(ચૂંટણીમાં ચાલુ ઝુંબેશે ‘ભાવિ વડાપ્રધાન’ તરીકે ભાજપે જે બીજું નામ ઉછાળ્યું હતું, નરેન્દ્ર મોદીનું, તે પણ હાલ પાછી પડેલ પ્રતિભાઓ પૈકી છે. દેખીતી રીતે જ, મીડિયામાં ત્રિકાળસંધ્યાની પેઠે દિવસરાત રસ લેતા નમો હવે વળીને ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ અને ‘ઇમેજ પ્રોજેક્શન’ ના એમના રાબેતા મુજબ સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે ‘રાગ ગુજરાત’ આલાપવા પર વધુ ભાર મૂકશે. આમેય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ – એસઆઈટીની વધતી ભીંસ વચ્ચે પ્રજા સમક્ષ એમને સારુ ‘વિકાસનો વેશ’ ભજવ્યા સિવાય કદાચ બીજો વિકલ્પ નયે હોય. ગમે તેમ પણ, ગુજરાતનો વિકાસ એટલે શું તે વિશે સહચિંતન જરૂરી છે. અર્થશાસ્ત્રના અભ્યાસી અને સો વરસ વટી ગયેલ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી રમેશ બી. શાહ અહીં તે વિશે કંઈક માંડણી કરે છે. આશા છે, સૌ વાચકોને તે ઉપયોગી થઈ પડશે. પ્ર.ન.શા.)
ગુજરાતીભાષી પ્રજાના એક અલગ રાજ્ય તરીકે 1930ના મે માસમાં જયારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે તે રાજકીય રીતે એક ઐતિહાસિક પ્રસંગ હતો. ગુજરાતીઓ પ્રથમ વખત તેમના એક અલગ, રાજ્યની છત્રછાયા નીચે મૂકાયા હતા. તે પૂર્વે સદીઓ સુધી ગુજરાતીઓ અલગ અલગ રાજ-રજવાડાંઓ વચ્ચે રહ્યા હતા. ગુજરાતીઓને એક પ્રજા તરીકે પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા પ્રથમ વખત પોતાનું રાજ્ય સાંપડ્યું હતું. ગુજરાતના અલગ રાજ્યની રચના પૂર્વે ચાલેલી મહાગુજરાત માટેની લડતના ઇતિહાસમાં નહીં જઈએ, પણ ગુજરાતના અલગ રાજ્યની રચના માટે પ્રજાએ અને સાચા અર્થમાં લોકહિતેચ્છુ નેતાઓએ જે મનોરથો સેવ્યા હતા તેમાંના એકાદબેનો ઉલ્લેખ કરીશું.
વીસમી સદીના છઠ્ઠા દસકા દરમિયાન દેશમાં ભાષાવાર પ્રાંતરચનાનાં આંદોલનોને વેગ મળ્યો હતો, પણ તે પૂર્વે દેશમાં ભાષાવાર રાજ્યો રચવાની માગણીને વ્યાપક રીતે સમર્થન સાંપડી ચૂક્યું હતું. આ માગણીની પાછળ એક વિચાર રહેલો હતો, રાજ્યનો વહીવટ પ્રજાની ભાષામાં ચલાવીને રાજ્યને લોકોની (આમ જનતાની) સેવામાં પ્રયોજવું. દેશ પર અંગ્રેજોનું શાસન પ્રજાનો 98 ટકાથી વિશેષ ભાગ ન સમજી શકે એવી વિદેશી ભાષામાં ચાલતું હતું. આ શાસનમાં પ્રજાએ પાળવાના કાયદાઓ, પ્રજા ન સમજી શકે એવી વિદેશી ભાષામાં લખાતા હતા. વિદેશી શાસન સામેના વિરોધના અનેક મુદ્દાઓ પૈકીનો એ એક મુદ્દો હતો. ગુજરાતનું અલગ રાજ્ય નિર્માયું એ પછી ગુજરાતનું શાસન તેનો કેટલો વહીવટ કેવી ગુજરાતીમાં ચલાવે છે તે સુવર્ણ જયંતી પ્રસંગે કરવાના મૂલ્યાંકન અને સંકલ્પનો એક મુદ્દો બની રહેવો જોઈએ.
