Opinion Magazine
Number of visits: 9449243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુરોપનું જાગરણ થયું હતું ને મુસ્લિમ વિશ્વની ચેતનાનો અસ્ત !

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2019

ગયા સપ્તાહના લેખમાં ચાર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

૧. સામાજિક સમાનતામાં માનનારા અને બ્રાહ્મણોનું પેટ ભરનારા યાચનાપરક કર્મકાંડોનો નિષેધ કરનારા શ્રમણ ધર્મના ઉપદેશો છતાં કેમ સનાતન ધર્મ પર તેની કોઈ અસર નહોતી થઈ? ત્યાં સુધીમાં ઇસ્લામ પણ ભારતમાં આવી ગયો હતો અને તેની સામાજિક સમાનતા તેમ જ ઇસ્લામિક બંધુત્વથી પણ સનાતન ધર્મ અક્ષુણ રહ્યો હતો એવું કેમ બન્યું? શંકરના લિંગનું પ્રક્ષાલન કરો અને જે રીતે પાણી ખાસ સ્પર્શ કર્યા વિના થાળામાં ઢોળાઈ જાય એવું કેમ બન્યું? હિંદુનો અને હિંદુસમાજનો પીંડ કેનો બનેલો છે?

૨. હિંદુ-મુસ્લિમ એકતા માટે જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા હતા એટલા હિંદુઓએ નહોતા કર્યા. આમીર ખુસરો, બીજા સૂફીઓ, કબીર, અકબર, દારા શિકોહ અને બીજા અનેક લોકોએ હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયાસ કર્યા છે. આની સામે ગાંધીજીના થવા સુધી હિંદુ પ્રતિસાદ નહીં જેવો હતો. આનું શું કારણ?

૩. મધ્યકાલીન હિંદુ સંતો રાંકની સાથે માનવતાથી વર્તવાની, માણસાઈની શીખ આપતા હતા; પરંતુ એની પાછળની પ્રેરણા અનુકંપા હતી, સામાજિક સમાનતા નહોતી. પ્રસ્થાપિત હિંદુ સમાજના સ્વરૂપ વિષે અને કુલ મળીને ભારતીય સમાજના સ્વરૂપ વિષે જે વિચારમંથન થવું જોઈએ તેનો સદંતર અભાવ હતો.

એવું નહોતું કે ત્યારે વિદ્વાનો નહોતા પાક્યા, પણ હિંદુ વિદ્વાનો વેદાંતની શાખા-ઉપશાખાઓની ચર્ચા કરવામાં મશગૂલ હતા. દ્વૈતીને અદ્વૈતીને પછાડવામાં કે અદ્વેતીને દ્વૈતીને પછાડવામાં જેટલો આનંદ આવતો હતો એટલો ગામની બહાર છેવાડે રહેતા દલિતની યાતના સાંભળવામાં કે પોતાના ઘરમાં રસોડામાં આંસુ સારતી સ્ત્રીની યાતના સાંભળવામાં કોઈ રસ નહોતો. એમ તો કાવ્યશાસ્ત્રમાં અને સૌંદર્યશાસ્ત્રમાં પણ એ યુગમાં ઘણું મૌલિક કામ થયું છે. એટલે વિદ્વતાનો અભાવ હતો એવું નહોતું. અને છતાં ય વરવી અને શરમજનક વાસ્તવિકતાઓ તેમને નજરે જ નહોતી પડતી. એવું કેમ? ઉદાસીનતા? અને જો ઉદાસીનતા હતી તો આવી? વરવી વાસ્તવિકતા હિંદુઓને નિર્બળ બનાવી રહી છે તેનું પણ તેમને ભાન નહોતું? અને જો ભાન હતું તો કોઈ ચિંતા જ નહોતી?

૪. શા માટે એકાદબે અપવાદ છોડીને દરેક વખતે વિદેશીઓની સામે હિંદુઓનો પરાજય થયો હતો? આ સવાલ જરૂર હિંદુ મસ્તિષ્કમાં પાછળના ભાગમાં કોઈક જગ્યાએ દબાયેલો પડ્યો હશે, પણ એનો મુક્ત સ્વીકાર અને ખુલ્લી ચર્ચા એ યુગમાં થઈ હોય એવું જોવા મળતું નથી. કોઈ બીમાર માણસ પોતાની બીમારીના કારણો વિષે પણ ન વિચારે? કે પછી બીમાર હોવાની વાસ્તવિકતાનો જ સ્વીકાર કરવામાં નહોતો આવતો? શું હિંદુ આ-લોકની વરવી અને શરમજનક વાસ્તવિકતાથી બચવા માટે, તેનાથી ભાગવા માટે પરલોક પ્રશ્નોમાં રસ લેતો હતો? શું મધ્યકાલીન હિંદુ દાર્શનિક મીમાંસા ભાગેડુ હતી?

અસ્તિત્વને વ્યાખ્યાયિત કરનારા નિર્ણાયક સવાલો હતા જે હિંદુઓને કવરાવવા જોઈતા હતા, પણ હિંદુ તેની સામે નજર પણ નહોતો નાખતો. આની વચ્ચે યુરોપિયનો આવ્યા હતા અને યુરોપિયનોને હિંદુઓનું આવું વલણ વિચિત્ર લાગ્યું હતું. તેમણે આવી કોઈ પ્રજા જગતમાં જોઈ નહોતી.

એવું નહોતું કે ઈ.સ.ની ૧૫મી સદીમાં યુરોપનો ભારત સાથે કે ભારતનો યુરોપ સાથે પહેલો પરિચય થયો હતો. પ્રાચીન યુગમાં સિકંદર અને બીજા યવનો ભારત આવ્યા હતા. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં; ‘વિદેશી’, ‘શત્રુ’, ‘અન્ય’, ‘શંકાસ્પદ’ મુખ્યત્વે યવન છે. એમ કહી શકાય કે પ્રાચીન ભારતીય રાષ્ટ્રવાદ આખે આખો યવનોને નજરમાં રાખીને લખાયો છે.  પરંતુ એ પછીનાં વર્ષોમાં ભારતનો યુરોપ સાથેનો સંબંધ કપાઈ ગયો હતો. એનું કારણ ઇસ્લામનો પ્રાદુર્ભાવ હતું. વચ્ચે પશ્ચિમ એશિયાના ઇસ્લામિક દેશો આવી ગયા હતા જેણે યુરોપ અને ભારત વચ્ચેના સંબંધોને બે દિશામાં પ્રભાવિત કર્યા હતા. એક તો મુસલમાનોનાં આક્રમણો પૂર્વ યુરોપ પર થઈ રહ્યાં હતા અને યુરોપ તેનો સામનો કરવામાં રોકાયેલું હતું. આ સિવાય ઈસાઈઓ અને મુસલમાનો વચ્ચે ક્રુઝેડ અને જીહાદ ચાલતી હતી. બીજું, એ યુગમાં ઇસ્લામ જગતનો સૌથી યુવાન, સર્વ માટે ઉપલબ્ધ, આજની પરિભાષામાં કહીએ તો સમાજવાદી અને હણહણતી ચેતના દ્વારા ધબકતો ધર્મ હતો.

આ બંને કારણે મુસ્લિમ દેશો અને મુસલમાન ભારત અને યુરોપ વચ્ચે એક જ સમયે બેવડી ભૂમિકા ભજવતા હતા. પૂર્વ યુરોપ પરનાં મુસ્લિમ આક્રમણો અને ક્રુઝેડ અને જીહાદને કારણે ભારત અને યુરોપ વચ્ચે અંતરાલ પડ્યો હતો. હવે યુરોપિયનો માટે ભારત આવવું મુશ્કેલ બની ગયું હતું. વચ્ચે મુસ્લિમ વિશ્વ હતું. બીજી બાજુ ભારતીય જ્ઞાન મુસ્લીલ દેશો દ્વારા યુરોપ પહોંચતું હતું એટલે પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશો એક જ સમયે સેતુનું તેમ જ પૂર્વ-પશ્ચિમ વચ્ચે સુવર્ણ મધ્યનું કામ કરતા હતા. વ્યાપારની વાત કરીએ તો ભારતની ચીજવસ્તુઓ પણ આરબ વેપારીઓ ભારતથી આયાત કરીને યુરોપ નિકાસ કરતા હતા. ઉપર કહ્યાં એવાં પરિબળોને કારણે ભારતના વેપારીઓને ક્યારે ય સૂઝ્યું જ નહોતું કે આપણે આપણી ચીજવસ્તુઓની નિકાસ સીધી યુરોપમાં કરીને વધારે પૈસા કમાઈ શકીએ.

આ સમય ઝાઝો ટક્યો નહોતો. ઇસ્લામ એક રાજકીય ધર્મ છે એટલે ખલીફાઓની સત્તાના રાજકારણનો શિકાર બનવા લાગ્યો. ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાતું હતું. ઇસ્લામ એનો ધબકાર ખોવા લાગ્યો. મુસલમાનોમાં બૌદ્ધિક વ્યાપાર, વિચાર-વિવેક હાંસિયામાં ધકેલાવા લાગ્યા અને તેની જગ્યા ધર્મચુસ્ત ઈસ્લામે લેવા માંડી. આ બાજુ યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો જેણે યુરોપની પ્રજાની વિચારવાની રીત જ બદલી નાખી. આને કારણે શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, ચોકસાઈ કરવાનું, ખાતરી કરવાનું, નક્કર ખાતરી ન થઈ શકે તેવા કહેવાતા પ્રમાણોને નકારવાનું વલણ વધતું ગયું.

સાહસવૃત્તિ આનું સ્વભાવિક પરિણામ હતું કારણ કે હવે બાયબલનાં, ચર્ચાનાં અને પાદરીઓનાં કે પોપનાં ગૃહિતોને નકારવામાં આવ્યાં હતાં. પોસ્ટ ડેટેડ ચેક જેવા પરલોકનું સુખ કમાવાની જગ્યાએ ઈહલોકમાં સુખ કમાવાનું અને આ જનમમાં જ ભોગવવાનું વલણ પેદા થયું હતું. હવે યુરોપિયનો આખા જગતમાં ફરી વળ્યા હતા અને તેમાં મુસ્લિમ દેશો અવરોધ પણ પેદા કરી શકે તેમ નહોતા અને તેની સેતુની ભૂમિકાની પણ જરૂર નહોતી. બીજું હવે મુસલમ દેશો અવરોધ, સેતુ કે સુવર્ણ મધ્ય એમ ત્રણમાંથી કોઈ ભૂમિકા ભજવી શકે એમ નહોતા. ટૂંકમાં યુરોપનું જાગરણ થયું હતું અને મુસ્લિમ વિશ્વની ધબકતી ચેતનાનો અંત આવવા લાગ્યો હતો.

ભારતમાં હિંદુઓ આગળ કહ્યું એવી કોશેટા-અવસ્થામાં મસ્ત હતા!

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 ડિસેમ્બર 2019

Loading

29 December 2019 admin
← ભારતનાં બંધારણ અને આપસમાં બિરાદરી, સમજ અને સંઘર્ષથી જોડાયેલાં વિદ્યાર્થીવર્ગને લોકશાહી સરકાર સાંભળે-સમજે
ચલ મન મુંબઈ નગરી — 24 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved