પ્રશ્ન : તમારી ગમતી ફિલ્મ કઈ?
જે. ઓમ પ્રકાશની આશા અને રાજુકુમાર કોહલીની નાગિન.
પ્રશ્ન : લતા મંગેશકરનાં ગીતોએ તમારી કારકિર્દીમાં બહુ મદદ કરી હતી.
બહુ જ. આજે પણ લોકો ‘આશા’માં તેમના ગીત ‘શીશા હો યા દિલ હો’થી મને યાદ કરે છે.
પ્રશ્ન : એ ગીતમાં તમારા જીવનનું પ્રતિબિંબ છે?
મારાં આંસુ સુકાઈ ગયાં છે. હવે, હું દરેક મુસીબત સામે હસું છું.
તાજેતરમાં, એક્ટ્રેસ રીના રોય સાથે ફિલ્મ પત્રકાર સુભાષ ઝાની વાતચીતનો આ અંશ છે. કળા જીવનથી પ્રેરિત હોય છે કે કળાથી જીવન પ્રેરિત થાય છે તેને લઈને મતમતાંતર છે, પણ રીના રોયના કિસ્સામાં તો જાણે તેમની ફેવરિટ ફિલ્મ ‘આશા’ અને તેમનું અંગત જીવન જાણે સમાંતર ચાલ્યું હતું. એવી રીતે ફિલ્મની હિરોઈન આશા પ્રેમના સુખી સંસારથી વંચિત રહી જાય છે, તેવી રીતે રીના પણ અસલી જીવનમાં તેમના બે સૌથી મોટા પ્રેમ સંબંધમાં કામિયાબ રહી શક્યાં નહોતાં.
19 વર્ષની વયે, રીના રોયે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કાલીચરણ’ (1976) આપી હતી. એમાં જ તેમનું નામ શત્રુઘ્ન સિંહા સાથે જોડાઈ ગયું. તેમની બીજી ફિલ્મ ‘વિશ્વનાથ’ પણ એટલી જ સફળ રહી હતી. શત્રુઘ્ન અને રીના બંનેની કારકિર્દી આ ફિલ્મોથી ઊંચકાઈ ગઈ હતી. શત્રુ તેમનાથી 11 વર્ષ મોટા હતા. બંનેના વ્યવસાયિક સંબંધો જલદીથી પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયા.
શત્રુઘ્ન સિંહાનો એ વિચિત્ર સંબંધ હતો એવું કહીએ તો ખોટું નથી, કારણ કે એક તરફ તે રીના રોયના પ્રેમમાં હતા અને બીજી તરફ મોડેલ પૂનમ ચંદીરામાણી સાથે ફેરા ફર્યા હતા. સિનેમા જગતમાં એવી અફવા હતી કે રીના અને શત્રુઘ્ન લગ્ન કરશે, પણ પૂનમ સાથે લગ્ન કર્યા પછી પણ જાણે કશું બન્યું ન હોય તેમ શત્રુએ રીના સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો.
એ સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ શરત મુકવી પડી હતી કે શત્રુઘ્ન જો તેમની સાથે લગ્ન નહીં કરે તો તે આઠ દિવસમાં બીજે લગ્ન કરી લેશે. એ “બીજે” એટલે પાકિસ્તાનનો ડેશિંગ ક્રિકેટર મોહિસીન ખાન. પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેસ્ટમેન મોહસિન ખાન જેટલો દેખાવમાં ય હિરો જેવો હતો. રીના અને મોહસિનનાં લગ્ન બોમ્બસેલ જેવાં હતાં. સિનેમા જગતમાં કોઈને આની ગંધ સુદ્ધાં નહોતી, પરંતુ શત્રુઘ્ન સિંહાની ‘બીજી પત્ની’ તરીકેનું સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ તાબડતોબ પોતાનો આગવો સંસાર માંડી દીધો હતો.
ખાલી દેખાવનું આકર્ષણ કહો, ભારત-પાકિસ્તાનની અલગ રીત-ભાત કહો, સિનેમા-ક્રિકેટનું ગ્લેમર કહો કે પછી રીનાનો ભૂતકાળ કહો, મોહસિન સાથે શરૂઆતનાં વર્ષો તો સારાં ગયાં પણ એક દીકરી થયા પછી બંને વચ્ચે અંતર વધતું ગયું અને એ લગ્ન પણ તૂટી ગયાં. એવાં તૂટ્યા કે દીકરીનું નામ જન્નત હતું તેને બદલીને રીનાએ સનમ કરી નાખ્યું. દિલ હોય કે કાચ, એ તૂટી જ જાય છે એ વાત રીના માટે ફરી સાબિત થઇ હતી.
રીનાએ કહ્યું હતું કે મોહસિનની લાઈફસ્ટાઈલ અને લંડનમાં રહેવાનો તેનો આગ્રહ માફક આવ્યો નહોતો. મોહસિનનો લંડનમાં પણ બંગલો હતો અને તે ઈચ્છતો હતો કે રીના બ્રિટિશ નાગરિક બની જાય. નવાં નવાં લગ્ન હોય એટલે મુંબઈ, કરાચી અને લંડન વચ્ચે વહેચાયેલું જીવન આકર્ષક લાગે પણ પછી પછી એવી લાઈફસ્ટાઈલ આકરી પડવા માંડી હતી.
