હવે મને બીક નથી લાગતી જિંદગીની,
હું આ લોકોને જોઉં છું.
માણસ માણસની રમત શીખું છું.
બગીચાની બહારની ફૂટપાથે,
સપનાંનાં ડોકાં મરડી રાત સૂઈ જાય છે
પછી આળસ ખાતો ખાતો દિવસ ઊગે છે.
ધૂંધળું અજવાળું ભડ ભડ બળતાં
ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે.
ફૂટપાથે વહેલાં સૂઈ ગયેલાં મજૂરો
દિવાલોના ખૂણે અડધી ડોલ પાણી વડે
અડધાં નગ્ન થઇ ઠંડાં ખંખોળિયા ખાય છે.
લાજ ઉધાડી થાય છે.
તાપણાંની આજુબાજુ નાગાં બેઠેલાં
આંખો ચોળતાં બાળકો જિંદગીનાં હાલરડાં ગાય છે.
ટપ ટપ મકાઇનાં રોટલા શેકતી બાયું અને
ધાર વગરનાં ચપ્પુથી શાકભાજી કાપતાં આદમીના હાથોમાં કામે જવાની ઉતાવળ દેખાય છે.
ઉભડક બેસી ફાફડા જેવા રોટલા ઉપર શાક પાથરી ખૂણેથી બટકાં કાપી કુટુંબ લબાલબ ખાય છે.
માયા મૂડી પ્લાસ્ટિકના લબાચામાં ગોઠવી,
ધોયેલી સાડી લપેટી,
દાતાં તૂટેલા દાંતિયા વડે
જટા જેવાં વાળ ઓળી બાયું
કાચનાં ટૂકડામાં ચહેરો જોઈને તૈયાર થાય છે.
જવાન છોકરાં, છોકરીઓ વધારે ટાપટીપ થાય છે.
બગીચામાં ફીટ રહેવા, દોડવા ને ચાલવા
સ્ત્રી પુરુષો નાઇટ ડ્રેસમાં આવતા જાય છે
ને બગીચાની ફૂટપાથે મજૂરોનું કાર્યાલય બંધ થાય છે..
(અલબત્ત કાખમાં છોકરાં ને માથે ભાથું બાંધી મજૂર નજીકના કડિયા નાકે જાય છે.)
તનતોડ મહેનત કરી, સાંજે ઇંટ રેતીમાં આળોટતા બાળકોને પાણી વડે સમા નમા કરી ઘર ભણી (ફૂટપાથ) પ્રયાણ થાય છે.
પૈસા સાચવીને પોતડી અંદર પહેરેલી ચડ્ડીનાં ચોર ખીસ્સામાં મૂકી દે છે.
અંધારું લેલૂબ જામે છે, ફૂટપાથ વાળે છે. ફરી પાછાં કામ પરથી લાવેલા લાકડાં ફાડી ચૂલો સળગાવે છે … સવારના ભાંખોડિયા અજવાળાં જેવું સાંજનું અંધારું ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે ..
ક્યાંક મોબાઈલ પણ ઘૂણે છે .. ખબરઅંતર પૂછાય છે, પથારીમાં થાકેલાં તન પછી ભેગા ભેગાં સૂઇ જાય છે ..
માણસ માણસની રમત ચાલ્યા કરે છે…
૩/૧૨/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


ખાસ કરીને જ્યારે રાજ્યમાં દિવાળી પછી કોરોનાએ તેનો રાક્ષસી પંજો ફેલાવ્યો છે ને સરકાર તથા તંત્રો તેને અટકાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે આપણા રાજકારણીઓ માણસાઈ બાજુ પર મૂકીને જે બેશરમીથી વર્તી રહ્યા છે તે ઘોર નિંદાને પાત્ર છે. એક તરફ હોસ્પિટલો છલકાઈ રહી છે, ઘણાં વેન્ટિલેટર પર જિંદગી માટે તરફડી રહ્યાં છે ને રોજના પંદર સત્તર લોકો મરી રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની સંપત્તિનું વરવું ને નિર્લજ્જ પ્રદર્શન કરી રહ્યાં છે તે કોઈ પણ રીતે માનવતાને છાજે એવું નથી. આ આછકલાઈ છે ને સત્તાના મદનું, અહંકારનું છીછરું પ્રદર્શન છે ને તે ઘૃણાને પાત્ર છે.
એ સાચું છે કે આ ઍપિસોડ વિવેચક સુરેશ જોષી વિશે છે, એમણે ચર્ચેલા સિદ્ધાન્તો વિશે છે. પણ મારે ઉમેરવું છે કે સૌ પહેલાં સુરેશ જોષી કલામર્મજ્ઞ છે, connoisseur. મર્મજ્ઞનો અર્થ એ કે કલાનાં શાસ્ત્રોને કે સિદ્ધાન્તોને જાણે જરૂર, પણ છેવટે તો તેમાં છુપાયેલા મર્મને પકડે. કલાના આત્માને જાણે. એટલે, જુઓ કે સાહિત્યકલાના વિકાસ માટે હંમેશાં એમણે ચિત્ર વગેરે લલિત કલાઓની હિમાયત કરી છે. ‘ક્ષિતિજ’ વગેરે સામયિકોની સામગ્રી તપાસીશું તો આ વાતની ખાતરી થશે.
પરન્તુ આપણે જોયું છે કે સુરેશભાઈના સાહિત્યવિચારમાં પૂર્વ અને પશ્ચિમની પ્રાચીન, અર્વાચીન કે આધુનિક વિચારધારાઓનું એક અનુપમ સાયુજ્ય રચાયું છે, અને તે એમની પોતાની રીતે રચાયું છે. સુરેશભાઈ વિશે અપૂર્વ તો એમની એ લાક્ષણિક રીતિ છે.