મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચાલી રહી છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધીઓને તેમના પક્ષે પહેલાં સૂરત અને ત્યાંથી ગુવાહાતી દોડાવ્યા. સૂકા સૂરતમાંથી એકાએક અકળ રીતે ત્રણ ચાર્ટર્ડ વિમાનો ભરીને ધારાસભ્યો પૂરથી તારાજ આસામમાં ઊતરી પડ્યા. તેમને પંચતારાંકિત અતિથિગૃહોમાં નિવાસ આપવામાં આવ્યો છે.
આપણે જાણીએ છીએ કે આસામ પૂર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે. આસામમાં આ સહુથી વધુ ભીષણ રેલસંકટ છે. તેમાં સો નાગરિકોના મોત થયાં છે, ત્રણ લાખ લોકો બેઘર થયા છે અને રાજ્યના 35માંથી 30 જિલ્લા પાણીમાં છે.
જેમણે મહારાષ્ટ્રના ગઠબંધનમાં આ દાવ ખેલ્યો છે તેઓ અત્યારે ખુશ હશે. પણ એક સવાલનો જવાબ મળતો નથી: અત્યારે Operation Grab Back – આંચકીને પાછું લઈ લેવાનો બેહૂદો ખેલ જે કોઈ સત્તાધારીઓ પાડી રહ્યા છે તેમના ભેજામાં એવું શું આવ્યું કે તેમણે આ ઘોડબજાર આસામની અપૂર્વ આપત્તિ દરમિયાન આસામમાં જ ભરવાનું નક્કી કર્યું ?
મોંઘીદાટ હૉટલમાં ચાલી રહેલી ઉજાણી 1907માં અમેરિકામાં અત્યંત લોકપ્રિય થયેલાં Teddy bear's picnic ગીતની વક્રોક્તિપૂર્ણ યાદ આપાવે છે. ઉજાણીના આયોજકોને એમ ન થયું કે તેઓ આ સહેલગાહ ભૂખ અને રોગચાળાના તાંડવ વચ્ચે ગોઠવી રહ્યા છે ?
મીડિયાઘેલા ધારાસભ્યોને એમ નહીં થયું હોય કે ઘરઘરના પડદે દેશની જનતા જોઈ રહી છે. તેને દેખાઈ રહ્યું છે કે એક બાજુ જૂજ ઘરવખરી સાથે લઈને સલામત આશરા માટે ભટકી રહેલાં આ દેશના એક રાજ્યના ઘરવિહોણા લોકો છે; અને બીજી બાજુ આ જ દેશના લોકોએ ચૂંટેલા બીજાં એક રાજ્યના ધારાસભ્યો ખુદ મોંઘીદાટ હૉટલોમાં એકબીજાની પીઠ થાબડતા મલકાઈ રહ્યા છે.
આસામના મુખ્ય મંત્રી ભરપૂર પ્રચાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનો રેલવેપ્રવાસ કરી રહ્યા છે. એમના ધ્યાને એ તો આવ્યું જ હોય કે વિમાનમાંથી ફેંકવામાં આવી રહેલો ખોરાક અને રાહતસામગ્રી ખૂબ અપૂરતાં સાબિત થઈ રહ્યાં છે.
મુખ્ય મંત્રીએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોને આવકારતાં કહ્યું કે આસામ આંતરરાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બને તેનાથી એ રાજી છે, અને આવી રીતે મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવે તો આસામની સરકારી આવકમાં વધારો થાય, જે પૂર રાહતના કામમાં આવી શકે. મુખ્ય મંત્રીએ સહેલગાહના આયોજકોને એમ ન કહ્યું કે એમની ખુદની પહેલી ફરજ અત્યારે એમના આફતગ્રસ્ત નાગરિકો તરફ છે.
મહારાષ્ટ્રના ધારાસભ્યો અત્યારે તેમના જ દેશમાં, વિનાશ અને મોતથી ઘેરાયેલા એક રાજ્યમાં કોઈના પૈસે અને કોઈના ભોગે ફાઇવસ્ટાર હૉટેલમાં મહાલી રહ્યા છે. આ ધનરાશિ આસામના આપત્તિગ્રસ્ત લોકો માટે વાપરી શકાયો હોત. આસામમાં ચાલી રહેલાં ઉજાણી તેમ જ ઘોડબજાર આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એના માટેનું એક રૂપક અને પ્રતીક છે. તેમાંથી અદના નાગરિક અને તે જેમને મત આપે છે રાજકારણીઓના વર્ગ વચ્ચે જે રેખાઓ ખેંચાઈ ચૂકી છે તે નજરે પડે છે. અત્યારના બળવાખોર ધારાસભ્યો ખરેખર તો તેમને મત આપનારા લોકો સાથે દગો કરી રહ્યા છે.
24 જૂન 2022ના ‘ધ ન્ડિયન એક્સપ્રેસ’માં મૃણાલ પાંડેએ લખેલા લેખમાંથી સારવીને
https://indianexpress.com/…/maharashtra-political…/
26 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર