દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ગાંધીજી જેલ ભોગવીને પાછા ફિનિક્સ આશ્રમમાં આવ્યા અને તરત એમણે સાથીઓ આગળ પોતાનું મનોમંથન રજૂ કર્યું :
હજારો ભોળા નિરક્ષર લોકો મારા કહેવાથી મારી ઉપર શ્રદ્ધા રાખી લડાઈના દાવાનળમાં કૂદી પડ્યા અને દેખ્યું ન જાય એવું દુ:ખ એમણે વેઠયું છે. એમનાથી વેગળો હું કેમ રહું ? મારે એમનામાંના એક બનીને રહેવું જોઈએ. મારે કામ પ્રસંગે ગોરાઓને મળવું પડે કે રાજધાનીમાં જવું પડે તો પણ આ સત્યાગ્રહની લડત ચાલે છે ત્યાં સુધી કોટ-પાટલૂન ને નેકટાઈ હું નહિ પહેરું. નાનકડા સમાજમાંના એક બનીને જીવવામાં મને રસ નથી આવતો. મારે તો આ હજારો ગિરમીટિયાઓમાંના એક બનીને જીવવું છે. લડતને કારણે વિધવા બનેલી બહેનનાં આંસુ લુછવા માટે મારે આટલું તો કરવું જ જોઈ એ. આવતી કાલથી એક લુંગી અને સાદું પહેરણ એ મારો પોશાક રહેશે. ખપની વસ્તુઓ રાખવા એક બગલથેલો રાખીશ.
દલીલ થઈ : લુંગી કરતાં ધોતિયું સારું નહિ ! હરવું ફરવું વિશેષ ફાવશે. આપણો મૂળ પહેરવેશ પણ એ જ છે ને ?
ગાંધીજી : ખરું, પણ અત્યારે પ્રશ્ન ગિરમિટિયાઓનો છે. એમનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. માટે લુંગી જ પહેરું. મારી લુંગી ચીંથરેહાલ નહિ હોય એટલો ફરક રહેવાનો. તેઓ માથે કંઈક ને કંઈક બાંધે છે. પણ આપણે તો માથે પહેરવાનું છોડ્યું છે, એટલે હવે નવું ફરી શરૂ કરવું નથી. શહીદોનો શોક પાળવા મૂછનું મુંડન કરવું જરૂરી છે. અને પગમાં સેન્ડલ પણ રાખવાં નથી. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ હોય છે ?
ચંપલ છોડવાની વાતથી સૌ ચોંક્યા. એક જણે વિનંતી કરી : આપના પગ કસાયેલા નથી. ચાલવાનું આખો દિવસ રહેશે.
બાપુ દૃઢ નિરધારથી બોલ્યા : સાચું છે. મારા પગનાં તળિયાં વધુ આળાં છે. પણ લોકોને દુઃખમાં હોમું ત્યારે મારેયે કંઈક તો ખમવું જોઈએ ના ? ઘણું થશે તો થોડું ધીમું ચલાશે એ જ ના ?
બાપુએ લાકડીનો સાથ પણ એ દિવસોથી સ્વીકાર્યો.
[‘ગાંધીકથા’]
નોંધ : 1915માં આજના દિવસે પૂ. બાપુ દક્ષિણ આફ્રિકાની લડતમાં વિજયી બનીને પાછા ભારત પધાર્યા હતા. એ પુણ્યસ્મૃતિમાં આજનો દિવસ બિનનિવાસી ભારતીય દિન તરીકે ઉજવાય છે.
09 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 206
![]()




મહાદેવકાકાને કંઈક આવા આવા વિચારોમાં ઊંઘ આવતી નહોતી. રાત્રે ત્રણ વાગ્યે બંને મિત્રોએ કશોક ખખડાટ થતો સાંભળ્યો. એ લોકો બહાર બગીચામાં આવ્યા. બહાર પોલીસ વાન ઊભી હતી. મહાદેવકાકાનો ભય સાચો ઠર્યો. ધૂંધળા ભાવિની અને બાપુજીની ચિંતામાં મહાદેવકાકા ધ્રૂજી ઊઠ્યા. એમણે દબાતે પગલે જઈને બાપુજીને જગાડ્યા. બાપુજી તો નિર્વિકાર પ્રસન્ન ચિત્તે ઊઠ્યા અને તેમણે કહ્યું : ‘આમંત્રણ આવી ગયું?” બાપુજી તૈયાર થઈ ગયા. દાદી પણ જાગી ગયાં. તૈયાર થઈને બધાં બહાર આવ્યાં. પોલીસ અધિકારીએ વૉરંટ બતાવ્યું. બાપુજી અને મહાદેવકાકાનાં નામનું વોરંટ હતું. દાદી માટે વોરંટ નહોતું.
સાંજે દાદી જાહેર સભામાં ગયાં. આ વૃદ્ધ કે જે આજીવન પતિની છાયા થઈને જ રહી, જેણે ક્યારે ય મોં ખોલ્યું જ નહોતું તેણે આજે મુંબઈની જાહેર સભાના મંચ પરથી પોતાનાં સંતાનો જેવા પ્રજાજનોને એક માતાના અંતરની તૂટીફૂટી પણ પ્રેમ નીતરતી વાણીમાં સંબોધન કરતાં કહ્યું, ‘મારા પતિ(આપણા બાપુજી)ને તો સરકાર ઉપાડી ગઈ. ક્યાં એની મને ખબર નથી. પણ આપણો માર્ગ સ્પષ્ટ છે. આપણે આઝાદી માટે કશુંક કરવું પડશે. છેવટે મોતને ભેટીશું. હવે પાછા વળવાનો તો પ્રશ્ન જ નથી. મને શ્રદ્ધા છે કે તમે સહુ બાપુજીના સંદેશાનું પાલન કરશો. મરવું જ છે તો પછી કોઈ વાતનો ડર શાનો? ભગવાન જે ગુજારશે તે સહી લઈશું પણ સમાધાન તો કરવું જ નથી.’
પોતાની પ્રજાનો નેતા – જેને બહારની કોઈ પણ સત્તાનો સહારો નથી; રાજપુરુષ – જેની સફળતા ખટપટ કે આયોજનિક યુક્તિઓ પરના પ્રભુત્વ પર નહિ પણ કેવળ પોતાના વ્યક્તિત્વની સામાને સમજાવી લેતી શક્તિ ઉપર અવલંબે છે; વિજયી યોદ્ધો–જેણે હંમેશાં હિંસાના ઉપયોગને ધુત્કારી કાઢ્યો છે; પ્રજ્ઞા અને નમ્રતાની મૂર્તિ – જે દૃઢ સંકલ્પ અને અદમ્ય સંગતતાથી સુસજ્જ છે, જેણે પોતાની પ્રજાને ઉદ્ધારવામાં અને એમની દશા સુધારવામાં પોતાની સમગ્ર શક્તિ સમર્પી છે; એક માણસ – જેણે એક સામાન્ય મનુષ્યના ગૌરવ વડે યુરોપની પાશવતાને સામને કર્યો છે અને એ રીતે સર્વદા જે ઉત્તરોત્તર ઊંચે ચડ્યો છે. સંભવ છે કે આવતી પેઢીઓ ભાગ્યે જ એ વાત માનશે કે આવો માણસ ખરેખર જીવતા-જાગતા સ્વરૂપે આ ભૂતલ ઉપર વિચર્યો હતો !