એક જૂનાં ઇન્ટરવ્યૂમાં રીનાએ કહ્યું હતું, “હું મજબૂત સ્ત્રી છું. જીવનમાં બહાદુર રહેવું પડે. સંવેદનશીલ પણ છું, અને એટલે જ એક્ટર છું, પણ અસલ જીવનમાં હું મારા પરિવાર સુધ્ધાં સમક્ષ મારી લાગણીઓ જાહેર થવા દેતી નથી. હું નાની હતી ત્યારે પણ નારાજ થઇ હોઉં તો કોઈની સામે રડતી નહોતી. કુછ ભી સહન કર લો, બર્દાશ્ત કર લો, આંસુ નહીં લાના હૈ, એવું હું મને કહેતી હતી. હું કોઇની સામે રડતી નથી. સાચું કહું તો, કોઈ એવો દાવો ના કરી શકે કે તેમણે મને રડતાં જોઈ છે, ન તો મારા પરિવાર કે ન તો મારી દીકરી.”
અસલી જીવનની આ હકીકતના કારણે જ કદાચ રીનાને ‘આશા’ ફિલ્મ વધુ ગમતી હશે. ફિલ્મ રીના રોયના કારણે જ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી કારણ કે તેની ભૂમિકા દર્શકોની સહાનુભૂતિ મેળવી ગઈ હતી અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત.
‘આશા’(1980)ની કહાની, જે. ઓમ પ્રકાશની મોટા ભાગની ફિલ્મોમાં બંને છે તેમ, અત્યંત ઉતારચઢાવ વાળી હતી. ફિલ્મમાં દીપક (જીતેન્દ્ર) ટ્રક ડ્રાઈવર છે અને આશા નામની જાણીતી ગાયિકાને લિફ્ટ આપે છે. એમાં આશાને દીપક ગમવા લાગે છે. દીપકનાં લગ્ન માલા (રામેશ્વરી) સાથે થાય છે. એમાં દીપકને અકસ્માત થાય છે અને તે મરી ગયો એવું જાહેર થાય છે. માલા ઘર છોડવા મજબૂર થાય છે અને નદીમાં કૂદી પડે છે. એક મંદિરના લોકો તેને બચાવે છે પણ તેની આંખો જતી રહે છે. તે એક દીકરી દીપમાલાને જન્મ આપે છે.
દીપક જીવતો હોય છે અને ઘરે પાછો આવે છે. તેના જીવનમાં આશાની પણ વાપસી થાય છે. બંને રસ્તા પર મૂર્તિઓ વેચતી દીપમાલાના પરિચયમાં આવે છે. આશા માલાને પણ મળે છે અને તેની સારવાર કરે છે. તે માલાને પોતાના લગ્નમાં બોલાવે છે. ત્યાં માલાને ખબર પડે છે દીપક તો જીવતો છે. બીજી બાજુ દીપકને પણ ખબર પડે છે કે માલા જીવતી છે અને દીપમાલા તેની દીકરી છે.
આશા છેલ્લી ઘડીએ લગ્ન રદ્દ કરે છે અને દીપકને તેની પત્ની અને દીકરી સાથે મિલાવે છે. આશા પાછી તેની ગાયકીની દુનિયામાં જતી રહે છે અને તેનું જાણીતું ગીત ગાય છે; શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ.
યોગનુયોગ જ હશે, પણ ‘આશા’માં જાણે રીના રોયના ભાવિ જીવનનો સંકેત હતો. ‘આશા’ (રિતીક રોશનના નાના) જે. ઓમ પ્રકાશની નિર્દેશક તરીકેની પાંચમી ફિલ્મ. એ પહેલાં તે આપ કી કસમ, આક્રમણ, અપના પન અને આશિક હું બહારો કા બનાવી ચુક્યા હતા. ‘અપના પન’માં તેમણે રીના સાથે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મ એટલી સફળ રહી કે તે તેમણે રીના અને જીતેન્દ્રને ‘આશા’માં રિપીટ કર્યાં અને રીના સાથે ત્રીજી સફળ ફિલ્મ ‘અર્પણ’ બનાવી હતી.
આ બધી જ ભૂમિકાઓ બહુ નાટ્યાત્મક હતી, જેમાં રીનાના ભાગે પ્રેમનું બલિદાન આવ્યું હતું. એક જગ્યાએ રીના કહે છે; “મારી માને ચિંતા થઇ આવી હતી. તે કહેતી, બેટા, ઇતની સેક્રિફાઇસ વાલે રોલ મત કરો, કહી હકીકત મેં તુમ્હારી જિંદગી ઐસી ન હો જાયે. હું દલીલ કરતી કે આ એવા તાકાતવર રોલ છે કે કોઈ પણ હિરોઈન સામેથી માગે. આશા, અપના પન અને અર્પણના રોલનું મારી કારકિર્દીમાં મોટું યોગદાન હતું.”
રીનાએ કહ્યું હતું, “શીશા હો યા દિલ … મારું જ નહીં, દુનિયાનું પ્રિય છે. સબ કા દિલ કઈ બાર તૂટા હૈ, ફિર જુડતા હૈ, ફિર તૂટતા હૈ. જીવન એવું જ હોય છે.”
પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર