Opinion Magazine
Number of visits: 9450608
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 18

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2019

ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

ગયે અઠવાડિયે ચોપાટી પર લટાર મારતાં મારતાં આપણી ભાષાની એક પ્રખ્યાત નવલકથા અને તેના લેખકને યાદ કર્યા હતા. આજે તેમના ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર સાથેના સંબંધ અંગે કેટલીક મજેદાર વાત.

ગોવર્ધનરામના માનમાં ૨૦૧૬માં બહાર પડેલી ટપાલ ટિકિટ

એ નવલકથા તે સરસ્વતીચંદ્ર અને તેના લેખક તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. તેમનો જન્મ ૧૮૫૫માં, અવસાન ૧૯૦૭માં. સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો ૧૮૮૭માં. ચોથો અને છેલ્લો ભાગ ૧૯૦૧માં બહાર પડ્યો. ગોવર્ધનરામનો જન્મ વતન નડિયાદમાં. પણ બાવન વર્ષની જિંદગીનાં લગભગ અડધોઅડધ વર્ષ તો તેમણે મુંબઈમાં ગાળ્યાં. ચારેક વર્ષની ઉંમરે ૧૮૫૯માં તેઓ મુંબઈ આવ્યા અને બુદ્ધિવર્ધક શાળામાં ભણવા લાગ્યા. ૧૮૬૫ સુધી મુંબઈમાં ભણી પાછા નડિયાદ ગયા. પણ ૧૮૬૮માં ફરી મુંબઈ આવી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. મેટ્રિક થયા પછી ૧૮૭૨માં એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ૧૮૭૯માં ભાવનગર જઈ દિવાન શામળદાસભાઈના ખાનગી સેક્રેટરી તરીકે નોકરી કરી, પણ એલ.એલ.બી. થયા પછી ખીસામાં પચાસ રૂપિયા લઈ સ્વતંત્ર વકીલાત કરવા માટે મુંબઈ આવ્યા અને બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. મોટા પગારની નોકરીઓની કેટલીક ઓફર ઠુકરાવીને મુંબઈમાં જ રહ્યા. ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં. પહેલા ત્રણ ભાગ લખાયા મુંબઈમાં અને પ્રગટ થયા ત્યારે પણ ગોવર્ધનરામ મુંબઈવાસી હતા. ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦ તારીખે ચોથો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં જ. હા, પછી ૧૮૯૮ના ઓક્ટોબરની ૧૯મી તારીખે વ્યવસાયમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ નડિયાદ ગયા. પછી અવારનવાર મુંબઈ આવતા ખરા, પણ સ્થાયી થયા નડિયાદમાં. સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ લખવાનું કામ પૂરું કર્યું નડિયાદમાં. આ જ નવલકથા પરથી હિન્દીમાં તે જ નામની ફિલ્મ બની, ૧૯૬૮માં અને તે પણ બોલીવુડમાં. તેમાં સરસ્વતીચંદ્રની ભૂમિકા મનીષ નામના એકટરે ભજવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. જ્યારે કુમુદની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી નૂતને ભજવી હતી. તેનું દિગ્દર્શન મુંબઈના ગોવિંદ સરૈયાએ કર્યું હતું અને સંગીત હતું મુંબઈના કલ્યાણજી આણંદજીનું.

સરસ્વતીચંદ્ર ફિલ્મ(૧૯૬૮)નું એક પોસ્ટર

૧૯૦૫માં ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ બન્યા હતા તે ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર ગ્રંથમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તૈયાર કરી પ્રગટ કર્યો છે. તેમાં લખ્યું છે કે ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયું હતું. પણ હકીકત જૂદી છે. ૧૯૦૬ના ઓગસ્ટથી ગોવર્ધનરામ નડિયાદમાં માંદગીમાં સપડાયા. ધીમે ધીમે તે ગંભીર થતી ગઈ. મુંબઈના ડોક્ટર ત્રિભુવનદાસ ગજ્જર ગોવર્ધનરામના નિકટના મિત્ર. તેમણે સારવાર માટે મુંબઈથી ડોક્ટર દાતેને નડિયાદ મોકલ્યા, પણ ઝાઝો ફેર પડ્યો નહિ. એટલે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે ગોવર્ધનરામને મુંબઈ લાવી ડો. ગજ્જરે વાલકેશ્વર નજીકના નેપિયન સી રોડ પરના પોતાના બંગલામાં રાખી સારવાર શરૂ કરી. સાત જેટલા ડોક્ટરોની ટીમ બનતા બધા ઉપચારો કરવા લાગી. પણ છેવટે ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે લગભગ અઢી વાગે ગોવર્ધનરામનું અવસાન થયું, મુંબઈમાં – નડિયાદમાં નહિ. તેમના અંતિમ સંસ્કાર પણ તે જ દિવસે સાંજે બાણગંગાના સ્મશાનમાં થયા. એટલે કે, મુંબઈ અને તેનાં ચોપાટી, વાલકેશ્વર, નેપિયન સી રોડ, વગેરે સ્થળો ગોવર્ધનરામનાં જીવન અને મરણ સાથે સંકળાયેલાં રહ્યાં.

