કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
= = = = વિશિષ્ટ વ્યક્તિઓ માટે જાત-અલગાવ અને લૉકડાઉન સહજ છે, મજા છે, આનન્દ છે. ક્યારેક એ શો-ઑફ કે શો-બિઝનેસ પણ છે = = = =
= = = = વાંકમાં કોણ છે? આયોજકો? તેમના પર અંકુશ જમાવીને બેઠેલી સરકારો? પક્ષો? વિપક્ષો? કે મહામહિમ કોરોના? કશા એક અને ચૉક્કસ ઉત્તર પર નહીં પ્હૉંચાય = = = =
એ માન્યતા લગભગ સાચી છે કે ‘જાત-અલગાવ’ સ્વીકારીને તેમ જ ‘સામાજિક અન્તર’ જાળવીને કોરોના અને કોવિડ-૧૯ને ડામી શકાય છે.
પણ એ કામ સમગ્ર સમાજ કે સૌ પ્રજાજનો નથી કરી શકતાં. એ હકીકત છે અને થોડોક વિચાર માગી લે છે.
જુઓ, એ કામ વિશિષ્ટ વ્યક્તિઓ આસાનીથી કરી શકે છે. રોજીરોટીની ચિન્તા ન હોય, ઘરમાં બેઠે બેઠે કમાણી થતી રહેતી હોય, એ વ્યક્તિઓ કરી શકે. જેને ઘર હોય અને આરામથી રહી શકાય એવી સગવડોવાળા એકથી વધારે રૂમો હોય, એ લોકો કરી શકે.
લૉકડાઉન હોવા છતાં સૅલિબ્રિટીઝ પોતાનાં બર્થ-ડે કે મૅરેજ-ઍનિવર્સરી સૅલિબ્રેટ કરી શકે. કેમ કે, ભારતમાં, પોલિટિશ્યન્સ પછી સૅલિબ્રિટીઝ છે, જેમને સુખદુ:ખ કશું અડતું-નડતું નથી. પાછા એમના ફોટા પડે. કૅટ્રિના ઘરમાં કચરો વાળતી દેખાય. બધાંને થાય, આટલી મોટી ઍક્ટ્રેસ પણ જાત-અલગાવ પાળે છે, વાહ ! ભારતમાં, દેવો પછી સૌથી વધુ પ્રભાવક કોઈ હોય તો તે હિન્દી સિનેમાનાં ઍક્ટર-ઍક્ટ્રેસિસ છે. ઘણા લોકો એમને દેવદેવી ગણીને જીવે છે, ભીંતે એમનાં નાગાંપૂગાં પોસ્ટર્સ ટિંગાળીને અવારનવાર તાક્યા કરે છે. કશા જ શ્રમ વિના છાપાંમાં આ બધી વિશિષ્ટ વ્યક્તિઓ ચમકે પણ છે. એમના રસિયાઓને થાય, આપડે પણ આવાં બધાં ઉજવણાં શું કામ ન કરીએ !
આમ, વિશિષ્ટ વ્યક્તિઓ માટે જાત-અલગાવ અને લૉકડાઉન સહજ છે, મજા છે, આનન્દ છે. ક્યારેક એ શો-ઑફ કે શો-બિઝનેસ પણ છે.
પણ સામાન્યજનો જાત-અલગાવ અને સામાજિક અન્તર બાબતે પાછાં પડે છે, એમનાથી એ બધું નથી થતું, કહો કે, નથી થઈ શકતું. એઓ એવી કશી ગુંજાઈશ વગરનાં લાચાર હોય છે. ખાસ તો, એમનાથી રોજિન્દી જીવનશૈલી નથી છૂટતી. ભનીબેનને થાય છે, ઘરમાં ને ઘરમાં? કેટલા દિવસ? માસ્ક બાંધીને કે બાંધ્યા વિના સ્કૂટર પર ટાવર લગીનું ચક્કર મારી આવે છે. સનીબેનને તો જરા પણ નથી ગમતું જો મન્દિરે ન જવાય. પોતાને ઘરે કેરી ભલે નથી આવી પણ મન્દિરે જો આમ્ર-ઉત્સવ રચાયો છે તો કેરી સમેતનાં પ્રભુદર્શન કરવાનું એ શી રીતે ટાળી શકે? મુજીલાલને નથી મજા આવતી જો સાંજે નજીકના પાર્કમાં લટાર મારવા ન મળે. જઈને ચણાચોરગરમ ખાઈ લે છે કેમ કે પેલો ખુમચાવાળો ય એમના જેટલો જ બિનધાસ્ત હોય છે. સ્વાભાવિક છે કે અનેક ભક્તોને ન ગમે જો રથયાત્રા ન યોજાય.
ઉપરાન્ત, આ મુશ્કેલ સમયમાં ઊભી થયેલી હાડમારીઓથી આમ પ્રજા, જનસમાજ, તો ઘાંઘાં થઈ ગયાં હોય છે. કારીગરો કે દ્હાડિયા મજૂરો કે રોજંદારો જાત-અલગાવ કરે તો એમનું શું થાય? સમજાય એવું છે. શનોજી કયું ડિસ્ટન્સ જાળવે? એને બજારચૉકમાં જઈ કામની શોધમાં ઊભા રહેવું અનિવાર્ય થઈ પડે છે કેમ કે તો જ એની ઘરવાળીથી સાંજે ને બીજી સવારે ચૂલો પેટાવી શકાય. બિલ્ડિન્ગો બનતાં અટકી પડ્યાં છે તો મનસુખ કડિયો શું કરે, મોહન સુથાર શું કરે?
નવી નવી મુસીબતોને વૅંઢારવાને લોક લાઈનોમાં ખડા થાય છે, પણ લાઈનો તોડે પણ છે. ટોળે વળે છે પાછા દોડાદોડી યે કરે છે, ઝૂંટાઝૂંટ કરે છે. ડૉક્ટરોને નર્સોને કે પોલિસને કોઈ કોઈ તો ગાંઠતાં જ નથી, પથરા મારે છે. દેશમાં અને વિદેશમાં ય હત્યાઓ અને આત્મહત્યાઓના બનાવો પણ બન્યા છે. આ બધી ગૅરવર્તણૂકોનું કારણ અબુધતા છે પણ વધારે સાચું એ છે કે નોકરીધંધાના ને ખાવા-પીવાના જ સાંસા પડ્યા છે. રોજિન્દું જીવન વેરવિખેર થઈ ગયું છે અને કશી જ સમજ નથી પડતી કે ગાડી પાછી ક્યારે પાટે ચડશે.
પરિણામે, ડિસ્ટન્સ નહીં રહે, છૂટછાટની સીમાઓ અળપાઈ જશે. છાપાં કહે છે એમ લૉકડાઉનના ‘ધજાગરા’ ઊડશે. કેમ કે ભીડ તો થવાની જ પણ ભીડ થશે જ અને ચેપ ફેલાશે જ એનો પાક્કો વિચાર અને ઇલાજ આયોજકો નથી કરી શકતા કેમ કે તેઓ પણ વરસોની પરમ્પરાથી ઘૂંટાયેલા ક્રમઉપક્રમને નથી તજી શકતા. તેઓ એવા રૂઢિચુસ્ત છે. એ બાબતે પક્ષો રાજકારણી ચાલમાં ફસાઈ જાય છે એને વિપક્ષો એમને આંતરે છે. એમની બનેલી સરકારો જે સૂઝે તે કરે છે, એટલે કે, વ્યવસ્થાઓ કરે છે.
વાંકમાં કોણ છે? આયોજકો? તેમના પર અંકુશ જમાવીને બેઠેલી સરકારો? પક્ષો? વિપક્ષો? કે મહામહિમ કોરોના? કશા એક અને ચૉક્કસ ઉત્તર પર નહીં પ્હૉંચાય.
પરન્તુ સામાન્યજનોના કે લોકટોળાંઓના આ ગૅરશિસ્તભર્યા આવિષ્કારોને બલકે સમસામયિક સમગ્ર ઘટનાવલિને ગુનો અને સજાના વિચારથી જોવા ઉપરાન્ત સમભાવપૂર્વક જોવા-તપાસવાની વધારે જરૂર છે. કેમ કે એ સઘળાંનું મૂળ કારણ લોકમાનસ છે.
જેમ વ્યક્તિમાનસ હોય છે તેમ લોકમાનસ પણ હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિ પોતાના જાગ્રત અને અર્ધ જાગ્રત મન ઉપરાન્તના વૈયક્તિક અ-જાગ્રત મનથી વધારે દોરવાતી હોય છે. પરન્તુ મનોવિજ્ઞાન એમ પણ કહે છે કે પ્રજાને પણ એક સામુદાયિક અ-જાગ્રત મન હોય છે. લોકમાનસમાં આ સામુદાયિક અ-જાગ્રત મન ઓતપ્રોત હોય છે. એમાં, ક્રોધ વગેરે બધી જ માનવીય વૃત્તિઓનું – ઇન્સ્ટિન્ક્સનું – આધિપત્ય હોય છે. ઉપરાન્ત એમાં, આર્કિટાઈપ્સ સિમ્બલ્સ ધાર્મિકતાઓ પરમ્પરાઓ સામાજિક રીતિરિવાજો શુકન-અપશુકન વહેમો અન્ધશ્રદ્ધાઓ તેમ જ નીતિસદાચારની ગાઢ રસમો પણ ચિર કાળથી રસાયેલી છે.
એક-બે પૂરક વાત : ‘સામુદાયિક અ-જાગ્રત મન’ કાર્લ યુન્ગે આપેલી ‘કલેક્ટિવ અન્કૉન્શ્યસ’ સંજ્ઞાનો અનુવાદ છે. યુન્ગ માને છે કે સામુદાયિક અ-ચેતનની માનવ-વિકાસમાં મહત્ત્વની અકાટ્ય ભૂમિકા છે. એથી પણ વ્યક્તિઓનાં અનુભવજગત સુગઠિત થાય છે. ફ્રૉઈડે વિકસાવેલા મનોવિશ્લેષણમાં ‘પર્સનલ અનકૉન્શ્યસ’નો મહિમા છે, તો યુન્ગે વિકસાવેલા ઍનાલિટિકલ મનોવિજ્ઞાનમાં ‘કલેક્ટિવ અન્કૉન્શ્યસ’-નો મહિમા છે. બન્ને એકમેકનાં પૂરક છે.
= = =
(June 4, 2020: Ahmedabad)
વતન જવા નીકળી પડેલા શ્રમિકોની તસવીરો ઘણા લોકોને અતિશયોક્તિપૂર્ણ લાગી શકે છે. પ્રકૃતિના પ્રેમમાં ગળાડૂબ મધ્યમ વર્ગ કોરોનાકાળનો સકારાત્મક પક્ષ જોઈ રહ્યો છે. પક્ષીઓનો કલરવ, સ્વચ્છ હવા, આકાશમાં સ્પષ્ટ દેખાતા તારા અને શુદ્વ નદીઓ એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ તેના અસલી મિજાજમાં પાછી ફરી રહી છે. ગુવાહાટીના માર્ગો પર ટહેલાતાં હાથીઓનાં ઝુંડ માણસ અને પ્રાણીઓની બરાબરીના સંકેત આપે છે.
જો તમને પણ આ બધુ રોમાંચિત કરી રહ્યું હોય તો જરા આ ઘટના વિશે પણ જાણી લો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી 191 પ્રોજેક્ટને પર્યાવરણીય પરવાનગી આપી દીધી છેઃ ન કોઈ સુનાવણી, ન કોઈ વકીલ, ન કોઈ દલીલ. ત્રીજા પક્ષને સાંભળવાની તો તસદી પણ ન લેવાઈ. કારણ એવું અપાયું કે ઝડપી વિકાસ માટે ઝડપી નિર્ણય જરૂરી છે.
એક ઉદાહરણ જોઈએ. ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલતે આસામની નૂમાલીગઢ રિફાઈનરીને જંગલની જમીન પર બનેલી તેની દીવાલનો કેટલોક હિસ્સો તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. જંગલની જમીનનો પહેલો હક જાનવરોનો છે. પરંતુ હાથીઓની અવરજવરને રોકવા રિફાઈનરીએ એક મોટી દીવાલ ઊભી કરી દીધી હતી. તેના એક હિસ્સાને હાથીઓની અવરજવર માટે ખુલ્લો કરવા દેશની સર્વોચ્ચ અદાલતને આદેશ કરવો પડ્યો હતો ! પરંતુ હવે પર્યાવરણ મંત્રાલયે જ આ રિફાઈનરીને ત્રણ ગણી જમીન આપી દીધી છે. પહેલાં તો રિફાઈનરીએ હાથીઓનો રસ્તો જ બંધ કર્યો હતો. હવે તેમનું ત્યાં ટકવું જ મુશ્કેલ થઈ જશે !
આ હાથીઓએ તો રાષ્ટ્રીય વન્યજીવોને લગતા બોર્ડથી ચેતવાની જરૂર છે, જેણે આસામમાં જ આવેલા દેહિંગ પટકઈ હાથી અભયારણ્યમાં કોલસાની ખાણને મંજૂરી આપી દીધી. આ મૂંગાં પ્રાણીઓની ચિંતા કરતા પર્યાવરણ કાર્યકર્તાઓ ત્યારે લૉક ડાઉનને કારણે ઘરમાં બંધ હતા. લૉક ડાઉનનો ફાયદો ઉઠાવીને પર્યાવરણ મંત્રાલય એ સાબિત કરવા માગે છે કે વિકાસ ન અટકવો જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેકટને પર્યાવરણીય મંજૂરી અપાય તે પહેલાં નિષ્ણતોનું જૂથ તેની તપાસ કરે છે. આ સમિતિમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ ક્લીઅરન્સ (NBDC), ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી (AFC) અને એક્સપર્ટ અપ્રેઝલ કમિટીના સભ્યો હોય છે. પર્યાવરણીય મંજૂરી આપતાં પહેલાં આ તજ્જ્ઞ સમિતિ સંબંધિત લોકોના મંતવ્યો માંગે છે અને સ્થળતપાસ કરે છે. સમગ્ર યોજનાનો પર્યાવરણીય અભ્યાસ કરાય છે. પરંતુ હવે આ પ્રક્રિયાને અભરાઈએ ચઢાવીને મંજૂરીઓ અપાઈ રહી છે.