ગાંધીજીએ એક આખી પ્રજાને ટટ્ટાર ઊભી રહેતી કરી અને તેમના બોલથી એ પ્રજા ટટ્ટાર ઊભી. ગાંધીજી જડતત્વ પર આત્મતત્ત્વના વિજયના, હિંસા પર હિંમતના, અને અન્યાય પર ન્યાયના વિજયના પ્રતિનિધિ હતા. હિંદમાં બ્રિટિશ શાસનની રૂઢ પ્રણાલી ચાલુ રહે એ એમણે તદ્દન અશક્ય બનાવી દીધું. આ એમનો નાનો સૂનો વિજય નથી. ઇતિહાસની અદાલતમાં હિંદી પ્રજાને નામે તેઓ એક ફરિયાદી તરીકે ઊભા રહ્યા અને જ્યારે એમણે એમની દલીલો પૂરી કરી ત્યારે બીજો કોઈ ચૂકાદો શક્ય નહોતો. સ્વાતંત્ર્ય એ જ ચૂકાદો હતો.
અમારે મન ગાંધીજી તે પોતે જેને સાચું માને તેને માટે ઊભા રહેનારા બહાદુર પુરુષોમાંના એક હતા, પૃથ્વી પરના રડ્યા-ખડ્યા સંતોમાંના એક હતા. અમે હિંદ માટે ગૌરવ અનુભવીએ છીએ કે ગાંધીજી તેનાં સંતાનોમાંના એક હતા; અને અમને હિંદ માટે દયા ઉપજે છે કે હિંદના જ એક સંતાને એમને હિચકારી રીતે ઠાર કર્યા! ગાંધીજીના મૃત્યુની સંજ્ઞા સાથે સરખાવી શકાય એવો ઇશુના ક્રૂસ-આરોહણ સિવાય બીજો કોઈ પ્રસંગ નથી. પોતાના દેશના જ હત્યારાને હાથે નીપજેલું ગાંધીજીનું મૃત્યુ એ બીજું ક્રૂસારોહણ છે.
આજની દુનિયાના ઇતિહાસમાં આ પૂજ્ય પુરુષની નિરર્થક હત્યાથી વધારે અકારું કશું બન્યું નથી. સભ્યતા જો ટકી શકવાની હોય તો તેની ઉત્ક્રાંતિમાં સૌ મનુષ્યે કાળે કરીને ગાંધીજીની માન્યતાને અખત્યાર કર્યા વગર રહી શકશે નહિ કે તકરારી મુદ્દાઓના ઉકેલ માટે હિંસાને સામુદાયિક ઉપયોગ એ તત્ત્વતઃ ખોટો છે. એટલું જ નહિ, પણ તે પોતાની અંદર આત્મનાશનાં બીજ ધરાવતો હોય છે. ગાંધીજી એવા પયગંબરોમાંના એક હતા કે જેઓ પોતાના જમાનાથી ઘણા આગળ વધેલા હોય છે.
ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના સૌથી મહાન હિંદી અને ઈશુ પછીના દુનિયાના સૌથી મહાન પુરુષ હતા.
હિંદના સ્વાતંત્ર્યનો સંગ્રામ એટલે ગાંધીજીનું સમસ્ત જીવનચરિત્ર. મારું પોતાનું જીવન ગાંધીજી સાથે ગાઢ રીતે સંકળાયેલુ હતું. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો બનાવો કેવું સ્વરૂપ લેત એ કહેવું મુશ્કેલ છે. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો હિંદને કદાચ અત્યાર સુધી આઝાદી મળી જ ન હોત. એ સત્યનો ફિરસ્તો પગલે પગલે હિંદની પ્રજાને આઝાદીની મંઝિલ ભણી દોરી ગયો, અને કૂચ પૂરી થઈ કે તરત જ એક દુષ્ટાત્માએ તેમનો જાન લીધો! ગાંધીજી જેવી વિભૂતિનું ખૂન થઈ શકે તો પછી દેશમાં બીજા ભયંકર બનાવોની ધારણા કેમ ન રાખી શકાય ?
દુનિયાભરમાંથી જે અંજલિઓ બાપુને મળી, તેવી આજ સુધીના કોઈ પણ મહાપુરુષને તેમના જીવિતકાળ દરમિયાન કે દેહાંત પછી તુરત મળી નથી. કેટલાયને એ અનાથના નાથ જેવા હતા. કેટલાયને બાપુ એક જ શરીરે મા અને બાપ બન્ને હતા.