સરદારને અને એમને શું, કોઈક તો પૂછો, કોઈક તો બોલો
કાશ, બાળ વાર્તા પેઠે ખાધુંપીધું ને રાજ કીધું જેવા કોઈ જાથુકી સુખાન્તની સગવડ દેશના વડા વિપક્ષને હોત! હમણાં તો નાખી નજરે, સહૃદય સહાનુભૂતિ લાયક ધોરણસરના દુ:ખાન્તનીયે સગવડ જણાતી નથી. સિમલાની ચિંતન બેઠક બાબત શુક્રવારે સુષમા સ્વરાજે અને રાજનાથસિંહે મીડિયાને માહિતી આપતાં વાતો બધી બિલકુલ અસ્ત્રીબંધ ને ગડીબંધ કરી પણ કરચલીઓના જંગલમાં ક્રીઝ કયાં શોધવી, કહો જોઉ.
હવે રાવણું આખું સિમલેથી દિલ્હીભેગું થઈ ચૂકયું છે ત્યારે ચિંતનને અંતે એમને શું લાઘ્યું અને આપણે શું લાભશું એ તો જાણતાં જાણીશું. વખતનાં વાજાં વખતે વાગશે. પણ અત્યારે સમજાઈ રહેતી વાત તો એટલી જ છે કે ૨૦૦૪ની હાર પછી આ પક્ષને કળ નથી વળી તે નથી વળી. ૨૦૦૯ની હારના સંદર્ભમાં બાળ આપટેનો જે હેવાલ ભલે અનધિકતપણે પણ બહાર આવ્યો એને લગભગ ચુકાવીને અત્યારે તે રોડમેપની ભાષામાં બોલવામાં આ પક્ષે સલામતી શોધી છે. રાજનાથસિંહે અલબત્ત બાવાહિંદી ન્યાયે સર્વપ્રથમ સંકલ્પ એ દોહરાવ્યો છે કે એકાત્મ માનવવાદ અને સાંસ્કતિક રાષ્ટ્રવાદની અમારી મૂળ નિષ્ઠા પર અમે કાયમ છીએ અને આ વિચારધારાને લોકસુગમ કરવા પ્રયત્નબદ્ધ છીએ.
આ જે પાયાની વિચારધારા છે, ખાસ કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની, એને લોકસુગમ કરવાની હમણાંની કોઈ શરૂઆત હોય તો તે જસવંતસિંહની વણચર્ચી, વણવાંચી, વણગાઈ હકાલપટ્ટીની છે એમ કોઈ કહે તો એમાં એનો વાંક નહીં કાઢી શકાય. અડવાણીનું ઝીણાયન આ ક્ષણે ધારો કે ભૂલી જઈએ, પણ ઝીણાની તરફેણમાં અને સરદારની વિરુદ્ધમાં કહેવાલખવા સબબ જસવંતસિંહને પક્ષમાંથી હાંકી કઢાયા ત્યારે આપણને જે કહેવામાં આવ્યંહ છે તે તો એ કે સરદારની ટીકા પક્ષની વિચારધારા વિરુદ્ધ છે એથી અમે શિસ્તભંગ ચલાવી લેવા માગતા નથી.
હવે જો પક્ષની વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હોય અને એના પર્યાયપુરુષ જો સરદાર હોય તો એક રસપ્રદ સવાલ અહીં એ ઊભો થાય છે કે ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી માંહેલા પટેલ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ગભારામાં પ્રાણપ્રતિષ્ઠિત પટેલ, એ બે એક કે જુદા.
વાત એમ છે કે સ્વરાજની લડતમાં લોકસંઘર્ષની મુખ્ય ધારાથી કિનારા કરીને ચાલેલા સંઘ પાસે સ્વરાજલાયક વ્યાપક અપીલવાળી કોઈ પિતૃપ્રતિમા સ્વાભાવિક જ નથી. સંઘ પરિવારે વલ્લભભાઈની એક ખાખી ચી આવૃત્તિ તૈયાર કરી છે, અને પોતાની પિતૃપ્રતિમાભૂખ એના થકી પોષી છે. બાકી સમાજમાં સ્વીકતિ માટે પણ આવો કોઈ પિતૃપાસપોર્ટ જરૂરી હતો અને છે.
જસવંતસિંહે વિભાજનના સ્વીકારમાં સરદારે ભજવેલી ભૂમિકાનો અને જેમ ઝીણા તેમ કોંગ્રેસ નેતૃત્વની પણ વિભાજનમાં હોઈ શકતી જવાબદારીનો નિર્દેશ જરૂર કર્યો છે. પણ વિભાજન બાબતે એક તબક્કે ગાંધીજીને લગભગ કોરાણે મેલીને નેહરુપટેલે આગળ વધવાપણું જોયું હતું એ ઇતિહાસવસ્તુ છે. જો જસવંતસિંહને આટલે વરસે આ ખબર પડી હોય અને સંઘ પરિવાર એનાથી હમણાં લગી અનભિજ્ઞ હોય તો એમાં આપણે નિરુપાય છીએ. મુદ્દે, સંઘશ્રેષ્ઠીઓને વલ્લભભાઈની ભૂમિકા ભાગલાની અનિવાર્યતા બાબતે ન ખબર હોવાનું કોઈ કારણ નથી. પણ એમણે જે ‘પ્રતિમા’ સરજી છે એની સાથે ઇતિહાસ બંધબેસતો નથી આવતો એની સ્તો મોકાણ છે.
આ બાબતની ખુલ્લી બહસને બદલે પુસ્તક પ્રતિબંધિત જાહેર છાકો પાડવા વિશે તો બાકી શું કહેવું! ભાઈ, ઇન્ટરનેટના જમાનામાં તો પેલી કહેવત પણ જૂની થઈ ગઈ છે કે ઘોડા નાસી છૂટયા પછી તબેલે તાળું દેવાનો અર્થ નથી. કોંગ્રેસ અને ભાજપ બન્ને જે રીતે આ પુસ્તકને નિમિત્તે પડમાં આવી લાગ્યાં છે એમાં બીજું કશું દેખાતું નથી, સિવાય કે રાજકીય સંસ્કતિનું સાર્વત્રિક દારિદ્રય.
જવાહરલાલનાં, જેમ વલ્લભભાઈનાં, જમા પાસાં ખાસાં હતાં. પણ દેશજનતા સમક્ષ ઇતિહાસના એક નાજુકનિણાર્યક મોડ પર બધા મતભેદો છતાં ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી એક સાથે પેશ આવી એથી એમનું વિશિષ્ટ વજૂદ બનેલું છે. કોંગ્રેસને અને ભાજપને પોતપોતાનાં કારણસર આ વજૂદ વસતું નથી અને ‘વંશ’વાદ તેમજ ‘રાષ્ટ્ર’વાદના છેડેથી તેઓ પોતપોતાની ધોરાજી હંકારે છે. ગમે તેમ પણ વલ્લભભાઈનું સૌથી મોટું- એમને ‘સરદાર’માં સ્થાપતું- જમા પાસું એમના વાસ્તવદર્શનનું હતું. (માઉન્ટબેટને ગાંધીજીને એક વાર આબાદ કહેલું કે નેહરુ કોઈ વાતમાં મારી સાથે સમ્મત થાય તો હું રાજી થાઉ, પણ એમાં પટેલનો પણ એવો જ મત મળે તો હું આશ્વસ્ત થાઉ, કેમ કે મારા મિત્ર ગમે તેમ તોયે વાદળમાં વિહરે છે જયારે પટેલના પગ ધરતી પર છે.) મુસ્લિમ લીગ સાથે સરકારમાં કામ કર્યા પછી સરદારને સમજાઈ ગયું કે ભેગું ચાલે તેમ નથી ત્યારે એમણે અનિવાર્યતા પ્રમાણીને દ્રઢ નિશ્ચયથી વિભાજનનો ખયાલ સ્વીકાર્યોઅને નેહરુને પણ નવા સંદર્ભમાં સ્થિરમતિ થવામાં એથી મદદ મળી. ગાંધીએ જુદી રીતે જવું પસંદ કર્યું હોત, એ વળી એક અલગ મુદ્દો છે પણ એટલું ખરું કે ગાંધીજીના અંતિમ પર્વને ઉજાગર કરતું- આપણા સમયમાં તો મહાભારતોપમ- ‘લાસ્ટ ફેઝ’ વાંચ્યા પછી અમે એમને નવેસર સમજતા ને બૂજતા થયા, એ વાજપેયીની સાહેદી જાણીતી છે. પણ પરિવારને જો વાજપેયીનો જ ખપ ન હોય તો પછી ગાંધીનો તો સવાલ જ કયાં છે.
જસવંતસિંહે લખેલી ઘણીબધી વાતો પહેલી વાર લખાઈ છે એવું નથી. કોંગ્રેસના પીઢ અને તરુણ સેનાનીઓએ (જેમ કે મૌલાના આઝાદે ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં અને રામમનોહર લોહિયાએ ‘ગિલ્ટી મેન ઓફ પાર્ટિશન’માં) કહેલી વાતો તો જસવંતસિંહે વિભાજનના આયનામાં ઝીલેલાં બિંબોમાં નોંધી પણ છે. ઝીણાને જરી જુદી રીતે, સહાનુભૂતિથી જોવાનો પ્રયાસ અહીં જરૂર થયો છે, અને એમાં કશું ખોટું પણ નથી. અડવાણીએ પણ સીમિત સંદર્ભમાં આ પૂર્વે તેમ કરેલું છે.
પણ ‘મુસ્લિમ ગોખલે’ બનવા ઇચ્છતા, ‘હિંદુ-મુસ્લિમ એકતાના એલચી’ તરીકે કયારેક પોંખાયેલા બંધારણવાદી ઝીણા આગળ ચાલતાં રકતરંજિત ડાઇરેકટ એક્શનના આયોજક લેખે ઉભર્યા હતા. આ પૃષ્ઠભૂ પર પાકિસ્તાનના નિર્માણ પછીની એમની સેકયુલર સૂફિયાણીનું ઘરમાં કે બહાર કોઈ ખરીદાર નહોતું. અયોઘ્યાઉત્તર સાંસ્કતિક રાષ્ટ્રવાદી અડવાણી કે ડાઇરેકટ એક્શન બાદના સેકયુલર ઝીણા, બેઉ એકબીજાના અડધિયા છે અને ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી સામે એમનું ઇતિહાસમૂલ્ય વધુ ને વધુ સવાલિયા દાયરામાં મૂકવું પડે એમ બને.
ગાંધીહત્યા અને બાબરીઘ્વંસ, આ બેના મારની કળ આ પરિવારને કયારે વળશે, ન જાણે. રોડમેપની રીતે વાત કરે, અમે લોકસભામાં એકસો સોળ છીએ, આઠ રાજયોમાં (છમાં તો એકલા) સત્તા પર છીએ, બધું કહે અને કહી શકે પણ હોર્મોન્સ ને જિન્સનું શું. પ્રતિબંધ- માનસ તો જેમ ઇન્દિરાઈની યાદ તાજી કરે છે તેમ, સાથે સાથે, પોતાની અંદર જે વિચારબંધી છે એનુંયે એક પ્રમાણ પૂરું પાડે છે. સરદારે સોમનાથમાં કર્યું તેવું કેમ અયોઘ્યામાં ન કર્યું, આ સવાલનો જવાબ પકડાય તો સરદારના ખાસ ટેકેદારો અને ખાસ ટીકાકારો, બેઉને કીમતી સુધારકૂમક મળી રહેશે તેમજ સરદારના રાષ્ટ્રવાદ અને અડવાણીના સાંસ્કતિક રાષ્ટ્રવાદ, બેઉ વરચેનો ભેદ પણ સાફ થઈ જશે.