કોરોનાકાળમાં પર્યાવરણ મંત્રાલયની વિવિધ સ્થાયી સમિતિઓ વિભાગની પ્રસ્થાપિત નીતિ અનુસરવાને બદલે આર્થિક લાભની દૃષ્ટિએ જ યોજનાઓને જુએ છે. બ્રહ્મપુત્રા નદી પર સી-પ્લેન એરપોર્ટ બનાવવાની વાત હોય કે, ઉત્તરાખંડમાં યમુના નદી પર લખવાડ-વ્યાસી બંધ પરિયોજના માટે બિનોગ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીની સાથેની 768 હેક્ટર જમીન પર પથરાયેલા જંગલનો સફાયો કરવાની મંજૂરીનો નિર્ણય, સરકાર વન અને પર્યાવરણ પ્રત્યે અસંવેદનશીલ હોવાના પુરાવા સતત આપી રહી છે. તાલાબીરામાં કોલસાથી વીજળી ઉત્પાદન અને ખાણકામ વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે. હવે તેમને અંધારામાં રાખી પ્લાન્ટને મંજૂરી આપી દેવાઈ છે. પર્યાવરણ વિભાગે અભયારણ્ય અને વાઘ માટે અનામત રાખેલા તમામ વિસ્તારમાંથી નીકળતા હાઇવે, ટ્રાન્સમિશન લાઇન, રેલવે લાઇનના પ્રોજેક્ટને પણ પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. કેટલી પરિયોજના માત્ર કાગળ પર જ રહે છે. મંત્રાલયની વન સલાહકાર સમિતિએ અરુણાચલ પ્રદેશમાં દિબાંગ નદી પરના એટાલિન જળવિદ્યુત પ્રોજેકટને મંજૂરી આપવા ભલામણ કરી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી ભરપૂર છે. અહીંયા એક ખાસ પ્રજાતિના ચિત્તા અને વાઘ રહે છે. ભારતમાં જોવાં મળતાં પક્ષીઓની અડધા ભાગની પ્રજાતિઓનું આ આશ્રયસ્થાન છે. 2010માં કેન્દ્ર સરકારે જ આ વિસ્તારને સત્તાવાર રીતે જંગલ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ હવે ત્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મજૂરી આપવા માટે સરકાર વિચારી રહી છે.
મંત્રાલયે પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે દૂર કર્યો છે. તેનો મતલબ એમ થયો કે એક વર્ષ માટે નદી, તળાવ, નાળાં અને નહેરોમાં પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ ડુબાડવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું કે (કોરોનાકાળમાં આર્થિક ભીંસમાં મુકાયેલા) મૂર્તિકારોને તેનાથી ફાયદો થશે અને રોજી મળશે, પરંતુ નદી, તળાવોની જે દશા થશે તેનું શું?
એવું નથી કે માત્ર પર્યાવરણ મંત્રાલય જ વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે રઘવાયું થયું છે. લૉક ડાઉન 3 પૂરું થયું, ત્યારે કેન્દ્ર અને રાજ્યની વીડિયો કોન્ફરન્સમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે આગામી કુંભમેળાના કારણે ઋષિકેશ અને હરિદ્વારમાં ખાણકામની મંજૂરીની મુદત જલદીથી લંબાવવી પડશે, જેથી વિકાસ કામો થઇ શકે. રાવત હંમેશાં ઉત્તરાખંડમાં ખાણકામ માટે બહુ ઉત્સાહી અને અધીરા હોય છે. તેમની ઇચ્છા એ પણ છે કે હરિદ્વાર કુંભમેળા દરમિયાન રાજાજી નેશનલ પાર્કનો અમુક ભાગ મેળા માટે ઉપયોગમાં લેવામાં આવે. તેઓ ખુલ્લેઆમ જળવિદ્યુત યોજનાઓની તરફદારી કરે છે. તેમના આશીર્વાદથી જ ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહના વિરોધમાં હાઇડ્રો પાવર કંપનીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
લૉક ડાઉન દરમિયાન પર્યાવરણ મંત્રાલય તકસાધુ અને લાલચુ વેપારીની જેમ વર્ત્યું છે. જે મૂંગા જીવ બોલી નથી શકતા, તેમના વતી પ્રકૃતિ જવાબ આપે છે. આ ધરતી પર બધાનો હક છે એવા સંકેત સતત મળતા રહે છે, પણ આ વાત કેટલાક લોકોના દિમાગમાં કેમેય કરીને ઊતરતી નથી.
અનુવાદઃ ગૌતમ ડોડિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020