યશ ચોપરાની ‘દીવાર’ ફિલ્મ સમકાલીન ભારતીય સમાજ વ્યવસ્થા ઉપર એક અગત્યની કોમેન્ટરી છે, અને આ કૉલમમાં એનો સંદર્ભ અવાર-નવાર આવતો રહે છે. આજે ફરી એક વખત આપણે ‘દીવાર’નો ટેકો લઇએ. તમને જો યાદ હોય તો પોલીસ ઇન્સ્પેક્ટર રવિ (શશી કપૂર) એના ગેંગસ્ટર ભાઇ વિજય(અમિતાભ)ની ફાઇલ હાથમાં લેવાનો ઇન્કાર કરે છે તે પછી એનું નૈતિક કલેજું કઠણ થાય તેવી એક ઘટના બને છે, જેમાં ભૂખ્યાં મા-બાપ માટે રોટી-ચોરીને ભાગી રહેલા એક પંદર વર્ષના છોકરા ચંદરને રવિ ગોળી મારે છે.
જેને રીઢો ચોર સમજીને ગોળી મારી હતી તે તો ભૂખ્યાં મા-બાપનો દીકરો હતો એવું ખબર પડતાં રવિ ખાવાનો સામાન લઇને માસ્તરજી(એ. કે. હંગલ)ના ઘરે જાય છે, જ્યાં દીકરાની માતા (દુલારી) ગુસ્સામાં રવિને ભાંડે છે, અને કહે છે કે, બહુ મોટો પોલીસવાળો હોય તો જે ધનવાનોએ કાયદાની ઐસી તૈસી કરીને ગોદામો ભર્યાં છે તેને ગોળી કેમ નથી મારતો?
લોકશાહીના ઉદાર ચરિત્રના પાયામાં ‘કાયદા સમક્ષ બધા સમાન’ છે એ આદર્શ રહેલો છે. ભારતીય ન્યાય પ્રણાલી એ પશ્ચિમી ઉદારવાદ હેઠળ તૈયાર થઇ છે જેમાં કાયદો કોઇપણ વ્યક્તિને એની જાત, લિંગ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ કરતો નથી.
આવો ઉચ્ચ આદર્શ તો છે, પરંતુ વ્યવહારમાં આનાથી વિપરીત માન્યતા છે. વ્યવહારમાં તો લોકોમાં એવો જ ભરોસો છે કે કાયદો ગોદામો ભરીને બેઠેલા પૈસાવાળાઓને હાથ અડાડતો નથી, અને ગરીબ-લાચાર લોકો સાથે સખત રીતે પેશ આવે છે. 2014માં સુપ્રીમ કોર્ટમાં સૈન્યના અફસરો એમનાં નોન-સર્વિસ હથિયારો શસ્ત્ર સોદાગરોને વેચી દેતા હોવાનો કેસ આવ્યો ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુએ ‘દીવાર’ ફિલ્મની ત્રસ્ત માતાની જેમ જ એટર્ની જનરલ મુકુલ રોહતગીને કહ્યું હતું, ‘એક તરફ સરહદોની રક્ષા કરવાવાળા અને જનતાના આદર્શ એવા આ સૈનિક અધિકારીઓ શસ્ત્રાગારોમાંથી હથિયારો વેચી દે છે અને બીજી તરફ અમે 10 રૂપિયા ચોરનાર લોકોને જેલમાં નાખીએ છીએ.
મને કહો, કોનો ગુનો વધુ ગંભીર છે?’ ગયા સપ્તાહે પંદર વર્ષ જૂના ચિંકારાને હણવાના કેસમાં સલમાન ખાનને જોધપુરની અદાલતે નિર્દોષ મુક્ત કર્યો ત્યારે ફરી એક વખત એ માન્યતા મજબૂત બની કે જેની પાસે રૂપિયા ખર્ચવાની અમર્યાદ તાકાત છે એ ગમે તેવો ગંભીર ગુનો કર્યા પછી પણ કાયદાની પક્કડમાંથી છટકી જઇ શકે છે, જ્યારે સામાન્ય કે ગરીબ માણસને ‘દીવાર’ના ચંદરની જેમ કાયમ પગમાં ગોળીઓ જ વાગે છે.
મુંબઇમાં 2002માં દારૂ પીને અકસ્માત કરવાના કેસમાં દોષિત ઠેરવાયેલા સલમાનને બે જ કલાકમાં જામીન મળી ગયા, અને એવી જ રીતે અપ્રમાણસ મિલકતના કેસમાં 14 વર્ષે દોષિત સાબિત થયેલી જયલલિતાને ગણતરીના દિવસોમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને કર્ણાટકના લોકાયુક્ત એન. સંતોષ હેગડેએ કહ્યું હતું કે, ‘આ બંને કેસમાં ન્યાયતંત્ર પર કલંક લાગ્યું છે. પૈસાવાળા અને જોરાવર લોકો કાયદામાંથી છટકી જાય છે એવી આમ માન્યતા સાવ ખોટી નથી.’
આ સમસ્યા સર્વવ્યાપી છે. 2013માં અમેરિકાના ટેક્સાસ રાજ્યના ન્યાયાધીશે સલમાન ખાનની જેમ જ દારૂના નશામાં ચાર જણાને કચડીને મારી નાખનાર સુખી ઘરના એક કિશોરને એવું કહીને જેલમાં જતો બચાવ્યો હતો કે એ છોકરો ‘એફ્લુએન્ઝા’થી પીડાય છે. એફ્લુએન્ઝા એટલે? અમેરિકામાં સુખી ઘરનાં છોકરાં માટે ‘એફ્લુએન્ઝા’ નામનો માનસિક રોગ વપરાશમાં છે.
એન્ફલુએન્ઝા એટલે ધનવાન પરિવારોમાં ઉછરેલાં છોકરાંને એમના વ્યવહારનું શું પરિણામ આવશે તે સમજવાની તાકાત ન હોય તે. આવાં છોકરાંને જેલમાં મોકલવાની નહીં પરંતુ રિહેબિલેશન સેન્ટરમાં મોકલવાની જરૂર છે, એવી સફળ દલીલ પર પેલા છોકરાને ટેક્સાસના જજે જેલમાં મોકલ્યો ન હતો. અમેરિકાનો જ એક અભ્યાસ એવું કહે છે કે સાધન-સંપન્ન વર્ગમાંથી આવતા લોકો ગરીબની સરખામણીમાં વધુ બેઇમાન ગુનાઇન હોય છે.
પૈસાની તાકાતવાળા લોકોમાં એક માનસિકતા બહુ સામાન્ય હોય છે કે તેઓ ગુનો કરીને, છેતરપિંડી કરીને કે જૂઠું બોલીને છટકી જઇ શકે છે. આ અભ્યાસમાં અમેરિકાના પોલીસ અફસરોએ પણ એવી ગવાહી આપી હતી કે રસ્તા ઉપર નિયમ ભંગ કરનારા મોંઘી ગાડીઓના માલિકો જ પોલીસને બહુ ભાષણ આપતા હોય છે, જ્યારે કામદાર વર્ગના લોકો ચૂપચાપ દંડ ભરીને ચાલતી પકડે છે.
સલમાન ખાન હોય કે જયલલિતા, એમના મનમાં ક્યાંક તો એવો ભરોસો છે કે, ‘પહોંચી વળાશે.’ બ્રિટનમાં એક અભ્યાસમાં અેવું બહાર આવ્યું હતું કે પૈસાવાળા લોકો અમુક વ્યવહારને એમનો અધિકાર સમજે છે. બ્રિટનમાં 5 પ્રતિશત ધનવાન લોકો દેશની કુલ સંપત્તિમાંથી 40 પ્રતિશત સંપત્તિ પર અધિકાર ધરાવે છે અને દેશના કુલ કરવેરામાંથી 48 પ્રતિશત કર આ લોકો ભરે છે. આ ધનવાનોનો ગરીબ લોકોને સવાલ હોય છે:
તમે તો કોઇ જ ટેક્સ ભરતા નથી, અને અમારા કારણે તો દેશની હોસ્પિટલો અને સ્કૂલો ચાલે છે, પછી અમે કેમ મનફાવે તે રીતે ન જીવીએ? અતિ લોભ તે પાપનું મૂળ છે એવું ડહાપણ સંસારના તમામ સમાજોમાં પ્રચલિત છે. છેલ્લી એક સદીમાં દુનિયાએ ખાસ્સી ભૌતિક તરક્કી કરી છે અને ધનવાન થવું એ એક વ્યક્તિથી લઇને એક સમાજ કે દેશનું લક્ષ્ય રહ્યું છે. આ તરક્કીની સાથે એ પણ હકીકત છે કે બદમાશી અને ભ્રષ્ટ આચાર પણ વધ્યો છે. નરેન્દ્ર મોદીએ નોટબંધીના 50 દિવસોમાં ‘મેં અમીરોને લાઇનમાં ઊભા રાખી દીધા’ કહીને જે ભાંડ્યા હતા એમાં પેલી જ માન્યતા કામ કરતી હતી કે પૈસાવાળા બેઝિકલી ભ્રષ્ટ અને શોષણખોર છે.
પૈસાવાળાઓમાં પણ આ અપરાધબોધ છે. એટલે જ આ વર્ગમાં દાન-પુણ્યની ભાવના મજબૂત છે. સ્વતંત્ર ભારતના સ્થાપકોએ એટલા માટે જ સરળ અને સાદા જીવનની શીખ આપી હતી. શાસ્ત્રોમાં પણ ધનને લઇને ઘણી ચેતવણીઓ આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ધનવાન લોકોના દોસ્તાર છે એવો એક આક્ષેપ એમના પક્ષમાં જ ગંભીરતાથી લેવાતો હતો, કારણ કે પૈસાવાળા લોકોને શંકાથી જોવાવાળાઓમાં સંઘ પરિવાર પણ મોખરે છે.
હકીકતમાં મુસીબત દોલતની નથી પરંતુ દોલત સાથેના આપણા સંબંધની છે. પુરાણોમાં લક્ષ્મીને દેવી ગણાઇ છે. આ દેવી માટે એવું કહેવાય છે કે ઇન્દ્ર (જેને એન્ફ્લુએન્ઝાથી પીડિત ગણી શકાય) આ લક્ષ્મીની પાછળ-પાછળ ફરે છે, જ્યારે લક્ષ્મી વિષ્ણુના (જે એના પ્રત્યે અનાસક્ત છે) પગમાં બેઠી રહે છે. ટૂંકમાં, પૈસા ભેગા કરવા એ ક્યારે ય જીવનનો મકસદ ન હોઇ શકે. કામ કરવું એ લક્ષ્ય હોઇ શકે. અમેરિકન બિઝનેસ ચિંતક પીટર એફ. ડ્રકરને એક વેપારીએ પૈસા કેવી રીતે બનાવાય એવો સવાલ પૂછેલો ત્યારે ડ્રકરે કહેલું, ‘તમારે પૈસા બનાવાના ન હોય, ચંપલ બનાવાના હોય. પૈસા તો ચંપલ બનાવાની બાય-પ્રોડક્ટ છે.’
આધુનિક મૂડીવાદી વ્યવસ્થામાં આ ચિંતન ગડબડાઇ ગયું છે, અને વધુ ને વધુ લોકોને ધનવાન થવું છે. બધા લોકો લક્ષ્મીની પાછળ દોડે છે, અને એટલે નૈતિક દેવાળું ફૂંકાઇ રહ્યું છે. સલમાનની સમસ્યા એ નથી કે એની પાસે પૈસા છે. એની સમસ્યા પૈસા સાથે એના ઇન્દ્ર જેવા વ્યવહારની છે.
વધતા ઓછા અંશે આપણી સમસ્યા પણ એ જ છે: ઇન્દ્ર બનવું કે વિષ્ણુ?
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘રંગરસ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 29 જાન્યુઆરી 2017