Opinion Magazine
Number of visits: 9447406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણની દુકાનોમાં પણ મંદીનો માહોલ !

મનીષી જાની|Opinion - Opinion|23 October 2019

આ વર્ષે, આપણા ગુજરાતમાં, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થયેલી તલાટીઓની ભરતીમાં જેનાં માટે 12 ધોરણ પાસની લાયકાત માંગવામાં આવી હતી, તે પરીક્ષામાં પાસ થઈ 84 ડિગ્રીધારી એન્જિનિયરોએ તલાટીની આ નોકરી સ્વીકારી !

જે નોકરીમાં માસિક પગાર છે 19,500 રૂપિયા. આજના મોંઘવારીના સમયમાં પાંચ વ્યકિતના પરિવાર માટે માસિક 19,500 રૂપિયા, માત્ર ને માત્ર બે ટંક ભરપેટ ખાવાથી વિશેષ કંઈ આપી શકવા સક્ષમ નથી જ.

ઉચ્ચ શાળા શિક્ષણમાં ઊંચા ગુણ સાથે પાસ થાવ તો એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મળે અને એ પણ ભારે ફી અને ભણતરના અનેકાનેક ખર્ચાઓ સાથે. અને પાંચેક વર્ષ ભણ્યા બાદ એન્જિનિયરિંગના જે વિષયમાં નિપુણ બન્યા પછી ફક્ત કોઈ એક ગામના પંચાયતના કામકાજના હિસાબ કિતાબ સંભાળવાની નોકરી સ્વીકારવી જે તે યુવાન માટે કેવી અને કેટલી મજબૂરી ગણવી ?

છેલ્લાં 45 વર્ષમાં શિક્ષિતોની સૌથી વધુ બેરોજગારી અત્યારે જોવા મળી રહી છે તેનું પ્રતિબિંબ પણ આ તલાટીની નોકરીની ભરતીમાં જોઈ શકાય છે.

અને તાજેતરમાં જ કારકુનોની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ સરકારે જે ફેરવી તોળવાનું નાટક કર્યું તે હાસ્યાસ્પદ તો છે જ, તે ઉપરાંત કોઈપણ પ્રકારના લોકલક્ષી નિર્ણયો લેવાની બેદરકારી કે યુવાનોની બેરોજગારી તરફ નિષ્ઠુરતા દાખવવાની વાત જ સ્પષ્ટપણે ઊભરી આવે છે.

કારકુન માટેની સચિવાલય સિવાયની 3,771 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે 12 ધોરણ પાસની લાયકાત ધરાવતા 10.45 લાખ યુવાનોએ અરજી કરી હતી અને એ પરીક્ષાના દસ દિવસ પહેલાં સરકારે એકાએક નિર્ણય જાહેર કર્યો કે 'આ સ્પર્ધાત્મક પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને હવે તે પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ કક્ષાની હોવી જોઈએ તે રીતે ફરીથી તેની જાહેરાત થશે !'

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તડામાર તૈયારીઓ કરીને બેઠેલા 10.45 લાખ યુવાનોની આશા પર એક કલમના ઘસરકે પાણી ફેરવી દેવાની વાત આજના મોંઘવારીને બેકારીના સમયમાં કેટલી યોગ્ય ગણવી રહી ?

જે 'ગતિશીલ' સરકારમાં 21માંથી 7 પ્રધાનો 12 ધોરણ ય પાસ ના હોય એ સરકાર ખાસ કોઈ કારણ જણાવ્યા વિના એકાએક આવો નિર્ણય માથે મારે, ત્યારે યુવાનોમાં ગુસ્સો-નારાજગી વ્યાપક પ્રમાણમાં ઊભાં થાય એ સ્વાભાવિક છે.

આ ગુસ્સો અને ચાલી રહેલા પેટા ચૂંટણીઓના પ્રચારને ધ્યાનમાં લઈ આ નિર્ણયને ચાર દિવસમાં સરકારે પાછો ખેંચી લઈ, પારોઠના પગલાં ભરી જે તે પરીક્ષાને ચાલુ રાખી.

પણ સવાલ તો એ થાય કે આવો, બાર ધોરણમાંથી બદલીને ગ્રેજ્યુએટની લાયકાત નક્કી કરવાનો અમાનવીય નિર્ણય કરવાની ફરજ સરકારને કેમ પડી ?

સરકારે તો અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી, ગળે ઉતરે એવું કોઈ ખાસ કારણ પણ કારકુનની કામગીરી માટે બાર ધોરણ પૂરતું નથી જ એવું સરકાર આપી શકી.

આ નિર્ણયનાં મૂળમાં જોઈએ તો એક તો સરકારી ખાતાઓમાં ખાસ નોકરીઓ છે જ નહીં, કોન્ટ્રાક્ટ કે ફીક્સ પગારથી જ નોકરીઓની ભરતી થાય છે અને બીજી બાજુ શિક્ષિત બેકાર યુવાનોની ફોજ મોટીને મોટી થતી જાય છે. એન્જિનિયરિંગનું ભણેલાથી માંડી ફાર્મસી ભણેલાને તમામ પ્રકારના ગ્રેજ્યુએટ અને પી.એચડી. થયેલા પણ પંદર-વીસ હજારની નોકરી માટે વલખાં મારતાં હોય તો તે બધાંને નોકરીની આશાએ, કોણીએ ગોળ લગાડીને બાંધી રાખવા હોય તો આ એક માત્ર રસ્તો છે કે જ્યાં 12 ધોરણ પાસની જરૂર હોય ત્યાં ગ્રેજ્યુએટ પાસની લાયકાતનું ધોરણ કરી નાંખો !

કોઈ કહેશે કે પણ તેનાથી જે બેકારો છે તેની સંખ્યા ખાસ ઘટવાની નથી, સરકારને તેમાંથી શું ફાયદો ?

સીધી વાત એટલી જ છે કે 120 ધોરણથી આગળ નહીં ભણી શકનારા મહદ્દ અંશે મહેનતકશ ગરીબ વર્ગોમાંથી, ખાસ કરીને દલિત, આદિવાસી અને પછાત વર્ગોના યુવાનો જ છે. જેમનાં મા-બાપ મજૂરી કરનારા છે યા તો સીમાંત ખેડૂતો છે યા નાની અમથી સ્વરોજગારી પર જીવનારા છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાં ને 4-5 વર્ષ વધુ ભણવા માટે તેમની પાસે કમાણી કર્યા વિનાનો સમય પણ નથી.

આ ગરીબ પરિવારોના યુવાનો જેમાંથી મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. જેમનો અવાજ સંગઠિત બની તાકાતવાળો બનાવવાની સંભાવના ઓછી છે, થાકી હારીને રોજની મજૂરી કે છૂટક મજૂરી કે સ્વરોજગારથી પોતાનું ફોડી લેવા ફાંફાં માર્યા કરશે, કંગાળ જિંદગી જીવી લેશે એવો સરકારને 'ભરોસો' છે. એટલે સરકારને તેમનામાં રસ નથી.

જે ગ્રેજ્યુએટ થયેલાં છે તે નિમ્ન કે મધ્યમવર્ગનાં પરિવારોમાંથી આવનારા છે, મહદ્દ અંશે નાનાં કે મોટાં શહેરોમાં વસનારા છે. તેમની પાસે કોઈ નાના મોટા ઉદ્યોગ ઊભા કરવા માટે મૂડી નથી યા સરકારની એવી કોઈ વ્યવસાયલક્ષી યોજનાઓ નથી, બેંકોમાંથી ઓછા વ્યાજ દરે નાણાં મેળવવા આજ કાલ સંભવ નથી.

હવે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ બજાર અને સરકાર પર કબજો ધરાવે છે અને આ કોર્પોરેટ ક્ષેત્રમાં, ખાનગી નોકરીઓમાં પારાવાર શોષણ છે. ઓછા પગાર અને દસ -બાર- ચૌદ કલાકની નોકરી એ આજની વાસ્તવિકતા છે અને એ જ વાત 84 ડિગ્રીધારી એન્જિનિયરોને ગામડાંમાં રહેવાની તલાટીની નોકરી સ્વીકારવાની ફરજ પાડે છે.

આ નિમ્ન યા મધ્યમવર્ગના અને જેમાં મોટા ભાગે કહેવાતી સવર્ણ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે તેઓ ગરીબો કરતાં વધારે વાચાળ છે. સંગઠિત આક્રોશ એક યા બીજી રીતે ઠાલવવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ સરકારને તેમનાં તરફથી કોઈ સંગઠિત વિરોધનો અવાજ ઊભો ના થાય તેની ફિકર છે.

આ 'શિક્ષિત બેકારો'ને પોતાના દાબમાં રાખવા, તેમની લાલચ જીવતી રાખી અને વૈચારિક રીતે દિશાહીન બનાવવા સિવાય બીજો કોઈ રસ્તો સત્તાધીશો માટે નથી.

અને એટલે જ સામાન્ય કારકુનની જગ્યાઓ માટે ધોરણ 12 ને કાઢી ગ્રેજ્યુએટનું કરી નાંખે તો જેમને ચાળણીમાં ચાળી નાખવા છે તે ચળાઈ જાય અને જેમને નોકરીની આશા-લાલચ-સંભાવનામાં રમતાં રાખવા છે તેમને રાખી શકાય.

વળી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમાં લાખો યુવાનો 2-4 હજાર જગ્યાઓ માટેની દોડમાં આંખો મીંચીને દોડ્યા કરે છે, તેમની પાસેથી તગડી ફી પણ વસૂલ કરે છે એ ઉપરાંત આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ખાનગી કોચિંગ ક્લાસ અને ગાઈડ-પુસ્તકોનો ધંધો પણ ઘણો મોટો છે.

આ બધાં જ સ્થાપિત હિતો ભેગાં મળી નોકરીઓ માટે રમાડવાનો ખેલ ચાલુ રાખી પોતાના સ્વાર્થ સાધવા તત્પર રહે અને સરકાર પણ તેમાં સહયોગ આપે તે આજની બજારવ્યવસ્થાના ભાગ તરીકે ય આપણે જોવું જોઈએ.

અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લાં વીસેક વર્ષમાં દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની ખાનગી દુકાનો બેફામપણે ખોલી દેવાની છૂટ સરકારે આપી દીધી છે .છેલ્લા બે દાયકામાં જાતભાતની ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોની ભરમાર ઊભી થઈ છે.

જેમ જેમ સરકારી નોકરીઓ ઘટતી ગઈ અને તે મેળવવા સ્પર્ધાઓ વધતી ગઈ, બેકારી વધતી ગઈ એમ એમ આ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને તે પણ તગડી ફી સાથેની વધતી ગઈ !

પોતાના સંતાનોને સારી નોકરી મળી જાય એવી આશાએ નિમ્ન અને મધ્યમવર્ગના પરિવારોએ પેટે પાટા બાંધીને પણ ભારે ખાનગી ફીઓ ભરીને નવા નવા વ્યાવસાયિક કોર્સોમાં સંતાનોને દાખલ કરાવ્યા.

અને આજે હવે લાખો યુવાનોની બેકારી એ આ ઉચ્ચ શિક્ષણ પણ નોકરી મેળવવા નકામું છે, તેનાથી નોકરીઓ મળતી નથી એવી ઘેરી હતાશા સમાજમાં ઊભી થઈ રહી છે.

આ વર્ષે ઉચ્ચ શિક્ષણની કોલેજોમાં ખાસ કરીને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં 60%થી વધુ સીટો ખાલી પડી રહી છે તેનાં આંકડા ચોંકાવનારા છે.

એન્જિનિયરિંગ ની બી.ઈ. ડિગ્રી માટે આ વર્ષે 33,028 સીટો ભરાઈ અને 40,317 સીટો ખાલી પડી રહી! જ્યારે અનુસ્નાતક કક્ષાની એમ.ઈ. અને એમ.ટેક. ડિગ્રી માટેની 2,821 સીટો ભરાઈ ને તેનાથી બે ગણી કહી શકાય એટલી 4,834 સીટો ખાલી રહી. ફાર્મસીની ડિગ્રી માટેની 3,316 સીટો ભરાઈ અને 2,917 ખાલી રહી. એમ.બી.એની 7,418 સીટો પર પ્રવેશ લેવાયો અને 3,223 ખાલી રહી. એમ.સી.એ.માં 643 સીટો ભરાઈ અને 4,495 જેટલા મોટા પ્રમાણમાં ગુજરાતની કોલેજોમાં કોઈ એડમિશન લેનાર ના નીકળ્યું. હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના કોર્સીસ માં 151 જગ્યાઓ ભરાઇ અને 346 જગ્યાઓ ખાલી પડી રહી!

એટલે કે આ પ્રકારના સીધા વ્યવસાય સાથે જોડાયેલા અભ્યાસક્રમોમાં આ વર્ષે કુલ 64,448 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો અને મંજૂરી અપાયેલી કોલેજોની 93,788 જેટલી સીટો ખાલીખમ રહી.

ગુજરાતમાં આ પ્રકારની સરકારી અને ખાનગી કોલેજોની કુલ મળીને 60% જેટલી સીટો ખાલી રહે તે હવે વ્યાવસાયિક અભ્યાસક્રમો ભણવાથી પણ નોકરીઓ નથી મળતી અને નાણાંની બરબાદી થાય છે એવું હવે સમાજમાં સમજાઇ રહ્યું છે તેની આ નિશાની છે, એ વાતને સૂચવનારી છે.

પણ સાથે સાથે અણઘડ આયોજન કરી, ગુજરાતના વિદ્યાર્થીઓનું ક્યાં હિત છે, ક્યાં અહિત છે તેની પરવા કર્યા વિના, તેના વિશે કોઈ નક્કર દિશાદર્શક વિચારણા વિના શિક્ષણનો ધંધો કરનારા હિતોના મેળમિલાપમાં તેને વશ થઈ, વિદ્યાર્થીઓના નાણાં ખંખેરી લઈ, નોકરીઓનાં ગુલાબી સપનાં દેખાડી સરકારે જે સમાજદ્રોહ કર્યો છે, તેને ભાવિ પેઢી સુસ્પષ્ટપણે જોઈ શકશે, સમજી શકશે એવું માનવું રહ્યું.

ગુજરાતમાં, કોલેજોમાં 93 હજાર જેટલી ભણતરની સીટો ખાલી રહે એનો અર્થ એ પણ કે જે તે કોલેજોમાં નિયુક્ત થયેલા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની નોકરીઓ પણ જોખમમાં આવી ગઈ ! મંદીનું મોજું ભલભલા પરિવારોને તારાજ કરી નાંખે છે અને આવાં ગંભીર વાતાવરણમાં જ્ઞાનનો પ્રકાશ આ દિવાળીએ ક્યાં ય કામમાં આવશે કે નહીં એ પ્રશ્નાર્થ રહે છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 23 ઓક્ટોબર 2019

Loading

23 October 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 15
શું કહેવું આ સરકારને ? સરકારી તિજોરીની રકમ ક્યાં ધોવાઈ ગઈ તે પણ તે જાણવા માંગતી નથી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved