વ્યવસાયે હતો ડોક્ટર, સર્જન. વાઢકાપ કરવાનો ધંધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મેડિકલ સર્વિસમાં જોડાઈને હિન્દુસ્તાન આવ્યો, ૧૭૮૨માં મુંબઈને બંદરે ઊતર્યો. કંપની સરકારની લશ્કરી ટુકડી સાથે પગપાળા ચાલતો પહોંચ્યો કલકત્તા. આવી લાંબી મુસાફરીમાં ઘણા સૈનિકો માંદા તો પડે જ. પોતે હતો ડોક્ટર, છતાં તેમની સારવાર કરી ન શકતો. કેમ? કારણ સૈનિકોની ભાષા તેને આવડતી નહોતી, અને તેની ભાષા સૈનિકોને આવડતી નહોતી. લંડનમાં બેઠેલા કંપનીના બડેખાં ડાયરેક્ટરોના ધ્યાનમાં જે વાત નહોતી આવી તે વાત તેના ધ્યાનમાં આવી. હિન્દુસ્તાનમાં કામ કરવું હોય તો અહીંની ભાષા જાણવી જરૂરી. એટલે હિન્દુસ્તાની ભાષા શીખવા લાગ્યો. હિન્દુસ્તાનીનો શબ્દકોશ બનાવવાનું નક્કી કર્યું. એ માટે લશ્કરમાંથી એક વર્ષની રજા લીધી. પણ રજા પૂરી થયા પછી લશ્કરમાં પાછો ગયો જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓ પાછળ જ મંડી પડ્યો.
એનું નામ જોન બોર્થવિક ગિલક્રિસ્ટ. ૧૭૫૯માં જન્મ, ૧૮૪૧માં અવસાન. પુસ્તકો લખ્યાં. બ્રિટનથી આવતા અંગ્રેજોને હિન્દુસ્તાનની ભાષાઓ શીખવતો. ધીમે ધીમે ગવર્નર જનરલ વેલેસ્લી સુધી પહોંચ થઈ. બ્રિટનથી આવતા સરકારી નોકરોને હિન્દુસ્તાનનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃિત, રીતરિવાજ, વગેરે શીખવવા માટે એક સંસ્થા શરૂ કરવાનું સૂચન તેણે ગવર્નર જનરલને કર્યું. વેલેસ્લીને વિચાર ગમી ગયો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેકટરોને પૂછ્યાગાછ્યા વગર જ તેણે કલકત્તાના ફોર્ટ વિલિયમ્સમાં આવી સંસ્થા શરૂ કરવાનું નક્કી કરી નાખ્યું. ૧૮૦૧ના એપ્રિલની દસમી તારીખે વેલેસ્લીએ જરૂરી કાગળિયાં પર સહીસિક્કા કર્યા, અને ચોથી મેએ તો કોલેજ શરૂ!
અલબત્ત, તે કોલેજ ‘દેશીઓ’ માટે નહોતી, ફક્ત અંગ્રેજ સરકારી નોકરો માટે હતી. તેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો. વિદ્યાર્થી પાસેથી ફી લેવાનો તો સવાલ જ નહોતો. દરેક વિદ્યાર્થીને મહિને ૩૦૦ રૂપિયાનું ભથ્થું અપાતું! ધીમે ધીમે હિન્દુસ્તાની ઉપરાંત બીજી ‘દેશી’ ભાષાઓ શીખવવાની સગવડ પણ કરી. ફારસી, અરબી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓ અહીં શીખવાતી. આટલી બધી ભાષાઓ માટેનું પુસ્તકાલય ઊભું કરવાનું કામ સહેલું નહોતું. પણ ટીપુ સુલતાન સાથેનું યુદ્ધ તેમાં મદદે આવ્યું. તેને હરાવ્યા પછી ટીપુનો સમૃદ્ધ ગ્રંથભંડાર અંગ્રેજોના હાથમાં આવ્યો. એ આખેઆખો સંગ્રહ વેલેસ્લીએ આ કોલેજને આપ્યો.
પણ આવી કોલેજ શરૂ થઈ છે એવા ખબર જ્યારે બ્રિટન પહોંચ્યા, ત્યારે કંપનીના ડિરેકટરોના પેટમાં તેલ રેડાયું. પોતાની મંજૂરી લીધા વગર, અરે, અગાઉથી જાણ પણ કર્યા વગર, ગવર્નર જનરલ આવી મોટી કોલેજ શરૂ કરી દે તે તો કેમ ચલાવી લેવાય? ૧૮૦૨ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમણે વેલેસ્લીને હુકમ મોકલ્યો : તાબડતોબ બંધ કરો આ કોલેજ ! પણ વેલેસ્લી એમ ગાંજ્યો જાય એવો નહોતો. ઉપરીઓને હંફાવવા માટે તુમારશાહીનો ઉપયોગ કરવામાં પાવરધો હતો. એટલે તેણે લખાપટ્ટી શરૂ કરી, ટાઈમ મેળવતો ગયો. તેણે એવી જોરદાર દલીલો કરી કે ડિરેક્ટરોએ નમતું જોખવું પડ્યું. હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક સો જેટલા સ્થાનિક જાણકારોને રોકીને ‘અનુવાદનું કારખાનું’ કોલેજમાં શરૂ થયું.
પણ બ્રિટનમાંના ડિરેક્ટરો પણ કાઈ ગાંજ્યા જાય એવા નહોતા. ઘી સીધી આંગળીએ ન નીકળે તો કેમ કાઢવું એ જાણતા હતા. હિન્દુસ્તાન જતા કંપનીના નોકરોને ‘દેશી’ ભાષાઓ શીખવવાની વ્યવસ્થા બ્રિટનમાં જ કરી હોય તો કલકત્તાની કોલેજ આપોઆપ ભાંગી પડે! કલકત્તાની કોલેજ પાછળ દર વર્ષે ચાર લાખ રૂપિયા ખર્ચાતા હતા તે તેમને પેટમાં દુખતા હતા, પણ બ્રિટનમાં આવી કોલેજ માટે શરૂ કરવા માટે તેમણે પચાસ હજાર પાઉન્ડ ફાળવ્યા ! ૧૮૦૭માં તો ‘ધ ઈસ્ટ ઇન્ડિયા કોલેજ એટ હેલીબરી’ કામ કરતી શરૂ પણ થઈ ગઈ. હવે કલકત્તાની કોલેજને વિદ્યાર્થીઓનાં સાંસા પડવા લાગ્યા. પડતી શરૂ થઈ. પોતાની અત્યંત સમૃદ્ધ લાયબ્રેરી કોલેજે નવી શરૂ થયેલી કલકત્તા પબ્લિક લાયબ્રેરીને ભેટ આપી દીધી. આ લાયબ્રેરી પછીથી ઈમ્પિરિયલ લાયબ્રેરીમાં ભળી ગઈ. આઝાદી પછી આ ઈમ્પિરિયલ લાયબ્રેરી બની દેશની નેશનલ લાયબ્રેરી. છેવટે ૧૮૫૩ના જાન્યુઆરીમાં કલકત્તાની કોલેજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. પણ ત્રેપન વર્ષના આયુષ્યમાં કલકત્તાની આ કોલેજે ભારતીય ભાષાઓના શિક્ષણ અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
સૌજન્ય : ‘માઈલસ્ટોન’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014
![]()


નાલંદા મહાવિહાર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત શૈક્ષણિક પરિસરની સ્થાપના પાંચમી સદીમાં થઈ હોવાનું કહેવાય છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ તો ઠીક પણ યુરોપની જૂનામાં જૂની બોલોગ્ના યુનિવર્સિટી પણ સ્થપાઈ નહોતી ત્યારે નાલંદામાં વિદ્યા-જ્ઞાાનનો યજ્ઞ ઝળહળતો હતો. એક જમાનામાં અહીં ૧૦,૦૦૦ કરતાં વધારે અભ્યાસીઓ શિક્ષણ મેળવતા હતા. વાદળો સાથે વાતો કરતા નવ માળના તેના પુસ્તકાલયની ભવ્યતાનાં વર્ણનો આપણે વાંચેલાં છે. મૂળે તો બૌદ્ધધર્મીઓ દ્વારા સ્થાપવામાં આવેલી આ શિક્ષણ સંસ્થાએ એટલી ઊંચાઈ અને વ્યાપકતા પ્રાપ્ત કરી હતી કે તેમાં ધર્મ કે દેશના વાડાઓ અપ્રસ્તુત બની ગયા હતા. બૌદ્ધ શિક્ષણ સંસ્થા હોવા છતાં ગુપ્ત વંશ સહિતના હિંદુ રાજાઓએ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સહાય કરી હતી. જો કે, સન ૧૧૯૩માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો અને એક જીવંત શિક્ષણ સંકુલ ખંડેરોમાં ફેરવાઈ ગયું. આજે આઠ સદી પછી અહીં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, એ ભારત જ નહીં સમગ્ર એશિયા માટે આનંદના સમાચાર છે.
વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …
જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.
જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.