પણ રાજ્ય વહીવટ પ્રાદેશિક ભાષાના માધ્યમથી ચલાવવાની પાછળનો ઉદ્દેશ કેવળ માતૃભાષાનું ગૌરવ કરીને પ્રજાકીય અસ્મિતાને જાળવી રાખવાનો નથી. એની પાછળ એક બીજો વિચાર પણ સાંપડેલો છે. રાજ્યનો વહીવટ પ્રાદેશિક ભાષામાં ચલાવીને રાજ્યને લોકાભિમુખ કરવાનું છે, તેને આમ જનતાની, તળિયે રહેલા લોકોની સેવામાં પ્રયોજવાનું છે, એ વિચાર પણ એની પાછળ રહેલો છે.
ગુજરાત રાજ્યની રચનાનો સમારંભ સાબરમતી હરિજન આશ્રમમાં યોજાયો હતો અને રવિશંકર મહારાજ જેવા લોકસેવક તેના ઉદ્ઘાટક હતા ઘટનાનો સંકેત પણ એ જ હતો, ગુજરાતની પ્રજાનું રાજ્ય આમ જનતાના અભ્યુદય માટે કાર્ય કરતું બની રહેશે. ગુજરાતનો એક રાજ્ય તરીકેનો વિશેષ તેની લોકાભિમુખતામાં હશે. એ સમયે હજી ગુજરાત ગાંધીનું હોવા માટે ગૌરવ અનુભવતું હતું અને ગાંધીના આદર્શોને, તેમના સર્વોદયના સિદ્ધાંતને ચરિતાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતું હતું .
પચાસ વર્ષો દરમિયાન, વિશેષ કરીને છેલ્લા ત્રણ દસકા દરમિયાન, કાળનો જે પ્રવાહ વહ્યો છે તેમાં હવે આ આદર્શો તણાઈ ગયા છે. ગાંધી અને તેનાં મૂલ્યોને રાજઘાટ ખાતે દફનાવી દેવામાં આવ્યાં છે. દેશે મૂડીવાદને તેના પાયાના વિચાર સાથે અપનાવી લીધા છે. ગુજરાત તેમાં અગ્રસ્થાને છે. જેને કેટલાક લાગતાવળગતા રાજકારણીઓ ‘ગુજરાત મોડલ’ કહીને બિરદાવે છે. એ વાસ્તવમાં રાજ્યની સહાયથી ઝડપથી ખીલી રહેલા મૂડીવાદનું મોડલ છે. ઉદ્યોગોના ક્ષેત્રે મૂડીવાદના ઝડપી વિકાસ માટે રાજ્ય ઉદ્યોગપતિઓને કઈ રીતે કેટલી સહાય પહોંચાડી શકે તેનું એક મોડલ ગુજરાતે પૂરું પાડ્યું છે. અલબત્ત, આ કોઈ નવી વાત નથી. પૂર્વે પૂર્વ એશિયાના કેટલાક દેશો એ મોડલનો સફળતાપૂર્વક અમલ કરી ચૂક્યા છે. આ મોડલને ગુજરાતમાં મોટી સફળતા મળી છે એનાં બેત્રણ કારણો છે.
ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાતને કેટલીક અનુકૂળતાઓ છે, જેમ કે ગુજરાતને લાંબો દરિયા કિનારો મળ્યો છે, જ્યાં ઔદ્યોગિક એકમો માટે જમીન સુલભ છે અને ઔદ્યોગિક એકમો ને તેમનો પ્રદૂષિત કચરો ઠાલવવાની કુદરતી સગવડ મળી રહે છે. વધારે અગત્યનું કારણ એ છે કે ગુજરાત ઉદ્યોગ-સાહસિકોનો એક મોટો વર્ગ ધરાવે છે, જે વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે સર્જાતી તકોને ઝડપી લેવા તત્પર હોય છે, ગુજરાતની આ લાક્ષણિકતાને નજર સમક્ષ રાખીને 1980 પછી ગુજરાતમાં આવેલા મુખ્યમંત્રીઓ ગુજરાતને એક ઔદ્યોગિક રાજ્ય બનાવવાનું લક્ષ્ય રાખતા આવ્યા છે. કોઈકે દક્ષિણ કોરિયા જેવું, કોઈએ જાપાન જેવું તો કોઈએ ચીન જેવું ઔદ્યોગિક રાજ્ય બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે.
છેલ્લા ત્રણ-સાડાત્રણ દસકાના ઔદ્યોગિક વિકાસને પરિણામે ગુજરાત આજે દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા નંબરનું ઔદ્યોગિક રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાતના આંતરિક (ઘરેલું) ઉત્પાદનમાં ખેતીના ફાળાની તુલનામાં ઉદ્યોગોનો ફાળો લગભગ દોઢો થઈ ગયો છે, એ અર્થમાં તે ઔદ્યોગિક રાજ્ય બની ગયું છે. જોકે રોજગારીની રીતે ઉદ્યોગોની સરખામણીમાં ખેતીનું ક્ષેત્ર લગભગ અઢી ગણા માણસોને સમાવે છે, એ અર્થમાં ગુજરાત હજી ખેતીપ્રધાન જ રહ્યું છે.
અન્ય ક્ષેત્રોના વિકાસ ઉપર દૃષ્ટિપાત કરીએ તો કુદરતની પ્રતિકૂળતાઓનો સામનો કરીને પણ ગુજરાતના ખેડૂતો ખેતીને વિકસાવી શક્યા છે. જ્યાં શક્ય બન્યું છે ત્યાં તેઓ હરિયાળી ક્રાંતિને અપનાવી લેવામાં પાછળ રહ્યા નથી. આબોહવાની દૃષ્ટિએ ગુજરાતને સમકક્ષ રાજ્યો (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)ની તુલનામાં એકંદરે ગુજરાતના ખેડૂતોએ વધારે પ્રગતિશીલતા દાખવી છે.
શિક્ષણ અને આરોગ્ય જેવાં માનવવિકાસનાં ક્ષેત્રોમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં વિશેષ ઝડપે પ્રગતિ સાધી છે, પણ આ ક્ષેત્રોમાં તે કેરળથી તો ઘણું પાછળ છે જ, પણ મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ વગેરે રાજ્યોથી પણ તે પાછળ જ રહ્યું છે. દા.ત. સો ટકા સાક્ષરતા હાંસલ કરવાનું લક્ષ્ય કેરળ બે દસકા પહેલાં હાંસલ કરી ચૂક્યું છે, ગુજરાતે 2010 સુધીમાં એ લક્ષ્યાંક હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં આપણને એક દસકો લાગશે જ.
આરોગ્યના ક્ષેત્ર બાળમૃત્યુદરનો વિચાર કરીએ. રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં ગુજરાતમાં બાળમૃત્યુ દર નવ જેટલો ઓછો છે (53 છે.) પણ તે કેરળમાં પ્રવર્તતા બાળમૃત્યુ દરની તુલનામાં ચાર ગણાથી અધિક છે. (કેરળમાં બાળમૃત્યુદર 12 છે) ગુજરાતમાં પુરુષો અને સ્ત્રીઓના સરેરાશ આયુષ્યની તુલનામાં કેરળમાં સ્ત્રી-પુરુષોનું સરેરાશ આયુષ્ય દસ વર્ષ જેટલું વધારે છે. મુદ્દો એ છે કે માનવવિકાસના ક્ષેત્રે કેરળ, દુનિયાભરના અભ્યાસીઓમાં પ્રસિદ્ધ તેનું આગવું કેરળ-મોડલ રજૂ કરી શક્યું છે એવું ગુજરાતનું આગવું ગણી શકાય એવું વિકાસ મોડલ ગુજરાત હજી સુધી કોઈ ક્ષેત્ર માટે રજૂ કરી શક્યું નથી.
છેલ્લા ત્રણ દસકાથી ગુજરાતના મુખ્યમંત્રીઓ ગુજરાતને પૂર્વ એશિયાના કોઈ એક દેશ જેવું ઔદ્યોગિક રાજ્ય બનાવવાનું લક્ષ્ય નજર સમક્ષ રાખતા આવ્યા છે. પરંતુ દુર્ભાગ્યે આ બધા જ મુખ્યમંત્રીઓએ જે તે દેશના ઉદ્યોગોના વિકાસને જ જોયો, એ દેશોનો માનવવિકાસ તેમની નજરે ચડ્યો જ નહીં ! આ કોઈ આકસ્મિક ઘટના નથી. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ તો ગુજરાતના અને ગુજરાત બહારના ઉદ્યોગપતિઓના પુરુષાર્થથી થઈ જ રહ્યો હતો અને થઈ રહ્યો છે. ગુજરાતને એક ઔદ્યોગિક રાજ્ય બનાવવાનું લક્ષ્ય પાર પાડવામાં સરકારે કે મુખ્યમંત્રીએ ઝાઝું કંઈ કરવાનું નથી અને છતાં આપમેળે મળતી સફળતાનો યશ કમાઈ લેવાનો છે.
વિકાસના ગુજરાત મોડેલને અનુલક્ષીને થોડાં સૂચનો હવે પછી)