હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
બળાત્કાર પર પણ બળાત્કાર થાય છે!
તેથી હવે બળાત્કાર એક રાજનૈતિક કાર્યક્રમ છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
પણ હાંસલ કરવાનો એક રેકોર્ડ છે!
અચ્છે દિન ને વિકાસનો દૌર છે,
તેથી સંખ્યા થોડી ઔર છે!
બળાત્કારમાં દુનિયામાં છે…ક ચોથા નંબરે છીએ!
તેથી હવે બળાત્કાર પહેલે નંબરે પહોંચવાની
એક રાષ્ટ્રીય યોજના છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
ઇન્દ્રે અહલ્યા, વપુષ્ટમાંથી માંડી કંઈક પર કર્યા
વિશ્વામિત્રે માધવી પર
બ્રહ્માએ સગ્ગી છોડીનેય ન છોડી!
તોય એ દેવાધિદેવ!
તેથી હવે બળાત્કાર એક સાંસ્કૃતિક જતનનો મહિમા છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
કોના પર થયો એ છોડોને બબાલ
માત્ર કોણે કર્યો એ કહો
લિંગ પર ધર્મ છે, યોનિ પર ધર્મ છે.
જો વિધર્મી હો કે હો પરપ્રાંતી, તો દો પતાવી!
જો હો રામરહીમ કે આશારામ તો કરો આરામ!
તેથી હવે બળાત્કાર એક ધાર્મિક અનુષ્ઠાન છે!
હવે બળાત્કાર માત્ર બળાત્કાર નથી …
મજદૂર, આદિવાસી, દલિત, કાશ્મીરી મફફતમાં મળશે
જામીન પણ આપી દઈશું જાવ
કઠુઆ ઉન્નાવ કે હો કચ્છ, તમે સહુ મુકત છો વત્સ!
નાઉ હરી અપ એન્ડ સ્ટાર્ટ અપ ઈન્ડિયા
તેથી હવે બળાત્કાર એક વિવિધ છૂટછાટવાળી
પેકેજપ્રાપ્ત યોજના છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
કોઈ એકલદોકલ, કોઈ એકલદોકલ પર નથી કરતું
તેથી હવે બળાત્કાર સામૂહિક એવમ્ લશ્કરી ધોરણે યોજાતો ઉત્સવ છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
એ એક અનુઆધુનિક ઘટના છે.
તેથી હવે બળાત્કાર સત્યના મામલે સર્વથા સાપેક્ષ છે!
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 16
![]()


જી. કે ચેસ્ટરટનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. અંગ્રેજી સાહિત્યકાર હતા, ફિલસૂફ હતા, ધર્મશાસ્ત્રી હતા, ઈસાઈ પક્ષપાતી હતા અને પત્રકાર હતા. તેઓ પોતાની વાત એવી રીતે કરતા કે વાંચનાર કે સાંભળનાર ચોંકી જાય અને વિચારતો થઈ જાય. તેઓ શૈલીની આ લાક્ષણીકતા માટે જાણીતા હતા. તેઓ લંડનથી પ્રકાશિત થતા ‘ઈલસ્ટ્રેટેડ લંડન ન્યુઝ’ નામના અખબારમાં સાપ્તાહિક કોલમ લખતા હતા અને એમાં ૧૮મી સપ્ટેમ્બર ૧૯૦૯ના અંકમાં તેમણે લખ્યું કે ભારતીય રાષ્ટ્રવાદ નથી ખાસ ભારતીય કે નથી ખાસ રાષ્ટ્રીય. પરાજીત પ્રજા વિજેતાઓ પાસેથી શાસન-સંસ્થાઓની માગણી કરે છે, પરંતુ એ શાસન-સંસ્થાઓ વિજેતાઓની છે તેમની પોતાની નથી. માટે એ ભારતીય રાષ્ટ્રવાદ નથી ભારતીય કે નથી રાષ્ટ્રીય.
