
કાશીબહેન ગામડામાં સારવાર માટે
પંચોતેર જેટલાં વર્ષ પહેલાંનો સમય. ગુજરાતનાં ભાલ-નળકાંઠાના ખૂબ પછાત વિસ્તારનું શિયાળ ગામ. ત્યાંથી પચીસેક વર્ષની એક યુવતી એક વરસાદી સાંજે ફાનસ લઈને ઊંટ પર બેસીને નીકળી. ચાર કલાકે ગાજવીજ અને ઘનઘોર રાતમાં વરસતા વરસાદે ઝાંપ ગામે પહોંચી. ફાનસ ઓલવાઈ ગયેલું છતાં યુવતીએ કૂબો ખોળી કાઢ્યો.
અંદર એક પથારી માંડ રહી શકે એટલી જગ્યા. તેમાં એક સૂવાવડી બાઈ કણસે. તેની ગરીબી એટલી કે પહેરેલી સાડીને લગાવેલાં થીંગડાંમાંથી મૂળ સાડીનું કપડું કયું તે જ ખ્યાલ ન આવે.
ખાટલો પણ ટૂંકો ને તૂટેલો. ઘરમાં પિત્તળની એકેય તપેલી જોવા ન મળે. વેપારીને ત્યાંથી તપેલું મંગાવીને સાધનો ઉકાળવાં પડ્યાં.
બાઈને સલાઇન ગ્લુકૉઝ ચઢાવ્યું. પાડોશીને ત્યાંથી વાસણ ગોઠવવાનાં બે-ત્રણ પાટિયાં મેળવ્યાં ને બાઈને એના પર સુવાડી. યુવતીએ પ્રભુનું નામ લઈને ફોરસેપ કર્યું (ચીપિયાનો ઉપયોગ કરી માના ઉદરમાંથી બાળકને બહાર કાઢ્યું). બાઈ ને બાળક બેઉ બચ્યાં.
યુવતીને આપવા માટે ઘરવાળા પાસે કશું હતું નહીં. પણ યુવતીએ તેને વીસ રૂપિયા આપીને કહ્યું: 'બાઈને રાબ વગેરે બનાવીને પાજો.' ટાંકા આવ્યા હતા, એટલે એ કાઢવા માટે યુવતી થોડા દિવસે ફરીથી ઊંટ પર ઝાંપ ગઈ. ટાંકા સારા રહેલા ને બાળક તંદુરસ્ત હતું.
અંતરિયાળ ગામોમાં સુવાવડ

કાશીબહેન મહેતા
આવી અસાધારણ રીતે સંખ્યાબંધ બાળકોને અને ખાસ તો માતાઓને સુવાવડ દરમિયાન બચાવનાર તે ગુજરાતનાં એક લોકોત્તર આદ્ય પરિચારિકા (નર્સ) કાશીબહેન છોટુભાઈ મહેતા.
તેમણે ભાલ-નળકાંઠાનાં અગનપાટ નપાણિયા મુલકના સિત્તેર જેટલાં અતિ પછાત અંતરિયાળ ગામોમાં 1946થી લઈને સત્ત્યાવીસ વર્ષ સુધી નર્સ તરીકે જે સેવા આપી તેનો જોટો નથી.
કાશીબહેન આજે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ્યાં હોત. તેમની જન્મશતાબ્દીનાં 2019-20ના વર્ષમાં જ રાજસ્થાનના કોટા અને ગુજરાતના રાજકોટની સરકારી હૉસ્પિટલોમાં તંત્રની બેદરકારીને કારણે નવજાત શિશુઓ મોટી સંખ્યામાં મોતને ભેટ્યાં એ કાળચક્રની એક વક્રતા છે.
કાશીબહેને સેવાવ્રતનું નમ્ર અને કૃતજ્ઞતાપૂર્ણ બયાન આપતી 'મારી અભિનવ દીક્ષા' (1986) નામની આત્મકથા સવાસો પાનાંમાં લખી છે જે વાચકને નતમસ્તક બનાવી દે છે.
તેની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી 'દર્શક' લખે છે : ‘… પ્રેમ જ્યારે નિ:સ્વાર્થ બને છે ત્યારે તેમાંથી ઈશ્વરનું સ્વરૂપ પ્રગટે છે. કાશીબહેને આ ઈશ્વરી સ્વરૂપની ઝાંખી કરી. અનરાધાર વરસાદ, ભીષણ તાપ, ઘોર અંધારું, ભયાનક વાવાઝોડાંની કેટલી ય અગ્નિકસોટીઓ વચ્ચે ભાલના નોંધારા પઢારો, કોળીઓ, હરિજનોના કૂબામાં મરણાસન્ન બાઈઓને, હોઠે આવેલ કોળિયો મૂકી, ઘોડા પર સવારી કરી, ઊંટ પર જઈ પ્રસૂતિઓ કરાવી, અનેક બાળકોની માવડી બન્યાં …'
‘મારી અભિનવ દીક્ષા’ પુસ્તકમાં આત્મકથની વર્ણવી

'મારી અભિનવ દીક્ષા' પુસ્તક વર્ષોથી અપ્રાપ્ય બની ચૂક્યું છે. પણ તેની ટૂંકી આવૃત્તિ ભાવનગરનાં 'લોકમિલાપ' પ્રકાશન થકી ગુજરાતને મળતી રહી હતી.
કાશીબહેનનાં પુસ્તકનો સંક્ષેપ મહેન્દ્ર મેઘાણીએ 'ચંદનનાં ઝાડ' (1989) નામના સંચયમાં બીજાં ચાર ટૂંકાવેલાં આત્મકથનો સાથે આપ્યો હતો. તેની બે લાખ નકલો લોકોએ વસાવી હતી.
ત્યાર બાદ એ જ સંક્ષેપ તેમણે 'મારી અભિનવ દીક્ષા' નામની ખીસાપોથી તરીકે 2006માં બહાર પાડ્યો જેની અત્યાર સુધી 46 હજાર નકલો વાચકો પાસે પહોંચી છે. કાશીબહેનનાં સ્વકથનમાંના પ્રસંગો તો આજે લગભગ કાલ્પનિક લાગે છે.
એક ધોધમાર વરસાદી સાંજે કાશીબહેન કાંતી રહ્યાં હતાં ને કેસરડી ગામથી સુવાવડ માટે તેડું આવ્યું.
ચરખો બાજુ પર મૂક્યો, દાક્તરની પેટી ભરી ને ઘોડા પર બેસીને નીકળ્યાં. બે કાંઠે વહેતી નદી, તરતાં આવડતું ન હોવા છતાં, માણસોના ટેકે પાર કરી. ફરીથી જે ઘોડા પર બેઠાં તે વાંકોચૂંકો ચાલે. માંડ સમતુલા જાળવતાં ત્રણ કલાકે સુવાવડી પાસે પહોંચ્યાં.
ત્યાં અંધશ્રદ્ધાળુ સ્ત્રીઓ દાણા જોતી હતી. તેમને સમજાવી-ધમકાવીને કાઢી મૂકી. દરદીને બાટલો ચડાવ્યો.
બાળક આડું હતું. ધારિયું મગાવી, તેને ઉકાળી બાળકનો હાથ કાપી નાખ્યો, તેને ફેરવીને પ્રસવ કરાવ્યો. સ્ત્રી બચી ગઈ. ઘર એટલું ગરીબ કે દૂધ અને રાબ માટે રૂપિયા કાશીબહેને આપ્યા.
મૂળી-બાવળીથી કહેણ આવ્યું. રસ્તે કીચડ, ઘોડું ઊભું રહી ગયું. બે કિલોમીટર ચાલ્યાં પછી કાણાંવાળી હોડી મળી. રાતે દસ વાગ્યે રાણગઢ, ત્યાંથી કાદવ ખૂંદતાં દરદી પાસે. સવારે અગિયાર વાગ્યે પેટ્રોમૅક્સના અજવાળે સલામત પ્રસૂતિ પૂરી કરાવી. મલેરિયાના વાવડવાળા ગામમાં પચાસ દરદીઓને દવા-ઇન્જેક્શન આપ્યાં અને રાત્રે આઠ વાગ્યે દવાખાનાના મૂળ ગામ શિયાળમાં પાછાં આવ્યાં.
1944માં સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલય સ્થપાયું

સારવાર કરતાં કાશીબહેન
શિયાળમાં તેમનું દવાખાનું. પ્રગતિશીલ સેવાભાવી જૈન મુનિ સંતબાલની પહેલથી ભાલ-નળકાંઠામાં તબીબી સેવાઓ માટે 1944માં સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલય સ્થાપવામાં આવ્યું.
તેની એક શાખા 1946માં શિયાળ ગામમાં શરૂ કરવામાં આવી, જેનું ઉદ્દઘાટન મોરારજી દેસાઈએ કર્યું.
ત્યાં કાશીબહેન અને તેમનાં સેવાપરાયણ પિતા ભેખ લઈને બેઠાં. ગામ વિશે કાશીબહેન લખે છે : 'શિયાળ એટલે ભાલ-નળકાંઠાને સાંધતો બેટ. ચોમાસાના ચાર માસ એને ફરતું પાણી જ રહે, અને ઉનાળા-શિયાળામાં પગકેડીએ બગોદરા પહોંચાય. બગોદરાથી સાત માઇલ ચાલીને અરણેજ કે ભૂરખીના સ્ટશને પહોંચાય. તે સિવાય એ દિવસોમાં ન હતી સડક, નહોતી બસ કે નહોતાં વાહનવ્યવહારનાં બીજાં કોઈ સાધન.'
ચોમાસામાં બગોદરે સારવાર માટે જતાં ઘોડાએ પાડ્યા. એવી ચીકણી માટીમાં ફસાયાં કે નીકળવા મથે તો વધુ ઊંડાં ઊતરે. મદદ માટેની બૂમો સાંભળી એક ભાઈએ બચાવ્યાં, પાછાં ઘોડા પર સવાર થઈને દરદી સુધી પહોંચ્યાં.
જનશાળી જતાં ઘોડાએ પાડ્યાં, થાપાનાં હાડકાંમાં તિરાડ પડી. ગોદળાં નાખેલું ગાડું મગાવ્યું. તેમાં ગોદળાં વીંટીને ગોઠવાયાં. દરદીને ત્યાં પહોંચ્યાં એટલે બહેનો કાશીબહેનની ઊંચકીને ખાટલા પાસે લઈ ગયાં. મરેલા બાળકનો પ્રસવ કરાવ્યો. કારગત સારવારથી મહિલાને બચાવી.
પછી તરત ગાડું જોડાવી શિયાળથી બસમાં બેસી અમદાવાદના એક દવાખાને ગયાં. ફ્રૅક્ચરની સારવાર કરાવીને બીજે દિવસે પાછાં શિયાળ.
પથારી પાસે જ દવાખાનું ગોઠવી દીધું. સૂતાંસૂતાં સારવાર આપતાં. વડોદરેથી ભાઈ-ભાભી તેડવાં આવ્યાં. એટલે કાશીબહેન કહે : 'આસપાસ ચાલીસ માઇલના ઘેરાવમાં ડૉક્ટર કે દવાખાનું નથી. દરદીને છોડીને કેમ અવાય? પહેલાં દરદીની માવજત, પછી મારી. મને તો દરદીની આશિષથી જલદી સારું થઈ જવાનું છે. બન્યું પણ એમ. દોઢ માસમાં તો તદ્દન સારું થઈ ગયું.'
એક વખત રેલગાડીમાં અમદાવાદથી વડોદરા જતાં મહિલાઓના ડબ્બામાં એક મુસ્લિમ બહેનની સલામત પ્રસૂતિ બીજી સ્ત્રીઓની મદદથી કરી, બાબાનો જન્મ થયો.
બીજે વખત, દુમાલી ગામથી અમદાવાદ જતી બસમાં એક સ્ત્રીને વેણ ઊપડ્યાં. વિનંતીથી બસ ઊભી રખાવી. મુસાફરો દૂર ગયાં. કેટલીક મહિલાઓની સાથે રાખીને કાશીબહેને બાળકનો જન્મ કરાવ્યો. અરધા કલાકમાં બસ સાફસૂફ કરીને પાછી સોંપી દીધી.
'એક બહેનને એક વાર હોડીમાં પ્રસૂતિ કરાવવી પડી હતી', એમ પણ કાશીબહેન લખે છે.
અનુભવકથામાંથી જાણવા મળે છે કે સેવાતપનાં પચીસેક વર્ષમાં તેમણે પ્રસૂતિ માટે દર વર્ષે વધતા દરે ત્રણસોથી એક હજાર વિઝિટો કરી હતી! પ્રસૂતિ ઉપરાંતનાં સત્કાર્યો વળી જુદાં.

ભર બપોરે કાશીબહેન
જેમ કે, મેઘલી મધરાતે ત્રણ કલાકની દડમજલે કાયલાના દરદી લગી પહોંચ્યાં. ઝાડો-પેશાબ બંધ થઈ થવાના દુખાવાથી આળોટતા ભાઈને ઍનીમા આપી. તેની નળી કાઢતાં એટલો જોરથી ઝાડો છૂટ્યો કે કાશીબહેનનાં કપડાં બગડી ગયાં. નાહીને પરિવારની મુસ્લિમ બહેનોનાં કપડાં પહેરી લીધાં.
એક પઢાર ભાઈને પથરીની પીડા ઊપડી. પેશાબ બંધ થઈ ગયેલો. કાશીબહેને એને ગરમ પાણીમાં બેસાડ્યો, બીજા પણ ઉપાય કર્યા. એની પથરી નીકળી ગઈ ને શાંતિ થઈ.
કાશીબહેન લખે છે : ‘… સ્ત્રી-પુરુષ કે હિંદુ-મુસલમાન કે હરિજન એવો ભેદ રાખ્યા વિના સમભાવ ને વિશ્વાસથી હું સેવા કરતી, અને પ્રભુની અને સંતોની કૃપાથી સફળતા પણ મળ્યે જતી.'
સફળતા શીતળા જેવા ભયંકર રોગના દરદીની સારવારમાં પણ મળી.
શિયાળના પઢારવાસના એક બાળકના ઘરે દિવસો સુધી જઈને તેની આંખો ધોતાં, કાન સાફ કરતાં, એના હાથપગ હલાવતાં. શીતળા શમી ગયા ને બાળક કંઈ પણ ખોડ-ખાંપણ વિના હેમખેમ પાર ઊતરી ગયું.

કાશીબહેનના માતા સમરતબા અને પિતા છોટુભાઈ મહેતા
એથી પઢારોને વિશ્વાસ બેઠો. અંધશ્રદ્ધાને કારણે ઓરી-અછબડાના વાવરનો ભોગ બનતાં ઊગરી જવા લાગ્યા.
શિયાળ પહેલાં સાણંદમાં કામ કરતાં ત્યારે 1945માં કૉલેરાના વાવડમાં વીરમગામ અને ધોળકામાં રોગચાળો કાબૂમાં આવે તે માટે હાથમાં રાખ લઈને જ્યાંજ્યાં ગંદકી દેખાય તેની પર છાંટવાથી લઈને અનેક કામ કર્યાં.
'કાશીબહેનની 'અભિનવ દીક્ષા' તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે.
સંકોચાતાં-સંકોચાતાં લખેલ છે' એમ નોંધીને દર્શક આગળ કહે છે : 'એક નાની, સરલ, કંઈક અબોધ બાલિકા, ધર્મસંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન-સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત મળે છે.'
કાશીબહેનનો જન્મ 18 જાન્યુઆરી, 1919ના દિવસે ધોરાજીમાં.
કાશીબહેન લખે છે : 'મારા જીવનમાં જે કાંઈ ખડતલપણું, સાદાઈ, સેવાપરિશ્રમ અને ગરીબો પ્રત્યે પ્રેમ છે, તે બધું મને મારાં માતાપિતાએ વારસામાં આપ્યું છે. બાનું નામ સમરતબા અને બાપુજીનું છોટુભાઈ.'
માતપિતા પર ભાલ-નળકાંઠામાં સેવાકાર્ય કરનાર પ્રગતિશીલ જૈન સાધુ સંતબાલનો મોટો પ્રભાવ હતો.
ભણવામાં રસ નહીં ધરાવનારા છોટુભાઈ વતન પાસેના જેતપુરમાં એક દાક્તરના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરીએ લાગ્યા.
દરદી માટે દવા આપવાના અને પાટાપિંડી કરવાથી લઈને દવાખાનામાં આવેલા મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ સુધીનું કામ છોટુભાઈ શીખી ગયા.
પછી વધુ પગારની નોકરી મળતાં મહારાષ્ટ્રના ખાંમગાવમાં ગયા. ત્યાં પછી કપાસિયાનો ધંધો શરૂ કરી નફો કમાવા લાગ્યા. પણ અગ્રણી સમાજસુધારક અને ગાંધીવાદી સાને ગુરુજી થકી ગાંધીવિચારના પ્રભાવ હેઠળ આવ્યા, મોટો પલટો આવ્યો. રાગીમાંથી વૈરાગી બની ગયા.
આઝાદીની લડતમાં જેલમાં ગયા. જેલમાંથી છૂટી, ધંધો બંધ કરી સેવાસંકલ્પ લીધો. ગાંધીજીના અંતેવાસી બુધાભાઈ સાથે સાબરમતી આશ્રમમાં રહેવા લાગ્યા.
આશ્રમમાં ગાંધીબાપુ માંદાંની બહુ સેવા કરતા. તેનાથી છોટુભાઈમાં પહેલેથી જ રહેલી તબીબી સેવાભાવનાને વધુ બળ મળ્યું. પિતાની સેવાવૃત્તિના સંસ્કાર દીકરી કાશી સતત ઝીલી રહી હતી.
કોમી રમખાણોમાં દરદીઓની સેવા
કાશીબહેનું જાહેર જીવન સાથે પહેલું જોડાણ હરિપુરા કૉંગ્રેસના અધિવેશન થકી 1938માં થયું. તેમાં તેમણે મૃદુલાબહેન સારાભાઈના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાંથી સો સ્વયંસેવિકાઓની ભરતીનું કામ કર્યું. તેના માટે તેમણે ગામડાંમાં ફરીને સો જેટલી બહેનોને તૈયાર કરી.
એ જમાના પ્રમાણે કાશીબહેનના પિતા પર દીકરીના સગપણ માટે પત્રો આવવા લાગ્યા.
છોટુભાઈ પૂછે ત્યારે કાશીબહેન કહેતાં : 'મારે તો મીરાં થવું છે, પરણવું નથી.' સંતબાલજીને પણ તેમણે કહી દીધું કે 'મને લગ્ન કરવાની મુદ્દલ ઇચ્છા જ થતી નથી.' સંતબાલે બ્રહ્મચર્યના સંકલ્પમાં પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
વળી એ દિવસોમાં, કુમારિકા અવિવાહિત રહેવાનું પસંદ કરે તો એને દીક્ષાના માર્ગે વાળી દેવામાં આવતી. સગાં અને સાધુસાધ્વીઓ દીક્ષા માટે દબાણ કરવા લાગ્યા. એટલે કાશીબહેને જાહેર કર્યું : 'મને દીક્ષા લેવાનું મન જ નથી થતું, તો માથું મૂંડાવીને શું કરું?'
આ પછીના તબક્કા વિશે કાશીબહેન લખે છે : 'બહુ વિચારને અંતે સામાજિક સેવાની દૃષ્ટિએ મને નર્સિંગનો અભ્યાસ કરવાનો વિચાર સૂઝ્યો. 1938માં અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં પોણા ચાર વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લઈને પૂરો કર્યો.'
તે દરમિયાન કરુણા અને પ્રામાણિકતાથી તેઓ દરદીઓમાં વહાલાં થઈ પડતાં. ખાદી પહેરવેશ અને શાકાહાર ઉપરીઓ સાથે લડીને પણ જાળવી રાખ્યા. ચા સહિત તમામ બંધાણો-લાલચોથી મુક્ત રહ્યાં. સરવાળે 'કોલસાની કોટડીમાંથી વગર ડાઘે' કેવી રીતે પસાર થયા તે વિશે તેમણે આપવીતીમાં રસપ્રદ લખ્યું છે.
કાશીબહેન નર્સિંગનો અભ્યાસ કરતાં હતાં ત્યારે અમદાવાદમાં 1941માં રમખાણો ફાટી નીકળ્યાં.
સેંકડો ઘાયલોની સારવારના અને ઢગલાબંધ મૃતદેહોની સગાંસંબંધીઓએ કરેલી ઓળખની કાર્યવાહીનાં સંભારણાં પણ કાશીબહેને સંયમપૂર્ણ લાગણીશીલતાથી લખ્યાં છે.
ત્યાર બાદ કાશીબહેને મુંબઈમાં હેલ્થ વિઝિટરનો એક વર્ષના અભ્યાસ કર્યો. તે દરમિયાન ગાંધીજી 1942ની લડતની તૈયારી કરવા લાગ્યા. કાશીબહેને તેમને લડતમાં પડવા અંગે પુછાવ્યું.

ગાંધીજીએ આપેલાં આશીર્વાદ
કાશીબહેન સંભારે છે : ' તેમણે લખ્યું : 'ભણી લે; તે પછી દેશની સેવા કરજે.''
મુંબઈનો અભ્યાસક્રમ કાશીબહેને એટલો ઉજ્જવળ રીતે પૂરો કર્યો કે તેના એક સંચાલક અને કાનૂનવિદ મંગળદાસ મહેતાએ તેમને પરદેશમાં ભણવા જવાની તકો સમજાવી અને મુંબઈમાં રહી જવાનું પણ સૂચન કર્યું.
કાશીબહેને સાભાર પ્રતિભાવ આપ્યો : 'ગામડાંની સેવા કરવાના આદર્શને લક્ષમાં રાખીને હું અહીં ભણવા આવી છું. એટલે હવે તો દરિદ્રનાયાયણના દુ:ખમાં ભાગીદાર થવા ગામડાંમાં જઈશ.'
સાણંદની વિશ્વવત્સલ ઔષધાલય સમિતિના ઉપક્રમે પિતા સાથે સેવાકાર્ય શરૂ કર્યું. કામના આરંભે જ મા સમરતબાએ ઔષધાલયને પ્રસૂતિનાં સાધનો લાવવા માટે પાંચસો અગિયાર રૂપિયાનું દાન આપ્યું.
બે વર્ષ જેટલો સમય ઔષધાલયના સાણંદ અને આસપાસના વિસ્તારની કામગીરીમાં રહ્યાં. તે પછી 1946માં સમિતિની શિયાળ શાખા શરૂ થઈ એટલે બાપ-દીકરીએ ત્યાં તપ આદર્યું.
બહુ દુર્ગમ એવા શિયાળ બેટે અવાવરું મકાન જાતે સરખું કરીને તેમાં રહેઠાણ અને દવાખાનું રાખ્યાં.
પાણી, રસ્તો, બળતણ, સલામતી, વાહનવ્યવહાર સહિતની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે અપરિગ્રહી, સાદું, કરકસરભર્યું અને કામઢું જીવન જીવતાં દરદીસેવાની ધૂણી અઢી દાયકા ધખાવી.
તેનું ભાષાના રંગરાગ વિનાનું વર્ણન કાશીબહેનનાં સ્વકથનનો સહુથી હૃદયસ્પર્શી હિસ્સો છે. તેની સાથે એક હિસ્સો ભાલના સર્વાંગી વિકાસ માટે તેમણે કરેલાં કાર્યનો પણ છે.
ગામડાંના સર્વાંગી વિકાસ માટે સંતબાલની પ્રેરણાથી કાશીબહેને નવલભાઈ શાહ અને અંબુભાઈ શાહની સાથે ખેડૂત મંડળીની કામગીરીમાં પણ બહોળો ફાળો આપ્યો.

કાશીબહેન મહેતા તેમના પિતા સાથે
પઢાર સહિત છેવાડાની અનેક કોમના લોકોને વ્યાજખોરોથી બચાવવા માટે ધિરાણ મંડળી અને સસ્તા હાટ માટે રેશનિંગની દુકાન કરી.
આવાં ઉપક્રમોને લીધે ઉપલા ગણાતા વર્ગોના વિરોધ અને કાવતરાંનો સામનો ય કર્યો. ચોરી, જમીનનો કબજો, સ્ત્ર સન્માન, કોમી એખલાસને લગતા બનાવોમાં ઘટતું કર્યું.
એક ચૂંટણીમાં કૉંગ્રેસ તરફી પ્રચાર કર્યો અને ગણોતિયાધારાના અમલની કચાશના મુદ્દે પક્ષનો વિરોધેય કર્યો. વીસ ગામોમાં ફરતું દવાખાનું ચલાવ્યું.
રવિશંકર મહારાજની પ્રેરણાથી 1969 દુકાળ અને પછીનાં વર્ષે પૂર આપત્તિનાં રાહતકાર્યોમાં જોડાયાં. કાશીબહેનનું અવસાન 2009માં વડોદરામાં થયું.
કાશીબહેનનાં જીવનનાં પહેલાં ત્રેપન વર્ષનો આલેખ 'મારી અભિનવ દીક્ષા' પુસ્તકમાં મળે છે.
તેને પ્રકાશિત કરનાર મહાવીર પ્રકાશન મંદિરના મંત્રી મનુભાઈ પંડિત લખે છે : 'બહેન કાશીબહેન સાથીઓના આગ્રહને વશ થઈને સંકોચાતાં-સંકોચાતાં, સંયમપૂર્ણ રીતે લખવા તૈયાર થયાં. પરંતુ તેઓ મે 1973 – એટલે કે શિયાળથી અલવિદા પછી અટકી ગયાં છે. તો ત્યાર પછીનાં પણ પોતાનાં સંસ્મરણો અને પ્રસંગો આપી તેમના સુવાસિત જીવનની કડી પૂરી કરશે એવી આશા રાખીશું.'
જોકે એ આશા પૂરી થઈ નથી. પણ એમ છતાં કાશીબહેનનાં જીવનનું જે કથન મળે છે તે પણ તબીબી ક્ષેત્રે નિ:સ્વાર્થ સેવાનું ભાવવિભોર કરનારું દૃષ્ટાન્ત છે.
પ્રગટ : બી.બી.સી. ગુજરાતી, 19 જાન્યુઆરી 2020
[કાશીબહેન મહેતા કૃત ‘મારી અભિનવ દિક્ષા’ પુસ્તકમાંથી છબિઓ સાભાર લેવાઈ છે]
![]()


સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.
મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.
ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.
પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ – તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.
જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.



વિનોબાજી નઈતાલીમને ‘નિત્ય નઈતાલીમ’ કહેતા. તેઓ કહેતા: ‘જે આજે છે તે કાલે નહીં રહે.’ કેળવણીએ યુગાનુરૂપ નવો અવતાર ધારણ કરવો પડે. આજની જરૂરિયાત અને પડકારોને કેળવણી દ્વારા ઉકેલવાં જ પડશે. દર્શક કહેતા : ‘સનાતન સાથે નૂતનની કલમ કરો.’ સનાતનતા અને સામયિકતાના મણિકાંચન-યોગથી નિત્યનૂતનતા પાંગરે છે. ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલા તો આમ્રકુંજો વચ્ચે સોહંતી દશાંગુલ સંપુટશી નાની-શી શાળા. સાદાં-થોડાં-કાચાં મકાનો અને થોડા નીમપાગલો એ તેનો અસબાબ! પણ ત્યાંનું સર્જન, આનંદ અને મૈત્રીથી છલકતું વાતાવરણ જ અનોખું હતું. આંબલાનું શિક્ષણ એટલે જલસો ! બાળક કેન્દ્રમાં. તેનાં રસ અને રુચિ, તેનાં કુતૂહલ અને જિજ્ઞાસા, તેની સર્જનશીલતા અને મૌલિકતા, તેનાં તત્ક્ષણતા અને તત્પરતા કેન્દ્રમાં. બાળકની ભોમભીતરનો રસ, ખોજ અને સાહસને અનુકૂળ વાતાવરણ. ચાર દીવાલો વચ્ચેનું શિક્ષણ નહીંવત્. નાનાભાઈ તો કેળવણીના ઋષિ. તેમણે જે કેળવણીનું દર્શન આપ્યું તે અહીં પાયામાં હતું. દર્શક તેમની વાત આમ મૂકતા : ‘નાનાભાઈ માટે કેળવણી એ મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાની શોધને શિક્ષણ ક્ષેત્રમાં કેમ લાગુ પાડવી તેની મથામણ હતી. એ કેળવણી કેવી હોય?’ દર્શક કહે છે : ‘એ કેળવણી જીવન સાથે નાડી સંબંધ ધરાવનારી હોય. તેમાં ઉત્પાદિત પરિશ્રમ, જ્ઞાન-વિજ્ઞાન અને કાવ્ય-સાહિત્યનો સમન્વય થયો હોય. તેમાં સહશિક્ષણ હોય, દંડને સ્થાન ન હોય. તેમાં વિદ્યાર્થી-અધ્યાપક વચ્ચે માત્ર સંપર્ક જ નહીં પણ કુટુંબભાવના હોય. તે વિદ્યાર્થીની રુચિ અને વયની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ચાલતી હોય.
આંબલા પ્રાથમિક શાળામાં વર્ગખંડોની કમી. બહાર ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવાનું. પણ પછી અનિલભાઈએ પ્રેરણા આપી તો સુંદર ચોરસ વાંસના લતામંડપ થયા. જમીન સફાઈ, પાયો ખોદવો, પથ્થર લાવવા, ચણવું, વાંસના વિવિધ આકાર કરવા, ફૂલછોડ વાવવાં – બધું જ બાળકોએ કર્યું ! પણ પછી બાળકોને થયું, બધી શાળામાં ઓરડા છે અને આપણે કેમ નહીં ? સહુ અનિલભાઈને કહે : ‘ગામની શાળામાં સરકારે ઓરડો બાંધી આપ્યો છે, તો અનિલભાઈ તમે સરકારને કહો ને કે આપણે ત્યાં ય બાંધી આપે.’ બસ, અનિલભાઈને કેળવણીનો મુદ્દો મળી ગયો. અનિલભાઈએ ભાવનગર જિલ્લા પંચાયતમાં બાળકો પાસે અરજી કરાવીને મોકલી, પણ એમ કંઈ મંજૂરી થોડી મળે ! આખરે બાળકો કંટાળ્યાં અને અનિલભાઈએ ખેલ પાડ્યો. બાળકો જ કહે, ‘અનિલભાઈ ! હવે સરકારની આશા છોડો, આપણે જ બાંધીએ તો કેમ ?’ અનિલભાઈ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. કેટલા ચોરસફૂટ જમીન જોઈએ, ક્યાં કરીશું, માટી ક્યાંથી લાવીશું, ઈંટ પાડવી, ચણવી …. કેટકેટલાં કામો ? અને 60’ x 40’માં બે ઓરડા બાળકોએ ચણ્યા ! ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, ઈજનેરી વિદ્યા, ભાષાઓ – શું શું ન શીખવા મળ્યું આ પ્રોજેક્ટથી !
અનિલભાઈએ શ્રમનો વિદ્યાર્થીની કેળવણી માટે વિશિષ્ટ રીતે વિનિયોગ કર્યો, તેવો જ છાત્રાલય જીવનનો-સમૂહજીવનનો કર્યો. છાત્રાલય એ પણ નઈતાલીમનો મહત્ત્વપૂર્ણ પાયો. વિદ્યાર્થીઓને સહજીવન, સમૂહ જીવન, સમાજ જીવનનો અનુભવ છાત્રાલય દ્વારા મળે. સ્વાશ્રય અને સ્વાવલંબનનાં કૌશલ્યો, સંસ્કારો અને મૂલ્યો વ્યક્તિગત તેમ જ પ્રજાજીવનમાં અનિવાર્ય છે. આંબલાનું છાત્રાલય એટલે પરિવાર જીવન જ. પરિવારના જ ભાવ, મૂલ્યોને કેળવણીમાં સંક્રાંત કરવાનાં. પરિવાર એટલે કાળજી, ચિંતા, વિશ્વાસ, ભરોસો, હેત, હૂંફ, સ્વીકાર, સ્વતંત્રતા, પરસ્પરાવલંબન.