનમાં પોતે અસાધારણ પરિશ્રમ કરેલો કે કેમ; કરેલો તો શું મળ્યું. વાંચ્યા વગર બોલનારા કહેવાના – આમાં વ્યાવસાયિક કારકિર્દીની વાતો હશે. ના. હું માનું છું કે એ first love-ને ચરિતાર્થ કરવા નટવરભાઈએ વ્યક્તિ તરીકે કેવીક પસંદગીઓ કરી, કેવાંક સામર્થ્યોને કામે લગાડ્યાં; પોતા પાસેથી શું લીધા કર્યું અને સામે, આસપાસના સંસારને શું આપ્યા કર્યું; એ નિરન્તરના વિનિમયની જાતતપાસનો આ આત્મકથા, જાહેરમાં મૂકેલો પાકો અંગત હિસાબ છે. પણ જિન્દગીની એવી લૅણાંદેણીનો આત્મકથાકારે શો સાર મેળવ્યો છે? એ કે સાધના અધૂરી છે. નટવરભાઈ જીવનજોદ્ધાની જેમ જિન્દગીને એ જ તિતિક્ષાથી તાકી રહ્યા છે. આટઆટલી સિદ્ધિઓ પછી પણ એમના આત્માને જાણે હાશ નથી થઈ. એવા ન-લૌકિક અસંતોષની નોંધ લેતાં મને સારું લાગ્યું છે. કેમ કે એ જ તો છે આત્મકથા કથવા માટેનું ખરું પ્રયોજન ! એ જ તો છે આત્મકથા વાંચવા-જાણવા માટેનું કારણ. બાકી, પદપ્રતિષ્ઠા ને પૈસાથી ધરાયેલા તો શુંયે લખે ને વાચકો શુંયે પામે !
કૉલમની મર્યાદામાં પૂરું નહીં કહી શકું. સ-વીગત વિવરણ પણ નહીં કરી શકું. પણ મારાં મન્તવ્યો હમેશાં સુચિન્તિત હોય છે. એને શ્રદ્ધેય ગણવાં. બુકટાઇટલ પરની છબિઓ સૂચવે છે કે આ માણસના કાળા વાળ ધોળા થઈને હાલ ટાલ પડી છે તે ધ્યેયસિદ્ધિ માટેના એના પ્રામાણિક સંઘર્ષનું પરિણામ હશે. ઇન્ડિયા અને અમેરિકામાં વ્હૅંચાઈ ગયેલી કારકિર્દીની કથા નટવરભાઈએ એવા બે ભાગમાં કરી છે. ઠેર ઠેર પેટાશીર્ષકોથી સમગ્ર કથાને રેખાન્કિત કરી છે. એથી વાચનયાત્રીને મુકામે મુકામે થોભ્યાની રાહત અને વિશ્રામ મળે છે. મને ખાતરી છે કે આ પછીના વાક્યમાં હું સૂચવીશ એ શીર્ષકોમાં મુકાયેલાં નિરૂપણોને વાંચી જનારા વાચકો આખું પુસ્તક વાંચી નાખશે : વાર્તા લાગે એ હદે પ્રસંગોને આલેખવાની લેખકની સૂઝબૂઝ માટે અનેક શીર્ષકો સૂચવી શકું, પણ આ એક અનિવાર્ય છે : (પિતાશ્રીના મોટાભાઈ) બાપુજીનું ગાંડપણ : સાવરકુંડલાનિવાસ દરમ્યાન આશાએષણાઓ અને ભાગી છૂટવાની ઝંખના જાગી, તાલાવેલી લાગી, એ માટે : નીરસ બાળપણ. રેઢિયાળ ઉછેર. મારો વિચિત્ર સ્વભાવ : મુમ્બઈનિવાસ દરમ્યાન કૉલેજમાં ગયા, નોકરીઓની હાડમારીઓ વેઠી, એ માટે : હું કૉલેજિયન થયો. નોકરી મળી, પણ પગાર વગરની. ડેડ એન્ડ નોકરી : સાહિત્ય તેમ જ રાજકીય પરિવેશની જાણકારીથી ઉઘાડ અનુભવ્યો એ માટે તેમ જ મિત્રો વિશે : રતિભાઈ. જારેચા અમેરિકા ઉપડ્યા. સાહિત્યનો શોખ લાગ્યો. મુમ્બઈનું વિશાળ સાંસ્કૃિતક જગત : નલિનીબહેન સાથેનો ગૃહસ્થાશ્રમ જાણવા : માથેરાનમાં હનીમૂન. એક ઓરડીનો અમારો ગૃહસ્થાશ્રમ : દામ્પત્યજીવનની કઠિન પરિસ્થિતિઓ અને પતિના ખુલ્લા દિલના એકરાર માટે : નલિનીનું દુ:ખદ અવસાન : અમેરિકા-ગમન તેમ જ ઍટલાન્ટા અને વૉશિન્ગ્ટનનિવાસ દરમ્યાનની બૃહદ્ જીવનરસકહાણી માટે : પ્લેનની પહેલી મુસાફરી. કાળા લોકોની યુનિવર્સિટી. ગોરી પ્રજાનો પહેલો પરિચય. મિસફિટ. વૉશિન્ગ્ટન – જી.એ.ઓ.(આખું પ્રકરણ). હું સી.ઍફ.ઓ. થયો : એ ઉચ્ચ પદે પ્હૉંચ્યા અને મુશ્કેલીઓનો જિગરથી સામનો કર્યો એ આત્મશક્તિના પરિચય માટે : વૉશિન્ગ્ટનનું ટૅક્સકૌભાંડ – મારા જીવનની મોટી કસોટી. વાહ વાહ અને હુરિયો : છેલ્લે, નિવૃત્તિ લેવાનો નિર્ણય.