૧૮૮૭નું વર્ષ ગુજરાતી સાહિત્ય માટે ઘણું શુકનવંતું હતું. એ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો. તો ગુજરાતી કવિતામાં નવું પ્રસ્થાન કરતો નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પણ એ જ વર્ષે પ્રગટ થયો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નરસિંહરાવભાઈ મુંબઈમાં જ સ્થાયી થયા હતા. ‘ભદ્રંભદ્ર’ નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ એ જ વર્ષે બી.એ. થયા, અને તે પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી. એ જ વર્ષે કવિ-વિવેચક બળવંતરાય ઠાકોર મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર આર્ટસની પરીક્ષામાં અને ગાંધીજી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ મુનશીનો જન્મ પણ ૧૮૮૭માં થયો, ભરૂચમાં.

ગોવર્ધનરામ ૧૯મી સદીના ઉત્તરાર્ધનું અને મુંબઈ યુનિવર્સિટીનું ફરજંદ હતા. તેમનું મનોજગત નડિયાદથી નહિ તેટલું મુંબઈથી ઘડાયું હતું. ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એ મુંબઈ માટે બ્રિટિશ વિચારો, સાધનો, સંસ્થાઓ, સગવડો, વ્યવસ્થાતંત્ર, ઉચ્ચ શિક્ષણની પદ્ધતિ, વગેરેના આગમન કે દૃઢમૂળ થવાનો હતો. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ, જે આખા દેશની પહેલી મેડિકલ કોલેજ હતી. તે અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ચૂકી હતી. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે મુંબઈમાં શરૂ થઈ. ૧૮૫૫માં મુંબઈમાં પહેલવહેલી વાર ફોટોગ્રાફ લેવાયો. ૧૮૫૬માં પહેલવહેલી કોટન મિલ શરૂ થઇ. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેનીએ સ્થાપના થઈ. ૧૮૭૪માં ઘોડાથી ચાલતી ટ્રામ મુંબઈમાં શરૂ થઈ. ૧૮૭૭માં પહેલવહેલી વાર અમેરિકાથી મુંબઈમાં બરફ આવ્યો. ૧૮૭૮માં ફોનોગ્રાફ આવ્યું, ૧૮૮૨માં ટેલિફોન આવ્યો, ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૮૮૭માં વિક્ટોરિયા ટર્મિનસના મકાનનું ઉદ્ઘાટન થયું.

