એ મૅન કૅન બી ડિસ્ટ્રોઇડ બટ નૉટ ડીફીટેડ – માણસનો નાશ કરી શકાય છે પણ એને હરાવી શકાતો નથી.
આ મહામારી કશા વિરાટ અને અવિરત દુ:સ્વપ્ન સમી છે. એ ક્યારે શમશે, નથી ખબર. એવા આ મુશ્કેલ સમયમાં આપણાથી સહજપણે કરી શકાય એવું જે છે તે આ બધું છે : પરસ્પર વ્હાલ સ્નેહ અને પ્રેમ. આશા રાખવી કે ફિર સુબહ હોગી. સૌ સારાં વાનાં થઈને રહેશે એમ સૌને કહેવું. પળેપળ પ્રેમ અને આશા ઉપરાન્ત સચ્ચાઈભર્યું ખરું ખુદ્દારીભર્યું ઑથેન્ટિક જીવન તો આપણે સૌ જીવી જ શકીએ છીએ.
જો કે આ મહામારી મનુષ્યની મોટામાં મોટી કસોટી છે. શાસકોની બુદ્ધિમત્તાની અને વ્યવસ્થાશક્તિની અઘરી પરીક્ષા છે. પ્રજાની સહકારવૃત્તિની શિસ્તપાલનની અને તેના ધૈર્યની પણ આકરી કસોટી છે. મરવું કોઈને નથી જીવવું હર કોઈને છે. સમગ્ર માનવપુરુષાર્થની આ મહા તવાઈ છે. ત્યારે એમાં આશા રાખવી કે એક દિવસ બધું બરાબર થઈ જશે તે કેટલુંક સયુક્તિક છે? અને, ઉમાશંકરની કાવ્યપંક્તિ પ્રયોજીને પૂછું કે, ‘એ તે ક્યારે? બળીને સહુ ભસમ થઈ જાય પછીથી?’
રોજે રોજ મનુષ્યજીવન અવશપણે મરણશરણ થઈ રહ્યું છે, ત્યારે આશા કે એક દિવસ બધું બરાબર થઈ જશે?! રોજે રોજ કેસિસ અને મૃત્યુના આંકડા વધતા જ જાય છે. એપ્રિલ ૧૪ના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ગ્રસ્તોના ૧૯,૨૦,૯૧૮ કન્ફર્મ્ડ કેસ છે, ૪,૫૩,૨૮૯ રીકવર્ડ છે અને ૧,૧૯,૬૮૬ મૃત્યુ છે. કેટલાયે લોકો માનસિક સંતુલન પણ ગુમાવી રહ્યા છે. આ મહામારી માનસિક બીમારીઓ પણ સરજી રહી છે. વ્યક્તિજીવન અને સમાજજીવનનાં બન્ને સ્તરે પોતાનો દુષ્પ્રભાવ પાથરી રહી છે. પૅનિક અને સ્ટ્રેસ ઉપરાન્ત ઍન્ગ્ઝાઇટી-રીલેટેડ, એટલે કે, ચિન્તા અને અમૂંઝણ-સંલગ્ન વર્તનો પણ પ્રગટવા લાગ્યાં છે – વ્યક્તિ એની જાણ બહાર ચીડિયલ થઇ ગઈ હોય – નાના કારણે મોટો ગુસ્સો કરતી હોય – એની ઊંઘ વેરવિખેર રહેતી હોય – ભોજનના સ્વાદ વિરમી ગયા હોય, વગેરે. ત્યારે આશા ..? વિચારીએ. ત્યારે ખુદ્દારીભર્યો પુરુષાર્થ …? વિચારીએ …
આ મુશ્કેલ સમયમાં, આવા સવાલો પરત્વે મને હૅમિન્ગ્વે અને એમની નવલકથા ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ અને એ નવલકથાનો ખુદ્દાર બૂઢો જન – ઓલ્ડ મૅન – સાન્તિયાગો ને એણે ખેલેલો સાગર સાથેનો ખૂંખાર જંગ બહુ યાદ આવે છે. અને એ સમગ્રના સંદર્ભે લખાયેલું આ જગપ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે : એ મૅન કૅન બી ડિસ્ટ્રોઇડ બટ નૉટ ડીફીટેડ – માણસનો નાશ કરી શકાય છે પણ એને હરાવી શકાતો નથી.
સાન્તિયાગો ગરીબ માછીમાર છે. મદદમાં એની એક છોકરો છે, ને તે ય પારકાંનો. સાન્તિયાગો સાગર ખેડતે ખેડતે ઘરડો થઈ ગયો – એવી સપાટ છે એની કારકિર્દી. કિનારા પાસેની એક ઝૂંપડા-જેવી ઘોલકીમાં રહે છે, છાપાં પર સૂએ છે. સાગરમાં મચ્છ પકડવાને નીસર્યો છે. પણ દિવસો પર દિવસો જે વીત્યા તે કોરી નિષ્ફળતાના! જો કે ૮૪-૮૪ દિવસના અન્તે, નસીબ ગણો કે મહેનત, સાન્તિયાગોને બહુ જ મોટો મચ્છ લાધે છે. પણ એના કરમની કઠનાઈ તો જુઓ કે એ મચ્છ એની નાવમાં ન સમાય એટલો બધો મોટો હતો ! નાકથી પૂંછડી લગીનું એનું માપ ૧૮ ફીટ આપ્યું છે. સાન્તિયાગો મચ્છને હણીને નાવની બહાર બાંધી દે છે. બહાર બાંધવામાં આવેલો મચ્છ અન્ય માછલાંઓથી ખવાઈને ખતમ થઈ જાય છે અને, કિનારે પ્હૉંચેલા સાન્તિયાગો માટે મચ્છનું હાડપિંજર જ બચ્યું હોય છે ! એથી ભાંગી પડેલો એ કિનારે પ્હૉંચે છે ત્યારે ટૅરેસના દીવા બૂઝાયેલા હોય છે ને એને મદદ કરનારું કોઈ હોતું નથી. સદાની સાથી પથારીનું શરણું લઈ સાન્તિયાગો ઊંધે માથે ઊંઘી જાય છે, બાજુમાં છોકરો એનું ધ્યાન રાખતો બેઠો છે, અને કથક કહે છે ‘ધી ઓલ્ડ મૅન વૉઝ ડ્રીમિન્ગ અબાઉટ ધ લાયન્સ’. આમે ય એને સિંહોનાં સપનાં બહુ આવતાં …
એક તરફ છે પ્રકૃતિની વિરાટ જંગાલિયત, ભયાનક ક્રૂર વિનાશક શક્તિમત્તા – જે આ મહામારીરૂપે પણ છે – ને બીજી તરફ છે મનુષ્યનું ઋજુ પણ ભંગુર જીવન અને તેની ખોખલી સભ્યતા. છતાંયે મનુષ્ય એવી પ્રકૃતિની સામે પડ્યો છે અથવા કહો કે તેમ કરવાની એને ફરજ પડી છે. સામે અપાર શક્તિ-સમૃદ્ધિથી સભર સાગર છે, આ તરફ અદનો વૃદ્ધ માછીમાર – નિર્ધન ને વળી ભાંગ્યાં-તૂટ્યાં સાધન-ઓજારવાળો, અભાવગ્રસ્ત. છતાં એ હતાશે ય નથી કે નથી એ કર્તવ્યમૂઢ. હકીકતે એ કર્મશીલ છે.
સાન્તિયાગોના સમગ્ર સંઘર્ષનું વિસ્તારી પણ સૂચક વિગતો સહિતનું આલેખન આ નવલકથાનો વિશેષ છે. અફાટ સાગર, બલિષ્ઠ પણ વૃદ્ધ જો કે સંવેદનશીલ સાન્તિયાગો. આકાશ, ચોપાસની પ્રકૃતિ, પહાડો, પંખીઓ. સાગરજળના વિવિધ સ્થિતિપલટા. અંધાર ઉજાસ અને પ્રકાશની, તડકા અને ચાંદનીની સંક્રમણાઓ. હૂંફાળા ને વળી દઝાડતા તાપ. એવી જ વિધવિધની શીત લહરો. પડી ગયેલા ને વળી ઝંઝાવાતી પવનો. વૃદ્ધનું નાવ, એના હાથ, બાવડાં – જો કે ગમે ત્યારે કળવા લાગે એવાં દોદળાં. મળેલો મચ્છ, મચ્છની અન્યો સાથેની, શાર્ક સાથેની, લડાઈ. લોહી. પ્રસ્વેદ. તો, વિધવિધની સુગન્ધીઓ – જમીનની … પાણીની … પવનની … સાન્તિયાગોની વાત માણસની વાત છે. માણસ આશાથી જીવે છે. પુરુષાર્થ માંડે છે રસથી; મહેનત અને જતનથી પુરુષાર્થને વિકસાવે છે, પણ પ્રાપ્તિ કશી નથી. કિનારે પ્હૉંચનારને હાડપિંજર મળે છે. વાર્ધક્ય પછીયે છેડો નથી, નવું જોમ લાવી રોજે રોજ મથવાનું હોય છે. તો શું વાતનો સાર એ છે કે પુરુષાર્થ કરવો જ નહીં? ના ! કરવો જ ! ખરી વાત એ છે કે માણસને જીવનથી હાર ખપતી નથી. જીવન સામે એ જંગે ચડ્યો રહે એવો જીવ છે. એના બંધારણમાં જ એવો કશો કેન્દ્રસ્થ તન્ત છે. નાશ એનો ભલે થાય, હારવું એને ગમતું નથી.
સાન્તિયાગો કહે છે : મારું નસીબ પાધર્યું નહીં હોય, બીજું શું ! જો કે કોને ખબર છે? બને કે નસીબ આજે ખૂલી જાય. દરેક દિવસ એક નવો દિવસ હોય છે. એટલે, ભાગ્યમાં ભરોસો રાખું તે સારી વાત થશે. બરાબરનો ચૉકક્સ થઈ જઉં કેમ કે નસીબ ખૂલે ત્યારે આપણે એકદમ તૈયાર હોવા જોઈએ. એ કહે છે : આશા ન રાખવી એ તો મૂર્ખામી છે, એટલું જ નહીં, આશા ન રાખવી, એ તો પાપ છે. મને લાગે છે આ સાન્તિયાગો આ મુશ્કેલ સમયમાં આપણને ઘણી પ્રેરણા આપી શકે એમ છે. આ નવલકથા એક મહા સત્ય ચીંધે છે : સાન્તિયાગોએ સાગરને વેઠ્યો, નાસીપાસી થઈ, ને વળી જોર આવ્યું, ને વળી નાસીપાસી થઈ … એ એના અવિરત સંઘર્ષ વચ્ચે એ ટકી શક્યો તે માત્ર આશાને કારણે. આત્મબળથી સમૃદ્ધ પુરુષાર્થને કારણે. સમ્પ્રાપ્ત મચ્છનું બીજા મચ્છ વડે ખવાઈને ભલે હાડપિંજર બચ્યું હતું પણ સાન્તિયાગો તો એના રહેઠાણે હૅમખેમ પાછો ફરી શકેલો. એ નષ્ટભ્રષ્ટ જરૂર થયો’તો પણ એને હરાવી શકાયો ન્હૉતો.
e.mail: suman.g.shah@gmail.com
આ મહાન કૃતિને એનિમેશન સ્વરૂપે રજૂ કરતી સરસ ફિલ્મની લિન્ક
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020