
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
કોરોના વાઇરસની અત્યંત ચેપી બીમારીના કેસ અને મોત કયા દેશમાં કેટલા પ્રમાણમાં નોંધાય છે, તેનું અપ ટુ ડેટ બેરોમીટર કે રજિસ્ટર જેને કહેવાય છે, તે વર્લ્ડોમીટર્સ ડોટ ઈન્ફોમાં સંખ્યાબંધવાર મેં ચૅક કરી જોયું. પણ દરેક વાર મારું કૂતુહલ અને શંકા બંને એક સાથે વધી પડ્યાં. ગૂગલ પર મૂકાયેલા તમામ આર્ટિકલ અને આંકડાને સરખાવતાં મારી શંકાનું સમાધાન અલબત્ત, થઈ ગયું પણ, કૂતુહલ હજુ જડબેસલાક છે. વાસ્તવમાં, કોઈ પણ વિજ્ઞાની ખોજ અને અવધારણા શંકા અને કૂતુહલમાંથી જન્મતાં હોય છે અને કોરોના વાઇરસની બીમારીના કેસ સંબંધી આંકડા અને અભ્યાસોમાં પણ એવું જ હશે!
ઇતિહાસ તપાસતાં સમજાશે કે કોઈપણ મહામારી રાધર કુદરતી આપદાનો પ્રાથમિક તબક્કો સદૈવ ઉપેક્ષા, અવહેલના અને ‘પડશે એવા દેવાશે’ના એટિટ્યુડ સાથેનો હોય છે અને તે પછી વચલા તબક્કામાં સરકારી સ્તરની ઈરરેશનલ (તર્ક વગરની) ભૂલો અને ભયંકર અપરાધની કક્ષાની ગેરરીતિઓ અને ગરબડો આવે છે. વહીવટી અણઆવડત અને અણઘડતાનો ત્રીજો અને છેલ્લો તબક્કો ‘જનતા જ હવે નક્કી કરશે કે યુદ્ધ ચાલુ રાખવું છે કે સમાધાન કરવું જોઈએ’ તે મતલબનો હોય છે, અને ભારત, અમેરિકા સહિતના કહેવાતા સામર્થ્યવાન દેશો હવે આ તબક્કામાં આવી ચુક્યા છે. જ્યાંથી આ રોગ પૂરી દુનિયામાં પ્રસર્યો છે તે ચીન ક્રમશઃ રાબેતા મુજબ થઈ રહ્યું છે અને તેને છએક મહિનાની લાંબી જહેમત પછી આ સફળતા મળી છે. જો કે, બાકાયદા કહેવું જોઈએ આ બીમારીનું ગર્ભારોપણ અને ઉછેર જ્યાં થયેલો તે એક કરોડની વસતીવાળા વુહાન શહેર પૂરતી જ તેને રોકી રાખવામાં ચીન પ્રારંભમાં જ મેદાન મારી ગયેલું અને દોઢસો કરોડની વસતીવાળા પૂરા દેશમાં વાઇરસને ફેલાતો અટકાવી દીધો હતો.
2019ના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચીનમાં આ બીમારીએ દેખા દીધી હતી અને તે પછી તે પૂરા વુહાનમાં ફેલાવા માંડી હતી. દિલચશ્પ બાબત તો એ છ કે ચીને આ બીમારી કયા પ્રાણી અને સમુદ્રી જીવમાંથી આવી છે તે પણ શોધી કાઢેલું અને વાઇરસનો જિનોમ કયા કુળનો છે તે પણ જોઈ લીધું હતું. દરમિયાન, તેણે અમેરિકા અને યુરોપ સહિતની લેબોરેટરીમાં આ વાઇરસનું જેનેટિક સ્ટ્રકચર મોકલી આપેલું અને તેની સાથેસાથે વુહાન જે પ્રાંતમાં પડે છે તેને એરટાઈટ સીલ કરી દીધો હતો. વુહાન હુબેઈ પ્રાંતમાં આવેલું છે અને તેને અડતી તમામ પ્રાંત(જિલ્લા)ની બોર્ડરો તાબડ઼તોબ સીલ કરી દેવામાં આવી. વુહાનમાં બહારથી ચકલું પણ ન ફરકે તેનું ધ્યાન રખાયું અને વુહાનનાં માખી-મચ્છર બહાર ન જાય તેની તદેકારી અને નિગરાની મજબૂત બનાવવામાં આવી. માણસની પ્રકૃતિને સમજવા કરતાં વાઇરસની પ્રકૃતિને સમજવામાં ચીને ઉત્સુકતા અને સાવધાની રાખી અને આ જ કારણથી આ રોગ વુહાન પૂરતો મર્યાદિત બની રહ્યો.
વાઇરસને અંધ ભક્તની માફક આંખો અને બુદ્ધિ હોતાં નથી. એટલે તે જ્યાં પણ, તેને અનુકૂળ આવે તે સજીવમાં સામેલ થઈ જવાની વેતરણ અને ફિતરત રાખે છે. ચીનની જેમ વિયેતનામ, કંબોડિયા, તાઈવાન અને લાઓસે પણ માણસની જાતપાત અને નાક-નકશાને બદલે વાઇરસની પ્રકતિનું સૌથી પહેલાં પૃથક્કરણ કરવાનું મુનાસિબ માન્યું અને ભૌગોલિક અને સામાજિક સરહદો ચીનને અડતી હોવા છતાં આ જીવલેણ બીમારીને કંટ્રોલ કરવામાં અપ્રતિમ કામગીરી કરી બતાવી. કોરોના વાઇરસની બીમારીનું સત્તાવાર મીટર જેને ગણવામાં આવે છે તે વર્લ્ડોમીટર્સની લેટેસ્ટ માહિતી પ્રમાણે છ મહિનાના સમયગાળામાં વિયેતનામમાં આ બીમારીના કુલ 288 કેસ નોંધાયા છે, મોત એક પણ થયું નથી. કંબોડિયામાં ફક્ત 122 કેસ થયા છે અને એક પણ મોત નથી. લાઓસમાં માત્ર 19 કેસ છે. તાઈવાનમાં 440 કેસ પર જુમલો સીમિત રહ્યો છે અને સાત મોત નોંધાયાં છે.
હકીકત એ છે કે આ તમામ દેશોએ આવનારી આફતને પહેલાંથી પારખી લીધી હતી અને તે સંદર્ભે પગલાં ભરવાનાં શરૂ કરી દીધાં હતાં. આ તમામ દેશોએ સૌથી પહેલું કામ ચીન સાથેની તમામ સરહદોને તાળાં મારી દેવાનું કર્યું અને એક પણ માણસ બહારથી આવી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. હોસ્પિટલોમાં જે કોઈ સુવિધા હતી તેને સાબદી કરવામાં આવી અને માસ ગેધરિંગનાં તમામ સ્થળો અને કાર્યક્રમો પ્રતિબંધિત કરી દેવાયાં.
સામે પક્ષે ખોફનાક વિરોધાભાસ સિંગાપોર, મલેશિયા અને જાપાનમાં જોઈ શકાય છે. સાઉથ કોરિયા પ્રારંભમાં ગોથું ખાઈ ગયું, પણ તેણે મધ્યમ માર્ગીય એપ્રોચ સાથે બાથ ભીડી અને બીમારીને કંટ્રોલ કરવામાં કામિયાબ રહ્યું. નાક-નકશા અને લુગડાં-લત્તાં જોઈને માણસને ચેક કરવાને બદલે આ દેશોએ વાઇરસનું સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ અને કોમ્બેટિંગ કર્યું અને પરિણામે આજે ત્યાં સ્કૂલ-કૉલેજો ઉઘડવા માંડી છે. મંડીઓ ખૂલી ગઈ છે અને શાકભાજી-દૂધ આસાનીથી મળી રહ્યાં છે. ડિસેમ્બરમાં વુહાનમાં કોરોનાનો વાઇરસ થાળી-વેલણ ખખડાવતો હતો, ત્યારે વિયેતનામ, કંબોડિયા, લાઓસ, સાઉથ કોરિયા અને તાઇવાને તે અવાજ સાંભળી લીધો હતો અને કાન બંધ કરવાને બદલે એ અવાજને જ બંધ કરવાનો નિશ્ચય કર્યો હતો. ન્યૂ ઝીલેન્ડે પણ એ જ રાહ અને અભિગમ દાખવ્યો અને જે કોઈ તેમના દેશમાં પ્રવેશી રહ્યું હતું તેનું કૂળ-ગૌત્ર અને ધરમ-કરમ જોવાને બદલે એરપોર્ટ પરથી સીધા જ આઇસોલેશનમાં મૂકી દેવાનું નક્કી કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડે શરૂઆતમાં જ લોકોને 14 દિવસ સુધી આકરા આઈસોલેશનમાં રાખ્યા અને પરિણામે દરદીઓની સંખ્યા 1,497 પર અને મોતનો આંકડો 21 પર અટકી પડ્યો.
રોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ તેવી ડાહી-ડાહી વાતો જે દેશમાં થાય છે ત્યાં રોગ લઈને પરદેશથી આવનારાઓને એરપોર્ટ પરથી સીધા સોસાયટીઓમાં પ્રવેશ ન અપાયો હોત અને તેમને આકરા આઇસોલેશનમાં રખાયા હોત તો આ સ્થિતિ આવત ખરી? 30મી જાન્યુઆરીએ ભારતમાં કેરળમાં પહેલો કેસ આવ્યો હતો અને 3 ફેબ્રુઆરીએ બીજા વધુ બે કેસ નોંધાયા હતા. ચોથી માર્ચે બીજા 22 કેસ નોંધાયા, પણ ત્યાં સુધી ભારતમાં પરિસ્થિતિ હદ બહાર જાય તેટલી ગંભીર નહોતી. 12મી માર્ચે સાઉદી અરેબિયાથી આવેલા 76 વર્ષના એક વૃદ્ધનું કર્ણાટકમાં મોત થયું, ત્યાં સુધી પણ ભારતમાં કોઈ સૂધબૂધ નહોતી અને એર પોર્ટ પર વાડ વગરના ખેતરની જેમ કોઈ પણની આવ-જા બેરોકટોક ચાલતી હતી.
15 માર્ચે ભારતમાં નોંધાયેલા 100 કેસ હતા અને એક દિવસનો ટોકન બંધ અપાયો તે દિવસ સુધીમાં એટલે કે 22મી માર્ચ સુધીમાં ફક્ત 360 કેસ અને 7 મોત હતાં. થાળી-વેલણ અને તાળીઓના અવાજથી કોરોના વાઇરસ ભાગ્યો નહીં એટલે 24મીથી દેશમાં તાળાબંધી શરૂ થઈ અને તે હવે બે મહિના થવા આવશે, હજુ પણ ચાલુ છે. 24મી માર્ચે દેશભરમાં કુલ 468 કેસ અને 9 મોત હતાં. આજે લોકડાઉનને પગલે અને કારણે પૂરા દેશમાં ભૂખમરા અને આત્મહત્યાની સ્થિતિ છે ત્યારે કેટલા કેસો અને મોત છે? બદમાશી એ હતી કે વાઇરસ ચીન કે વાયા વાયા બીજા દેશમાંથી આવી રહ્યાની જાણ છતાં દેશના તમામ એરપોર્ટનાં ખોડીબારાં ખુલ્લાં રખાયાં હતાં અને લીસીલસ ચામડીવાળા એન.આર.આઇ. અને ટુરિસ્ટને સીધો પ્રવેશ મળી જતો હતો. જે કામ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવાનું હતું તે કામ છેક માર્ચના અંતમાં થયું અને પાસપોર્ટ મારફતે કોરોના આખા દેશમાં ફેલાઈ ગયો.
અંતે, જે થવાનું હતું તે જ થયું અને દોષારોપણ અને રોગારોપણ એવી પ્રજા પર થયું તે પૂરી જિંદગી રેશનકાર્ડ લઈને સસ્તાં અનાજની દુકાન બહાર લાઈનમાં ભૂખ મટાડવા માટે ઊભા રહેવા જન્મી હતી. આ વાઇરસ ચાંગા, ચંપારણ કે ચમનપુરાથી આવ્યો નથી, બલકે, વાયા ચીનથી આવી રહ્યો છે તે ખબર હોવા છતાં, સરહદો સીલ ન કરાઈ અને ઊલટાનું શેરીઓની નાકાબંધી કરવામાં આવી. ધનિક સરકારની વી.આઇ.પી. ગફલતનું પરિણામ રાંક ભારત ભોગવી રહ્યું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()
શાસકો દેશવ્યાપી લૉક ડાઉનના એકંદરે સફળ અમલીકરણ બદલ યોગ્ય રીતે ખુશી અનુભવી રહ્યા છે. પણ લૉક ડાઉનની સાથે, બદકિસ્મત સ્થળાંતરિત મહેનતકશોની થયેલી દુર્દશાએ, લાંબા સમયથી ધ્યાન બહાર રહેલી એક મહત્ત્વની સમસ્યાને ઉજાગર કરી છે. શ્રમિકોની હાલતે સવાલોની હારમાળા સર્જી છે.
એક સવાલ એ છે કે સ્થળાંતરિત શ્રમિકોની વ્યાપકતાનો આગોતરો અંદાજ કેમ ન બાંધી શકાયો? તેમણે વેઠેલો ભૂખમરો અને તેની સામેનો આક્રોશ મીડિયામાં દેખાયો છે. વળી, રોજની કમાણી અટકી જતાં સ્થળાંતરિતોની ઘરવાપસીની સ્વાભાવિક તાલાવેલી પ્રત્યે સરકારની જડતાની વાત પણ મીડિયામાં મોટા પ્રમાણમાં આવી છે. જોકે કોવિડ-૧૯ પહેલાં પણ સ્થળાંતરિત શ્રમજીવીઓની જે હાલત રહી છે તેની પાયાની ચર્ચા માધ્યમોમાં થઈ નથી.
મુંબઈ કે દિલ્હી જેવાં મહાનગરોના અરધા લોકો ઝૂંપડપટ્ટીઓમાં અને ખોરડાંમાં રહે છે એ હકીકત જાણીતી છે. બધી સરકારો આ લોકોની જિંદગી સુધારવા માટેના પ્રયાસ કરે છે. કોવિડ લૉક ડાઉનના બે-ત્રણ દિવસની અંદર જ દિલ્હીના ઝૂંપડાવાસીઓને છ અઠવાડિયાનું અનાજ વિના મૂલ્યે આપવામાં આવ્યું, મહિલાઓને પૈસા મળ્યા અને પેન્શનરોનાં ખાતાંમાં બમણી રકમ જમા થઈ. જેમને જમવાનાં સાંસાં હતાં તેમને લૉક ડાઉન જાહેર થયાં પછીના 48 ક્લાકમાં બે ટંકનું ગરમ ભોજન મળતું થયું. ત્યારથી અત્યાર લગી દિલ્હીની સરકાર વીસ લાખ લોકોને (એટલે કે પટણા શહેરની વસતિ જેટલા લોકોને) દરરોજ જમવાનું પૂરું પાડે છે.
તો પછી આપણને ટેલિવિઝન પર સેંકડો ભૂખ્યા-તરસ્યા સ્થળાંતરિતો શા માટે જોવા મળે છે ? સર્વોચ્ચ અદાલતે સરકારને લૉક ડાઉન દરમિયાન દરેકને રેશન કાર્ડ આપવાની સૂચના શા માટે આપવી પડી? શું ઝૂંપડપટ્ટીમાં રહેનારા અને સ્થળાંતરિતો વચ્ચે ફેર છે? શું સ્થળાંતરિતોમાં પણ મોસમી (સિઝનલ) અને કાયમી (પરમેનન્ટ), સ્થાયી (સેટલ્ડ) અને અટવાયેલાં (સ્ટ્રૅન્ડેડ)—એવા અલગ અલગ પ્રકાર છે?
આ સમજવા માટે આપણે બંધારણીય જોગવાઈઓ અને રાજકીય અર્થકારણને ઘડનારી નીતિઓ સમજવી પડશે. રાજકીય અર્થકારણને આકાર આપતી નીતિઓ સ્થળાંતરિતોને આર્થિક કારણોસર સ્વીકારે છે, પણ તેમને રાજ્યના અન્ન સુરક્ષા છત્ર નીચે આવરી લેતી નથી. બંધારણ મુજબ શહેરી વિકાસ એ સ્થાનિક, મ્યુનિસિપલ વહીવટી તંત્રની જવાબદારી છે અને સ્થળાંતરનું વ્યવસ્થાપન એ જવાબદારીનો હિસ્સો છે. શહેરી વિકાસ અંગે કેન્દ્ર નિર્દેશો આપી શકે, પણ એને લગતા કાયદા ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. અલબત્ત, બીજી ઘણી બધી બાબતોની જેમ શહેરી વિકાસમાં પણ નીતિઓ રાજકીય ફાયદા મુજબ નક્કી થાય છે.
લોકકલ્યાણ યોજનાઓમાં સ્થળાંતરિતોને રાજ્યના રહેવાસીઓને સમકક્ષ ગણવામાં આવતા નથી. લઘુતમ વેતનનું નિયમન હોય, આવાસ યોજના હોય કે રાજકીય સામેલગીરી હોય — કશામાં સ્થળાંતરિતોને સ્થાન હોતું નથી. વર્લ્ડ બૅન્કના એક અભ્યાસમાં આખા દેશમાં જોવા મળતી ‘માઇગ્રન્ટ અનફ્રેન્ડલી’ (સ્થળાંતરિત-વિમુખ) નીતિઓનો ઉલ્લેખ છે. દરેક રાજ્ય એના પોતાના નાગરિકો માટે સરકારી નોકરીમાં અને શિક્ષણમાં અનામત બેઠકોની જોગવાઈ કરે છે, અનાજવિતરણનાં લક્ષ્યાંકો રાખે છે અને સમાજક્લ્યાણની યોજનાઓ ઘડે છે. આ બધું રાજ્યના પોતાના નાગરિકો માટે જ છે. સ્થળાંતરિતોને પ્રોત્સાહન આપવું રાજ્યો માટે આત્મઘાતી ગણાય છે, કારણ કે તેનાથી રાજ્યના મૂળ નાગરિકો કે જેમનો રાજ્યાધારિત લાભો પર પહેલો અધિકાર હોય છે તે નારાજ થાય છે. ‘મરાઠી માણૂસ’ નામનું પ્રદેશવાદી સામુદાયિક લક્ષણ તેનો સચોટ દાખલો છે. વળી સ્થળાંતરિતો જે રાજ્યમાં વસ્યા છે તે રાજ્યના મતદારો ન હોવાથી રાજકીય પક્ષો માટે પણ તેમને આગળ લાવવાનું સરળ અને ફાયદાકારક હોતું નથી. સ્થળાંતરિતોને રાજ્યની હૉસ્પિટલોની સારવારનો લાભ મળે છે, પણ રાજ્યની આવાસ યોજનાઓમાં તેમને આવરી લેવામાં આવતા નથી.
નવો સ્થળાંતરિત શ્રમિક શહેરમાં આવે એટલે સહુથી પહેલાં તો તે રાત્રે સૂઈ શકાય એટલી જગ્યા મેળવવાની કોશિશ કરે છે. સમય જતાં તે શહેરમાં એક જગ્યાએ નિવાસ બનાવીને ગમે તેમ કરીને તે એક સરનામું મેળવે છે, જેના થકી તે ઇલેક્શન કાર્ડ અને રેશન કાર્ડનો હકદાર બને છે.
દાયકાઓથી દરરોજ હજારેક સ્થળાંતરિતો પુરાની દિલ્હી સ્ટેશન પર ઊતરે છે. શરૂઆતમાં તે કાકા-મામા નેટવર્ક પર આધાર રાખીને કામ શોધે છે. કેટલાંક વર્ષો બાદ તે પરિવારને લઈ આવે છે. દરેક પક્ષના મુખ્ય મંત્રીઓએ સ્થળાંતરિતોને ‘આ અમારો પ્રશ્ન નથી’ એવા દૃષ્ટિકોણથી જોયા છે. મોટા ભાગના સ્થળાંતરિતો તેમનાં મૂળ રાજ્યોમાં રેશન કાર્ડ ધરાવે છે. માત્ર ચૂંટણી આવે ત્યારે તેમને સ્થાનિક ચૂંટણી ઓળખ કાર્ડ (ઇલેક્શન કાર્ડ) અને રેશન કાર્ડ મેળવવામાં મદદ મળે છે. પણ આ દસ્તાવેજો ન મળે ત્યાં સુધી તેઓ રાજ્યની કલ્યાણ યોજનાઓમાંથી બાકાત રહે છે.