બી.બી.સી.આઈ. રેલવેની સસ્તી ટિકિટની જાહેર ખબર

આ બધાંની સીધી કે આડકતરી અસર ગોવર્ધનરામ પર અને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પર પડી છે. આ નવલકથાનો પહેલો મહત્ત્વનો પ્રસંગ – નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ – મુંબઈમાં બને છે, અને ચોથા ભાગના છેલ્લા પ્રકરણમાં સરસ્વતીચંદ્ર અને કુસુમનું મિલન થાય છે તે પણ મુંબઈમાં. આમ, આ નવલકથાનો આરંભ અને અંત મુંબઈમાં છે. આ નવલકથાના નાયકને ગોવર્ધનરામનો પડછાયો ન ગણીએ તો પણ એ બંનેના જીવન વચ્ચેનું કેટલુંક સરખાપણું તરત ધ્યાન ખેંચે તેવું છે. બંનેનો જીવનકાળ ૧૯મી સદીના ઉત્તરાર્ધનો છે અને બંને મુંબઈના વતની છે. બંને મુંબઈ છોડી દેશી રજવાડામાં જાય છે, પણ છેવટે પાછા મુંબઈ આવે છે. કૌટુંબિક ક્લેશથી કંટાળીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં મુંબઈના ઘરેથી ભાગી જવા માટે ચોપાટીથી ભાયખળા સ્ટેશન સુધી ગયેલા પણ જે ટ્રેનમાં જવું હતું તે તો ઉપડી ગઈ હતી એટલે ઘરે પાછા ફર્યા હતા. એટલે જ કદાચ તેમણે સરસ્વતીચંદ્રને મુંબઈ છોડતી વખતે ટ્રેનની નહિ, પણ વહાણની મુસાફરી કરાવી છે. પોતે જે ન કરી શક્યા તે ગૃહત્યાગ કરતો લેખકે સરસ્વતીચંદ્રને બતાવ્યો છે. પિતા અને સાવકી માતા સાથે વાલકેશ્વરના બંગલામાં રહેતો સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરતી વખતે ઘરની ઘોડા ગાડીમાં (એ વખતે મુંબઈમાં હજી મોટર નથી આવી) ચર્ની રોડ સ્ટેશન સુધી જાય છે. પણ પછી ગાડી ત્યાં જ છોડી પગપાળો આગળ જાય છે. તેને શોધવા નીકળેલો મિત્ર ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશન પાસે ઊભેલી તેની ઘોડા ગાડી જુએ છે અને તેના ચાલક સાથે વાત કરતાં જાણે છે કે અહીંથી સરસ્વતીચંદ્ર પગે ચાલીને આગળ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ તો છેક ૧૯૩૦માં થયું. તે પહેલાં બહારગામની ટ્રેનો કોલાબા સ્ટેશનેથી શરૂ થતી અને ચર્ની રોડ સ્ટેશનેથી પણ પકડી શકાતી. એટલે સરસ્વટીચંદ્ર ટ્રેનમાં બેસીને બહાર ગામ ચાલ્યો ગયો હશે એમ માનીને ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશને જઈ સ્ટેશન માસ્તરને મળે છે અને તે દિવસે વેચાયેલી ટિકિટોની માહિતી મેળવે છે. પણ તેના પરથી સરસ્વતીચંદ્રના સગડ મળતા નથી. કારણ તેણે મુંબઈ છોડ્યું તે ટ્રેનમાં નહિ, પણ વહાણમાં. ગોવર્ધનરામે કથાને જે દિશામાં આગળ વધારવા ધારેલું તેમાં વહાણની મુસાફરી જરૂરી હતી. કારણ વહાણ તોફાનમાં સપડાઈ ભાંગી જાય અને તેને પરિણામે સરસ્વતીચંદ્ર અજાણ્યા મુલકમાં પહોંચી જાય એવું નિરૂપણ કરવા તેમણે ધાર્યું હતું. ગુજરાતનાં શહેરો મુંબઈ સાથે ટ્રેન દ્વારા જોડાયાં તે પહેલાં ગુજરાતથી મુંબઈ આવવા-જવા માટે મોટે ભાગે વહાણમાં જ લોકો મુસાફરી કરતા, અને ટ્રેન વ્યવહાર શરૂ થયા પછી પણ ટેવને કારણે કે વહાણની મુસાફરી સસ્તી હોવાને કારણે ઘણા ટ્રેનને બદલે વહાણ પસંદ કરતા. એટલે સરસ્વતીચંદ્ર ટ્રેનને બદલે વહાણમાં મુંબઈ છોડે એ તે જમાનામાં અસાધારણ ન ગણાય.

ગોવર્ધનરામે સંજોગવશાત્ એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂક્યો હતો અને ત્રણ વાર નાપાસ થયા પછી એલ.એલ.બી. થઇ શક્યા હતા. પોતાના માનસપુત્ર જેવા સરસ્વતીચંદ્રને તેમણે એમ.એ. અને એલ.એલ.બી. થયેલો બતાવ્યો છે. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી દાયકાઓ સુધી એવો નિયમ હતો કે મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ વર્ષ અને એમ.એ.નાં બે વર્ષ થતાં. એટલે ૨૧ વર્ષની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ ન શકે. છતાં ૧૭-૧૮ વર્ષની ઉંમરે સરસ્વતીચંદ્ર એમ.એ. થઈ જાય છે, અને પછી એલ.એલબી.! પોતે ત્રણ વાર નાપાસ થયા તેનું સાટું જાણે ગોવર્ધનરામે આ રીતે વાળી લીધું છે. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે અને જોગાનુજોગ ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વરના એક બંગલામાં આવે છે.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈમાં અર્વાચીનતાના જે અંશો પ્રગટ થવા લાગ્યા હતા તેમાંથી કેટલાકનો અણસાર સરસ્વતીચંદ્ર નવલકથામાં જોવા મળે છે. નવીનચંદ્રના પિતા લક્ષ્મીનંદન મિલ-માલિક છે. પહેલી પત્ની ચંદ્રલક્ષ્મી અને બાળક નવીનચંદ્ર સાથે બેસીને ફોટો પડાવે તેટલા શોખીન અને ‘સુધારક’ છે. જો કે ચંદ્રલક્ષ્મીનું અવસાન થાય છે તે જ દિવસે તેઓ ગુમાન સાથે બીજાં લગ્ન કરે છે, અને આ ગુમાન તેના સાવકા દીકરા નવીનચંદ્ર કરતાં ઉંમરમાં બે વરસ નાની છે! આવા આલેખનમાં એ જમાનાની સામાજિક વાસ્તવિકતા જ ઝીલાઈ છે. ૧૯મી સદીના મુંબઈનું એક આગવું લક્ષણ એ હતું કે ત્યારે ગુજરાતી-મરાઠી, હિંદુ-મુસ્લિમ, પારસી, વગેરે સાથે મળીને કામ કરતાં. લક્ષ્મીનંદનને પણ હિંદુ ગુજરાતી ઉપરાંત અંગ્રેજ, પારસી, મહારાષ્ટ્રી વગેરે સાથે સારા સંબંધો છે. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’(જે.પી.)ની પ્રથા શરૂ થઇ હતી. એ જમાનામાં પણ ‘એક અમલદારની વગથી’ લક્ષ્મીનંદનને એ માન મળ્યું હતું.

નવીનચંદ્ર યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં ભણ્યો છે અને લગ્ન પહેલાં પોતાની વાગ્દત્તા કુમુદને પત્રો લખે એટલો ‘મોડર્ન’ છે. તો મુંબઈ બહાર રહેતી કુમુદ પણ એ પત્રોના જવાબ આપે છે. તેને અને તેની બહેન કુસુમને અંગ્રેજી અને સંસ્કૃત આવડે છે પણ બેમાંથી એકે ગ્રેજ્યુએટ નથી. તેમનું કુટુંબ દેશી રજવાડામાં રહેતું હતું. બંને ભણવા માટે સ્કૂલ-કોલેજ ગઈ નથી, પણ એ જમાનાના ચાલ પ્રમાણે ઘરે ભણાવવા આવતી મિસ ફ્લોરા નામની શિક્ષિકા પાસે ભણી છે. આખી નવલકથામાં અંગ્રેજી તેમ જ ગુજરાતી છાપાં, ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં માસિકો, છાપેલાં પુસ્તકો, વગેરેના ઉલ્લેખો તો વારંવાર આવે છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી

૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે મુંબઈમાં ગોવર્ધનરામનું અવસાન થયું. લગભગ પાંચ મહિના પછી, જૂન ૧૯૦૭ની શરૂઆતમાં, ભરૂચનો એક ભાર્ગવ બ્રાહ્મણ યુવાન એલ.એલ.બી.નો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યો અને ચર્ની રોડ સ્ટેશને ઉતર્યો. ઘોડા ગાડી કરવા જેટલા પૈસા પાસે હતા નહિ એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવી પીપલ વાડીમાં આવેલી એક ડબલ રૂમમાં તેના સાવકા નાના મામાઓ રહેતા હતા ત્યાં ગયો. આ યુવાન તે ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી. જન્મ ભલે ભરૂચમાં, પણ તેમણે પોતે લખ્યું છે કે ૧૯૦૭માં મુંબઈ આવ્યા ત્યારથી તેઓ મુંબઈગરા બન્યા. કેવું હતું એ વખતની મુંબઈની ચાલીઓનું જીવન? ‘સીધાં ચઢાણ’ નામની આત્મકથામાં મુનશી લખે છે: “પીપલ વાડીમાં એ વખતે ત્રણેક ચાલો હતી; તેમાં લગભગ બસે કુટુંબ રહેતાં. નળ પર બૈરાંઓની હંમેશાં ઠઠ જામેલી રહેતી ને ચાલુ ઝગડા થયા કરતા. ચારે તરફ ગંદવાડ – રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે.”

આજના મુંબઈની એક ચાલ

હા જી, આ પણ મોહમયી મુંબઈનો જ એક રંગ. ત્યારે અને અત્યારે પણ. મુંબઈના બીજા કોઈ અવનવા રંગ વિષેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2019

XXX XXX XXX

Loading

16 November 2019 admin
← અયોધ્યા : ન્યાયની ‘સમાધાન’કારી ફૉર્મ્યુલા
પ્રજાની સુખાકારીનાં મંદિરો ક્યારે બાંધીશું? →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved