Opinion Magazine
Number of visits: 9447780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂરની ભયાનક તબાહી ખરેખર કોના વાંકે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 September 2019

ચોમાસું તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વીત્યા બેત્રણ મહિનામાં દેશમાં પૂરને કારણે સર્જાયેલી ભયંકર સ્થિતિની વિગતો મળી રહી છે. ૧૩૦ કરોડની આબાદીના દેશમાં પૂરને કારણે બારસો-પંદરસોનાં મોત એ કોઈ મોટી વાત નથી, એમ કહેનારાને પૂરની તબાહીનો વાસ્તવિક ખ્યાલ હોતો નથી. દર વરસની જેમ આ વરસે પણ દેશનાં અડધોઅડધ રાજ્યો અને મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, વડોદરા જેવાં નગરો અને મહાનગરો પૂરસંકટમાંથી પસાર થયાં છે. આશરે ૧૦ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. લાખો લોકો ઘરબાર વગરના થયા છે. માનવહાનિ કરતાં ઢોરઢાંખરની હાનિ અનેક ગણી વધારે છે. લાખો લોકોએ સ્થળાંતર કરવું પડયું છે. પાક અને ખેતીની જમીનના કરોડોના સહિત અબજો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. ભોગ બનેલાઓને ફરી બેઠા થતાં દસ વરસ લાગશે.

દુનિયાના બીજા ક્રમાંકના પૂરનો ભોગ બનનારા ભારત દેશમાં પૂરની તબાહી જાણે કે વાર્ષિક ઘટના બની ગઈ છે. આ તો કુદરતી આફ્ત છે તેમાં શાસન અને પ્રશાસન શું કરે? તેવી માનસિકતાને કારણે પૂરના સંકટનો સ્થાયી ઉકેલ આવતો નથી. અસામાન્ય વરસાદ, વીજળી પડવી અને ભારે પવનને કારણે સર્જાતી તબાહી સામે બેબસ બનીને બેસી રહેવામાં જ શાસનને બહાદુરી લાગે છે. પૂરની તબાહી કુદરતસર્જિત ઓછી અને માનવસર્જિત વધારે છે તે દિશામાં ખાસ ધ્યાન અપાતું નથી. ધીમી ધારે થતા વરસાદ અને થોડા જ કલાકોમાં વરસી જતા ધોધમાર વરસાદનાં કારણો ચકાસાતાં નથી.

મોટા બંધોના નિર્માણનો એક હેતુ પૂરને રોકવાનો છે, પણ બંધો જ પૂરનું સંકટ ઊભું કરે છે તેવું ભૂતકાળમાં પણ બન્યું હતું અને આ વખતે પણ બન્યું છે. દેશમાં સૌથી વધુ બંધ ધરાવતા મહારાષ્ટ્રમાં વર્ષાઋતુના આરંભે જ તિવારે બંધ તૂટતાં પૂરનું સંકટ ઊભું થયું હતું. મહારાષ્ટ્રના કોયના બંધમાંથી પાણી છોડાતાં ઉત્તર કર્ણાટકમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. કર્ણાટકના ભાજપી મુખ્યમંત્રીએ આ બાબતે મહારાષ્ટ્રના તેમના જ પક્ષના મુખ્યમંત્રીને ફરિયાદ કરી તો જવાબમાં તેમણે મહારાષ્ટ્રની સૌથી મોટી નદી કૃષ્ણા પરના કર્ણાટકના અલમાટી બંધમાંથી પાણી છોડી મહારાષ્ટ્રને પૂરથી ઉગારી લેવા વિનંતિ કરી હતી. પૂરની સ્થિતિને પહોંચી વળવા કે તે સર્જવામાં રાજ્યો વચ્ચેના સંકલનના અભાવનું આ એક જ ઉદાહરણ નથી.

ભારતમાં આવેલા ૫,૨૬૪ મોટા બંધોમાંથી ૮૦ ટકા ૨૫ વરસ, ૨૫ ટકા ૫૦થી ૧૦૦ વરસ જૂના છે. ૨૯૩ બંધ ૧૦૦ કરતાં વધુ વરસ પહેલાં બંધાયેલા છે. નિર્માણમાં ખામી, યોગ્ય જાળવણી અને સમયસર મરામતના અભાવે ચોમાસામાં બંધોમાં ગાબડાં કે તિરાડો પડે છે અને કેટલાંક બંધ તૂટે છે. તેને કારણે પૂરનું સંકટ ઊભું થાય છે. પૂરનું કારણ માત્ર ભારે વરસાદ નથી. બંધોની જાળવણી અને મરામતનો અભાવ પણ છે. ‘કેગ’ના એક રિપોર્ટ પ્રમાણે ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માત્ર બે જ રાજ્યોએ વરસાદ પહેલાં બંધોની ચકાસણી કરી હતી. આઝાદી પછીના છ દાયકામાં દેશમાં ૩૬ બંધ તૂટવાના કારણે પૂરની તબાહી સર્જાઈ હતી.

પર્યાવરણવિદોના મતે નદીના પાણીને રોકવું કે વાળવું ખતરનાક છે. બિહારના કોસી નદીકાંઠાનાં સેંકડો ગામ દર વરસે પૂરનો ભોગ બને છે તેના મૂળમાં નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી પર સાત નદીઓને બાંધીને ૧૯૬૫માં બનાવેલો કોસી બંધ છે. બંગાળનો ગંગા નદી પરનો ફરાક્કા બંધ પણ બિહારના પૂરનું કારણ મનાય છે. બંધોને કારણે નદીઓમાં કાંપ જમા થાય છે. એકલી ગંગામાં જ વરસે ૪૧.૩ કરોડ ટન કાંપ જમા થાય છે તેથી નદીઓનો પટ સંકોચાય છે અને નદીઓમાં વહેતાં પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે. તેનાથી વરસાદી પાણી નદીમાં વહેવાને બદલે કિનારાની વસતીમાં વહે છે.

તળાવો અને નદીઓને પૂરીને કે સંકોચીને થયેલાં બાંધકામો પૂરને આમંત્રે છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે થયેલાં અનેક બાંધકામોએ નદીના કુદરતી પ્રવાહને રોકી દીધો છે તેને કારણે આ વખતના વરસાદમાં ભારે મુશ્કેલીઓ પડી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થતાં ભારે વરસાદને કારણે આ શહેર સ્થગિત થઈ જાય છે. તેના મૂળમાં શહેરમાં અનેક કુદરતી તળાવોનો નાશ કરવામાં આવ્યો છે અને મીઠી, ઉલ્લાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા નામક નાની નદીઓ પૂરીને તેના પર થયેલાં બાંધકામો પૂરની તબાહી સર્જે છે. પર્યટનના વિકાસના નામે પહાડોને ખોદીને તેમાં બાંધકામો થાય છે. કેદારનાથની દુર્ઘટના આ જ કારણે સર્જાઈ હતી. નગરો અને મહાનગરોમાં વરસાદને કારણે જે હાલાકી વેઠવાની થાય છે તે તો સાવ જ માનવર્સિજત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વરસાદી પાણીના નિકાલ માટેની શહેરોની ગટરો જૂની છે અને સાફ થતી નથી. એટલે વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

જળસંગ્રહ અને જળસંરક્ષણની કોઈ નીતિ કે આયોજન આપણી પાસે નથી, જે છે તેનો અમલ થતો નથી. કેરળના પૂરસંકટમાં થયેલાં મોત ભૂસ્ખલનને લીધે થયાં છે. કેરળમાં ૧૦૩ મોત જમીન ધસવાને કારણે થયાં. આ તમામ વિસ્તારોમાં ગ્રેનાઈટની ખાણો છે. ઈકોલોજિકલ સેન્સિટિવ ઝોનમાં થતાં ખાણકામ પૂર અને મોતના કારણ બન્યાં છે. તે પૂર અને મોતનાં કારણો બન્યાં છે. કુદરત સાથે મનુષ્ય જે છેડછાડ કરે છે તેનું આ પરિણામ છે. ઉબડખાબડ પહાડી વિસ્તારની ભૂમિ કેરળમાં પહાડો ધસવાને લીધે આખા વિસ્તારની હાઈડ્રોલોજી પ્રભાવિત થાય છે. નહેરો બ્લોક થઈ જાય છે. પાણી નજીકમાં વહી જાય છે અને લાંબા ગાળે પહાડો સુકાઈ જાય છે.

જેમ પડોશી રાજ્યો તેમ પડોશી દેશો સાથેના સંકલનના અભાવે પણ પૂરની સ્થિતિ ઊભી થાય છે. પશ્ચિમ બંગાળ, અરુણાચલ, આસામ અને સિક્કિમની સીમાઓ ભૂતાનથી જોડાયેલી છે. પચાસેક નદીઓ આ રાજ્યો અને ભૂતાન વચ્ચે વહે છે. ભૂતાનનો ભારે વરસાદ આ ચાર રાજ્યોને, નેપાળનો વરસાદ બિહારને અને પાકિસ્તાનનો વરસાદ પંજાબમાં તારાજી સર્જે છે. એટલે કેન્દ્ર સરકારે રાજ્યો અને પાડોશી દેશો વચ્ચે સંકલનની મજબૂત વ્યવસ્થા કરવી જોઈએ. પૂરની પૂર્વ આગાહીનું તંત્ર કાર્યરત નથી તે સૌથી મોટી ખામી છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની તસવીરો અને નેતાઓનાં હવાઈ સર્વેક્ષણો, થોડી સંવેદનાસભર કહાનીઓ અને ટૂંકાલાંબા ગાળાનાં પગલાંની ઠાલી જાહેરાતો પૂરનાં પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે ઓસરી જાય છે. પૂર આવતાં બચાવકાર્ય તો થાય છે પણ રાહત, પુનર્વસન, રોજીરોટી અને આરોગ્યના મુદ્દે ઠોસ કાર્ય થતું નથી. આયોજન અને અમલનો અભાવ જ પૂરની તબાહી નોતરે છે એટલું નક્કી છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 25 સપ્ટેમ્બર 2019

Loading

26 September 2019 admin
← વિનોબા – અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય
અત્યારના ભારતમાં બહુ જ જરૂરી એવો ભગતસિંહનો દીર્ઘ નિબંધ : ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved