માહસા અમીનીનાં માતાપિતાએ એની કબર પરના પથ્થર પર કોતરાવ્યું છે, ‘વહાલી દીકરી, તું મરશે નહીં. તારું નામ એક અમર પ્રતીક બની જશે.’ તસલીમા નસરીન કહે છે કે મહિલાઓ સ્વેચ્છાએ નહીં, કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે. માનવ તરીકેના મૂળભૂત અધિકાર માટે મથી રહેલી, લડી રહેલી, મરી રહેલી ઈસ્લામિક વિશ્વની દીકરીઓ, પત્નીઓ, બહેનો, માતાઓની પીડાને કોણ વાચા આપશે? કોણ મદદ કરશે? એમને મોકળાશ અને આનંદ મળશે ખરા? સ્વતંત્રતા શું સ્વપ્ન જ રહેશે?
ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનો અને હિંસાના માહોલ વચ્ચે બે અઠવાડિયા પહેલાના એક ચોંકાવનારા સમાચાર વાંચેલા. એ વખતે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અમેરિકા હતા. ક્રિસ્ટીન આમનપોર નામની વરિષ્ઠ પત્રકાર સાથે તેમનો ઈન્ટરવ્યૂ યોજાયો હતો. ક્રિસ્ટીન અમેરિકાની જાણીતી ન્યૂઝ ચેનલ સી.એન.એન.ની સિનિયર એન્કર છે, ઈન્ટરવ્યૂ પ્રિ-પ્લાન્ડ હતો. હિજાબ અને અણુશસ્ત્રો બાબત એમનો દૃષ્ટિકોણ મેળવવા ને સમજવા માટે ક્રિસ્ટીને ઘણું રિસર્ચ કર્યું હતું અને અને અમેરિકાની ધરતી પર થનારા પહેલા ઈન્ટરવ્યૂ માટે રઈસી પોતે પણ ઉત્સુક હતા. આમ છતાં ઈન્ટરવ્યૂ થયો નહીં. કેમ? કેમ કે રઈસીએ આગ્રહ રાખ્યો કે પોતે તો જ આપશે જો ક્રિસ્ટીન હિજાબ પહેરશે. ક્રિસ્ટીન જો કે ઈરાનિયન મૂળ ધરાવે છે, પણ તેણે નમ્રતાથી એનો અસ્વીકાર કર્યો. ઈન્ટરવ્યૂ થયો નહીં.
ઈરાન આધુનિક રાષ્ટ્ર હતું એ ઇતિહાસ બહુ જૂનો નથી. 1979માં ત્યાં ઈસ્લામિક ક્રાંતિ થઈ પછી બધું બદલાઈ ગયું. આયાતુલ્લાહ ખોમેનીએ ફતવો બહાર પાડ્યો કે ઈરાનની સ્ત્રીઓએ ફરજિયાત હિજાબ પહેરવો અને જેનું માથું ઢાંકેલું નહીં હોય (ખોમેનીએ એને માટે ‘નગ્ન’ શબ્દ વાપરેલો) તેના પર કાયદેસર કામ ચલાવવામાં આવશે. 1983માં હિજાબ ઈરાનના પીનલકોડમાં સામેલ હતો – એ વિધાન સાથે કે જે સ્ત્રી જાહેર સ્થળે હિજાબ વિનાની દેખાય તેને 74 કોરડા મારવાની સજા કરવી. જો કે કોરડા મારવાની સજાને બદલે ગાઈડન્સ પેટ્રોલિંગ થાય છે, મોરાલિટી પોલિસ હિજાબ વિનાની કે નિયમ મુજબનો હિજાબ ન પહેરનારી સ્ત્રીને પકડી કસ્ટડીમાં લઈ જાય છે ને ધાકધમકી, મારપીટ, માફીનામાં વગેરે પછી છોડી દે છે.

ફતવો બહાર પડ્યો ત્યારથી તેનો વિરોધ થતો આવ્યો છે. છેલ્લા દાયકામાં વિરોધ ખૂબ વધ્યો છે. 2019-20માં વિરોધીઓએ મોરાલિટી પોલિસની વાન પર આક્રમણ કરી બે યુવતીઓને છોડાવી હતી. 2020માં ઈરાન સરકારના અધિકારી અલી ખામેનીએ કહ્યું કે ‘યોગ્ય રીતે હિજાબ ન પહેર્યો હોય એ સ્ત્રીમાં અસુરક્ષિતતા અને ડર જાગવાં જોઈએ.’ અન્ય નેતાઓનું સમર્થન મળ્યું અને સ્ત્રીઓ પ્રત્યેનું વલણ વધારે આક્રમક બન્યું.
16 સપ્ટેમ્બર 2022ના દિવસે જેનું મૃત્યુ થયું એ માહસા અમીનીનો જન્મ 2000માં એક કુર્દિશ પરિવારમાં થયો. માહસા પોતાના ભાઈ સાથે તહેરાન આવી હતી. 13 સપ્ટેમ્બરે તેને ગાઈડન્સ પેટ્રોલવાળાએ, હિજાબમાંથી વાળ દેખાતા હતા એટલે એને પકડી અને વાનમાં બેસાડી. ભાઈને કહ્યું કે જરા ધમકાવી એક કલાકમાં તેને છોડી મૂકીશું. બે કલાક પછી તે હૉસ્પિટલમાં હતી. ભાઈને કહેવામાં આવ્યું કે માહસાને હાર્ટએટેક આવ્યો છે. બે દિવસ કોમામાં રહ્યા પછી તે મૃત્યુ પામી. એના શરીર પર બેરહેમીથી પડેલા મારના નિશાન હતાં. સાથેની યુવતીએ સાક્ષી પણ આપી. માહસાના પિતા કહે છે, ‘એના મૃત્યુ વિશે મેં જ્યાં જ્યાં પૂછપરછ કરી, ભયાનક, રહસ્યમય મૌન જ મળ્યું.’ માહસાનાં માતાપિતાએ એની કબર પરના પથ્થર પર કોતરાવ્યું છે, ‘વહાલી દીકરી, તું મરશે નહીં. તારું નામ એક અમર પ્રતીક બની જશે.’
આ ઘટનાએ સમગ્ર ઈરાનને જ નહીં, વિશ્વને હચમચાવી નાખ્યું છે. તસલીમા નસરીને કહ્યું કે મહિલાઓ સ્વેચ્છાએ નહીં, કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે. ઈરાનમાં મહિલાઓ સડકો પર ઊતરી આવી. ગરશાદ નામની ઈરાનના યુવાનોને રસ્તા પર ઊતરી આવવાની પ્રેરણા આપતી મોબાઈલ એપ બની અને ગણતરીના દિવસોમાં 12 લાખથી વધુ લોકોએ એને ડાઉનલોડ કરી. ઈરાનમાં અત્યારે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.
કટ્ટરવાદી મૌલવીઓના શાસન પછી ઈરાનમાં ધર્મને નામે અનેક પ્રતિબંધો મુકાયા છે. હિજાબનું ધ્યાન રાખવા માટે ગશ્ત-એ-ઈરશાદ (મોરાલિટી પોલિસ) પેટ્રોલિંગ કરતી રહે છે. જો યુવતીઓ કામકાજી હોય તો તેના હિજાબની જવાબદારી ઑફિસની ગણાય છે. જો કે ત્યાંની યુવતીઓ, યુવાનો, ફિલ્મમેકરો વિદ્રોહના મૂડમાં હોય છે. આ ફિલ્મમેકરોએ શ્રેષ્ઠ ફિલ્મો આપી છે.
આવી એક પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ 2015માં બની હતી. મૃત્યુદંડ પામેલી ઝેનબ છેલ્લી ઈચ્છા મુજબ એને પત્રકારો સમક્ષ પોતાની વાત કહેવી શરૂ કરે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. જિંદગીના એક પછી એક પડ ખૂલતા આવે છે. આપણે જોઈએ છીએ ન કમાતો, મસ્જિદના પૈસે ગુજારો કરતો, પત્નીને ટોણા મારતો છ દીકરીઓ અને એક વ્યંઢળ સંતાનનો હકીમ બાપ. પતિના ત્રાસથી ઘેર પાછી આવેલી ઝેનબ પિતાની નફરતનો શિકાર વ્યંઢળ ભાઈ, નાની બહેનો અને મજબૂર માની ઢાલ છે. વ્યંઢળ કિશોર પર બળાત્કાર થાય છે ત્યારે હકીમ બાપ એને પ્લાસ્ટિકમાં ગૂંગળાવીને મારી નાખે છે ને મસ્જિદના પૈસાથી પોલિસનાં મોં ભરે છે. એક દિવસ હકીમ પાસે કૂટણખાનું ચલાવતો એક ગુંડો આવે છે, ‘જાદુગર બુઢ્ઢા, તારામાં દીકરીઓ પેદા કરવાનો હુનર છે. મારી છોકરી ધંધે બેઠી છે. એને દીકરીઓ આપ કે ધંધો ચાલતો રહે.’ હકીમ દ્વારા એ છોકરીને દીકરી તો થાય છે, પણ છોકરી દીકરીને બચાવવા હકીમ પાસે મૂકી જાય છે, ગુંડો એનો કબજો લેવા આવે છે ને હકીમ માસૂમ બાળકીનું ગળું દબાવે છે, ત્યારે ઝેનબ હકીમના માથા પર મરણતોલ પ્રહાર કરે છે.
‘સજા ખૂનની જ શા માટે મળે છે?’ એ ચીસ પાડીને પૂછે છે, ‘એક પછી એક સંતાનો પેદા કર્યે જવા ને એમને ભયાનક જીવન તરફ ધકેલી દેવા એ ગુનો નથી? એની સજા કેમ નથી? ખિલા નહીં સકતે તો પૈદા ક્યોં કરતે હો?’ ‘અમે શિકાર થતા રહીએ છીએ કેમ કે અમે બોલતા નથી.’ ‘બુરખે ફેંક દો ઔર અપની ઝિંદગિયાં બનાઓ, ખુદ.’ ‘કાશ મૈં ખુદા હોતી. હર મર્દ સે કમ સે કમ એક બચ્ચા જનવાતી. ફિર પતા ચલતા.’
અને એક નવલકથા, ‘ધ હાઉસ વિધાઉટ વિંડોઝ’ અફઘાન લેખિકા નાદિયા હાશિમીની. ચાર સંતાનનો પિતા કમાલ માથા પર મરણતોલ પ્રહાર થવાથી મૃત્યુ પામ્યો છે ને લોહીથી ખરડાયેલી ઝેબા મૂઢ બનીને ઊભેલી છે ત્યારે પોલિસ તેને ખૂની ગણીને પકડે છે. જેલમાં તેને બીજી ત્રણ કેદી સ્ત્રીઓ લતીફા, નફિસા અને મેઝગન સાથે દોસ્તી થાય છે. ચિલ માહતાબ(કાબુલની સ્ત્રી-જેલ)ની મોટા ભાગની કેદીઓ લગ્નબાહ્ય સંબંધોને લીધે અહીં છે. ઝેબાની પાડોશમાં રહેતો યુસૂફ વકીલ છે. લગ્ન કરવા અમેરિકાથી આવ્યો છે અને ઝેબા નિર્દોષ હોય તે એને બચાવવા માગે છે. ક્યાં ય
સુધી સહકાર ન આપતી ઝેબા મોં ખોલે છે અને પહેલા માબાપના ને પછી પતિના કઠોર શાસનમાં જીવતી અને વહેમો ને ધાર્મિક પ્રતિબંધો વચ્ચે પીસાતી અફઘાનિસ્તાનની સ્ત્રીઓનું કડવું સત્ય ખૂલે છે. સાથે અફઘાનિસ્તાનનાં ગામડાંઓમાં થતી આરોગ્ય અને કાયદાની અવગણનાનો કુરુપ ચહેરો પણ સામે આવે છે.
સિરિયાની વફા સુલતાને ‘ઍ ગોડ વ્હૂ હેટ્સ’ નામની આત્મકથા લખી છે તેમાં પણ ધાર્મિક ફરમાનોના નામે મુસ્લિમ સ્ત્રીઓને થતા અન્યાય અને શોષણનો ચિતાર છે. એ લખે છે, ‘હું અમેરિકા ગઈ ત્યારે મને ખબર પડી કે સ્વતંત્રતા એટલે શું અને હું રડી પડી : અપરંપાર ખુશીથી, પારાવાર દુ:ખથી.’
ઈસ્લામિક વિશ્વની દીકરીઓનો, પત્નીઓનો, બહેનોનો, માતાઓનો આ ચિત્કાર છે. શું માગે છે તેઓ? તેઓ માગે છે માણસ તરીકે જીવવાનો અધિકાર. શા માટે એમને આટલું બધું સહેવાની ફરજ પડે છે? માનવ તરીકેના મૂળભૂત અધિકાર માટે મથી રહેલી, લડી રહેલી, મરી રહેલી આ સ્ત્રીઓની પીડાને કોણ વાચા આપશે? કોણ મદદ કરશે? એમને મોકળાશ અને આનંદ મળશે ખરા? સ્વતંત્રતા શું સ્વપ્ન જ રહેશે?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઑક્ટોબર 2022
![]()


એક માણસ એવો છે જેણે એક યુવતીને કહ્યું હતું કે હું તારા ઉપર બળાત્કાર કરું એટલી લાયકાત તું ધરાવતી નથી. એ માણસે એવું કહ્યું હતું કે મેં ઉપરાઉપર પાંચ દીકરા પેદા કર્યા, પણ છઠ્ઠી વખતે હું થોડો નિર્બળ હતો એટલે દીકરી પેદા થઈ. એ માણસે કહ્યું હતું કે મારો દીકરો સમલિંગી બને તો એ એ ક્ષણે જ મારો પ્રેમ અને બીજું બધું જ ગુમાવે. એ માણસનું નામ છે જાઈર બોલ્સનારો જે બ્રાઝીલનો પ્રમુખ હતો. આ યુગ અસંસ્કારી, અબુધ, જૂનવાણી અને જુલ્મી નેતાઓનો છે. આવો પણ યુગ આવશે એની કલ્પના કોઈએ નહોતી કરી.
કોઈ કહે છે કે ભગવાને માણસને બનાવ્યો છે, તો કોઈ કહે છે કે માણસે ભગવાનને બનાવ્યો છે. બંને વાત માનો કે બંને ન માનો, ભગવાનને કોઈ ફરક પડતો નથી, હા, માણસને પડે છે. એ માણસ જ છે, જે ભગવાનને માને છે ને એ જ નથી પણ માનતો. ભગવાનને કોઈ માને તો એનો રાજીપો એ વર્તાવા નથી દેતો ને કોઈ ન માને તો તેને એ મારવા ય નથી દોડતો. એ જ વાત ભૂતપ્રેત માટે પણ સાચી છે. કોઈ માને કે ભૂત છે તો ભૂતને તેથી કોઈ ફેર નથી પડતો ને કોઈ કહે કે ભૂત જેવું કૈં નથી, તો પણ ભૂતનો મિજાજ નથી જતો. ભૂત અને ભગવાન મનનાં કારણો છે, પણ ભગવાન બાબતે એટલું છે કે તે ધર્મ અને પરંપરાનું પરિણામ પણ છે, જ્યારે ભૂતની કોઈ પરંપરા નથી ને હોય તો તેની એટલી વ્યાપક અસરો નથી. ભગવાન વિષે કોઈ પુરાવા, તેને માનનાર શોધતો નથી. ભગવાનને માનવાનું મન હોય એટલું જ તેને માનવા માટે પૂરતું છે. પ્રેતમાં વાત જરા જુદી છે. મન, તેને ભયને કારણે સ્વીકારતું હોય તો પણ, તેના પુરાવા શોધવા માણસ મથે છે. પ્રેત હોવાના ઘણાએ પુરાવાઓ આપ્યા પણ છે, પણ વિજ્ઞાનનું તેને સમર્થન નથી. આ બધું છતાં ભગવાન અને ભૂત વગરનો દેશ પૃથ્વી પર જડવો મુશ્કેલ છે. ભગવાનને અને ભૂતને ન માનનારો વર્ગ છે એમ જ એને માનનારો વર્ગ પણ છે જ. એ પણ છે કે જેમ ભગવાન છે એવું સાબિત નથી થયું, એમ જ તે નથી એવું પણ સાબિત નથી થયું. એવું જ ભૂતનું પણ છે. તે છે એમ જ નથી પણ !