આત્મકથાનું સાહિત્યિક મૂલ્ય છે. એ ઇતિ-હ-આસ નથી, સર્જનાત્મક લેખન છે. આ કથા પણ દસ્તાવેજ કે વહીવંચો નથી. હકીકતસમૃદ્ધ જીવનલીલા જ છે, છતાં સતત સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે. સાહિત્યિક મૂલ્યનો અર્થ એ પણ ખરો કે આત્મકથામાં ક્યાંક ટૂંકીવાર્તા અને નવલકથાની અસરો પણ પ્રગટતી હોય. આમાં, બનાવો પ્રસંગો પરિસ્થિતિઓ અને ઘટનાઓથી એવો સંમિશ્ર કથારસ પ્રગટ્યો છે. સુજ્ઞ વાચક અનુભવશે કે પોતાની સામે એક દીર્ઘ કથા આળેખાતી ભજવાઈ રહી છે. ગુજરાતી અને દેશીવિદેશી સાહિત્યકારો ચિન્તકો ને રાજનીતિજ્ઞોના ઉલ્લેખોની સાથોસાથ, એમણે પોતાના વિચારજગતની પણ ઝાંખી કરાવી છે. લાગે કે નટવરભાઈ તેજસ્વી વિચારક વ્યક્તિ છે. હું ભૂલી ગયેલો કે પૃથ્વીછંદ-પ્રભુ એઓ ત્રણ કાવ્યસંગ્રહોના કવિ છે; પણ પછી યાદ આવી ગયેલું. ‘અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિ’ જેવો સુ-સંસ્કૃત પ્રયોગ કરી શકે છે. તેમ છતાં એમની કહેણી – સ્ટાઇલ ઑફ નૅરેશન – સરળ છે.
ખાસ તો મારે એ કહેવું છે કે એમણે એમના ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહી છે. એ સૂર ઊર્મિલ અને રસપ્રદ છે. એમાં રણકાર છે, સાચકલાઇ છે. ત્રુટિઓના નિખાલસ એકરાર છે. નાનીમોટી લબ્ધિઓના આછાપાછા સંતોષોની ઝલક છે. નટવરભાઈએ આત્મનિરીક્ષાપૂર્વક પોતાનું હૃદય ઠાલવી દીધું છે. લાગે કે બધું આત્માની સાક્ષીએ બોલ્યા છે. છતાં, જીવનપુરુષાર્થ વિશે તુષ્ટ નથી દીસતા. પણ, ના; સાવરકુંડલાના પારિવારિક લાડ-પ્યાર વિહોણા ઉત્સાહ-ઉલ્લાસહીન વાતાવરણમાંથી જે જણ સર્વ વાતે સજ્જ થવાને આત્મશ્રદ્ધાપૂર્વક ભાગ્યો, એટલે કે, મારી દૃષ્ટિએ in the making-માં પરોવાયો, કઠિનતર American Dream-માં જોતરાયો અને જીવનસત્યો પામ્યો, એ આત્મબોધની આ એક સાફલ્યગાથા છે. મને કહેવું ગમે છે કે કથાનાયકે meaningless જીવનચક્રને meaningful-ની દિશામાં પૂરા આત્મબળથી ઘુમાવી જાણ્યું છે. એને અવલોકવાથી સાહિત્યનો રસસંતર્પક અનુભવ મળે છે. વિલક્ષણ જીવનપ્રેરણા મળે છે.
પુસ્તકોની આવી સીમિત ઓળખ આપ્યા પછી હારીછૂટીને હું કહેતો હોઉં છું – દોસ્તો, જાતે વાંચી લેજોને; પ્રસન્ન થઈ જશો. ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ માટે પણ એમ જ કહું છું. પણ જણાવું કે એને આપણા પ્રસિદ્ધ આત્મકથા-સાહિત્યમાં ઝડપથી ઉમેરી લઇએ. આપણા યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં વહેલી તકે દાખલ કરી દઈએ.
શનિવાર, તારીખ ૬/૧/૨૦૧૮-ના રોજ, “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ, પ્રેસના સૌજન્યથી અહીં મૂક્યો છે.
e.mail : suman.g.shah@gmail.com
![]()


‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.
અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.
પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે. અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.