ભારતમાં 2011થી 2016 દરમિયાન રાજ્ય-રાજ્ય વચ્ચેના સ્થળાંતરિતોનો વાર્ષિક આંકડો 90 લાખ ગણાયો છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજ્ય-રાજ્ય વચ્ચે અને રાજ્યમાં અંદરઅંદરના સ્થળાંતરિતોની સંખ્યા 1 કરોડ 40 લાખ હતી. કેટલાક અભ્યાસો મુજબ, સ્થળાંતરિતો શ્રમશક્તિનો 10 ટકા હિસ્સો છે અને તે દેશના જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો કરે છે.
ભારતના બંધારણે નાગરિકોને દેશમાં કોઈ પણ જગ્યાએ રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર આપ્યો છે. તેથી દેશમાં ગમે ત્યાં જવા માટે અને વસવાટ કરવા માટે કોઈ મંજૂરીની જરૂર પડતી નથી. આ વસવાટ મોટે ભાગે જાહેર જગ્યાઓ પર રાજકીય અને વહીવટી સત્તાધારીઓની છૂપી મંજૂરીથી થતો હોય છે.
આ પ્રકારના વસવાટ પર જાહેર હિતને ધ્યાનમાં લઈને ધોરણસરનાં નિયંત્રણ મૂકતા કાયદા ઘડવાની રાજ્યોને સત્તા છે. છતાં રાજ્યોએ સ્થળાંતરિતોના વસવાટનું નિયમન કરવાનું ટાળ્યું છે. એક વાર સ્થળાંતરિતો ગોઠવાય એટલે પછી તે રાજ્યના એટલા મહત્ત્વના ઘટક બને છે કે જેના વિના રાજ્યને ચાલી ન શકે. તેમ છતાં સામાન્ય સંજોગોમાં તો રાજ્ય સ્થળાંતરિતોને મદદ ન આપી શકાય તેવા જ ગણે છે. મહામારીમાં મીડિયાએ એવી ખરાબ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે કે જેને કલ્યાણરાજ્યના સિદ્ધાંત પર ચાલતો કોઈ દેશ નજરઅંદાજ કરી ન શકે. સ્થળાંતરિતોના વસવાટ તરફ બેધ્યાન રહીને અને તેમને તેમના ભરોસે છોડી દેવાથી જાહેર આરોગ્ય પર એવાં જોખમો ઊભાં થશે કે જે આખા દેશના લોકોને મુશ્કેલીમાં મૂકશે. ઝૂંપડપટ્ટીઓ અને ગંદકીના સતત વિષચક્રે ગીચ વસ્તીઓમાં ચેપ કેવી રીતે પગપેસારો કરે છે તે બતાવી આપ્યું છે. આ પાઠ શીખવવા માટે કોવિડ-૧૯ કરતાં સારો અથવા ખરાબ શિક્ષક બીજો કોઈ ન હોઈ શકે.
સરકારે હવે સ્થળાંતરિતોની નોંધણી કરવી જોઈએ. તેમને આપવા જોગ સગવડોનું અને અધિકારોનું સાચું પ્રમાણ નક્કી કરવા માટેનો એક માત્ર રસ્તો તેમની નિયમિત વસતિ ગણતરી છે. જો કે નોંધણી તો પહેલું પગથિયું છે. ત્યાર પછી સ્થળાંતરિતોને માટે સંસાધનો ઊભાં કરવાની વાત તો હચમચાવી મૂકે એવી છે. નોંધણી પણ બહુ મોટો પડકાર છે. તેના માટેની કાર્યવાહી સાદી, પારદર્શક અને સસ્તી નહીં હોય તો તેમાંથી ઘણાં બાકાત રહી જશે અને ઘણાંનું તેમાં શોષણ થશે. સ્થળાંતરિતોની નોંધણીનો પ્રારંભ આધાર કાર્ડથી થઈ શકે. શ્રમજીવીઓને આકર્ષવાની વધારે ક્ષમતા ધરાવતાં રાજ્યોએ તેમનાં આવાસ અને વિકાસની જવાબદારી પણ સ્વીકારવી પડશે. રાજ્ય સરકારો માનવતાથી પ્રેરાઈને આવું ન કરે અને પોતાના નાગરિકોનાં સ્વાસ્થ્યના રક્ષણની જવાબદારી માટે કરે તો પણ ગનીમત છે.
[લેખિકા પૂર્વ સચિવ અને દિલ્હીનાં પૂર્વ મુખ્ય સચિવ છે.]
સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()

